jump to navigation

૨૦૧૫ January 2, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

Happy New Year

દરિયાને થાય…. December 7, 2014

Posted by devikadhruva in : કાવ્યો,Uncategorized , add a comment

seawaves

દરિયાને થાય કદી રેતી હું થાઉં  ને રેતીને થાય,બનું દરિયો.
કાંઠા તો બેઉ કહે આંગળી ચીંધીને કે તારો ખજાનો છે ભરિયો..

મર્કટ આ મનડું તો આમ તેમ ભટકે,
સઘળું  હો પાસ પણ  ક્યાં ક્યાં જઈ અટકે.
ઉંચેરા વાદળની આંખ છે ધરા પર,
ને ધરતીની વરાળ જાય આભ પર.
સદીઓ વીતી, ના જાણે કોઈ ક્યારે આ ભીતરનો દરિયો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં ને રેતીને થાય,બનું દરિયો.

છે મઝધારે રહેવાનું આકરું અકારું,
ને કિનારે પહોંચવું ના એમ છે સહેલું.
જો સમંદર,અંદરથી  ફીણ-ફીણ થાતો,
અડકી રેતીને વળી પળમાં વળોટાતો.
‘નથી’તે પામવાની  ઝંખનાએ એને તળિયેથી ઉંચકીને ફેરવ્યો.
દરિયાને થાય કદી રેતી હું થાઉં  ને રેતીને થાય,બનું દરિયો.

ફ્લોરીડા યુનિવર્સિટિના ‘પોએટ્રી ફેસ્ટીવલ’નો અહેવાલ-દેવિકા રાહુલ ધ્રુવ November 6, 2014

Posted by devikadhruva in : Uncategorized , add a comment

poetry festival2

આગલી હરોળ- ડાબેથી જમણે- દેવિકાબેન ધ્રુવ, પ્રીતિબેન સેનગુપ્તા, ડો.વસુધા નારાયણ, ડો.ઇન્દુબેન શાહ, ડો.સ્નેહલતાબેન પંડ્યા, સપના  વિજાપુરા,        મનુભાઈ નાયક અને સુધાકરભાઈ ભટ્ટ..

પાછલી હરોળ- ડાબેથી જમણે-  સર્યૂબેન પરીખ, શ્રી અદમ ટંકારવી,શ્રી કૃષ્ણ દવે, ડો.દિનેશભાઈ શાહ,સંગીતકાર શ્રી કર્ણિક શાહ  શ્રી  શીતલભાઈ જોશી.
 ************************************************************************************************************************************

 

 

ફ્લોરીડાના ગેઇન્સ્વિલ નામના  નાનકડા સુંદર શહેરમાં નવે.મહિનાની પહેલી તારીખની સવારનો ઉઘાડ કંઈક અનેરો હતો.યુનિવર્સિટિ ઓફ ફ્લોરીડા દર બે વર્ષે “કાવ્યમહોત્સવ”નું આયોજન કરે છે અને CHiTra એટલે કે, Center for the Study of Hindu Traditions દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું દર્શન કરાવે છે. ૨૦૧૨માં પ્રથમ શરુઆત થઈ તે પછી આ વર્ષે ડો.દિનેશભાઈ શાહે તેમના પત્ની સ્વ.શ્રીમતિ સુવર્ણાબેનના સ્મરણાર્થે નવે.ની ૧ અને ૨ તારીખે આ કાર્યક્રમ યોજ્યો હતો.

બરાબર સવારે ૯ વાગે માનનીય ડો.દિનેશભાઈ શાહે કાર્યક્રમની રૂપરેખા અને ઉદ્દેશ સમજાવી શરુઆત કરી.સૌ પ્રથમ હિન્દુ ટ્રેડીશન સેન્ટરના ડિરેક્ટર, શ્રીમતી વસુધાબેન નારાયણે સ્વાગત-વચનથી સૌને આવકાર્યા અને ભારતની સંસ્કૃતિ, વિવિધ ભાષા, હિંદુ પ્રણાલી, તેનુ મહત્વ અને ગુજરાત પર પ્રકાશ પાડતો આ સેન્ટરનો હેતુ સુંદર રીતે ગૌરવભેર વિગતવાર સમજાવ્યો. ત્યારપછી લગભગ ૧૫ થી ૨૦ કવિઓ અને વક્તાઓ વચ્ચે પાંચ દોરમાં પથરાયેલા બે દિવસના ‘પોએટ્રી ફેસ્ટીવલ’ની શરુઆત થઈ.

સૌથી પ્રથમ જેમની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે વાંસળી ડોટ કોમના સર્જક કવિ શ્રી કૃષ્ણભાઈ દવેથી કાવ્યોત્સવનો આરંભ થયો.કશી યે ઔપચારિક્તા વગર સીધેસીધી કવિતાથી જ તેમણે પહેલા સેશનનો પ્રારંભ કર્યો. બુલંદ અવાજ, મસ્તીભરી છટા અને મુક્ત અદાથી ‘આવો,મારી સાથે આવો…પહેરી લો પવન પાવડી છંદોની,લયની’ કહી જાણે કે આખાયે સભાગૃહને આંગળી પકડાવી કવિતાના આકાશમાં ઉડાન આદરી. “વિહંગ જેમ પાંખો પ્રસારીને બેઠા, ગમી જ્યાં ગયું, નિરાંતે જ બેઠા” અને “આપણે તો આવળ ને બાવળની જાત, ઊગવાનું હોય ત્યારે પૂછવાનું નહિ” ની ખુબસૂરત રજૂઆત દ્વારા શબ્દે શબ્દે અવનવા ભાવોની પાંખને ઉઘાડતા અને ઉડાવતા એક અનોખી સૈર કરાવી. થોડી ગઝલની પણ ઝલક આપી કે ‘ગઝલના ખરલમાં મને ખુબ ઘૂંટી…નીચોવી, નીચોવી નીતારીને બેઠા” અને લાંબી બહેરમાં “લ્હેરખીને શ્વાસમાં ભળવું હતું, પણ બારીબારણાં ખોલો જ નહિ તો શું થાય” કહી સતત તાળીઓ મેળવતા રહ્યાં. નરસિંહ મહેતાના ઝુલણા છંદમાં, ક્રિયાપદોથી સભર ઝુલાવતી ગઝલ, તો કૂટ-પ્રશ્ન જેવી ‘મહાભારતની માથાકૂટ’ સંભળાવી સિફતપૂર્વક જાણે શ્રોતાઓના જ્ઞાનની રમતિયાળ પરીક્ષા લેતી, મઝા કરાવતી રચના કુશળતાથી રજૂ કરતા ગયાં.આહ અને વાહની વચ્ચે એક પછી એક આબાદ કવિતાઓનું રસપાન કરાવતા કરાવતાં સમય-મર્યાદામાં રહી “બે ઘડી વાતો કરી, દિલને બહેલાવી અમે નીકળી ગયાં.કોઈ ન સમજી શક્યાં, અમે દિલને સમજાવી નીકળી ગયાં’ કહી અટકી ગયાં.

ત્યારપછી ફ્લોરીડાના કવયિત્રી ડો.સ્નેહલતાબેન પંડ્યાએ કેટલીક કવિતાઓ સુંદર રીતે સંભળાવી કે “તમે આવો તો અંધારા ઓરડામાં એક સવાર થઈ જાય” અને અમેરિકાની ઉત્તર દિશામાં પાનખરના રંગો પર લખાયેલી સ્વરચના “સૂતેલા સપનાને ઢંઢોળ્યા, છૂપી પોટલીઓથી ઢોળ્યાં,કેસરવાટકડીમાં ઘોળ્યાં,પીંછીઓથી કેવાં ઝબોળ્યાં, આ રંગો કોણે ઢોળ્યાં’ તથા ‘અમે તો ઉડતા પંખી, અમે તો ઊડીએ દેશવિદેશે…”ભાવભેર રજૂ કરી ગયાં.

હવે વારો આવ્યો એક એવી વ્યક્તિનો કે જેમને જીવનના જુદા જુદા રસ્તાઓના ક્રોસ રોડ પર કવિતાના કંપાસે જીવંત અને સક્રિય રાખ્યાં છે તેવાં વૈજ્ઞાનિક કવિ ડો.દિનેશભાઈ શાહનો. તેમણે એક વૈજ્ઞાનિકની નજરે નિરીક્ષણ, પરીક્ષણ, પ્રશ્ન અને પરિણામની પ્રક્રિયામાંથી સર્જાયેલ ‘આગિયાના તેજ’ પર ‘આ આગિયો ઝબકીને ખરતો’ કાવ્ય સંભળાવ્યું તો ‘માણસાઈના દીવા ઝળકતા યુગો સુધી’, અને ‘સાથી વિનાનું જીવન ઝાંઝવાના જળ જેવું કેમ લાગે’ તથા ‘માટી તણી આ જેલને મહેલ સમજું ક્યાં સુધી? વગેરે કાવ્યો રજૂ કર્યાં. પોતાના જીવનના અનુભવોનો અર્ક પ્રગટ કરતાં સુંદર, ખમીરવંતી પંક્તિઓ કહી કે ‘મોતનો મને ડર નથી, જીંદગી ડરાવી જાય છે. મોત છે ફક્ત બે ઘડીનો ખેલ, જીંદગી રોજનો સંગ્રામ છે.’ અને ‘આંખ ખોલું ને મીંચુ એમાં દહાડો ક્યાં વહી જાતો રે, કોઠી ભરું ને ખાલી કરું એમાં જન્મારો વહી જાતો રે’.

અગિયાર વાગ્યે એક નાનકડાં કોફી બ્રેક પછી, ડો. દિગેશ ચોક્સી અનેશ્રી હિંમતભાઈ પારેખની રાહબરી હેઠળ કાર્યક્રમનો બીજો દોર શરુ થયો. ગેઈન્સ્વિલ સાથે ૨૦૦૩ થી જોડાયેલ ડલાસના એક સારા ગઝલકાર સ્વ.હિમાંશુભાઈ ભટ્ટની ચિરવિદાયને એક વર્ષ પૂરું થયુ હોઈ તેમના સાથી તેજલબેન ભટ્ટની હાજરીમાં શબ્દાંજલિ અર્પવામાં આવી. દિનેશભાઈ અને સ્નેહલતાબેને સ્વ.હિમાંશુભાઈની ગઝલના શેર સાથે જૂની વાતોને તાજી કરી વાતાવરણને ભીનાશથી ભરી દીધું. દિનેશભાઈએ ખુબ હ્રદયસ્પર્શી અને ઇશ્વરને પ્રશ્નાત્મક કવિતા સંભળાવી કે,
ધૂપસળી જેવું જેનું જીવન હતું, હવે ધૂપ જલાવો શા માટે? આંખોના તેજ બૂઝાઈ ગયાં, હવે ઘીના દીવા શા માટે?
‘મળે કદી જો જીવનમાં તો ઇશ્વરને મારે પૂછવું છે, કે સારા માનવની વૈકુંઠમાં તને જરૂર પડે છે શા માટે?’  તે પછી દિગેશભાઈ ચોક્સીએ ભાષાની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને “ગુજરાતી ભાષાના ચીર ખેંચાઈ રહ્યાં છે” ની ઘણી માર્મિક વાત અને હિંમતભાઈ પારેખે પણ’ મૂઠી ઉંચેરા માનવી’ ના એવોર્ડની વાત કરી.

ત્યારબાદ અનેક સાહિત્યિક પારિતોષિકો મેળવનાર‘ગુજલીશ’ ગઝલોના રાજ્જા ગણાતા શ્રી અદમભાઈ ટંકારવી સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું. પ્રેમ વિષયને હાથમાં લઈ, ભીંજાવું એજ કવિતા છે, એ કાનમાં કહેવાની વાત છે કહી જાણીતા અને માનીતા ર.પા, બાલમુકુન્દ દવે,મુકુલ ચોક્સી વગેરેની અમર પંક્તિઓને દોહરાવી.પછી ધીરે ધીરે ‘ગુર્જરી જામ છલોછલ છું, સાથે બેસી પીનાર શોધું છું’ કહી ધીમું હસતા હસતા ગુજલીશ ગઝલો ગગડાવતા ગયા અને સભાજનોનું હાસ્ય પામતા ગયા. ‘જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મીંગ થઈ જાય છે’ અને ‘તું નથી તેનો આ અંજામ સનમ, ગામ પણ લાગતું પરગામ સનમ’ અને હૈયાંને વીંધતી વાત કે ‘ બાઈબલ ખોલું ને સીતા નીકળે અને રામાયણમાંથી ફરિશ્તા નીકળે, ઝેર તો કોઈ બીજું જ પી ગયું ને ખાલી પ્યાલામાંથી મીરા નીકળે’ જેવી રજૂઆત કરી. બ્રિટનમાં રહેતાં રહેતાં સર્જાયેલી ડયસ્પોરિક સંવેદનાઓને સ્મિતની પીંછીથી કલાત્મક રીતે સજાવી સૌની વાહવાહ લેતા ગયાં અને સ્ટેન્ડીંગ ઓવેશન પણ પામતા ગયાં.કવિતાઓના શ્રાવણમાં ભીજાયેલ શ્રોતાઓની આરઝુ અને અરજ વધતા ગયાં અને ફરી એક વાર કવિ શ્રી કૃષ્ણભાઈ દવે અને અદમભાઈ વારાફરતી મંચ પર આવ્યાં. કૃષ્ણ દવે ‘એક મંકોડે મીટીંગ બોલાવી’.તથા ‘એક લીમડાને આવી ગયો તાવ’ .અને અદ્ભૂત રીતે નિર્દોષ બાળ-સહજ ભાવોની મુખમુદ્રાથી અર્થસભર બાળગીત રજૂ કરી આશ્ચર્ય ચકિત કરી દીધાં.તો આદમભાઇએ કવિ શ્રી રઈશભાઈ મણિયારની અને પોતાની પણ હઝલ સંભળાવીને આખા યે માહોલને હાસ્યથી તરબોળ કરી દીધો. હઝલ-મદિરાના એક પછી એક જામ પીવડાવતા ગયાં અને સાંભળનારાઓ મદહોશ થતાં રહ્યા.૨૦૧૨માં કવિ શ્રી મુકેશ જોશીએ કહ્યું હતું કે કદાચ કવિઓની આ ગાંડી જમાતથી જ દૂનિયા ચાલે છે!! હસીહસીને લોટપોટ થયેલા વાતાવરણમાં વચ્ચે વચ્ચે દિનેશભાઈ પણ રંગ છાંટતા રહ્યાં. ત્યારબાદ આયોજન મુજબ સર્યૂબેન પરીખ, હિંમતભાઈ પારેખ, સપના વિજાપુરા, દિગેશભાઈ ચોક્સી, સુધાકરભાઈ ભટ્ટ,રવિભાઈ, સુશ્રુત પંડ્યા વગેરે રસિકમિત્રોએ પણ પોતાની અને અન્ય કવિઓની કૃતિઓ પેશ કરી.

ભોજનનો સમય થઈ ગયો હોવા છતાં કવિતાનો થાળ પીરસાતો રહ્યો અને સાહિત્ય જગતમાં જેમનું નામ અજાણ્યું નથી તેવા અને દૂનિયાના ૧૧૨ દેશમાં ફરેલાં પ્રવાસિની કવયિત્રી પ્રીતિબેન સેનગુપ્તા માઈક પર હાજર થયાં. ‘સોનેરી પાંજરુ અને રૂપેરી બારણું ઉંચેરી ડાળીથી ઝુલ્યાં કરે’ અને ‘એક નામ વગરનું પંખી,વિરામ વગરનું પંખી’ એવાં બે પંખીગીતો સંભળાવ્યાં. બીજી એક સુંદર કવિતા ‘મારા અંતરમાં એવું તે ઉગજો કે કાંટા યે હરિયાળા થાય’ અને ‘સૂરજને વરસાદમાં ન્હાવું હોય એમ બને, મેઘધનુ પરથી સરકવું હોય એમ બને’ રજૂ કર્યું આ ઉપરાંત તેમણે દ્વારકાથી પોરબંદર જતા રચેલું કાવ્ય, દ.આાફ્રિકા ખંડની બાજુના દેશમાં લખેલ કાવ્ય, સોરઠ ભૂમિનું, માછીમારણનું, સમયની સફરનું એમ ઘણાં કાવ્યો રજૂ કર્યાં. સૌથી મઝાના છેલ્લાં ત્રણ કાવ્યો ‘મુખરધ્વનિ કલકલ નિનાદ…ઉત્તરધ્રુવના સ્થળે લખાયેલ ચિરપ્રેમની કવિતા અને ગુજરાત પર એક ‘રાજ્યગીત’ સૌના માનીતા બની ગયાં.
બપોરે સ્વાદિષ્ટ ભોજન માણી ફરી ત્રીજા દોરથી આ મહોત્સવ આગળ ચાલ્યો.હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતામાંથી ખાસ પધારેલ ડો.ઈન્દુબેન શાહ વિવિધ વિષયો લઈને પ્રસ્તૂત થયાં.તેમના નવા પૂસ્તક ‘ભાસ-આભાસમાંથી ચૂંટેલી રચનાઓ જેવી કે, પાનખર, વિદાય સૂરજ,સત્સંગી છત્રી,મનસા અને ભાસ-આભાસ સંભળાવતા ગયા.‘મનની મનસા ભારે, વણઝાર સતત રાહ ચાલી’,‘કિનારે જાઉં કે નદીમાં તરું? તટે સ્થિર ઉભી આ શું વિચારો કરું?’ અને ‘આયનો કહે પિંજર જીર્ણ છે તારું, જીવ કહે કામ ઘણું બાકી છે તારું’ વગેરે સરસ રીતે રજૂ કરતા ગયાં.તો એક મઝાની અંગત ખુશીની, લગ્નના ૪૫ વર્ષની ઉજવણી પર રચેલ રોમેન્ટિક કૃતિ ખુશીખુશી, ગુલાબી રીતે રજૂઆત કરી સૌને આનંદ પમાડી ગયાં.
તે પછી આ સેશનના વિષયને અનુલક્ષીને લગભગ દસ જેટલાં રસિકોએ પોતપોતાનો સૂર સંભળાવ્યો..મનુભાઈએ પ્રેમની, મરીઝ અને શૂન્ય પાલનપુરીના અમર શેરની, સર્યૂબેને “ઝંખવાયેલા ચાંદ’ પર, સુધાકર ભટ્ટે ઇશ્વર વિષે, સપના વિજાપુરાએ વાંસળીથી રંગાયેલી ચુંદડીની તો દિગેશભાઈ ચોક્સીએ શ્યામલ મુનશીની ભૂગોળ પરની કવિતા પરથી પોતે લખેલ બાયોલોજીની રચના રજૂ કરી! સુમનભાઈ પંડ્યાએ “ધરી નવલખી હીરા, ગાતી છંદો ધીરા…નીસરી અંબર કન્યા લઈને મંજીરા’ ગીત ગાયું. તે પછી સૌના આશ્ચર્ય વચ્ચે ફીજીથી ફ્લોરીડા સ્થળાંતર કરેલ કુમળી કળી જેવી રૂપાળી બેન સોનલે સ્વરચિત બે લીટી કાલીઘેલી, મીઠ્ઠી જબાનમાં સંભળાવી સૌને મુગ્ધ કરી દીધા.આવા મહોત્સવની પ્રેરણા આશીર્વાદરૂપે ક્યાં ક્યાં ફેલાતી હશે! કદાચ આમ જ ગુજરાતી ભાષા જરૂર જીવતી રહેશે. સૌથી વધુ દાદ મળી શીતલભાઇના મુક્તકો પર કે ‘કોઈ ક્યાં કોઈને નડતું હોય છે, આભ ક્યાં ધરતીને નડતું હોય છે. એક સિક્કો આંખને આંજી ગયો, સુખ રસ્તા પરથી મળતું હોય છે.’ આનંદના આ અવસરની એરણ પર સમય સરતો જતો હતો.
ચોથો દોર આમંત્રિત દેવિકાબેન ધ્રુવ ( હ્યુસ્ટન )ના હાથમાં આવ્યો. સપનાબેન વિજાપુરા લખે છે તે પ્રમાણે “૩૦ મિનિટની રજૂઆતમાં દેવિકાબેન મેદાન મારી ગયાં. શરુઆતમાં આપણા મહાન કવિઓ સુંદરમ, બાલાશંકર કંથારિયા, ‘બેફામ’વગેરેની અમર પંક્તિઓ અને શેરથી વક્તવ્યની પૂર્વભૂમિકા બાંધીને ખુબ કલાત્મક રીતે,અવાજના સુંદર આરોહ અવરોહ થકી પ્રકૃતિ,પ્રેમ,પરમતત્ત્વ અને જીંદગી વિષયક સ્વરચનાઓ સંભળાવતા ગયાં, શ્રોતાઓની ‘દુબારા’ વારંવાર પામતા ગયાં. વિષયને સાંકળીને હાજર રહેલાં કવિઓની પંક્તિઓને પણ સાથે ગૂંથી લઈને એક મઝાનો રંગ હળવાશથી ભરતા ગયાં. સ્વરકાર શ્રી કર્ણિક શાહે સ્વરબધ્ધ કરેલી તેમની કેટલીક પંક્તિઓની ઝલક ઃ ‘પલપલ શબદ લખત મનભાવન, ઝરત પ્રીત મન કરત પાવન’, ‘દૂરથી સોહામણું ને પાસથી બિહામણું, જીંદગીને ભવ્યાથી માપતું નગર જુઓ’.તથા ‘તડકો વીંટીને અંગ બેઠા’તા સંગ સંગ’… ’જેવી મળી આ જીંદગી જીવી જવાની હોય છે, સારી કે નરસી જે મળી શણગારવાની હોય છે’ અને ‘કવિતા ફૂટતી ક્યાંથી સુહાની વાત રહેવા દો, નકામા માંડ રુઝાયેલ ઘાની વાત રહેવા દો.”વગેરે..
ત્યારપછી ચ્હા-કોફીના વિલંબિત વિરામને અંતે, આજની કવિતાના દોરની પૂર્ણાહુતિ કરી સૌ સાંજે ૬.૩૦ વાગે ફરી મળ્યાં.  કોલેજ ઓફ લીબરલ આર્ટસ અને સાયન્સના ડીન શ્રી ડેવિડ રીચાર્ડસન, અતિથિવિષેશ તરીકે “દેશવિદેશ’ના મેનેજીંગ તંત્રી શ્રી રાજ અને અરુણા શાહ તથા સેવાભાવી, એવોર્ડ વિજેતા ડો. ભાલાણીની હાજરીમાં ભોજન, સંગીત સંધ્યા અને કેટલાંક પુસ્તક-વિમોચન કરવામાં આવ્યા. કવિઓને સન્માન-પત્ર માનપૂર્વક એનાયત કરવામાં આવ્યા.શ્રી કર્ણિક શાહના સંગીતની મસ્તી માણતા સૌ ઝુમી ઉઠીને, ગરબા-રાસની લ્હાણ માણી રહ્યા. અંતે પ્રથમ દિવસનો કાર્યક્રમ રાતના ૧૦.૩૦ વાગે પૂરો થયો.

બીજા દિવસે એટલે કે નવે.ની બીજી તારીખે સવારે ૯ વાગે કવિતાનો પાંચમો દોર, આમંત્રિત બાનુમા ‘સપના’ વિજાપુરા( શિકાગો)થી શરુ થયો. તેમણે પોતાની મંદ મંદ મુસકાનથી ‘મઘમઘતો પવન તારા જ સ્મરણો લાવશે,આજ મધુકર અને સુમન તારા જ સ્મરણો લાવશે” અને ‘હોય છે આંસુમાં અગન કોણ માનશે? તો ય હસતા હોય છે વદન,કોણ માનશે?’થી સુંદર ઉપાડ કર્યો. વતન પ્રેમની વાતમાં ‘જનતા અહીં પળપળ મરે, આ દેશ આઝાદ ક્યાં છે? અને સૌ ધર્મને નામે ચરે, આ દેશ આઝાદ ક્યાં છે? ની ખુબ ધારદાર રજૂઆત કરી તો વળી પુત્ર પ્રેમની અતિ કોમળ વાત ‘ઓ કલેજાના ટૂકડા તને ઉડવા ગગન આપું, ખુશ્બુ પ્રસરે દૂર પાંખોમાં પવન આપું’ કવિતા ખુબ મ્રુદુતાથી સંભળાવી. આ ઉપરાંત તેમણે સ્ત્રી વ્યથાનું એક અછાંદસ અને બે હિન્દી રચના પણ સુપેરે વાંચી. ખુલી આંખના અને સમી સાંજના સપના નામના બે કાવ્ય-સંગ્રહના સર્જક સપનાબેન એક અતિ સંવેદનશીલ કવયિત્રી છે.

તે પછી ડો.દિનેશ શાહે પણ કેટલીક મનગમતી રચનાઓ અને ‘જેનું જીવન ગીતાનો સાર હતો તેની પાછળ ગીતા વાંચો શા માટે?’ જેવી સુંદર મર્મભરી વાતો કરી. ચહા કોફીના વિરામ બાદ બરાબર ૧૦.૪૫ મિનિટે કાર્યક્રમનો છઠ્ઠો અને છેલ્લો દોર આમંત્રિત સર્યૂબેન પરીખથી શરુ થયો. સર્યૂબેન હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા સાથે શરૂઆતથી જ જોડાયેલાં છે પણ હાલ ઓસ્ટીનમાં રહે છે. તેમણે પહેલી પ્રીતના જુવાળની કવિતાથી વાતાવરણમાં તાજગીનો રંગ ભરી દીધો. એક સ્નેહાળ હ્રદયની વાત ‘સ્નેહના વહેણને કોઈની શર્ત નહિ’ રજૂ કરી. તો સંમતિ-લગ્ન અંગે ‘પસંદ-પરમાણ ને પછી પ્રેમ આવશે’ ની એક ઉંચેરી વાત કહી. ‘તું મને દેખે ન દેખે’માં ઇશ્વરને સંપૂર્ણ સમર્પણની અભિવ્યક્તિ વર્ણવી તો ધ્યાન અનુભવની ‘ખુલી આંખના અંધારે ટમટમતો ઝાંખો એક દીવો’ અને ‘નિરાશાના અંધારા ઓરડે એકલતા દર્દની દિવાલે’ તથા ‘આતુર આંખો રે મારી બારણે અથડાય’ એવી જુદા જુદા વિષયોને આવરી લેતી રચનાઓ રજૂ કરી. ‘રૂઠતી પળોને સમેટતી હું વાટમાં’ માં મૃત્યુનો સંકેત અને ‘નહિ રે કરો મારા કાનાની વાત’માં માતૃભાવ તો વળી મધુમાલતી મગન ઝુલતી ફરી’માં પુષ્પ-પ્રેમ અને ‘ફરી મળ્યાની તક મળી, તકલીફ ના ગણો’માં મૈત્રીભાવ સુંદર રીતે રજૂ કર્યા.

સમયની સીમાને સતત ધ્યાનમાં રાખતા રાખતા લોકલાગણી ફરી પાછી જઈને બેઠી કૃષ્ણભાઈ અને આદમભાઈ પર અને ફરી એક વાર બંનેની કાવ્યધારા શરુ થઈ. પોએટ્રી ફેસ્ટીવલના આયોજકોને શાબાશી આપતાં કૃષ્ણભાઈએ કહ્યું કે ‘આવા કોઇ બિંદુ એકઠા થઈ સરવાણી બનો.. કારણકે ‘છેક ટોચે ભીંજાય, જાત સોંસરવું જાય,આખું ભીતર ઘૂંટાય, હૈયું ભીંજાય ને પછી વહેતું થાય તેને ઝરણું કહેવાય’ ને તેપછી તો ટીકાકારોને જવાબ આપતું ગીત,બાળગીત અને એક પછી એક સુંદર ગીતો આવતા જ ગયાં, રજૂ થતાં જ રહ્યા.‘મને સ્યુગરકોટેડ એક જીભ મળી ગઈ, મને તાળી સાંભળવાની એક ટેવ પડી ગઈ. અને ‘મારી આ પંક્તિ છે, છાપો, એક તો એવોર્ડ આપો’,વાંસલડી ડોટ કોમ, મોરપીંછ ડોટ કોમનું મધુરું ગીત, ’તમે બેસજો હોં ને,જુઓ ભૂલું પડ્યું છે એક ગીત વગે્રે ગીતોની છોળો ઉડાડી છેલ્લે ‘જાઉં છું પણ બંધ પાંપણમાં બે પાંચ સપનાઓને સરકાવતો જાઉં છું’ કહી શ્રોતાઓની તાળીઓના ગડગડાટ વચ્ચે માઈક છોડવાની પણ કવિતા રજૂ કરી ગયાં.

તેના જવાબરૂપે તરત જ આદમભાઇ ઉભા થયા અને કહ્યું કે હવે હું માઈક વગર સંભળાવીશ! તેમણે સોમથી રવિની એક સાપ્તાહિક “દર્દકોટેડ”! રચના રજૂ કરી..બીજાં કેટલાંક સરસ શેરની ઝલક કે ‘એમાં ક્યાં કઈ રસકસ છે,ભાષા ભૂખડી બારસ છે. ગઝલ-નિયમન રાખો, બે બસ છે.‘ તરત કોઈ બોલી ઊઠ્યું કુટુંબ નિયમનની જેમ? અને સભાગૃહમાં ખડખડાટ હાસ્યનું મોજું ફરી વળ્યું. ડાયસ્પોરિક સંવેદનાના શેર કે ‘માણસને એવું યે કરવું પડે છે, કોઈ ના જુએ તેમ રડવું પડે છે!,  ‘ગુજરાતીમાં એ આવો કહે છે તો મારા કાને એક ટહુકો પડે છે.ગુજરાતીમાં જો વાતો કરે છે તો હોઠથી ફૂલો ઝરે છે”.વતન ઝુરાપાની વાત કરતાં તેમનો એક શબ્દ ‘ગલીવટો’ સૌને ખુબ ગમી ગયો. સમય પૂરો થયો અને શીતલભાઈ જોશીએ મઝાનું મુકતક રમતુ મૂક્યું કે ‘બોસ,સાચે તમે મઝામાં છો? કે મઝાના હજી નશામાં છો? આપણે ચાલતા હતા ત્યારે કેમ લાગ્યું કે તમે સહેજ હવામાં છો?’ અને ‘દોડતા દોડતા હાંફવાનું નહિ, જીંદગી જીવતા થાકવાનું નહિ. આથમે સૂર્ય માથે ચડેલો છતાં રાત થઈ એમ ધારવાનું નહિ’ બીજા પણ બે સુંદર મુક્તકો સંભળાવી આ છેલ્લો દોર અને કાર્યક્રમ પણ પૂરો કર્યો. આભાર અને સહ ભોજનનો આનંદ માણી સહુ વિખરાયા.
આમ, યુનિ.ઓફ ફ્લોરિડાએ ઉંચા ઉદ્દેશથી યોજેલ આવો ગુજરાત દર્શનનો સફળ કાર્યક્રમ વિશ્વના દરેક દેશોની યુનિ.માં થવો જોઈએ. બિનભારતિય યુનિ.ના ચિત્રા સેન્ટરના આ વિભાગના ડીરેક્ટર શ્રીમતિ વસુધાબેન નારાયણ બિનગુજરાતી હોવા છતાં સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સતત ખડે પગે ઊભા રહી, વ્યવસ્થામાં વ્યસ્ત છતાં ઉપસ્થિત રહી, આનંદ માણ્યો તે માટે આપણા કોટિ કોટિ વંદન હો અને ડો. દિનેશભાઈ જેવાં દાતા અને ફરિશ્તાને તો સાષ્ટાંગ દંડવત પ્રણામ જ ઘટે. જીવતરના ગોખલે ઝગમગી રહે તેવાં ઉત્સવના આ આનંદને, કવિતાના ઝરણાંઓની જેમ ખળખળ વહેતો રાખી વિરમુ.

અસ્તુ..

દેવિકા રાહુલ ધ્રુવ

 

અક્ષરને અજવાળે February 20, 2013

Posted by devikadhruva in : Uncategorized , 2 comments

સહર્ષ નિવેદનઃ  ઇલેક્ટ્રોનિકના આ જગતમાં  મારા બીજા પુસ્તક ‘અક્ષરને અજવાળે’ એ જન્મ લીધો ebook રૂપે … મારા જન્મ દિવસે..

જીંદગીના એક નવા તબક્કે–

**********************************************************************************************************

Aksharne Ajavale: Gujarati poetry book

Authored by Mrs. Devika Rahul Dhruva
CreateSpace eStore: https://www.createspace.com/4159377

 

 અક્ષરને અજવાળે

   અક્ષરને અજવાળે
List Price: $8.00
6″ x 9″ (15.24 x 22.86 cm) Black & White on Cream paper 104 pages
ISBN-13: 978-1482359121 (CreateSpace-Assigned) ISBN-10: 148235912X BISAC: Poetry / American / Asian American

Gujarati Poetry book of Devika Rahul Dhruva

CreateSpace eStore: https://www.createspace.com/4159377

“ગુજરાતી સાહિત્ય સરિતાએ મને શું આપ્યું ? ” October 19, 2011

Posted by devikadhruva in : Uncategorized , 1 comment so far

સરસ  વિષય મળ્યો. “ ગુજરાતી સાહિત્ય સરિતાએ મને શું આપ્યું ? ”

એક જ વાક્યમાં જવાબ આપવાનો હોય તો હું કહીશ કે એક પંખીની પાંખને વિહરવા માટે આકાશ મળ્યું ! પણ આ ટૂંકાક્ષરી જવાબ આપી દઇને ન તો સંતોષ થાય છે, ન  ઋણચૂકવણી. તેથી માંડીને જ વાત કરીશ.

મને યાદ છે,૨૦૦૪ની સાલમાં જ્યારે ન્યુ જર્સીથી હ્યુસ્ટન સ્થળાંતર કર્યું ત્યારે મારા ભાઇબેનોએ કહેલું કે મને અહીં ખુબ ગમશે કારણ કે,અહીં ગુજરાતી સાહિત્ય સરિતા છે ! પછી ૨૦૦૫ની સાલમાં જ્યારે દર મહિને નિયમિત મળતી હ્યુસ્ટનની આ સાહિત્ય-સરિતામાં કદમ માંડ્યા ત્યારે એમાં ચાલતી પ્રવૃત્તિઓ જાણીને સુંદરમની કવિતા, આનંદના સંદર્ભમાં અનુભવાઇ કે, ”તને મેં ઝંખી છે યુગોથી ધીંખેલા પ્રખર સહરાની તરસથી.” જન્મજાત વવાયેલા ભીતરના બીજને જાણે પ્રકાશ અને પાણી મળતા એક પ્રફુલ્લિત છોડ ઉછરતો ત્યારે સ્પર્શાયો ! ધીરે ધીરે,કલમને એક દિશા મળી,પછી વેગ મળ્યો, સાચું માર્ગદર્શન મળ્યુ અને એમ કરતા કરતા આંતરિક સુષુપ્ત શક્તિઓ જાગૃત થઇ,વિકાસ પામી..પરિણામે “શબ્દારંભે અક્ષર એક”નો એક નવીન પ્રયોગ અને “શબ્દોને પાલવડે” પુસ્તકનો જન્મ થયો.એટલું જ નહિ, એક સાવ નવું જ “વેબવિશ્વ” મળ્યું, કંઇ કેટલાય સર્જક અને ભાવક મિત્રો મળ્યાં.સાચું કહું તો મને હું મળી ! જે વર્ષોના વ્હેણમાં અને જીવનની દૈનિક વ્યવહારિક જરૂરી ઘટમાળમાં ખોવાઇ ગઇ હતી..

ખરેખર,સાહિત્ય સરિતા એક એવો મંચ  છે જે ગુજરાતી ભાષા પ્રત્યે  પ્રીતિ રાખનાર સહુનો છે,અને દરેકને ખીલવાની અને વિકસવાની તકો પૂરી પાડે છે.. ૨૦૦૮ અને ૨૦૧૧માં અનુક્રમે સહાયક સંચાલક અને મુખ્ય સંચાલક તરીકે કામ કરતા કરતા જે અનુભવ મળ્યા તે પણ અવિસ્મરણીય જ કહીશ.કારણ કે,એમાંથી ઘણું ઘણું જાણવાનુ અને શીખવાનુ મળ્યું છે.આ જ સંદર્ભમાંથી નીકળતા  બીજા મુદ્દા ( ભવિષ્ય અંગેના )વિષે  થોડા વિચારો વ્યક્ત કરી લઉં.

છેલ્લે, દસ વર્ષથી વહી રહેલાં નાના નાના ઝરણાં,એકમેક સાથે મળી મળીને સરિતા બન્યાં અને કલાના હર ક્ષેત્રમાં સિધ્ધિઓ મેળવી.અને હવે મનમાં એક પરિકલ્પના જાગે છે કે  એક વધુ નવુ રૂપ આપીને,આ “સાહિત્યસરિતા”ને “સાહિત્ય-સાગર” બનાવીએ જેમાં વિશાળતા હોય, ગહેરાઇ હોય,જે સદા યે દૂર દૂરની ક્ષિતિજો સુધી છલકતો રહે, કોઇ  બૂંદને સૂકાવાનો અવકાશ ન રહે, સતત સભર રહે…અને એ બધું ત્યારે જ બને જ્યારે તેના માળખાના પાયામાં સમયની સાથે સાથે જરૂરી સુધારા થાય.એવી થોડી નવી વ્યક્તિઓ આગેવાની લઇ કામ કરે જેમાં કામની સરળતા હોય,સહજતા હોય અને સાચી સમજણથી લેવાતા નિર્ણયો હોય. નિષ્ક્રિયતા અને દોષદર્શી વલણ ન હોય અને ભાષામાં કટુતા ન હોય. નવી પેઢી અને નવા વિચારોને આવકાર મળે. સાચા અર્થમાં કલાની,સાહિત્યની,સરસ્વતીની સતત સાધના ચાલુ રહે…

“શબ્દોને પાલવડે”—સમાલોચના— પ્રો.સુમન અજમેરી July 10, 2010

Posted by devikadhruva in : Uncategorized , 3 comments

દેવિકાબેનનો પ્રથમ કૃતિ સંચય “શબ્દોને પાલવડે” સહર્ષ પ્રાપ્ત થયો.નયનરમ્ય રંગીન આર્ટ પેપરની સુંવાળી સપાટી પર વિષયાવર્તી ચિત્રો અને બોર્ડર સાથે આકર્ષક મુદ્રણમાં છપાયેલ તેમના આ રૂપકડા સંગ્રહના સંભવ બધા જ અંગોને સર્વાંગ સુંદર ષોડષી-શો સજાવી તેના ઉત્કૃષ્ટતમ સ્વરુપમાં પ્રસ્તુત કર્યો છે,જે તેમની કલાદ્રષ્ટિનો સમ્પોષક અને પરિચાયક છે.

૯૦+ ૧૮=૧૦૮ ડિમાઇથી સહેજ મોટા પાનાંઓમાં નિર્મિત આ સંગ્રહમાં પ્રચ્છન્ન રીતે જુદા તરી આવે તેવા બે વિભાગ છે.

૧) કક્કાના એક એક અક્ષરથી આરંભાતી ક થી જ્ઞ સુધીના અક્ષરારંભવાળી રચનાઓ જે ૩૨ પાનાં દોરે છે.

૨) કવિતાના પોતની વધુ સંનિકટ પહોંચતી,સંવેદ્ય ૫૮ રચનાઓ, જે ૩૪ થી ૯૦ સુધીના પૃષ્ઠોને દોરે છે.

પ્રથમ વિભાગમાં પ્રત્યેક કૃતિમાં માત્ર એક જ વ્યંજનથી આરંભિત શબ્દોના પ્રયોગ છે.આવાં ૩૨ કાવ્યો આ વિભાગમાં સમાવિષ્ટ છે.વ્યંજનો અને તેમની સાથે સાથે સંયોજિત થયેલા સ્વરોનો સિલસિલો સર્જકે બરાબર જાળવ્યો છે. આ વિભાગમાં કક્કાના એક જ અક્ષરથી આરંભ થતા શબ્દોની રચનાનું લાલિત્ય પથરાયું છે.તેમણે આવા ક્રમિક અક્ષરથી આરંભિત શબ્દના જમાવડાથી ભાવબંધને બાંધવા કપરો મનોવ્યાયામ કર્યો છે.કાવ્યકલાની દ્ર્ષ્ટિએ ક,ગ,છ,ઝ,ટ,ત,ન,પ,લ ની રચનાઓ કાવ્યાત્મક બની છે.

’ક’માં કંગનભર્યા કરનું ચિત્ર સુરેખ રીતે સર્જાય છે. લયાત્મકતા ,નાદસૌન્દર્ય સર્જી જાય છે.
કોમળ કોમળ કરમાં કંગન,કંચન કેરા કસબી કંકણ,
કંઠે કરતી કોકીલા કુંજન,કુંવારી કન્યાના કાળજે કુંદન.

એવું જ ઉત્કૃષ્ટ ચિત્ર ‘ગ’ માં ઉપસે છે.તેમાં આરંભની છ પંક્તિઓ ગીત વિભાવનાને ઉજાગર કરે તેવી છે,જે સર્જકની તન્મયતાની પરિચાયક છે.

‘ગોરીના ગીતે ગગન ગૂંજ્યુ,ગરવી ગુજરાતનું ગામડું ગાજ્યું…..આ પંક્તિઓમાં ચિત્રાત્મક કાવ્યબાની ખીલી ઉઠી છે.પછીની શબ્દોના જંગલમાં રોળાઇ ગઇ છે.આપણાં કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યપંક્તિમાં એક જ અક્ષરથી આરંભાતી શબ્દ-સંગતીને વર્ણસગાઇ અલંકારના નામથી નવાજી છે. એ અલંકારની છટા અહીં ઓપી ઉઠી છે.પાછળની શેષ પંક્તિઓ શબ્દિક રમત જેવી થઇ ગઇ છે.

‘છ’ માં ‘છેલછબીલો’ શિર્ષક કાવ્યમય છે.આમાંથી થોડી સારી પંક્તિઓઃ
‘છેલછોગાળો છેટેથી છોને છેડતો છુપ છુપ છાનોમાનો,
છલિયો છેડો છેડે ને છોડે છાયલ છોડી છનછન છણકે
.’ આ પંક્તિઓમાં નાટ્યાત્મક ભાવચિત્ર ઉભરવા પામ્યું છે,બિમ્બાત્મકતા ઝળકી ઉઠી છે.પણ આગળની પંક્તિઓ શબ્દની શોધમાં ઘડેલા શબ્દો અર્થને ઉજાગર કરવામાં ઉણા ઉતરે છે.’ઝ’ ની કૃતિ સુંદર ગીત બનવા પામી છે.તેમામ ચિત્રાત્મક કાવ્યબાની નીખરી ઉઠી છે.ઉપાડથી આરંભિત પંક્તિથી છ પંક્તિઓ સુધી ગીત-વલ્લરી ઝુમી ઉઠી છે.માણીએ આ ગીતનેઃ

‘ઝરુખેથી ઝુકી ઝરણાં ઝૂમે,ઝુમક ઝુમક ઝાંઝર ઝૂમે;
ઝરમર ઝરમર ઝીણી ઝીણી ઝંખના ઝાકળભીની ઝળકે.
ઝગમગ ઝગમગ ઝુમ્મર ઝૂલે,ઝુલ્ફ ઝળૂંબી ઝાંપે ઝૂલે.
’  ગીત-રચનામાં શબ્દોની પુનરાવૃત્તિ સંગીતની જનક બની લયાત્મકતાને લાડે લડાવે છે.કૃતિની છેલ્લી બે પંક્તિઓ લય-આયોજનની દ્રષ્ટિએ મઠાર માંગી લે છે.’ટ’નો ટહૂકો શિર્ષક પણ કાવ્યમય છે.કૃતિનો ઉપાડ બાનીની ચિત્રાત્મકતા અને ગત્યાત્મકતા બંનેનો સુયોગ સર્જવામાં સમર્થ બન્યો છે.મને લાગે છે કે ગીતકલાની દ્રષ્ટિએ અત્યાર સુધીના ગીતોમાં આ રચના સર્વાંગ સુંદર છે. રચનાકારની શબ્દ-ક્ષમતા આ અભિવ્યક્તિમાં ખીલી ઉઠી છે.

‘ટિક..ટિક..ટિક..ના ટકોરે,
ટોડલે ટહુકો;ટોડલાને ટહુકે,
ટપ..ટપ..ટપ..ટોળાંઓ ટપકે;
ટપકતા ટોળાઓ,
ટગર..ટગર..ટગર..
ટહુકાને ટળવળે..
’અહીં નાત્યાત્મકતા દ્રશ્ય-વિધાન ઉપરાંત સંગીત સર્જવાને સક્ષમ બની છે.ગીતના બધાં જ લક્ષણોને સમાવિષ્ટ કરતી આ કૃતિ સર્જકનો આવકાર્ય શબ્દ-પુરુષાર્થ છે.

‘ન’ અક્ષરાંભી કૃતિમાં કથાત્મક ગીત,લયનો ઉન્મેષ અને બિંબાત્મકતા બધું યે એક જ ગીતમાં સમેટાયું છે.સુરેખ અને સુંદર રચના બનવા પામી છે.

’નીલમ નામે નાર નવેલી,નાજુક નમણી નખશીખ નિરાળી;

નર્તન નીરખવા નગરે નીકળી,નશીલા નયન નમતાં નજરાઇ.

નેહ નીતરતી નજર નખરાળી,નીરવ નામે નરથી નજરાણી.’પ’ની રચના પણ સુંદર ગીત બનવા પામી છે.ચિત્રાત્મક કાવ્યબાની અને લયાત્મક નાદ-સૌન્દર્યથી સમન્વિત આ ગીતની નીચેની પંક્તિઓ ઉપભોગ્ય છે.

’પહેરી પાયલ પનઘટ પર,પનિહારી પલકે પાંપણ પલપલ;
પાથરી પાનેતરનો પાલવ,પહોરે પોકારે પ્રિતમ પ્રિતમ..’ 
    આ કૃતિના અંતે સંસ્કૃત શ્લોક-સ્તોત્ર મૂકવામામ આવ્યું છે.’લ’ની રચનામાં ભાવચિત્ર સુપેરે ઉપસ્યું છે.લયબોધ અને નાદ-સૌન્દર્ય નિષ્પન્ન થયું છે.સારું ગીત બનવા પામ્યું છે..

’લાડીના લાલ લીલા લ્હેરિયામાં,લોચનની લાજ લાખેણી લાગે;
લજામણીના લાડભર્યા લટકામાં લટકતી લટો લ્હેરાતી લાગે.
લખતાં લખતાં લીટીએ લીટીએ લાગણી લથપથ લીંપાતી લાગે.

’ણ’ અને ‘ળ’ એવાં વ્યંજનો છે જેના આરંભથી બનતા શબ્દો આપણી વાણીમાં નથી.આથી આ વર્ણો સંબંધી શબ્દોમાં ળ અને ણ શબ્દના અંતમાં કે મધ્યમાં આવે તેવું સંયોજન પંક્તિમાં ગોઠવવા શબ્દકાર સફળ બન્યા છે.”’ણ’ કોઇનો નહીં” એ શિર્ષકથી આરંભાતી આ રચનામાં તેઓ લયાત્મકતા જાળવીને સુંદર શબ્દ-ચિત્રો ઉપસાવી શક્યાં છે અને સરસ રચના કંડારી શકાઇ છે. દ્રષ્ટાંતમાં આ આખી કવિતા પ્રસ્તૂત કરી શકાય તેમ છે.જુદા જુદા વ્યંજનો સાથે સંયોજાઇ ‘ણ’ કેવાં કેવાં ચિત્રો સર્જે છે,તે કાના-માત્ર વગરના સર્જન દ્વારા સર્જકે આ કૃતિમાં ઉજાગર કર્યું છે. જે રીતે ‘ણ’ શબ્દના અંતમાં પ્રયોજાયો છે,તે રીતે ‘ળ’ શબ્દના મધ્યમાં ને અંતમાં પ્રયોજાઇને પંક્તિમાં દીપી ઉઠ્યો છે.જેમ કે, ગોળ ગળ્યો,ફળિયે મળ્યા,માળવે મળ્યા,ખોળિયુ હેતાળ, કાળજે સોળ,વાંસળીથી વ્યાકુળ,કાગળ ઝળક્યા,અંગળી ઝબોળાઇ,જળ ખળખળ,ઝાકળ ઝળહળ….અને આવા સંયોજનવાળી આખી ગીત-રચના રસાળ બનવા પામી છે.

‘ખ’ કૃતિમાં પ્રયુક્ત શબ્દો ખરબચડા છે તેથી તે રમ્ય બની નથી. ’ઘ’ વ્યંજનારંભી કૃતિ પણ અપેક્ષિત રંગ પકડી શક્તી નથી.’ચ’અક્ષરારંભી શબ્દોથી નિર્મિત કૃતિ પણ અપેક્ષિત ચિત્રો સર્જી શક્તી નથી.પણ નીચેની પંક્તિઓમાં કાવ્યમય ચિત્ર ઉપસવા પામ્યુ છે.’’ચન્દનપુરની ચોળી ને ચુંદડી,ચણક ચણોઠી-શી ચુડી.

‘ જ’ કૃતિમાં ‘જળકમળ છાંડી જાને બાળા’ના રુઢ થયેલા ગીતરાગમાં ગોઠવાયેલ શબ્દો તેનો ધ્વનિ આપી શક્તા નથી.રાગનું અનુકરણ ઢાળનો મૂળ રંગ પકડી શક્તું નથી. ‘ ઠ ’ વર્ણથી સંયોજિત શબ્દરચનાવાળી કૃતિનો ઉઘાડ આવકાર્ય છે. ‘ઠાકોરજીનો ઠાઠ ને ઠસ્સો,ઠેકઠેકાણે ઠરતો ઠસ્સો’. ‘ધ’ માં ઉપાડ સારો છે,પણ વચમાં તે લથડ્યો છે ને પાછો સુધરીને ગતિ પામી રહ્યો છે.

’ધોમ ધખતા ધૂપથી ધીખે,ધીમી ધીમી ધરા ધીખે;
ધક્ધક્તી ધમનીઓ ધડકે,ધન-ધાન્યની ધગશ ધરે.

‘ફ’માં શબ્દ સમતુલા રચાવા પામી નથી.’ય’માં શબ્દો વિષમ અને ખરબચડા છે.’ક્ષ’ અને ‘જ્ઞ’થી રચાયેલી કૃતિ પાંચ પંક્તિઓની છે.તેનુ શબ્દ સંયોજન સુંવાળપ ધારણ કરી શક્યું નથી.

’દ’ અક્ષરારંભી આખી કૃતિ ગીત-રચનાના કૌશલની દ્રષ્ટિએ સુંદર બનવા પામી છે.પણ કૃતિમાં મુખર થતી સપાટ બોધાત્મકતા અને આદેશાત્મકતા કઠે છે. કવિતામાં સીધો ઉપદેશ ન હોય.’બ’ આરંભી શબ્દોના સંયોજનથી સુંદર ગીત-રચના બની છે.

’બાગમાં બુલબુલ બોલે,બેકાબૂ બને બારાતી,
બટમોગરે બહાર,બાલમ બજાવે બંસી. ’ 
દ્વારા નિર્મિત ચિત્ર પોતાનો આકાર પામી રહ્યું છે.પ્રચલિત લોકઢાળ પર ખડો થયેલ ‘ર’ શિર્ષકની કૃતિ ગીતાત્મક લય પામી શકી છે.’રળિયામાણી રાત રણઝણતી’તી;રોમેરોમે રુદિયામાં રંગ,રતુંબલ રંગ રાખ્યો. ’રણઝણતી’તી’ માં નાદ-સૌન્દર્યનું માર્દવ છે.

“‘શ’ ની શોભા’ પણ સારી રચના બની શકી છે.
’શત શત શગ શમાની શોભા,શબનમ શતદલની શોભા;
શમણાઓ શૈશવની શાન,શીતલતા શીકરોની શોભા,
શૃંગ શૃંગ શિખરની શોભા શંખનાદ શૂરવીરની શોભા.’’

સ’નુંસંગીત’ પણ સારી રચના બની શકી છે.
‘સોનેરી સાંજે,સૂરીલા સાદે,સંગીતના સાત સાત સૂરોની સાથે;
સાંવરી સલોની સુહાની સંગીતા,સપ્તકને સ્પર્શતી સોહાગની સાથે.
’સર્જક આમાં અપેક્ષિત ચિત્ર કંડારી શક્યાં છે.
’હ’ શિર્ષકવાળી કૃતિનો આરંભ અને ઉઘાડ આકર્ષક અને લય-સંયોજનયુક્ત છે.
‘’હળવી હળવી હવા હતી,હુતો હુતી ની હઝલ હતી;
હેતાળ હૂંફાળા હાથ હાથમાં, હસતા હોઠોની હલચલ હતી.
હરદમ હરિયાળી હરિયાળી,હૈયામાં હેતની હેલી હતી.’ 
છેલ્લી ચાર પંક્તિમાં લય બદલાયો છે.
‘’’મ’ની મમતા’’વાળી રચના સુંદર બનવા પામી છે.૪થી અને ૮મી પંક્તિમાં વિરોધાભાસી ભાવ સચોટ રીતે મુખર થવા પામ્યો છે.
’’મધુવનમાં મોગરા મઘમઘ મહેંકે,માલિની માલણ મંદ મંદ મરકે;
માઝા મૂકીને મેળો મસ્તીથી માણે,મોસમ મધુરી મને મૂંઝવી મારે.
માનવ મહેરામણ મેળામાં મહાલે,મનડું મારું માતમ મનાવે.’‘
ભ’ કાવ્યકૃતિ લયબધ્ધ,તાલબધ્ધ અને બિમ્બયુક્ત છે.સાદ્યંત આખી રચના સરસ બની છે.
’ભાઇભાભીના ભરપૂર ભાવે ભગિનીનું ભીતર ભીંજે,
ભવાબ્ધિમાં ભાવ ભરાતા ભાર્યાનું ભીતર ભીંજે’   
પ્રલંબ લયના સાતત્યનો નિર્વાહ કવયિત્રી સુપેરે સાધી શક્યા છે.

”ઢ’’ થી આરંભીત શબ્દ સંયોજના પણ આસ્વાદ્ય બની છે.
’ઢોલિયો ઢાળી ઢોલીએ, ઢોલ ઢમ ઢમ ઢબુકાવ્યા;
ઢેબરાં ઢાંકી ઢૂકડેથી, ઢચૂક ઢચૂક ઢીંગલા ઢચકાવ્યાં.’’

‘ત’ અક્ષરારંભી સંપૂર્ણ રચના સરસ ગીતકૃતિ બનવા પામી છે.લયાત્મકતા અને ચિત્રાત્મકતા બંને સમ્યક રીતે જળવાયા છે. સંગ્રહની સાર રચના તરીકે આ ગીતની દર્શાવી શકાય.
’’તારલાના તેજે,તારલાના તેજે,તલસે તલાવડીને તીર તું;
તરણાઓ તોડતી ને તાકતી તું તારલે.
તાલીઓના તાલે,તબલાના તાલે,તડપે તનમન તન્મય તાલમાં,
તિમિરમાં તેજ તારું તસતસતું તારલે’.સંચયની બે રચનાઓમાં સર્જકે જાપાની કાવ્ય-પ્રકાર હાયકૂનો પ્રયોગ કર્યો છે.આ રચનાઓ છે ‘ડ’ અને ‘થ’ વાળી. ‘થ’ સુધી આવતાં આવતાં સર્જક થાકી ગયા લાગે છે ! ‘થ’ની પંક્તિઓમાં સામર્થ્ય હોવા છતાં રચનાકાર નીચેની પંક્તિઓમાં પ્રસ્તુત ભાવાનુભૂતિ અનુભવે છે.

’’થાકીથાકીને,થોડો થંભ્યો થાંભલે,થોર થઇને.’’આ સકળ હાયકૂ પ્રયોગ છે. ’’ડ’શિર્ષક તળેની રચનામાં તેઓએ બે હાયકૂ આપ્યા છે,જે સુંદર હોઇ દ્રષ્ટવ્ય છે.
”ડોલર ડંખે,ડગમગ ડગલું,ડેલીએ ડૂસ્કું.” અને
‘’ડોલર ડાળી,ડોલતી ડોલાવતી,ડોકે ડસતી
.” કવયિત્રીએ અહીં પાંચ લીટી અને ૩૧ અક્ષરના જાપાનીઝ કાવ્યપ્રકાર તાન્કાનો પ્રયોગ પણ કર્યો છે,જેનું બંધારણ છેઃ ૫-૭-૫-૭-૭-‘’

ડોલર ડંકે,
ડુંગરાઓ ડોલ્યાં,
ડાહ્યાઓ ડોલી,
ડગલાઓ ડહોળી,
ડૂબીને ડૂબાડ્યાં.
’  આમ અહીં ૩ હાયકુ અને ૧ તાનકાનો પ્રયોગ થયો છે.

૧થી ૩૨ પાનાં દોરતા આ સંપૂર્ણ પ્રથમ વિભાગમાં ‘ક’ થી ‘જ્ઞ’ સુધીના સ્વરયુક્ત વ્યંજનના એક એક અક્ષરથી આરંભાતા શબ્દો પ્રયોજાયા છે.આપણી બારાખડીમાં વ્યંજન અને સ્વર બે વિભાગ છે. વ્યંજનોની સંખ્યા ૩૬ અને સ્વરોની સંખ્યા ૧૪ છે. આ ઉપરાંત ૨-૩ સંયૂક્તાક્ષરો છે. આ બધા પૈકી તેમણે વ્યંજનોથી શરુ થતા શબ્દોના પ્રયોગથી પૂરી ફૃતિઓ રચી છે. પણ સ્વરોને છોડી દીધા છે.આમ કરવા પાછળ તેમનું શું પ્રયોજન હશે તે અકળ છે.અલબત્ત,દેવિકાબેને સ્વરો સાથે સંયૂક્ત થયેલા વ્યંજનોથી મુક્ત શબ્દોનો પોતાની અભિપ્રેત કૃતિઓમાં પ્રયોગ કર્યો છે.આમ,આ વિભાગની કૃતિઓને જો પ્રયોગશીલ રચના કહેવી હોય તો, તેના સાક્ષ્યમાં આખો પ્રથમ વિભાગ ઉભો છે.આરંભના પૃષ્ઠો પર દ્રષ્ટિપાત કરીએ,તો ડો.રઇશ મણિયાર,ડો.કુલીન મહેતા,વિજય શાહ, સંગીતા ધારિયા ગૌરાંગ દિવેટિયા,નીલમ દોશી, આદિની શુભેચ્છા અને આશીર્વચન સાંપડ્યાં છે.

આ સંગ્રહનો બીજો વિભાગ અક્ષરારંભી શબ્દોનો બંધ છોડી મુક્તભાવે વિહરતી સહજ સંવેદનાઓનો છે,જે પૃષ્ઠ ૩૪ થી ૯૦ સુધી વિસ્તરી છે. આમાં ૫૪ રચનાઓ છે. આમાંની કેટલીક રચનાઓ કવિતાની સંનિકટ પહોંચી શકી છે.આ રચનાઓમાં ગીત,ગઝલ, અછાંદસ વિગેરેના પ્રચ્છન્ન પ્રયાસો જોવા મળે છે.જો કે તેવી કૃતિઓ તત્તદ સ્વરૂપોનો પૂર્ણતયા નિર્વાહ કરે છે, એમ કહેવું અતિશયોક્તિભર્યું ગણાશે.એક બે કૃતિઓમાં તેમણે મુક્તકોનો પણ પ્રયોગ કર્યો છે.

આ બધી કૃતિઓમાંથી પસાર થતાં જણાયું છે કે,કેટલીક પંક્તિઓના પદ બંધમાં શબ્દ-સંગીત,શબ્દ-સંગતિ અને નાદ-સૌન્દર્ય ઉભરવા પામ્યું છે.તેના થોડ ઉદાહરણો જોઇએ.—
શતદલ પંખ ખીલત પંકજ પર,હસત નયન જેમ શ્યામ વદન પર,
ઘનન ઘનન ગરજત નભ-મંડળ,કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
છલ છલ છલકત જલ સરવર પર,નાચત મંગલ મયૂર મનોહર.
પલ પલ શબદ લખત મનભાવન, ઝરત પ્રીત મન કરત પાવન.
( પૃષ્ઠ ૩૪-શતદલ )

 અહીં કવિત્વ નીખરી ઉઠ્યું છે.અલબત્ત,ઉપરની સિવાયની પંક્તિઓમાં તથોચિત મઠારણ કરી લેવું અપેક્ષિત ખરું.”નથી હું મીરા કે નથી હું રાધા” કૃતિ ગીતનો ઘાટ પામવાની દિશામાં જઇ રહી છે.ગીત-લયની દ્રષ્ટિએ નીચેની પંક્તિઓ દ્રષ્ટવ્ય છે.”
શમણામાં આવીને પૂછ્યું છે રાજા,તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના’.

નીચેની પંક્તિઓનો લય-બોધ પણ દ્રષ્ટવ્ય છે.

‘શબ્દોની પાંખે ઉડી આકાશ,ડુંગરાની કંદરામાં જાગી તલાશ.” ( પૃષ્ઠ ૩૮-નિસર્ગ )

એક બીજું ઉદાહરણ જોઇએ.”અડધી રાતે આંખ ઢળી’તી,સપનામાં હું ઢળી પડી’તી. ( પૃષ્ઠ ૪૭-શમણું )

બુલંદ નાદે,નોબત વાગે,મૃદંગ બાજે,માઝમ રાત;
કસુંબ કોરે,આભની ટોચે,રતુંબ રંગે સોહત માત;
ચૂંદડી ઓઢી,સૈયર સાથે,માવડી નાચે નવનવ રાત…
રૂમઝુમ રૂમઝુમ,પાયલ વાગે,ખનન ખનન કરકંકણ સાજ,
છુમછુમ છુમછુમ ઝાંઝર બાજે,ઝગમગ ઝગમગ દીવડા હાર,
ધડક ધડક નરનારી આજે,છલક છલક ગોરી ગુજરાત…… ( પૃષ્ઠ ૫૦-નવલી રાત )

પ્રુષ્ઠ ૫૦ અને ૩૪ પરની ઉદધૃત પંક્તિઓશાસ્ત્રીય રાગ-રાગીનીઓની વાહક પંક્તિઓ હોય,તેવા પદબંધવાળી લાગે.આમ આ બંને સરસ ગીત-રચના બનવા પામી છે.લયાત્મકતા આ કૃતિઓમાં સાદ્યંત જળવાઇ છે.નાદ-સૌન્દર્ય અને શબ્દ સંગતી પણ ઉડીને આંખે વળગે તેવાં છે.આ કૃતિઓમાંથી પસાર થતાં બોધ થાય છે કે કોઇ શાસ્ત્રીય ગીત-રચનામાંથી પસાર થઇ રહ્યાં છીએ.શબ્દસંયોજન ક્યાંક ક્યાંક મધ્યકાલ કે રીતિ કાલની રચનાઓનો આભાસ આપી જાય છે.

‘કલમ સહેલી’ ( પૃષ્ઠ ૪૮ )ની નીચેની પંક્તિઓ પણ લયાત્મકતાની દ્રષ્ટિએ ઉદધૃત કરી શકાય તેવી છે.

“કાગળની દોસ્તી ને કલમ સહેકી,વાત નથી કોઇ નવી નવેલી….

પંખીઓ ગયા હવે જંપી ને નીર ગયા હવે થંભી”…. એ જ રીતે પૃષ્ઠ ૫૧ પર પૂનમની રાતની આ પંક્તિઓ પણ સંગીત અને તાલ-નાદથી ઝુમી ઉઠે તેવી છે.

”મારે મનને મંદિરિયે રુમઝુમ રુમઝુમ તું ફરે,
મારે પગને ઝાંઝરિયે છુમ છુમ તું ફરે.
મારે અંતર આકાશે ખુશીના પંખી ઉડે,
મારે આતમ આવાસે તાળી ને રાસ રમે’’.
ચાર પંક્તિઓમાં લય-બંધ દીપી ઉઠ્યો છે.પણ શેષ પંક્તિઓમાં તે જળવાયો નથી.

”દૂરથી ઉડી આવતા પંખીઓના ટોળાં,ફફડાવી કરતા યાદોના મેળા;
ચાંચોથી ખોતરતા મનના સૌ જાળાં,જાળેથી ખરતા જૂના તાણાવાણા’
. આ લય પણ જો આખી કૃતિમાં જળવાયો હોત તો કૃતિ વધારે સરસ બની શકી હોત. (પૃ.૫૨) પૃ.૬૫ પરની રચના “કુદરતનો સદા સાથ”માં કલ્પન રોચક અને તાજગીભર્યું છે.”અમદાવાદ ખોવાયું” પહેલી કડીને બાદ કરતા એ પછીની કડીઓ લયાત્મક છે.’’એક દિન’ની કલ્પના ઉત્કૃષ્ટ અને તાજગીપૂર્ણ છે.પણ તેની અભિવ્યક્તિ આરંભથી અંત સુધી પૂર્ણતયા નથી.એ જરીતે ‘ગીતા-દર્શન, શબ્દોને પાલવડે,જીંદગી,ભીતર ઉત્તર,તમન્ના,પારેવાની પીડા, થોડા સમચિત સુધારા પછી સુંદર રચનાનું પોત પામી શકે તેમ છે.
’યાદોના છીપલાં’માં ઉઘાડની નીચેની પંક્તિઓ આકર્ષક છે.
”મર્કટ મનડું કેવું ભટકે,હો બધું તો યે કઇંક ખટકે” અને
”ફાગણના કામણ’માં,
મનને આંગણ આવે ફાગણ,રંગોના લઇ કામણ;વસંત વીંઝણા ઢોળે નમણાં મેઘ-ધનુષી શમણાં’જો કે આમાં અંતિમ શબ્દ શ્રાવણ મુકવાથી વધારે ગીતમય બને છે.”મુક્તબંધન” બાળ-સંવેદ્ય રચના બની શકે તેમ છે.”બાજીગરનો ખેલ” માં બે ત્રણ પંક્તિ બાદ કરતાં ગીતાત્મક લય સાકાર થયો છે.’એકલતાનો શોર”માં પ્રથમ છ પંક્તિઓમાં લયનું અનુગુંજન આકર્ષક છે.”અંતરિક્ષની બારીએથી”પ્રલંબ લયવાળી કૃતિ છે.

આ સંગ્રહમાં પાંચ મુક્તકો આપવામાં આવ્યાં છે;તે પૈકી “નીંદરની દેવી” અને “નકલી સંસાર” સારા મુક્તક બનવા પામ્યાં છે.કાવ્ય કમનીયતા અને લયબધ્ધતાની દ્રષ્ટિએ નીચેની કૃતિઓ સરળ ગીત-રચનાઓ બનવા પામી છે.મનના મોર લીલું પાન,જીવન-સાગર,મને હું મળી,નવલી રાત,ગરવી ગુજરાત,તડપ… આ રચનાઓમાં લયાત્મકતા સાદ્યંત જળવાઇ છે.નાદ-સૌન્દર્ય,શબ્દસંગતી અને ચિત્રાત્મકતા પણ સમુચિત છે.ખુશીની વેદના,શ્રાવણી રોશની,સમય-સ્મરણ, અવકાશ વગેરે કૃતિઓ રચતી વેળા શબ્દકારના મનમાં ગઝલનો અનુબંધ હોવા સંભવ છે.પણ તે સમુચિત મઠારવી પડે તેમ છે.

ચોથા પ્રચ્છંદ પટ ( ચોથા પૂંઠા-ફ્લેપ ) પર ગદ્યભાષામાં રચનાકારે જે રજૂઆત કરી છે તે કાવ્યમય છે.ભાવપક્ષની દ્રષ્ટિએ જોઇએ તો આ નાનકડાં સંપુટમાં ભાવ-લાલિત્ય,સંવેદન-પ્રાચુર્ય અને વિષય વૈવિધ્ય અનેકધા પ્રગટ થવા પામ્યું છે.પ્રકૃતિ,પ્રેમ,વેદના તથા અધ્યાત્મના અનેક પાર્શ્વો ઉપસવા પામ્યા છે.

નિસર્ગ,ફાગણના કામણ,તુલસીના વન,શ્રાવણી રોશની,લીલુ પાન,શતદલ,પૂરવનો જાદુગર, (સૂર્ય ),મુક્ત બંધન,પારેવાની પીડા વગેરેમાં પ્રકૃતિલીલા સ્વયં વિકસી છે.પ્રીતનું ગીત,એકલતાનો શોર,વેદનાની ખુશી આદિમાં પ્રણય અને વેદનાની ભાવભૂમિ રચાય છે.જીવન-સાગર,જીંદગી,પગલાં,તરંગની પાંખે,તમન્ના,યાદોના છીપલાં,સ્મૃતિ,તડપ,કંપ,મનના મોરે,સમય સ્મરણ,શમણું વગેરે કૃતિઓ જીવનના અનેકલક્ષી ચિત્રો ઉપસાવે છે.તો ‘મને હું મળી’ માં આત્મખોજની વાત ધ્વનિત થાય છે.મૌનવ્રત, અંતરિક્ષની બારી અને વિશ્વશાંતિ વ્યાપક્ત્વના ભાવને વાચા આપે છે. ઘરમંદિર,ભીતર ઉત્તર,ભીતરના ખજાના,પરમ પ્રેમ,ગીતા-દર્શન આદિ કૃતિઓ અધ્યાત્મના રંગ છાંટણા કરી જાય છે. અક્ષરના આગિયા,કલમસહેલી,શિલ્પી અને શબ્દને પાલવડે આદિ શબ્દકારની રચનાધર્મિતાના વિવિધ અંગોને ચિત્રિત કરી જાય છે.આકાશી સાંધ્ય દીપ નિસર્ગની રમ્ય લીલાને વળી પાછી પાથરી જાય છે.નાગર ન્યારી,નવલી રાત-ગુજરાત,મારું અમદાવાદ ખોવાયું વગેરે પ્રકીર્ણ વિષયો છે.

આમ સંવેદનાની દ્રષ્ટિએ જીવનની વ્યાપકતા અનેક રીતે અને રંગે આ સંચયમાં ઉજાગર થઇ,રચનાકારની અનેકપાર્શ્વી જીવન દ્રષ્ટિને મુખર કરે છે.શૈલી-પ્રયોગની દ્રષ્ટિએ વૈવિધ્ય છે,વિષય વૈવિધ્ય તો આમાં અઢળક ભર્યું જ છે.વિષય વૈવિધ્ય આ સંચયનું ઉજળું જમાપાસું છે. ભાવપક્ષના ઔદાત્યની દ્રષ્ટિએ અને અભિવ્યક્તિ પક્ષે પણ એટલું જ વૈવિધ્ય ઊભર્યું છે. ભાષા ભાવવાહી અને પ્રસંગાનુસારી છે.રચનાકારનું બહુરૂપી વ્યક્તિત્વ અનેકરૂપે આમાં ઉજાગર થાય છે.હવે જે સ્વરૂપે તેમની આ રચના ભાવકો સમક્ષ મૂકાઇ છે,તેને હું આવકારું છુ,એનાથી સાહિત્યના ભંડારમાં શ્રીવૃધ્ધિ અવશ્ય થઇ જ છે.દેવિકાબેનનું શુભ્ર ભવિષ્ય વાંચ્છી તેમની રચનાનું સ્વાગત કરું છું.

Speakbindas-Interview July 2, 2010

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 

http://www.youtube.com/watch?v=WQlVCaGOC7s&feature=player_embedded

http://www.youtube.com/watch?v=f57KMrrZnTE&feature=player_embedded

“શબ્દોને પાલવડે” ને મળતા શુભાશિષ- December 16, 2009

Posted by vijayshah in : Uncategorized , 5 comments

16122009084 

HPIM3423

“શબ્દોને પાલવડે” ને મળતા શુભાશિષ- ગુજરાત વિદ્યાપીઠનાં ચાન્સેલર શ્રી નારાયણ દેસાઇ

HPIM3424

શબ્દ-સ્પર્ધા…. ” ક્ષ”…. April 1, 2009

Posted by devikadhruva in : Uncategorized , add a comment

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

ક્ષ

અક્ષર

ક્ષ નથી તો કંઇ નથી,એમ લાગે છે જાણે શ્વાસ નથી.

ક્ષત

પ્રજા

રાજાને મન ક્ષતનું હિત ઘણું હોય છે.

ક્ષણપ્રભા

વિજળી

ક્ષણપ્રભા કોઇકવાર ચમકાવી દે છે.

ક્ષણદાકર

ચંદ્રમા

ક્ષણદાકરની શોભા તો જુઓ !

ક્ષત્તા

દાસીપુત્ર

કર્ણ ક્ષત્તા મનાયો તેથી અન્યાય ખુબ થયો.

ક્ષપાદિવા

રાતદિવસ

પ્રિયપાત્રની ઝંખના ક્ષપાદિવા રહ્યા જ કરે.

ક્ષપાંત

સવાર

ક્ષપાંતની શાંતિ મનને ખુબ ગમે.

ક્ષમી

ખામોશીવાળું

ક્ષમી ઇન્સાન જગ જીતે.

ક્ષયાહ

શ્રાધ્ધ

હિંદુધર્મમાં ક્ષયાહની એક વિધિ હોય છે.

૧૦

ક્ષામ

પરમેશ્વર

ક્ષામ સૌની રક્ષા કરે.

૧૧

ક્ષાંતિકા

જનની

વિશ્વમાં મહાન ક્ષાંતિકા.

૧૨

ક્ષાંતુ

પિતા

પ્રથમ માતા અને પછી ક્ષાંતુ.

૧૩

ક્ષિપ્તા

રાત્રિ

હરિકેનની ક્ષિપ્તા ભયાનક હતી.

૧૪

ક્ષીરકંઠ

ધાવણું બાળક

ક્ષીરકંઠની માસુમિયત જોઇ છે કદી ?

૧૫

ક્ષુદ્રિકા

હેડકી

ગઇકાલે મને ખુબ ક્ષુદ્રિકા આવતી હતી.

૧૬

ક્ષેત્રજ્ઞ

આત્મા

ગીતા કહે છે, ક્ષેત્રજ્ઞ અમર છે.

૧૭

ક્ષેત્રપ

પરમાત્મા

ક્ષેત્રપની કૃપા અપરંપાર છે.

૧૮

ક્ષેદ

અફસોસ

કામો એવા  ન કરો કે ક્ષેદ થાય.

૧૯

ક્ષોભણ

કામદેવનુ બાણ

ક્ષોભણ અને યૌવનને ઘેરો સંબંધ.

૨૦

ક્ષોજન

કૃષ્ણની બંસીનો અવાજ

ગોપીઓ ઘેલી થતી ક્ષોજનના નાદે.

ગુજરાતી શબ્દ-સ્પર્ધા…અક્ષર ‘દ’… March 25, 2009

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

દઇતા

પ્રેયસી

દઇતાના  વિદેશગમને તે દેવદાસ બની ગયો.

દકપથ

પાણી ભરવાનો માર્ગ

સખી રે,નજરું લાગી દકપથ જાતા.

દખનીરાસ

દક્ષિણનો તારો

આકાશમાં કદી દખનીરાસ જોયો છે ?

દઠર

મંદ બુધ્ધિ

અપંગ હોવા કરતા દઠર હોવુ વધારે દયનીય છે.

દધિજા

લક્ષ્મી

દધિજાની પૂજા આજે સૌ કરે છે.

દા

અગ્નિ

પૂજાના દરેક હવનમાં દા અનિવાર્ય છે.

દાગબ

સ્તૂપ

પ્રિયદર્શીએ અનેક દાગબો બંધાવ્યા હતા.

દાડમી

એક જાતની આતશબાજી

રંગોની દાડમી જોવી કોને ના ગમે ?

દાણવ

દાણ લેવાની જગા

મારે માથે છે મહીનો માટ રે,

દાણ માંગે છે દાણવ ઘાટ રે.

૧૦

દાદસિતાદ

કામકાજ

વેપારીને રાતદિવસ દાદસિતાદ ભારે.

૧૧

દિક્ત

આનાકાની

દિકત કર્યા વગર નાના ભાઇને આપી દે ને…

૧૨

દિદિવિ

 

સ્વર્ગ

દિદિવિનો દેવ એટલે ઇન્દ્ર.

૧૩

દિની  

પ્રાચીન,પુરાણુ

જીવનનો સાચો બોધ દિની કથાઓમાંથી મળે.

૧૪

દિમન

છાણ

ગૌનું દિમન પવિત્ર મનાય છે.

૧૫

દિરાયત

ગુણો

દિરાયતથી ભરેલાં માનવીઓ હવે ક્યાં છે ?

૧૬

દિવાભીત

ઘૂવડ,દિવસથી ડરેલો

કવિઓએ દિવાભીત પર પણ કાવ્યો લખ્યા છે.

૧૭

દોત

ખડિયો

કમળ પત્ર પર સ્વામિ લખે ત્યાં ગોપિકા દોત સહાયજી.

૧૮

દૂતી

કૂટ પ્રશ્ન,ઉખાણુ

એક દૂતી છે,ઉકેલો તો માનુ, તમે ખરા…..

૧૯

દ્યુત

પ્રકાશનું કિરણ

જ્ઞાનનું એક દ્યુત સૌને અજવાળે.

૨૦

દ્યૂત

જુગાર

દ્યૂતની લત સૌને ડૂબાડે.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.