સ્વ.શ્રી નારાયણભાઈ મહાદેવ દેસાઇને અંજલિ.. March 22, 2015
Posted by devikadhruva in : Uncategorized , trackbackસ્વ.શ્રી નારાયણભાઈ મહાદેવ દેસાઇને અંજલિ..
પ્રખર ગાંધીવાદી અને ગાંધીજીના વિચારોને મિશન માનીને જીવનભર કાર્યરત રહ્યા તેવા સ્વ.શ્રી નારાયણભાઈ દેસાઇને અંજલિ અર્પવા માટે યોજાયેલ પ્રાર્થના સભા માટેની ઈમેલ મળી ત્યારે હું તેમની સાથેના કેટલાંક સંસ્મરણો વાગોળતી હતી. તેમાંના છેલ્લાં કેટલાંક આજે આ સાથે વહેંચુ છું.
૨૦૦૯ ની શિયાળાની એક સવાર. હું ત્યારે હ્યુસ્ટનથી અમદાવાદ ગઈ હતી અને ગાંધીકથા માટે શ્રી નારાયણભાઈ વેડછીથી ત્યાં આવ્યાં હતાં. યોગાનુયોગે વર્ષો જૂના અમારા કુટુંબના સહારારૂપ મજમુદાર પરિવારમાં હું રોકાઈ હતી અને તેઓ પણ હંમેશા ત્યાં જ ઉતરતા અને રહેતા તેથી નજીકથી મળવાનુ અને સાથે રહેવાનું બન્યું. મારું એ ખુશનસીબ કે એ દિવસોમાં મારા પ્રથમ પુસ્તક “શબ્દોને પાલવડે”ની પ્રથમ નકલ ત્યાં, મારા હાથમાં આવતા તેમના આશીર્વાદને પાત્ર થઈ અને ગુજરાત વિદ્યાપીઠને પહોંચી.
તે વખતે કહેલાં તેમના શબ્દો હજી એવાં ને એવાં જ યાદ છે. “સાહિત્ય સર્જી શકે એ જ સાચું જીવી શકે. લખવાનું ચાલુ જ રાખજે.” તે પછી તેમની સાથે એક જ ગાડીમાં ગાંધીકથા માટે જવાનું થયું.
ચાર વર્ષ પછી ફરીથી ૨૦૧૩માં ભારતની મુલાકાત દરમ્યાન તેમને મળવાના યોગો અનાયાસે ઊભા થયાં. મુક્તિબેન મજમુદારનું કુટુંબ એટલે અમારા કુટુંબની છત્રછાયા. નારાયણ દેસાઇનો પણ એ ઘેર જ મુકામ. તેમના તમામ એવોર્ડ પણ ત્યાં જ હોય. ૨૦૧૩માં પણ એ રીતે એ ઘરમાં જ તેમને શાંતિથી મળવાનું બન્યુ. ૨૦૦૯માં મારા પ્રથમ પૂસ્તક ‘શબ્દોને પાલવડે’ની પ્રથમ કોપીની જેમ જ બીજી ઇબૂક ‘અક્ષરને અજવાળે’ને પણ એ જ સદભાગ્ય સાંપડ્યુ. આ રહી એ ધન્ય ક્ષણો..
૨૦૧૧ના માર્ચ મહિનામાં હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાએ જ્યારે દશાબ્દિ મહોત્સવ ઉજવ્યો ત્યારે ગુજરાતી ભાષા અંગેનો તેમનો સંદેશો તેમના જ હસ્તાક્ષરોમાં એરોગ્રામ પત્ર દ્વારા મળ્યો.
આવાં થોડાં ઘણાં યાદગાર પ્રસંગોની સ્મૃતિ સહિત, આજે ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા અને ટીવી એશિયા સાથે હું પણ મનથી પ્રાર્થના સભામાં જોડાઉં છું અને મહાન આત્માની પરમ શાંતિ અંગે અંજલિ અર્પું છું.
દેવિકા રાહુલ ધ્રુવ
Comments»
no comments yet - be the first?