જુલાઈ ૨૦૧૫-‘નવનીત-સમર્પણ’માં પ્રસિધ્ધ થયેલ ગઝલ. July 16, 2015
Posted by devikadhruva in : Uncategorized , add a commentજુલાઈ ૨૦૧૫-‘નવનીત-સમર્પણ’માં પ્રસિધ્ધ થયેલ ગઝલ.
શિર્ષક-“વાત રે’વા દો.”
કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો.
ભર્યા ઠાલા અને પોલા, છે અર્થો શબ્દ-કોષોમાં,
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો.
જુએ સામે અરીસો લઇ, છતાં ના જાતને જોતા,
મળે ઇશ્વર, તો શું દેખે? બેગાની વાત રે’વા દો.
સુગંધી શ્વાસમાં સૂંઘી, ભરે અત્તરને વસ્ત્રો પર,
ફૂલોની પાંદડી તોડી,પીસ્યાની વાત રે’વા દો.
ઝવેરી વેશ પ્હેરી વિશ્વને ઘાટે જૂઠા બેઠા,
હિરા ફેંકી, વિણે પત્થર, દીવાની વાત રે’વા દો.
કોઇ લાવો નવા રાજા ને રાણીની કથાવાર્તા,
પરીઓની ખરી ખોટી, રૂપાળી વાત રે’વા દો..
કહ્યું છે સાચું વિજ્ઞાને હજારો વાર પૃથ્વી ગોળ,
મળે રોવાને ક્યાં એકે, ખૂણાની વાત રે’વા દો.
ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીનો રજત જયંતિ કાર્યક્રમ અને મુશાયરો □ ‘મહેક’ ટંકારવી June 3, 2015
Posted by devikadhruva in : Uncategorized , add a commentગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીનો
રજત જયંતિ કાર્યક્રમ અને મુશાયરો
□અહેવાલઃ ‘મહેક’ ટંકારવી.
શુક્રવાર તા. ૧૫મી મે ૨૦૧૫ના રોજ બાટલીના અલ-હિકમાહ સેન્ટર ખાતે યુ.એસ.એ.થી આ કાર્યક્રમ માટે ખાસ પધારેલ કવયિત્રી દેવિકા ધ્રુવના મુખ્ય મહેમાનપદે ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલી’ની રજત જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કવિ અહમદ ગુલ સંપાદિત ‘ગુલદાન’ જેમાં બાટલીના છ ગઝલકારોની કાવ્યકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું અને ‘Batley Bond’ અને ‘Batley Buds’ જેમાં બાટલી અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના નવોદિત કવિઓની અંગ્રેજી રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત કરતાં ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીના સેક્રેટરી ઇસ્માઇલ દાજીએ મહેમાનો, કવિગણ તથા ઉપસ્થિત શ્રોતાઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીના પ્રમુખ કવિ અહમદ ગુલે ફોરમની સ્થાપના અને વિકાસયાત્રા પર ઘણી વિગતે વાત કરતાં જણાવ્યું હતું કે ૧૯૯૦માં ફોરમની સ્થાપના થઇ ત્યારથી લઇ આજ સુધીનાં ૨૫ વર્ષોમાં ફોરમે
દેશપરદેશના ઘણાં જાણીતા કવિઓને અહીં આમંત્રી તેમની ઉપસ્થિતિમાં અનેક મુશાયરાઓનું આયોજન કર્યું છે, સ્થાનિક કવિઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા વર્કશોપ્સ (કાવ્ય શિબિરો) યોજી છે, કાવ્ય અને ગઝલસંગ્રહોનું પ્રકાશન કર્યું છે, અંગ્રેજ કવિઓને પણ પ્રવૃત્તિમાં સાંકળ્યા છે અને એ રીતે લોકોને ગઝલો-હઝલોની લહાણી કરાવવા સાથે છેલ્લા પચ્ચીસ વર્ષથી અહીં બ્રિટનમાં અને ખાસ કરીને યોર્કશાયરમાં ગુજરાતી ભાષાની માવજત સાથે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જીવંત રાખવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે. અહમદ ગુલે “મેં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કારવાઁ બનતા ગયા” એ જાણીતો શેર ટાંકીને પોતાનું વકતવ્ય સમાપ્ત કર્યું હતું. અહમદ ગુલની સેવાઓની કદર રૂપે આ પ્રસંગે તેમને તેમની પૌત્રી તરફથી ફુલહાર અર્પણ કરવામાં આવ્યો હતો.
ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.ના પ્રમુખ અને ગઝલકાર ‘મહેક’ ટંકારવીએ ‘આ કવિઓએ જે ગાયું છે તેને મારે ગાવું છે, તેમના દર્દને આપ લોકો સુધી પહોંચાડવું છે’ એમ કહી ‘ગુલદાન’ના કવિઓની ગઝલોમાંથી કેટલાક શેરો તરન્નુમથી રજુ કરી જાણે મુશાયરાનું માહોલ સર્જી આપ્યું હતું. તેમણે ખાસ કરીને જેમની ગઝલો-હઝલોના પડઘા હજી યોર્કશાયરની ખીણ-ટેકરીઓમાં ગુંજે છે અને જેઓ પોતાની ગઝલો-હઝલોનો વારસો આપણને સોંપીને અલ્લાહને પ્યારા થઇ ગયા છે તેવા મરહુમ હસન ગોરા ડાભેલી અને મુલ્લાં હથુરણીને યાદ કરી તેમની સેવાઓને બિરદાવી હતી.
ગુજરાતી લિટરરી ગૃપ, બર્મિન્ગહામના કવિ પ્રફુલ્લ અમીને Batley Bond વિષે બોલતાં જણાવ્યું હતું કે અંગ્રેજી ભાષી આપણી નવી પેઢીઓને ધ્યાનમાં લઇ હવે બહુભાષી મુશાયરાઓ યોજવાનો સમય આવી ગયો છે. અંગ્રેજ કવિઓને પણ સાથે લઇને ચાલવાથી એકબીજા સાથે હળવાભળવાનો અને પરસ્પર વિચારોની આપલે કરવાનો મોકો મળી રહેશે. તેમણે સંગ્રહમાં સમાવિષ્ટ તમામ કવિઓને અંગ્રેજીમાં સુંદર કવિતાઓ પીરસવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ત્યાર પછી Batley Budsf]= ડેવીડ કૂપર અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના જુલિ હેઇગના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. નવોદિત કવિઓને પ્રોત્સાહિત કરતી આવી પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવતાં તેમણે કહ્યું કે “investment in poets is an investment in our community. It binds together our communities.” વિવિધ સમાજોને એકબીજાની નિકટ લાવવામાં સાહિત્ય અને કવિતા સારો એવો ભાગ ભજવી શકે છે.
ઝયનબ દાજીએ પોતાની અંગ્રેજી કવિતાનું વાંચન કરી શ્રોતાઓની દાદ મેળવી હતી. ત્યાર બાદ ૧૭ વ્યક્તિઓનું સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે તેમના ઉમદા યોગદાન બદલ પ્લાક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનના શ્રી વિપુલ કલ્યાણીએ બ્રિટનમાં ગુજરાતી ભાષા વિષે બોલતાં જણાવ્યું કે અહીંની અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓએ ગુજરાતી ભાષાને અહીં અંગ્રેજીના પ્રભુત્વવવાળા દેશમાં આજ પર્યંત જીવંત રાખવા ઘણું કર્યું છે. દુ:ખ એ વાતનું છે કેે ગુજરાતથી હજારો માઇલ દૂર રહીને પણ રોજી રોટી કમાવાની સાથે સાથે ગુજરાતી ભાષા, સંસ્કૃતિ-સંસ્કાર અને અસ્મિતાને જાળવી રાખવા પોતાની કલમ દ્વારા અહીંના કવિઓ, ગઝલકારો, વાર્તાકારો અને લેખકોએ જે મહેનત કરી છે તેની અત્યાર સુધી ગુજરાતમાં જોઇએ તેવી અને તેટલી નોંધ લેવાઇ નથી. ગુજરાતીના વર્ગો પહેલાં ચાલતા હતા જે હવે ચાલતા નથી, ગુજરાતીને અહીંની શાળા કોલેજોમાંથી પણ જાકારો આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે ચિંતા ઉપજે છે. આવા સંજોગોમાં ગુજરાતી આપણા ઘરોમાં બોલવાનું પણ ચાલુ રહે તો ગનિમત લેખાશે.
લેસ્ટરની લેખિકા અને દેવિકાની વર્ષો જૂની નિકટની સહેલી નયના પટેલે જેમણે લગ્ન પછી ‘વર, ઘર અને બાળકો’ સાથે પણ લખવાનું ચાલુ રાખ્યું છે તેવા મુખ્ય મહેમાન દેવિકા ધ્રુવનો પરિચય આપ્યો હતો. પોતાનું વકતવ્ય શરૂ કરતાં કવયિત્રી દેવિકા ધ્રુવે ચમત્કારોના આવિષ્કારની વાત કરતાં જણાવ્યું કે અહીંયાં આવવું એ પણ મારા માટે એક ચમત્કાર જેવું થયું છે. ‘જ્યાં જ્યાં ભરાતો શબ્દનો દરબાર ત્યાં મન દોરાતું’ એમ કહી અહમદ ગુલનું આમંત્રણ મળતાં મેં અહીં આવવાનું નક્કી કર્યું અને ભાવભીના સ્વરે ઉમેર્યું કે આજે લાગણીનું તાપણું કરી બેઠેલા આવા દિલાવર લોકો વચ્ચે મને ઘર આંગણા જેવું લાગે છે. હું ફોરમની સાહિત્યિક પ્રવૃત્તિઓ વિષે સાંભળી અને નિહાળીને ઘણીજ પ્રભાવિત થઇ છું અને અહમદ ગુલને ખોબા ભરીને દરિયા જેટલી શુભાશિષ આપું છું, અભિનંદન પાઠવું છું. વિશ્વની ભાષાઓમાં સમૃદ્ધિની દ્દષ્ટિએ ગુજરાતી પચાસમા નંબરે આવે છે એમ જણાવી ‘મા (ગુજરાતી) વહાલી પણ માસી (અંગ્રેજી) પણ ગમે છે એમ કહી તેમણે બેઉ ભાષાઓનું ગૌરવ કર્યું હતું. એમણે આદિલ મન્સૂરીને યાદ કરતાં કહ્યું કે મને ગઝલ લખવાની પ્રેરણા આદિલ પાસેથી મળી હતી.
છેલ્લે વિરામ અને ભોજન બાદ મુશાયરાની શરૂઆત કરતાં કાર્યક્રમના સંચાલક ઇમ્તિયાઝ પટેલે હાજર રહેલા ૨૦ જેટલા કવિઓને પૂરતા સમયના અભાવે ઝડપથી રજૂ કરવાનું કપરુ કામ ઉપાડી લીધું હતું. મહેમાન કવયિત્રી દેવિકા ધ્રુવ ઉપરાંત બોલ્ટન, બ્લૅકબર્ન અને બાટલીના સ્થાનિક કવિઓ, લંડનથી પંચમ શુકલ, પંકજ વોરા અને ભારતી પંકજ, લેસ્ટરથી દિલીપ ગજ્જર, મધુબેન ચાંપાનેરિયા, કીર્તિબેન મજેઠિયા અને ડાહ્યાભાઇ પ્રજાપતિ, તથા બર્મિન્ગ્હામથી પ્રફુલ્લ અમીને પોતાનાં કાવ્યો રજૂ કરી શ્રોતાઓને રાત્રિના ૧૧.૩૦ વાગ્યા સુધી જકડી રાખ્યા હતા.
શબ્બીર કાઝીએ આભારવિધિ કરતાં કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોનો અને સુંદર સ્વાદિષ્ટ શાકાહારી ભોજન પીરસવા બદલ ઇકબાલ ધોરીવાલાનો તથા કાર્યકમના આયોજનની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લઇ તેને સરસ રીતે પાર પાડવા બદલ અહમદ ગુલ અને સાથીઓનો આભાર માન્યો હતો. સાંજના છ વાગ્યે શરૂ થયેલો આ કાર્યક્રમ રાતના ૧૧.૩૦ વાગ્યે સમાપ્ત થયો હતો..
Britiasianbazz.com પર એક મુલાકાત-મે ૧૮, ૨૦૧૫ May 26, 2015
Posted by devikadhruva in : Uncategorized , add a comment
ગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે. સાથે એક અવિસ્મરણીય સાંજ અને અન્ય યાદગાર મુલાકાતો.
Posted by devikadhruva in : Uncategorized , add a commentગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે. સાથે એક અવિસ્મરણીય સાંજ અને અન્ય યાદગાર મુલાકાતો.
કેટલાંક પ્રસંગો કાયમી સંભારણા બની જીવનના ગોખલે ઝગમગી રહેતા હોય છે. મે મહિનાની યુકે.ની મુલાકાત કંઈક એવી જ યાદગાર બની ગઈ.
એક સાહિત્ય-રસિક, વર્ષો જૂની નિકટની સહેલી સાથે સમય ગાળવાની અને સાથે માણેલા દિવસો વાગોળવાની ઇચ્છાની પાંખ સળવળી અને જાણે કે આખું યે આભનું ઉડાન મળ્યું! જોગાનુજોગે ગુજરાતી રાઈટર્સ ફોરમ,યુકે.નું આમંત્રણ પણ એમાં ભળ્યું અને તેમની ૨૫ વર્ષની રજત જયંતિની ઉજવણીમાં સામેલ થવાની તક સાંપડી. માતૃભાષાનો પ્રેમ, કવિતાનો પ્રેમ ક્યાંથી ક્યાં વિક્સે છે,વિસ્તરે છે અને સાંકળે છે તેની કેટલીક ઝલક સંક્ષિપ્તમાં રજૂ કરવાનો આ નમ્ર પ્રયાસ છે.
શ્રી દિલીપભાઈ ગજજર, શ્રીમતિ ભારતીબેન વોરા,પંકજ વોરા અને યુસુફભાઈ
યુકે.માં જુદાજુદા શહેરોમાં જુદા જુદા નામે ગુજરાતી મંડળો સક્રિય છે. સૌથી પ્રથમ તા. ૧૪મી મેના રોજ ગુજરાતી લીટરરી ગ્રુપ,લેસ્ટરની એક બેઠક નયના પટેલના નિવાસસ્થાને ગોઠવાઈ. કવિતા, ગઝલ અને વાર્તાનું આદાન-પ્રદાન આનંદદાયી રહ્યું. મારા માટે ઘણી
આશ્ચર્યની ક્ષણો પણ સર્જાઈ. ફૂલોના ગુચ્છા અને સન્માનિત પ્રમાણપત્રની ભાવભરી ભેટ સૌની લાગણીના પ્રતીક બની રહ્યાં. તસ્વીરમાં શ્રી દિલીપભાઈ ગજજર, શ્રીમતિ ભારતીબેન વોરા,પંકજ વોરા અને યુસુફભાઈ પ્રમાણપત્ર એનાયત કરતાં જણાય છે.
બીજાં દિવસે, ૧૫ મેના રોજ ‘ગુજરાતી રાઈટર્સ ફોરમ’ કે જેની સ્થાપના ૧૯૯૦માં થઈ હતી, તેની ૨૫ વર્ષની ઉજવણીનો ઓચ્છવ હતો. તેનું મૂળ નામ ‘ગુજરાતી રાઈટર્સ સર્કલ’ હતું. ઘણા બધા સર્જકો/ભાવકો અને અપરિચિત ભાષાપ્રેમીઓને મળવાનો મોકો મળ્યો. સાંજના સાડા પાંચ-છ વાગ્યે Al Hikmah Centre,Batelyમાં શરુ થયેલાં આ કાર્યક્રમમાં સંસ્થાની ૨૫ વર્ષની શબ્દ-સાધના,સર્જન યાત્રા અને તેના વિકાસરૂપ પુસ્તકોનું વિહંગાવલોકન કરવામાં આવ્યું, સક્રિય અને સહકાર આપનાર સૌ કોઈને સન્માનિત કરવામાં આવ્યાં. યુકે.ના જુદા જુદા ગુજરાતી સંસ્થાઓના પ્રતિનિધિઓએ શ્રી અહમદભાઈ ગુલના આ ઉત્સવમાં હાજરી આપી હતી. લંડનથી કવિ શ્રી પંચમ શુક્લ, સાહિત્યકાર શ્રી વિપુલભાઈ કલ્યાણી, બોલ્ટનથી ‘અદમ’ ટંકારવી, મહેંક ટંકારવી, સિરાજ પટેલ,બર્મિન્ગમથી પ્રફુલભાઈ અમીન, લેસ્ટરથી પંકજ વોરા,દિલીપભાઈ ગજજર, શરદ ભાઈ રાવળ,વાર્તાકાર નયનાબેન પટેલ અને ઘણાં અન્ય સર્જકોએ હાજરી આપી હતી. કુલ ૪૦૦ જેટલાં સભ્યોથી ખીચોખીચ ભરાયેલાં સભાગૃહનું સંચાલન ટીવી ચેનલના એક ખુબ જ કુશળ સભ્ય શ્રી ઈમ્તિહાસ પટેલે કલાત્મક રીતે કર્યું હતું . કાર્યક્રમ પછી ભોજન અને તે પછી મુશાયરો મોડી રાત સુધી ચાલ્યો. આખા યે પ્રસંગને આવરી લેતો હેવાલ શ્રી મહેંક ટકારવીએ મ્હેંકતી રીતે લખ્યો છે,જે અહીં ક્લીક કરવાથી વાંચવા મળશે.
GWF, Batley, Silver Jubilee
આ રહી કેટલીક તસ્વીરોઃ સૌજન્ય શ્રી શરદ રાવળ
ખુબ આનંદ એ વાતનો છે કે ઘણાં કવિઓને સાંભળવાનો લહાવો મળ્યો ,શ્રી અહમદભાઈ ગુલે મને અતિથિવિશેષ તરીકેનું સન્માન આપ્યું અને ભારતથી પધારેલ ચિત્રકાર શ્રી કનુભાઈ પટેલે હોલમાં બેઠા બેઠા એક સ્કેચ બનાવી (મારા ચહેરાનું ચિત્રાંકન )મૌન અભિવાદન કર્યું જે મને હંમેશા યાદ રહેશે.
આ પ્રસંગે બીજી ખુબ જ પ્રભાવિત કરાવનારી એક વાત એ હતી કે અહીં અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં કામ સાથે સાથે ચાલે છે. બંને ભાષાના સર્જનોના પરસ્પર અનુવાદ થાય છે અને જે ગુજરાતી નથી તે લોકો પણ અહીં આવી ગુજરાતીઓની વાતો,લાગણીઓને સમજવાનો નિષ્ઠાપૂર્વક, પ્રોત્સાનરૂપે પ્રમાણિક પ્રયત્ન કરે છે. આ નાની સૂની વાત નથી,બલ્કે પ્રેરણાદાયી અને અનુકરણીય વાત છે. ભાષા અભિવ્યક્તિનું માધ્યમ હોઈ દરેક ભાષાનો આદર કરવો ખુબ જરૂરી છે. દરેક વક્તાના વક્તવ્યમાં અને સમગ્ર કાર્યક્રમમાં સાહિત્યની હવા અને હૂંફ હતી.
ઘણીવાર તો મને લાગે છે કે વિદેશમાં રહેતાં ગુજરાતીઓ માતૃભાષાને જાળવવા વિશે વધુ સજાગ છે અને સખેદ કહેવું પડે છે કે તે અંગે ભારતમાં કોઈ ગંભીરતાપૂર્વક નોંધ લેવાતી નથી. એટલું જ નહિ પોતાના જ દેશમાં (એન.આર.આઈ ! )પરદેશી દ્રષ્ટિકોણ જોવા/સાંભળવા/અનુભવવા મળે છે. શ્રી વિપુલભાઈ કલ્યાણીનો તેમના વક્તવ્યમાં પ્રગટ થયેલ ગુજરાતીભાષા પરત્વેનો પ્રેમાક્રોશ બિલકુલ બરાબર હતો.
સાંજના સ્વાદિષ્ટ જમણ પછી તરત જ શરુ થયેલ મુશાયરાની ઘણી બધી વાતો છે, જે અહીં ક્લીક કરવાથી વાંચવા મળશે.
GWF, Batley, Silver Jubilee એક પછી એક ગઝલ અને હસલના જામ પીવાતાં ગયાં જેના નશાથી મન હજી પણ તરબતર છે. કવિ શ્રી પંચમભાઈ શુક્લની શિખરિણી છંદમાં પ્રસ્તૂત થતી ખળખળ વહેતા ઝરણા જેવી છંદોલયભરી સરવાણીના સૂરો હજી પણ કાનમાં ગૂંજે છે.
આ રહી કેટલીક તસ્વીરોઃ સૌજન્ય શ્રી શરદ રાવળ
૧૭મી મેના રોજ લેસ્ટરના રેડિયો પર ‘સબરસ’ નામની ચેનલ સંભાળતા બહેન શોભા જોશીએ રેડિયો પર મારા કાવ્યોને પ્રસારિત કર્યાં અને શ્રોતાઓ સમક્ષ લગભગ અડધો કલાક જેટલો સમય પ્રશ્નોત્તરી તથા વાર્તાલાપ પણ રજૂ કર્યાં. તેમનો ખુબ આભાર.
૧૮મી મેના રોજ માનીતા ગઝલકાર માનનીય શ્રી‘અદમ’ ટંકારવીના શહેર બોલ્ટન મુકામે એક નાનકડી બેઠક યોજાઈ. ખુબ ગૌરવ એ વાતનું છે કે તેમણે શ્રી આદિલભાઈ મનસુરી, જ્યોતિન્દ્ર દવે, શેખાદમ આબુવાલા,ભગવતીકુમાર શર્મા જેવા પીઢ સાહિત્યકારો સાથે ગાળેલા સમય અને પ્રસંગોની ઝરમરતી વાતો કરી,જે ખુબ નિકટતાથી, રસપૂર્વક સાંભળવાની મળી. ઘણું નવું જાણવા/સમજવાનું મળ્યું. ‘બી બઝ’ નામના ટીવી અને રેડિયો ચેનલના સ્ટુડિયોમાં મળેલ આ ટૂંકી મુલાકાત પણ ઘણો આનંદ આપી ગઈ. આ ટીવી ચેનલ સંભાળતા એક ચપળ, આકર્ષક નવયુવાન શ્રી ઈમ્તિહાસ પટેલે ટીવીના દર્શકો માટે ગુજરાતી ભાષા અંગે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી યોજી, રેકોર્ડીંગ પણ કર્યું. ‘નવનીત સમર્પણ’માં જેમની વાર્તા સ્થાન પામી રહી છે તે શ્રીમતિ નયના પટેલની વાર્તાઓ અંગે પણ રેકોર્ડીગ કરવામાં આવ્યું.
આ રહી કેટલીક તસ્વીરોઃ
યુકે.ની ૧૦ દિવસની આ આખી યે મુલાકાત કલમભીની અને મનભાવન બની રહી.
આજે મારી આ અભિવ્યક્તિ આભાર અને શુભેચ્છા સાથે, કંઈક આ શબ્દોમાં કહીને વિરમીશ કેઃ
કડકડ થતી ઠંડી મહીં આ લાગણીનું તાપણું,
આવા હૂંફાળા લોક વચ્ચે લાગતું ઘર આંગણું.
પહેલી છે મુલાકાત, ને અણજાણ છું હું આપથી,
સાચું કહું તહેદિલથી, આ લાગતું સૌ આપણું.
જ્યાંજ્યાં સજાતો શબ્દનો દરબાર ત્યાં મન દોડતું,
વિચારતું એના વિના બાકી બધું છે વામણું.
આવી અહીં જોયા બધાં ગુલશન ભરેલાં ગુલ આ,
પૂછું મને હું પ્રેમથી, શું સ્વર્ગનું આ બારણું ?
મુજ દિલની આ પ્રાર્થના, ભાવે ભરું અમી છાંટણું,
શુભાશિષો,ગુલે ફલો શબ્દો તણું લઈ ટાંકણુ….
અસ્તુ.
“કુમાર” માર્ચ ૨૦૧૫-“બાકી છે…” April 18, 2015
Posted by devikadhruva in : Uncategorized , add a comment“કુમાર” માર્ચ ૨૦૧૫-“બાકી છે…”
“કુમાર” માર્ચ ૨૦૧૫ માં પ્રકાશિત થયેલ મારી એક ગઝલઃ “બાકી છે…”
જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે.
ઘણી વિતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે.
જમાનો કેટલો સારો, બધું સમજાવતો રે’છે !
દિવા જેવું બતાવે લો, કહો ક્યાં, શર્મ બાકી છે !
સદા તૂટ્યાં કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો.
સતત મંદિરની ભીંતો, કહે છે,ધર્મ બાકી છે.
ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે,
મથે છે રોજ તો ઈન્સાન, પણ હાયે,દર્દ બાકી છે.
જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ,
ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે.
Sitting on the deck….looking about 35 years back…. April 8, 2015
Posted by devikadhruva in : Uncategorized , add a commentThis morning (April 4) we were sitting on the deck, having coffee and talking about 35 years back….
On this day of Good Friday..
leaving our own loved ones
and mother land, holding
little fingers of two kids.
entered in the new world of West.
Traveled long, hand in hand
without much skills and
knowledge of new world
with cool mind and positivism.
choosing together the best we could
of unknown path forward.
crossed Ups and downs
like mountains and valleys,
rivers and roads,
smooth and rough.
Learned while loss of roots,
earned and gained a lot.
in this natural learning
process of life-lessons.
Now sitting on the Deck,
found tree looking back.
fruits, colorful flowers
with healthy green branches.
bowed head to Powers Of Supreme
on this day of ” Good Friday”…
‘કવિલોક’ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૫માં પ્રસિધ્ધ થયેલાં ત્રણ કાવ્યો… March 22, 2015
Posted by devikadhruva in : Uncategorized , add a comment
સ્વ.શ્રી નારાયણભાઈ મહાદેવ દેસાઇને અંજલિ..
Posted by devikadhruva in : Uncategorized , add a commentસ્વ.શ્રી નારાયણભાઈ મહાદેવ દેસાઇને અંજલિ..
પ્રખર ગાંધીવાદી અને ગાંધીજીના વિચારોને મિશન માનીને જીવનભર કાર્યરત રહ્યા તેવા સ્વ.શ્રી નારાયણભાઈ દેસાઇને અંજલિ અર્પવા માટે યોજાયેલ પ્રાર્થના સભા માટેની ઈમેલ મળી ત્યારે હું તેમની સાથેના કેટલાંક સંસ્મરણો વાગોળતી હતી. તેમાંના છેલ્લાં કેટલાંક આજે આ સાથે વહેંચુ છું.
૨૦૦૯ ની શિયાળાની એક સવાર. હું ત્યારે હ્યુસ્ટનથી અમદાવાદ ગઈ હતી અને ગાંધીકથા માટે શ્રી નારાયણભાઈ વેડછીથી ત્યાં આવ્યાં હતાં. યોગાનુયોગે વર્ષો જૂના અમારા કુટુંબના સહારારૂપ મજમુદાર પરિવારમાં હું રોકાઈ હતી અને તેઓ પણ હંમેશા ત્યાં જ ઉતરતા અને રહેતા તેથી નજીકથી મળવાનુ અને સાથે રહેવાનું બન્યું. મારું એ ખુશનસીબ કે એ દિવસોમાં મારા પ્રથમ પુસ્તક “શબ્દોને પાલવડે”ની પ્રથમ નકલ ત્યાં, મારા હાથમાં આવતા તેમના આશીર્વાદને પાત્ર થઈ અને ગુજરાત વિદ્યાપીઠને પહોંચી.
તે વખતે કહેલાં તેમના શબ્દો હજી એવાં ને એવાં જ યાદ છે. “સાહિત્ય સર્જી શકે એ જ સાચું જીવી શકે. લખવાનું ચાલુ જ રાખજે.” તે પછી તેમની સાથે એક જ ગાડીમાં ગાંધીકથા માટે જવાનું થયું.
ચાર વર્ષ પછી ફરીથી ૨૦૧૩માં ભારતની મુલાકાત દરમ્યાન તેમને મળવાના યોગો અનાયાસે ઊભા થયાં. મુક્તિબેન મજમુદારનું કુટુંબ એટલે અમારા કુટુંબની છત્રછાયા. નારાયણ દેસાઇનો પણ એ ઘેર જ મુકામ. તેમના તમામ એવોર્ડ પણ ત્યાં જ હોય. ૨૦૧૩માં પણ એ રીતે એ ઘરમાં જ તેમને શાંતિથી મળવાનું બન્યુ. ૨૦૦૯માં મારા પ્રથમ પૂસ્તક ‘શબ્દોને પાલવડે’ની પ્રથમ કોપીની જેમ જ બીજી ઇબૂક ‘અક્ષરને અજવાળે’ને પણ એ જ સદભાગ્ય સાંપડ્યુ. આ રહી એ ધન્ય ક્ષણો..
૨૦૧૧ના માર્ચ મહિનામાં હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાએ જ્યારે દશાબ્દિ મહોત્સવ ઉજવ્યો ત્યારે ગુજરાતી ભાષા અંગેનો તેમનો સંદેશો તેમના જ હસ્તાક્ષરોમાં એરોગ્રામ પત્ર દ્વારા મળ્યો.
આવાં થોડાં ઘણાં યાદગાર પ્રસંગોની સ્મૃતિ સહિત, આજે ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા અને ટીવી એશિયા સાથે હું પણ મનથી પ્રાર્થના સભામાં જોડાઉં છું અને મહાન આત્માની પરમ શાંતિ અંગે અંજલિ અર્પું છું.
દેવિકા રાહુલ ધ્રુવ
દ્રશ્ય અને શ્રાવ્ય–પૃથ્વી વતન…. January 31, 2015
Posted by devikadhruva in : Uncategorized , add a commenthttps://www.youtube.com/watch?v=JQ9lu-ANlWM
દ્રશ્ય અને શ્રાવ્ય-તડકો. January 23, 2015
Posted by devikadhruva in : Uncategorized , add a comment
દ્રશ્ય અને શ્રાવ્ય-તડકો.