jump to navigation

નરસિંહ મહેતાના પદ અને વેદાંત વિચારઃ શીઘ્ર પ્રતિભાવઃ દેવિકા ધ્રુવ January 23, 2021

Posted by devikadhruva in : લેખ , add a comment

નરસિંહ મહેતાના પદ અને વેદાંત વિચારઃ શીઘ્ર પ્રતિભાવઃ 

 

 આજે ૨૩ મી જાન્યુ.ની અમેરિકાની સવારે, સાહિત્ય, સંગીત અને તત્ત્વજ્ઞાનના ત્રિવેણી સંગમ સમા એક અદભૂત કાર્યક્રમે આજનો શનિવાર ધન્ય કરી દીધો. આ એક યુટ્યુબ ઉપર પ્રસારિત થયેલ પ્રીમિયર શો હતો. જૂનાગઢની  કુદરતની ગોદમાં શ્વેત વસ્ત્રમાં સજ્જ  ગાયક અને વાદક વૃંદ તથા ઘેરા ભૂરા આકાશી રંગના પોશાકમાં સુસજ્જ વક્તા બહેન રાધા મહેતાની અસ્ખલિત વાણીના આ મંત્રમુગ્ધ કાર્યક્રમ અંગે શીઘ્ર પ્રતિભાવ લખવાનું  તરત જ મન થયું. 

 

 આદિ કવિ શ્રી નરસિંહ મહેતાની પાંચ કવિતાઓ અને તેના દરેક પદનું સમજણભર્યુ, સીધી સાદી, સરળ ભાષામાં વક્તવ્ય અને તેની સાથે ભાઈ શ્રી નિર્વેશ દવેના કંઠે ગવાતું ગાન પણ મનમોહક અને યાદગાર બની રહ્યું. વાદ્ય વૃંદના શ્રી કિશન પાઠક,સાગર સોલંકી અને પૂજન મુનશીએ પણ યથોચિત સુંદર કલા દાખવી.

 

સાત જેટલી ભાષાઓ જાણનાર રાધાએ નરસિંહ મહેતાની પાંચ અમર  કવિતાઓના મર્મને, એના શબ્દે શબ્દના અર્થને અને તત્ત્વને સમજાવ્યો તો ખરો જ. પણ એને અલગ અંદાજમાં વેદાંત વિચાર સાથે અદભૂત રીતે સાંકળી બતાવ્યો. વેદ ઉપનિષદ, ભાગવત,શ્રુતિ, સ્મૃતિ,ગીતા વગેરેના અવતરણો  યથાવત  તેના મૂળ રૂપમાં ટાંક્યા અને સંસ્કૃત ભાષાના ધાતુથી બનેલા શબ્દનો મહિમા પણ સુંદર રીતે, રૂપકોની ફ્રેઈમમાં મઢી સજાવ્યો અને સમજાવ્યો.

 

તે ઉપરાંત મરાઠી સંત શિરોમણિ રામદાસથી માંડીને,કબીર,શંકરાચાર્ય,સંત તુકારામ, સાંપ્રત સમયના ગઝલકારના શેરો, અરે, હિન્દી ફિલ્મના  (કૃષ્ણના રોલમાં ) હીરોના મુખે બોલાયેલ સંવાદોનો પણ ઉલ્લેખ કર્યો જેને કારણે તત્ત્વજ્ઞાન જેવા અઘરા અને ગૂઢ વિષયને પણ સરળ અને રસથી તરબોળ રાખ્યો. તેમના શુધ્ધ ઉચ્ચારો, જ્ઞાનની સ્પષ્ટતા, વક્તૃત્વ છટા અસરકારક અને નોંધપાત્ર હતી.એટલું જ નહિ, જ્ઞાનને આત્મસાત કર્યાની પ્રતીતિ કરાવતા હતા.

૧.ધ્યાન ધર હરિ તણું, ૨.નીરખને ગગનમાં, ૩.અખિલ બ્રહ્માંડમાં, ૪.હું ખરે તું ખરો અને ૫.ભૂતળ ભક્તિ પદારથ મોટું આ પાંચ કવિતાના પદોનો  વેદાંત વિચાર સાથે કરાવેલ સુંદર આસ્વાદ મમળાવવો ગમે તેવો રોચક અને અર્થસભર રહ્યો.

 

ઘડીભર માટે  સાબરમતીના તીરે આવેલ એચ.કે. આર્ટસ કોલેજના  વર્ષો જૂના વહેલી સવારના ઝીરો પીરયડવાળા સંસ્કૃતના ક્લાસમાં પહોંચી ગઈ.  જ્યાંથી પ્રો. શ્રી પરમાનંદ દવે અને ઈન્દુકલાબહેન ઝવેરીના વેદ અને ગીતા વિષયના વ્યાખ્યાનો મનોભૂમિકા પર પડઘાતા રહ્યાં. સાહિત્યનો રત્નાકર કેટલો વિશાળ છે અને કેટલો ઊંડો છે. તેમાંથી અમોલા મોતીઓ તો મળે જ પણ એને, સાચા અર્થમાં ભણનાર અને  આત્મસાત કરનાર રાધા મહેતા જેવાં રત્નો પણ સાંપડે જ. જે ખરા મૂલ્યોનું જતન કરે અને જગતમાં  આનંદપૂર્વક એની લ્હાણી પણ કરે.

કાર્યક્રમની લીંકઃ
https://youtu.be/u9X819MjY24

 

નરસિંહ મહેતાના જૂનાગઢમાં ગૂંજેલી કરતાલનો આનંદ હજી આજે પણ કેવો સૂરીલો બની વહે છે! પાંચે ગીતોના શબ્દાર્થ,ભાવ,મર્મ,કર્મ,જ્ઞાન,ભક્તિ સમગ્ર તત્ત્વ નો અખિલાઈપૂર્વક આનંદ માણ્યો. આ આંગણે આવેલ અષ્ટમહાસિધ્ધિ જેવા અથવા કહું કે, ચિદાનંદ સમા કાર્યક્રમ માટે સમગ્ર ટીમને સાચા દિલથી અભિનંદન. ફરી ફરી આ રીતે વધુ આગળ સોપાન ચઢતા રહો એ જ શુભેચ્છા.

 

દેવિકા રાહુલ ધ્રુવ.

હ્યુસ્ટન

તા. જાન્યુ.૨૨ ૨૦૨૧

 

ટેક્સાસની તેજસ્વી ધારા…. November 25, 2020

Posted by devikadhruva in : લેખ , add a comment

ટેક્સાસની તેજસ્વી ધારા-ચિ.સ્વરા અને આજ્ઞા.

“Gujarati Fun with Swara and Agna” ના નામથી શરૂ કરેલી યુટ્યુબ ચૅનલ પર ….
નમસ્તે ઍન્ડ જય સ્વામિનારાયણઆઇ એમ સ્વરાઆઇ એમ આજ્ઞા.” ના  મીઠા સંવાદથી ચાલું થતો વિડિયો  અમેરિકામાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટેનું એક આગવું અંગ બની ગયું છે. નવાઈની અને આનંદની વાત તો એ છે કે, આ યુટ્યુબ ચૅનલના સૂત્રધાર  ચિ. સ્વરા મોણપરા હજી તો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે  ચિ.આજ્ઞા  KG માં. આ બંને બહેનો હ્યુસ્ટનના મિઝોરી સિટીમાં રહે છે અને તેમણે અમેરિકામાં વસતા ગુજરાતી બાળકોને ગુજરાતી શિખવાડવા માટે કવાયત આદરી છેતેમના વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. માતાપિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ બાળકો ગુજરાતી મૂળાક્ષરો બોલતાવાંચતા અને લખતા શીખી જાય છે.

જુલાઇ ૨૦૨૦ થી શરૂ કરેલી આ ચૅનલમાં અત્યાર સુધીમાં “” થી લઇને “” સુધીના મૂળાક્ષરોના વિડિયો આવરી લેવાયા છેઆગળના અક્ષરો માટેના વિડિયો બનાવવાનું કામ અને સાથે સાથે તેમની વેબસાઇટ www.gujaratilearner.com પણ ચાલું જ છે આખીયે વાત રસપ્રદ તો છે  પણ ખૂબ ખૂબ મહત્ત્વની છેપ્રશંસાને પાત્ર છે અને પ્રેરણાદાયી પણ છેઆના અનુસંધાન માટે તેના ઘરના વાતાવરણ અને માતાપિતાની એક પૂર્વભૂમિકા આપવી પણ જરૂરી છે.

સ્વરા અને આજ્ઞાના પિતા એટલે કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપ માટે’ ‘પ્રમુખ ટાઈપ પેડના સંશોધક શ્રી વિશાલ મોણપરામાતા નયનાબહેન  માઈક્રોબાયોલોજીના અનુસ્નાતક છે અને હાલ યુનિઓફ ટેક્સાસમાં  ક્લીનીકલ લેબ.સાયન્સનો અભ્યાસ કરી રહ્યાં છે.

 વાત તો સૌને વિદિત છે  કે૨૦૦૪૨૦૦૫ ના સમયગાળા સુધી નોન યુનિકોડ ગુજરાતી ફોન્ટ ખુબ  પ્રચલિત હતાંજેટલાં કંઇ પણ લખાણો હતાં તે બધા  નોન યુનિકોડમાં હતાંપરંતુ તેમાં કેટલીક તકલીફો હતી૨૦૦૫ માં  હ્યુસ્ટનસ્થિત શ્રી વિશાલ મોણપરાએ ગુજલીશમાં લખેલા લખાણને ગુજરાતી યુનિકોડમાં ફેરવવાનો પ્રોગ્રામ બનાવ્યો. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની જ હતી અને અમેરિકાની ધરતી પર પગરણ  કર્યાને  માંડ એક-દોઢ વર્ષ જ થયું હતું. તે સમયે તેમણે અંગ્રેજી કીબોર્ડ પર જેવું ટાઇપ કરીએ  સાથે  ગુજરાતીમાં ટાઇપ થાય  માટેની યોગ્ય ટેકનોલોજી વિષે સંશોધન આદર્યું અને  જાન્યુઆરી ૨૦૦૬ માં ગુજરાતી સહિતની ભારતની કુલ આઠ ભાષાઓમાં સરળતાથી ટાઇપ થઇ શકે એવું “પ્રમુખ ટાઇપ પેડ” પોતાની વેબસાઇટ પર લોકોના ઉપયોગ માટે મૂક્યુંગુજરાતી ભાષાપ્રેમીઓએ ગુજરાતીમાં પોતાના બ્લોગ બનાવવાની શરૂઆત કરી ત્યારે  તેમના  પ્રમુખ ટાઇપ પેડે લોકોને ગુજરાતીમાં ટાઇપ કરવાની સરળતા કરી આપી. હાલ તો ૨૦થી વધુ ભાષાઓમાં પણ લખી શકાય છે. આમ,અંગ્રેજી  કીબોર્ડમાંથી ગુજરાતી ટાઇપિંગગુજરાતી ફોન્ટ રૂપાંતર અને ગુજરાતી OCR સોફ્ટવેર એ તેમનું ગુજરાતી ભાષાના વિકાસ અને વિસ્તાર માટેનું પાયાનું યોગદાન છે.

હવે તેમણે એક નવું મોટું કામ  આદર્યું છે કે તેમની અમેરિકામાં જન્મેલી અને અંગ્રેજીમાં ભણતી પાંચ અને નવ વર્ષની પુત્રીઓ થકી ગુજરાતી ભાષાના https://www.gujaratilearner.com/ પર વીડિયો દ્વારા કોઈપણ ઉંમરે, કોઈપણ વ્યક્તિને ગુજરાતી શીખી શકાય તેવું કામ ચાલુ કર્યુ છેતેઓ કહે છે કે, “આ કાર્યના બીજ પાંચ વર્ષ પહેલાં વવાઇ ગયા હતાઆ સમયે સ્વરા ચાર વર્ષની હતીતેના મમ્મી નયનાએ ખૂબ જ જહેમત ઉઠાવીને આટલી નાની ઉંમરમાં સ્વરાને કક્કોબારાખડી અને શબ્દો વાંચતા શીખવાડી દીધા હતાઆ રીતે નાનપણથી જ સ્વરાને ગુજરાતી ભાષાનો અભ્યાસ હતો અને રસ પણ વધવા માંડ્યો હતો. “

સ્વરા તેના વિડીયો ટ્યુટોરીઅલમાં કહે છે કે,

“Gujarati Learner Website is dedicated for kids who want to learn how to read, write and speak Gujarati.”

બાળકોની વિવિધ રમતોની ઘણી બધી યુટયુબ ચેનલો જોતા જોતા સ્વરાને પોતાની પણ એક ચેનલ હોવાનું સ્વપ્ન જાગ્યુંતેમાંથી ગુજરાતી શિખવાશિખવાડવાનો વિચાર આકાર લેવા માંડ્યો અને પછી તો  તેણે એક સવારે રાત્રિના એક સ્વપ્નમાં જોયેલ logoની વાત કરીને નીચે મુજબ એ દોરી બતાવ્યો .

અને તેના આ ચિત્ર ઉપરથી વિશાલ મોણપરાએ નીચે મુજબના રંગીન logo નક્કી કરી ગુજરાતી શિખવા માટેની ચેનલ તૈયાર કરી દીધી.

Final Gujarati Learner Logo

સ્વરા અને આજ્ઞાના પિતા વિશાલ મોણપરા હ્યુસ્ટનમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ચલાવાતા ગુજરાતી ભાષાના વર્ગોમાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. આ દરમિયાન તેમણે બાળકોને ગુજરાતી શીખવામાં પડતી તકલીફોને ખૂબ નજીકથી જાણી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજ જ્યારે હ્યુસ્ટન પધાર્યા ત્યારે ૨૦૧૭માં વિશાલને ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ આશીર્વાદની ફળશ્રુતિ રૂપે વિશાલે સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા ગુજરાતી વર્ગો માટે બાળકો ગુજરાતી સરળતાથી લખતા શીખે તે માટેના પ્રોગ્રામ બનાવ્યા પરંતું તેમને હંમેશા ‘હજુ પણ કંઇક ખૂટે છે’ તેવું લાગ્યા કરતું હતું.


વિશાલ મોણપરા વધુમાં જણાવે છે કે,” ૨૦૨૦ ના વર્ષમાં કોરોના મહામારી અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ બની. ઘર બેઠા જ સ્કુલ અને નોકરી હોવાને કારણે પરિવારના સભ્યોને સતત સાથે રહેવાનો ખૂબ જ સારો લહાવો મળ્યો. પારિવારિક વાર્તાલાપ દરમિયાન બાળકોને ગુજરાતી શીખવાડવા માટે વિડિયો બનાવવાનો વિચાર આવ્યો. કામ અઘરું હતું પરંતુ પરિવારના દરેક સભ્યોએ આ પડકાર ઝીલી લીધો.”


સ્વરા અને આજ્ઞા પોતે નક્કી કરેલ વિડિયો માટે ગુજરાતી શબ્દો, સ્ક્રીપ્ટ અને પાત્રો પસંદ કરે છે. વિશાલ સ્ક્રીપ્ટ અને પાત્રોને વિડિયોમાં આવરી લેવા માટેની એનીમેશનની ટેકનીક તૈયાર કરી રાખે છે. ચિ.સ્વરા અને આજ્ઞા પોતપોતાના સંવાદોનું રિહર્સલ કરે છે કે જેથી ઓછામાં ઓછા સમયમાં સારી રીતે વિડિયોનું રેકોર્ડીંગ  થઇ શકે. શનિ-રવિની રજાના દિવસોમાં વિડિયો રૅકોર્ડ કરવાનો હોય ત્યારે નયનાબહેન બંનેને સમયસર તૈયાર કરી દે છે. વળી રૅકોર્ડિંગના સમયે એકદમ નીરવ શાંતિ જળવાય તે માટે નયનાબહેન પોતાના નિર્ધારિત કામ આગળ-પાછળ કરીને પણ વિડિયો રૅકોર્ડ કરવાની અનુકૂળતા કરી દે છે. વિડિયો રૅકોર્ડ થયા બાદ વિશાલ તેને સ્ક્રીપ્ટ પ્રમાણે કાપકૂપ કરીને તેમાં એનિમેશન મૂકે છે અને ત્યાર બાદ યુટ્યુબ પર અપલોડ કરે છે.


ત્રણ થી ચાર મિનિટના વિડિયો માટે આટલી બધી મહેનત વ્યાજબી છે? આ પ્રશ્નનો જવાબ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવાર પાસે છે. અમેરિકામાં ઉછેર પામતા બાળકો માટે ગુજરાતી શીખવું એ અતિશય કપરું છે. માતા-પિતા સમયની વ્યસ્તતાને કારણે કે ગુજરાતી લખતાં, વાંચતા, કે બોલતા ન આવડતું હોય તેના કારણે બાળકોને ગુજરાતી ભાષાનું માર્ગદર્શન આપી શકતા નથી. વળી ગુજરાતી શીખવા માટેના જે ઓનલાઇન વિડિયો હાલમાં ઉપલબ્ધ છે તે માત્ર ગુજરાતી ભાષામાં હોય અથવા ભારતીય શિક્ષણ પદ્ધતિ પ્રમાણે હોય જેથી થોડા જ સમયમાં બાળકને ગુજરાતી શીખવામાંથી રસ ઉડી જાય. પરંતુ સ્વરા અને આજ્ઞાએ બનાવેલ વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. બાળક પોતાના માતા-પિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ ગુજરાતી વાંચતા અને લખતા શીખી જાય છે.

કક્કામાં બાળકોને પાપા પગલી ભરાવીને બાળકોને ગુજરાતીમાં પુસ્તકો વાંચતા કરી દે ત્યાં સુધીના સ્વપ્ના  ચિ.સ્વરા અને આજ્ઞાએ સેવેલા છેઆ સ્વપ્નાને સાકાર કરવા માટે વિશાલ ગુજરાતી શીખવા માટેની મોબાઇલની ઍપ પણ હાલમાં બનાવી રહેલ છે.

આજે અમેરિકામાં યુવાન વર્ગ પોતાના વ્યવસાય અને બાળકોના ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છેછતાં અહીં જન્મેલા ગુજરાતી બાળકો બહુ સરળતાથી ફ્રેંચ, સ્પેનીશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકે છે, તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું  આ એક સરસ કામ  અમેરિકામાં જન્મેલી,અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી આ બે સાવ નાની બાળાઓ દ્વારા થઈ રહ્યું છે તે કેટલી મોટી વાત છે?

સ્વરા અને આજ્ઞાનુ સ્વપ્ન  www.gujaratilearner.com ચેનલ દ્વારા સાત ધોરણ સુધીના શિક્ષણને આવરી લેવાનું છે.  તેમના માતાપિતા ફુલ ટાઈમ જોબ,અન્ય સાંસ્કૃતિક કામ અને પરિવારની દૈનિક જવાબદારીઓ સાથે સાથે શાંતિપૂર્વક આવાં સુંદર કામમાં સાથ અને માર્ગદર્શન આપી રહ્યાં છે જે સાચે  ખૂબ સરાહનીય છે.

અતિ નમ્રમીતભાષી અને માત્ર ૩૮ વર્ષના  યુવાન વિશાલ  મોણપરા હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય છે અને ગઝલો પણ લખે છે.
 રહ્યા તેમના કેટલાંક શેરઃ

છે ડૂબવાની મજા મજધારેસાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પરમંઝિલ કોને જોઇએ છે?

શું સાથે લાવ્યા હતાશું સાથે લઇ જવાના?
બે ગજ બસ છેબ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?

અમે તો છીએ પ્રત્યંચાધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોરઢીલ કોને જોઇએ છે?

વિશાલતેમના પત્ની અને બંને પૂત્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સાચા અર્થમાં માતૃભાષાનું જતન કરતા  પરિવારને સલામચિસ્વરા અને  ચિ.આજ્ઞાને અઢળક  શુભેચ્છા અને અંતરના ઊંડાણથી  આશિષ.

અસ્તુ.

લેખઃ દેવિકા રાહુલ ધ્રુવ. હ્યુસ્ટન.
સંપર્કઃ ddhruva1948@yahoo.com

માહિતી અને તસ્વીર સૌજન્યઃ વિશાલ મોણપરા.
સંપર્કઃ 
vishal_monpara@yahoo.com

૨૦૦૯થી ૨૦૨૦ સુધીની સાહિત્યિક સફર… October 28, 2020

Posted by devikadhruva in : Uncategorized , add a comment

પ્રકાશિત પુસ્તકો

૨૦૦૯ થી ૨૦૨૦ સુધીની સફર….

ઉપર દર્શાવેલ ૯ પુસ્તકોની વિગતોઃ

૧. શબ્દોને પાલવડે — કાવ્યસંગ્રહ–સંવાદ પ્રકાશ-૨૦૦૯

https://www.amazon.com/Shabdone-Palavade-Gujarati-poem-collection/dp/1484196074

પ્રથમ કાવ્ય સંગ્રહ

 

૨.અક્ષરને અજવાળે– કાવ્યસંગ્રહ–ઈબૂક–૨૦૧૩

https://www.amazon.com/Aksharne-Ajavale-Gujarati-poetry-book/dp/148235912X

બીજો કાવ્યસંગ્રહ

 

  

૩. ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક–ઈબૂક-૨૦૧૫

https://www.amazon.com/Gujarati-Sahitya-Sarita-Houston-Itihasani/dp/1515204138/

૪. Glimpses into a Legacy of Dhruva family-Ebook in English- 2016

https://www.amazon.com/Glimpses-Into-Legacy-Dhruva-Family/dp/1539655407

ઈંગ્લીશ પુસ્તક

5. Maa- Banker Family–Ebook in English-2017

https://www.amazon.com/Maa-Memory-Devika-R-Dhruva/dp/1544762879/

૬. કલમને કરતાલે-કાવ્યસંગ્રહ- ગૂર્જર પ્રકાશન-૨૦૧૭

http://www.bookpratha.com/book/Kalamne-Kartale-Gujarati-Book/137066

૭. આથમણી કોરનો ઉજાસ- (પત્રશ્રેણી)published on 11/11/2017

ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૧૬-૧૭નું
ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તકઃ


પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨ નંદન કૉમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસીંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ ૩૮૦૦૦૬.

English Translation of  Gujarati Diaspora Literature Award

 Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.

Translated Book in English:

8. Glow From Western Shores : July 10, 2020

-Translation by Arpan Vyas

-available on Amazon.com

-available as paperback and also in  kindle eBook.

This Book is an English translation of Diaspora Literature Award Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.. This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.

૯. પત્રોત્સવ –દેવિકા ધ્રુવ🙏, રાજુલ કૌશિક🙏પ્રીતિ સેનગુપ્તા,🙏 જુગલકિશોર વ્યાસ

જાન્યુઆરી ૨૦૧૮માં શરૂ કરેલી અને દર રવિવારની સવારે નિયમિત રીતે પીરસાતી ‘પત્રાવળી’ ‘પત્રોત્સવ’ રૂપે સપ્ટેમ્બર ૧, ૨૦૨૦ના રોજ પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂકી છે.

અમદાવાદની જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા ‘ગૂર્જર સાહિત્ય’ વતી આ પ્રકાશન સંપન્ન થયુ છે.

આ પુસ્તકમાં અમેરિકા,કેનેડા,યુકે અને ભારત જેવા જુદા જુદા દેશોના મળીને કુલ ૨૬ લેખકોના પત્રો (૫૬ પત્રો) નો સમાવેશ છે અને સૌએ શબ્દનો મહિમા અલગ અલગ રીતે પત્ર દ્વારા રજૂ કર્યો છે.સહુ લેખકોનો સહકાર નોંધપાત્ર છે.

એ માટે ખરા દિલથી, અમારા ચારે સંપાદકો વતી, અત્રે દરેકનો વ્યક્તિગત આભાર .

દેવિકા ધ્રુવ🙏, રાજુલ કૌશિક🙏પ્રીતિ સેનગુપ્તા,🙏 જુગલકિશોર વ્યાસ

પારદર્શી લેખક/ભાઈ શ્રી નવીન બેંકરને શબ્દાંજલિ… September 30, 2020

Posted by devikadhruva in : Uncategorized , add a comment

પારદર્શી લેખક/ભાઈ શ્રી નવીન બેંકરને શબ્દાંજલિ…

બાળપણમાં  જેમની સાથે જીંદગીને, એના સંઘર્ષોને નજીકથી જોયા હોય તેવા  નિકટના આત્મીય ભાઈને માટે  ’હતા’ લખવાનું આવે ત્યારે  કેવું અને કેટલું લાગી આવે? નાનપણથી જ સંઘર્ષોના વહેણમાં અમે સાથે વહ્યા છીએ.. અનાયાસે જ નવીનભાઈની અને મારી એકસરખી લેખનશક્તિ કેળવાઈ અને એકસરખા  સાહિત્યના રસ બંનેના વિકસતા રહ્યાં. હા, પ્રવાહ બદલાતા રહ્યા. પ્રવાહની દિશા બદલાતી ગઈ  અને તેમના પ્રવાસનો મુકામ પણ આવી ગયો.

૯-૨૬-૧૯૪૧ થી ૯-૨૦-૨૦૨૦

શું લખું? ઘણું બધું, એક દળદાર પુસ્તક જેટલું બધું અંદર ઘૂમરાય છે..જોરથી વલોવાય છે.
 ગઈ રક્ષાબંધને… 

આ છેલ્લી છેએ જાણ સાથે હૈયું હચમચાવીનેરાખડી બાંધી’તી.

છેલ્લી ન રહેએ ભાવ સાથે  ઘૂંટ ગટગટાવીને રાખડી બાંધી’તી. 

ચાહ એવી ખૂબ જાગેચમત્કાર થાય  ને સઘળુ સારું થઈ જાય પણ
ખોટાજૂઠા દિલાસા સાથેકડવું સચ પચાવીને રાખડી બાંધી’તી. 

જાણ્યું’તું સમય બળવાન છે, પણ કોપાયમાન આવો? સાવ કટાણે?
વિધિની વક્રતાના દ્વારો ખૂબ ખટખટાવીને રાખડી બાંધી’તી. 

મજબૂત છીએઆવજે પણ પીડા વિના મળજે ભાઈનેમાની જેમ જ,
હકભર્યા હુકમના સાદ સાથેબહુ જ મન મનાવીને બાંધી’તી. 

जानामि सत्यं न च मे स्वीकृति, એ લાચારી ને વેદનાને હરાવી
રુદિયે શ્રધ્ધાસભર સૂતરનો તાર કચકચાવીને રાખડી બાંધી’તી.

 

પણ…. આખરે સપ્ટે.૨૦ની રાત્રે ૧૧.૧૫ વાગે તેમણે જીવનમંચ પરથી વિદાય લઈ જ લીધી. આમ તો તેમની જીવન-કિતાબના પાનેપાના ખુલ્લાં જ હતા. પણ છેલ્લે સંવેદનાના સાત સાત સાગર સમાવીને સૌને અલવિદા કહીને સૂઈ  જ ગયા. જીવનના સારા-માઠા, હળવા-ભારે પ્રસંગોહજ્જારો બનાવો, એના પ્રતિબિંબો મારા માનસપટ પર ઉભરાઈ આવે છેઅત્યારે તો  યાદ એ આવે છે કે આજથી પાંચ વર્ષ પહેલાં તેમણે મારી પાસે પોતાના વિશે લખવા જણાવ્યું હતું ત્યારે તો મેં તરત લખી આપ્યું હયું પણ આજની અને ત્યારની વાત વચ્ચે કેટલો મોટો ફરક છે? છતાં એમાંનો  કેટલોક ભાગ અહીં…  

 

નવીન બેંકર એટલે  એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ.                                                            નવીન બેંકર એટલે એક મસ્ત મઝાનારંગીલારસીલા,મળતાવડાનિખાલસઉમદા અને ખુબ જ ઊર્મિશીલ માનવતેમની કલમ એટલે કમાલ અજબનો જાદૂઅમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટકવ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈપણ સંસ્થાની પ્રવૃત્તિતેમનું અવલોકન અને અહેવાલ આબાદ જ હોયનાટકસિનેમાફોટા,સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો.સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.” એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીનતો વળી નજર સામે સતત આ દિવસો પણ વહી જશેનું સૂત્ર રાખી જીવનના ચડાવઊતારની ફિકરનેફાકી કરી ફરનાર અલગારી પણ લાગે. ક્યારેક પોતાને નિત્યાનંદભારતી’ બનાવે     તો ક્યારેક શાંતિકાકા બની જાય. એક ઠેકાણે એમણે લખ્યું છે કે,”જિન્દગીમાં, મેં એવા અને એટલા બધા અનુભવો કર્યા છે અને સત્યોને ધરબાઇ ગયેલા જોયા છે એટલે સત્યમેવ જયતે સ્લોગનમાં મને વિશ્વાસ રહ્યો નથી.”  કદાચ એટલે જ એ જીંદગીને શિસ્તથી કે ગંભીરતાથી ક્યારેય જીવી જ શક્યા નથી. આજે તેમના ભીતરમાં ડોકિયું કરતો વિશેષ પરિચય આપું

 

૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયાં હતા દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણાં ધનિકપણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યુંતેથી પિતાની સ્થિતિ અતિ સામાન્ય અમે નાની ચાર બેનો અને એક નાનો ભાઈપોતે સૌથી મોટાંચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં  અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતા..પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાનાં વધારા’ પણ બૂમો પાડીને ખપાવવા જતા.દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતા અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતા. અરેઆ બધા કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી !આર્થિક સંકડામણો અને યુવાનીના અધૂરા ઓરતાની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમથયાંસરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યુંઆ ખર્ચાનિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યુંહંમેશા તેમને લાગતું કે જીંદગીનો એ દોર સુવર્ણકાળ હતો.

 

બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત પ્રેમચંદજીકી સાહિત્ય સેવા” એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતુ અને પ્રથમ ઈનામ પણ મેળવેલુંતેમાં તેમની વાક્‍છટા દાદપાત્ર બની હતીસિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગ પછી લેખનનો છંદ લાગ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલીઅનંતરાય રાવળરમણલાલ જોશીઅશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલુંત્યાર પછી સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ ચાંદની’ માં પ્રગટ થઈતે પછી વાર્તાલેખનમાં વેગ આવ્યોઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહીસ્ત્રીશ્રીમહેંદીશ્રીરંગ ડાયજેસ્ટ,આરામમુંબઈ સમાચારકંકાવટીજન્મભૂમિ પ્રવાસીનવચેતન વગેરેમાં છપાતી રહી.તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાંઆમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં.” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને પરાઈ ડાળનું પંખી’. ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતીએ જમાનામાંબે રુપિયાની કિંમતમાં ૯૬ પાનાની પોકેટબુકોનું ચલણ હતુંરસિક મહેતાકોલકલક્ષ્મીકાંત વોરા..એમના જમાનાના જાણીતા લેખકોઆ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી.નવીનભાઈની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ.હ્રદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છેતેમની કલ્પનાની ત્રિજ્યા જીવનના વર્તુળ બહાર જઈ શકી નથીઆભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે  તેમની  કલમ સરી છેઅતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને  જકડનારી રહી છે. 

 

૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે  ડઝનેક એકાંકીઓ અને  કેટલાક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો  સ્વચાંપશી ઉદ્દેશીના નવચેતનમાં દર મહિને નિયમિત છપાતા. પ્રતાપ ઓઝામાર્કન્ડ ભટ્ટ,અરવિંદ પંડ્યામનહર રસકપૂરપ્રાણસુખ નાયકપી.ખરસાણી, સ્વ.વિજય દત્તનરોત્તમ શાહદામિની મહેતાજશવંત ઠાકરદીનેશ શુક્લનલીન દવે વગેરે.. નામોની યાદી તો ખુબ લાંબી છે પણ મુખ્યત્વે આ છે

 

૧૯૭૯માં અમેરિકા આવ્યાંન્યુયોર્કની ‘Russ Togs‘નામની કંપનીમાં અને સબવે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહીફિલ્મોગુજરાતી નાટકોના અહેવાલઅવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો  ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં.પહેલાં તો આ લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા.૧૯૯૧૯૫ દરમ્યાન આ આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયોપછી તો એ દિનચર્યા છોડી દીધી!૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને  ક્યારેક મહાભારતના અંધ ધૃતરાષ્ટ્ર બને તો શોલેના કાલિયાનો રોલ કરેહ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાઅને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જનાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટરતે નાટકના કલાકારો અંગે નવીનભાઈનો અભિપ્રાય પૂછેજૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનુંતેમનું જ્ઞાન અજોડ હતું.નવીનભાઈને એક કામ અતિ પ્રિય અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈપણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખનઆવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાયએ અંગેની રસપ્રદ વાતો  નવીનભાઈના મુખે સાંભળવાની મઝા આવે.અને આલ્બમ જુઓ તો નવાઈ જ પામો. 

 

મન્નાડેઆશાભોંસલેઅનુમલિક,.આરરહેમાન,ધર્મેન્દ્રઅમીરખાનઅક્ષયકુમારબબીતાકરિશ્માપ્રીતિઝીન્ટા,પરેશ રાવલપદમારાણી,ફાલ્ગુની પાઠકનાના પાટેકરઅનિલકપૂર,ઐશ્વર્યારાય,અમિતાભ બચ્ચનસલમાનખાન અને આવાં બીજાં તો અનેક..નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય જઆમાનાં ઘણાં કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઈન્ડીયન સ્ટોરોમાંહિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છેશો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઈ જવાનીસ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની  કામગીરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે.અત્યાર સુધીમાં તેમણે ૨૫૦ જેટલાં અહેવાલો લખ્યાં. કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લેકોઇ કમિટીમાં મેમ્બર  પણ નહીંપોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે.

 

૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માનપત્રથી નવાજ્યું.. ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’  કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાંએનાયત કર્યો હતો.

 

મંદિરમાં ભજન ચાલતું હોય કે ક્યાંક  સંગીત ચાલતું હોય તો ખંજરી લઈ વગાડવા બેસી જવાનું તેમને ખુબ ગમેબંસરી વાદન પણ કરી જાણેગાડી ચલાવતાં ચલાવતાં ગીતો ગણગણવાનું પણ ચૂકે નહિજ્યારે જ્યારે ભારત જાય ત્યારે અમદાવાદની સાંજે ઠાકોરભાઈ દેસાઈ  હોલમાં જઈ નાટકો જોવા જાય જ.ભગવતીકુમાર શર્મારજનીકુમાર પંડ્યા સિધ્ધાર્થ રાંદેરિયા,અશોક દવે વિનોદ ભટ્ટવગેરેને અવશ્ય મળેઅમદાવાદનાં પોતાના મકાનમાં જઈએકાંત મહેસૂસ કરી,ખુદમાં ખોવાઈ જવાની વાતો પણ કરેદરિયા કિનારે રેતીમાં પડેલાં છીપલાં જેવા સંસ્મરણોને વાગોળવામાં પણ તેમને મઝા આવતીઆ છીપલાં પણ કેવાખુબ અમોલા પણ વ્યવહાર જગતમાં એનું મૂલ્ય ?!!! ખરું?ઈન્ટરનેટ પર તેમનો એક બ્લોગ બનાવેલ
એક અનૂભુતિ  એક અહેસાસ’ http://navinbanker.gujaratisahityasarita.org/મારા સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં ત્યાં ખુલ્લાં કર્યા છેકેટલાક રેખાચિત્રો પણ આલેખ્યા છે.બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું  બધું છેકશી યે ઓછપનીક્યારે ય ફરિયાદ વગરનાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો તે નાનીસૂની વાત નથી.

આજે આ વિશેષ પરિચય લખીને મારી ભીની થઈ ગયેલી કલમને શબ્દાંજલિ અર્પીને અટકાવું.

શબ્દાંજલિઃ

વંદન કરી,ચરણે તમારા, ભાવથી નમીએ અમે.

શબ્દો તણા ફૂલો ધરી, સાથે મળી ઝુકીએ અમે.

મીંચી ભલે હો આંખ આજે ને થયાં વિલીન પણ,

લેખન થકી રહેશો અમર, મનમાં સદા સ્મરીએ અમે.

સુગંધ જે  ફેલાવી છે, અક્ષર થકી ચારે દિશે,

એ મ્હેંકને સામે ધરી, શબ્દાંજલિ  દઈએ અમે.

વંદન કરી,બે હાથ જોડી, પ્રેમથી સૌ પ્રાર્થીએ

તમ આતમાની શાંતિ અર્થે અંજલિ દઈએ અમે. 

અસ્તુ.દેવિકા ધ્રુવ

Glow from Western Shores: July 31, 2020

Posted by devikadhruva in : Uncategorized , add a comment

Glow from Western Shores

English Translation of  Gujarati Diaspora Literature Award

 Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.

Translated Book in English: Glow From Western Shores:

 -Translation by Arpan Vyas

-available on Amazon.com

-available as paperback and also in  kindle eBook.

This Book is an English translation of Diaspora Literature Award Gujarati book ‘આથમણી કોરનો ઉજાસ’.. This Award is announced by a Gujarati Sahitya Parishad, Ahmedabad, India amongst the books published in the year 2016-17.

Many short term visitors have written superficial content in the forms of articles or essays till now. It is unheard that after staying for 35-40 years in a foreign land, someone has written all first-hand experiences, good or bad, with utmost detail without any prejudice. The uniqueness of these letters lies in the description of the difficult and closely associated incidents of two countries (U.K. and U.S.) in a literary style.

-The Researcher of Diaspora Literary Creation Shri Balvant Jani, gave much needed encouragement through the medium of the series of  Gujarati books of his institute GREIDS.

Literature lovers will surely welcome this new experiment.

Original Gujarati Book: 

 

 

 

 

જાઉં છું…

Posted by devikadhruva in : ગઝલ , add a comment

 

ભીતર સરકતી જાઉં છું, ઊંડે ઉતરતી જાઉં છું.
ભીષણ થયાં સંજોગ જગના, આહ ભરતી જાઉં છું.

 

ધગધગ થતા લાવા સમી ફેલાઈને કંપાવતી,
જવાળામુખીની લ્હાય જોઈને કકળતી જાઉં છું.

 

આ વિશ્વને થંભાવતું, ઈન્સાનને હંફાવતું,
જંતુ ફરે,લાશો ભરે? પળપળ નિગળતી જાઉં છું.

 

ધીરે રહી આંખો બિડી, અંદર પડળ ખોલ્યા પછી,
ઉજાસની કિનાર જોતા, કૈંક સમજતી જાઉં છું.

 

ટટ્ટાર સામે વૃક્ષ ઊભું, મૌન વાણી ઉચ્ચરે,
પડઘાય વારંવાર ૐ, હળવેથી ઠરતી જાઉં છું.

 

વામન મટી વિરાટ થઈ, પામર મટી જે થઈ પરમ
એ શક્તિનો અણસાર પામીને ઉઘડતી જાઉં છું.

 

સ્વર અને વ્યંજનો પર પંક્તિઓ… June 21, 2020

Posted by devikadhruva in : Uncategorized , add a comment

કઃ

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે, 
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.
સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઇ બચશે, લાગણી કરશું અમે.– -બરકત વિરાણી “બેફામ”

ખ – 
ખોબો ભરીને અમે એટલું હસ્યાં 
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં – 

ખટમીઠા સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવા ડૂબ્યાં
કે હોડી ખડક થઈ અમને નડ્યાં ——કવિ જગદીશ જોશી

ગ – 
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો,
જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો – કવિ નાઝિર દેખૈયા

ઘઃ

ઘણાં ચહેરા, ઘણી વાતો, ઘણું મૂકી ગયો છું હું,
અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું.

ઘણી મશહૂર છે સ્ટૉરી, “ટપકતી છત હતો પહેલાં”
પછી વરસ્યો ઘણૉ વરસાદ અને તૂટી ગયો છું હું.—–જીગર જોષી

ચ – 
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !——————ઉમાશંકર જોશી 

છ – 
છો ને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે,
બન્ને દિલોમાં પ્રેમનો ઝણકાર બાકી છે.
સંસારના વહેવારનો વેપાર બાકી છે,
બન્ને દિલોના મળવા હજુ તાર બાકી છે.
અભિમાનમાં ફુલાઈ ગયા, જોયું ના ફરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને બિમાર કરીને
મારા ભોળા દિલનો ———– રમેશ ગુપ્તા

જઃ

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.—આદિલ મનસુરી

ઝ – 

ઝટ જાઓ, ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું
મને લાગ્યો છે હારનો નેડલો, તમથી નહીં બોલું હું

નહીં ચડે ચૂલે રોટલી, ને નહીં ચડે તપેલે દાળ,
હાર નહીં લાવી દીયો, તો તો પાડીશ હું હળતાળ રે
ઘૂંઘટ નહીં ખોલું હું …———– ચીમનલાલ ભીખાલાલ જોશી

ટ – 
ટચલી આંગળીનો નખ,
હું તો લટમાં પરોવી બેઠી સાજન,
મુ’ને એકવાર કાગળ તો લખ! ——- વિનોદ જોશી

ઠ – –
ઠોકરની સાથે તુજ નામ લેવાય છે ઈશ્વર,
તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર!
ને દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં,
લાગે છે તને દૂરના ચશ્મા છે ઈશ્વર!! ———-સૌમ્ય જોશી

ડ – 
ડૂબતા સૂરજથી રૂઠી જાય છે સૂરજમુખી,
રાતરાણી એને આવીને મનાવી જાય છેઃ
ક્યાં રહે બાકી અભિવ્યક્તિની કોઈ શક્યતા,
કક્કા સાથે કાનો-માતર પણ ઉઠાવી જાય છે! — અદમ ટંકારવી

ઢ – 
ઢળેલી આંખ તારા સ્નેહનું પ્રતિબિંબ છે
ખરેખર તો હ્રદયની વાતનું પ્રતિબિંબ છે. ——— રશ્મિ શાહ

ણઃ

ક ને મળે તો નાનો કણ,ખ ને  મળે તો  માથુ ખણ…
ગ ને મળે તો પૈસા ગણ,ચ ને મળે તો પંખી ચણ…
જ ને મળે તો જન્મે જણ,ધ ને મળે તો ટોળે ધણ…
પ ને મળે તો પ્રભુ પણ, ભ ને મળે તો ભણતર  ભણ…
મ ને મળે તો મઝા મણ, ર ને મળે તો તરસે રણ…
હ ને મળે તો કોઇને ન હણ,ક્ષ ને મળે તો સરકે ક્ષણ….
ત્ર ને મળે તો ત્રિપુટી ત્રણ,અગર મળે જો અક્ષર ત્રણ,
તો આંગણ ફાગણ કરતા કરતા…‘ણ’ મળી એમ કરતો કામણ….. દેવિકા ધ્રુવ

ત – 
તમારાં આજ અહીં પગલાં થવાના,
ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે;
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે! ——– ગની દહીંવાળા

થ – 
થઈ ગયાં છે ગાંધી અહીં ને થઈ ગયાં લોખંડીવીર,
ઈતિહાસને પલટી રહ્યાં, મોદી ખડા ગુજરાત છે.
વાણી મારી ગુજરાતીનને ભૂમિ આ ગુજરાત છે! —— દેવિકા ધ્રુવ

દ – –
દ્રૌપદીની આબરૂ દુઃશાસને લુંટાય છે,
એ પળે જાણે અજાણે શત્રુતા રોપાય છે!
માછલીની એક આંખે તાકવું જો તીર તો,
સાધવા સંધાન તો શું પાર્થએ રોકાય છે? —— શૈલા મુન્શા

ધ – –

ધારો કે એક સાંજ આપણે મળ્યાં;
આપણે હળ્યાં, પણ આખા આ આયખાંનુ શું? —– જગદીશ જોશી

ન – 
નજર મિલાવી નજરથી દિલને લૂંટી કોણ ગયું?
ખીલી ન ખીલી કળિયો ત્યાં તો ચૂંટી કોણ ગયું? -– — અમર પાલનપુરી

પ – –

પંખીઓએ કલશોર કર્યો, ભાઇ ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઇને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો, વનેવન ઘૂમ્યો..

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો..
નીનુ મઝુમદાર

ફઃ

ફૂલોમાં ડંખો કદી ક્યારેક કાંટાંમાં સુવાસ
લાગણીની આ રમત
આદમથી શેખ આદમ સુધી
એ જ દોરંગી લડત
આદમથી શેખાદમ સુધી ————–શેખાદમ આબુવાલા

બ – 

બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.

આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.

                                                                          – કૃષ્ણ દવે

ભ – 
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી
જોવી’તી કોતરોને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.—– શ્રી ઉમાશંકર જોશી

મ – 
મૈત્રીભાવનુ પવિત્ર ઝરણુ
મુજ હૈયામાં વહ્યાં કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનુ
એવી ભાવના નિત્ય રહે.—– મુનિ ચિત્રભાનુ

ય – 
યાદમાં મળીએ પળેપળ, ક્યાંક તું ને ક્યાંક હું
કાપીએ ચૂપચાપ અંજળ, ક્યાંક તું ને ક્યાંક હું – —-રાજેશ વ્યાસ ‘મિસ્કીન

ર – 
રેત ભીની તમે કરો છો પણ,
રણ સમંદર કદી નહિ લાગે;
શબને ફૂલ ધરો છો પણ,
મોત સુંદર કદી નહિ લાગે…  ‘કામિલ’ વટવા

લ – 
લાગણીનું નામ આવ્યું,શ્વાસ સૂનો થઇ ગયો,
શબ્દ જેવો શબ્દ પણ બેબાક મૂંગો થઇ ગયો.
હું કશું સમજું એ પહેલાં સાવ અળગો થઇ ગયો,
ફિલસૂફીમાં હું ગળાડૂબ મિત્ર શાણો થઇ ગયો.——-  ગુલામ અબ્બાસ.

વ – 
વગડા વચ્ચે તલાવડી રે તલાવડીની સોડ
ઊગ્યો વન ચંપાનો છોડ વસંત આવ્યો
વરણાગી રે ઝૂલે કેસરિયા ઝૂલ ——- બાલમુકુંદ દવે

શઃ

શબ્દ ક્યાં મારો કે તમારો છે? શબ્દ હર કોઈનો દુલારો છે.

બુઠ્ઠા અણિયારા રેશમી બોદા,શબ્દના કેટલા પ્રકારો છે

ભાવ છે અર્થ છે અલંકારો,શબ્દનો કેટલો ઠઠારો છે

જો જરાક અડકો તો છટપટી ઉઠશે,શબ્દ સંવેદનાનો ભારો છે

– રાહી ઓધારિયા

સ – 
સપના રૂપે ય આપ ના આવો નજર સુધી
ઊડી ગઈ છે નિંદ હવે તો સહર સુધી – –કવિ બેફામ

હ – 
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત– કવિ અવિનાશ વ્યાસ

ક્ષણ છોડી ને ,સદી માં શોધું છું!
ખોવાયેલી નાવ ,નદીમાં શોધું છું !!

છે બધું છતાં કેમ,ખૂટે છે કશુ ?
સુખના કારણો,અતીતમાં શોધું છું !!

સમાયું બધુંએ ,શૂન્યમાં જાણું છું!
તોય જુઓ બધું ,અતિમાં શોધું છું !!-અનામી
 

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.       મનોજ ખંડેરિયા 

 *જ્ઞ* –

જ્ઞાન એ જ જે વર્તન હોય
પરમ બ્રહ્મનું સ્વરૂપ સોય.   અનામી.

ક્ષ અને જ્ઞ
એક સાથેઃ

ક્ષરાક્ષરના જ્ઞાતા ક્ષત્રિય ક્ષમિતે,

જ્ઞાન-ચક્ષુથી ક્ષીરનીરના જ્ઞાનથી,

જ્ઞાતિના ક્ષેત્રની ક્ષતિઓને,

ક્ષમ્ય-ભાવે ક્ષમી, ક્ષણે ક્ષણે,

ક્ષેમકુશળતા બક્ષી…..     દેવિકા ધ્રુવ

*******************************************

 શ્રઃ

શ્રીકૃષ્ણચન્દ્રકૃપાલુ ભજમન નન્દનન્દન સુન્દરમ્
અશરણશરણ ભવભયહરણ આનન્દઘન રાધાવરમ્

શીરમોરમુકુટ વિચિત્રમણિમય મકરકુંડલધારિણમ્
મુખચન્દ્રદ્રુતિનગ ચન્દ્રદ્યુતિ પુષ્પિતનિકુંજવિહારિણમ્———–કવિ શ્રી જયરામ

શ્રાવણનો આ સરતો મહિનો, પણ ક્યાં છે સૌનો કાનો,
ગોતી ગોતી થાકી આંખો, ના દેખાય યમૂનાનો  કાંઠો….
વસુદેવ ને દેવકી લઇને આવે જેલની યાદો,
નંદ-જશોદા બાંધી બેઠા ક્યારનો મનમાં માળો,
શોધી શોધી થાકી આંખો, ના દેખાય ગોકુળની  ગાયો…..
લાગણીઓ તો લળી લળીને રમવા  માંડી રાસો,
ઉજાગરાએ  માંડ્યો હવે, લો, રાતનો અહીં વાસો,
ગોતી ગોતી થાકી આંખો, ના દેખાય મન-મંદિરનો માધો……દેવિકા ધ્રુવ

 ઋઃ

ૠતુ રૂડી રૂડી મારા વહાલા,રૂડો માસ વસંત
રૂડા વન માંહે કેસું ફૂટયાં, રૂડો રાધાજીનો રંગ.
-નરસિંહ મહેતા

બારાખડીના સ્વરની રમઝટ

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી ને પોયણી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી ને નજરું જુએ તે રાધા રે !

ઈઃ

ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.
કૃષ્ણની પાસે જવું હોય તો,
થવું પડે સુદામા….ઈશ્વર પડ્યો નથી રસ્તામાં….
બે ફૂલ ચઢાવે મૂર્તિ પર,
પ્રભુ નહી મળે સસ્તામાં… ઈશ્વર પડ્યો નથી રસ્તામાં….
નહી મળે ચાંદી સોનાના,અઢળક સિક્કા માં,
નહી મળે કાશીમાં કે મક્કા માં,
પણ નસીબ હોય તો મળી જાય
તુલસીના પત્તામાં….ઈશ્વર પડ્યો નથી….– અવિનાશ વ્યાસ

ઉઃ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.      મણિલાલ દેસાઇ

 એઃ

એકલા જ આવ્યા મનવા, એકલા જવાના
સાથી વિના સંગી વિના, એકલા જવાના…
કાળજાની કેડીએ, કાયા ન સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ન સાથ દે ભલે, છાયા ન સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના…        બરકત વિરાણી ‘બેફામ’

ઓઃ

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમખેમ છે….

ઔઃ  

ઔર ગાણામાં હોય શું ગાવું.
ગીત ગાવું તો પ્રીતનું ગાવું.
છીછરા નીરમાં હોય શું ન્હાવું
તરવા તો મઝધારે જાવું.

ઐઃ

ઐ શાહજહાં,તારું એ સંગેમરમરનું દર્શન જોઇ લીધું
ને તેં કરાવેલ દૂનિયાને દોલતનું દર્શન જોઇ લીધું;
પણ યાર  કબર પર ફૂલો હોય,  પત્થર નહીં,
મેં તાજ શું જોયો,તારી અક્કલનું પ્રદર્શન લીધું.

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……

ॐ તત સત શ્રી નારાયણ તું પુરૂષોત્તમ ગુરૂ તું.
સિધ્ધ બુધ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું.
બ્રહ્મ મઝદ તું, યહવ શકિત તું, ઈસુ પિતા પ્રભુ તું.
રુદ્ર વિષ્ણુ તું, રામકૃષ્ણ તું, રહીમતાઓ તું.
વાસુદેવ ગૌ વિશ્વરુપ તું, ચિદાનંદ હરિ તું.
અદ્રિતીય તું, અકાલ નિર્ભય આત્માલિંગ શિવ તું.
ઓમ તત સત શ્રી નારાયણ તુ પુરૂષોતમ ગુરૂ તું.

– આચાર્ય વિનોબા ભાવે

કવિ, લેખકોના નામની અંતાક્ષરી…

Posted by devikadhruva in : Uncategorized , add a comment

અવિનાશ વ્યાસ.                                    સુંદરમ

મકરંદ દવે                                               વિનોદ જોશી

શૂન્ય પાલનપુરી                                       રઈશ મણિયાર

રાજેંદ્ર શાહ                                              હરીન્દ્ર  દવે

વિવેક ટેલર                                              રમેશ પારેખ

ખબરદાર                                                 રાજેંદ્ર શુક્લ

લતા હિરાણી                                            નર્મદ

દલપતરામ                                              માધવ રામાનુજ

જોસેફ મેકવાન                                       નિરંજન ભગત

તુષાર શુક્લ                                             લાભશંકર ઠાકર

રામનારાયણ પાઠક                                 કલાપી

પ્રિયકાંત મણિયાર                                   રન્નાદે શાહ

હરનીશ જાની                                         નરસિંહ મહેતા

તુલસીદાસ                                              સૈફ પાલનપુરી

રવિંન્દ્રનાથ ટાગોર                                   રાજેશ વ્યાસ

સ્નેહ રશ્મિ                                              મનોજ ખંડેરિયા

અનિલ ચાવડા                                         દુલા ભાયા

યોસેફ મેકવાન                                        નીતિન વડગામા

મરીઝ                                                     ઝવેરચંદ મેઘાણી

નાનાલાલ                                               લલિત ત્રિવેદી

દયારામ                                                  મેગી અસનાની
                            નરેંદ્ર મોદી

 

ભારની હળવાશ…. June 2, 2020

Posted by devikadhruva in : Uncategorized , 1 comment so far

આકાશમાં ઉડવાની મઝા અને મસ્તી માણતા

મુક્ત પંખીની પાંખ અચાનક …

એક તીરથી વીંધાઈ.

એ છેક જમીન પર પછડાયુંં.

મૂર્છિત થઈને પડ્યું.

એને લાગ્યું એની પાંખ કપાઈ ગઈ,

પીંછે પીંછા વેરવિખેર થઈ ગયાં.

ત્યાં દૂર આભલેથી એક ટીપું પડ્યું,

એ સળવળ્યું. એક બીજું,ત્રીજું,ચોથું..

ધીરે ધીરે ટીપાંઓનો છંટકાવ થતો ગયો.

એણે  આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો.

આજુબાજું જોયું.

બેઠા થવાનો પ્રયત્ન કર્યો;

બધું જ યથાવત હતું, પાંખો પણ!

તો શું એ સ્વપ્ન હતું?!

ના, ના..પણ..  એમ માની  જ લીધું.

ખરી પાંખ તો એની પાસે  જ છે! છે જ.

શબ્દની પાંખ.

દેવિકા રાહુલ ધ્રુવ

હાયકુ એક કાવ્યપ્રકાર—યોસેફ મેકવાન March 20, 2020

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , 1 comment so far

હાયકુ એક કાવ્યપ્રકારયોસેફ મેકવાન

શ્રુતિવાળું કાવ્યસ્વરૂપ જેટલું સરળ લાગે છે એટલું વધારે સંકુલ છે. આપ સૌ જાણો છો કે કાવ્યમાં ધ્વનિ મહત્વનો છે. શબ્દસ્થ થયેલી પંક્તિમાંથી ઊઠતી વ્યંજના આપણને ચિત્તમાં અર્થ પ્રગટાવતા તે આનંદઆહલાદ આપે છે. કવિતાનો સ્વભાવ આનંદ આપવાનો છે. પછી તે આનંદથી ઊઠતી વ્યંજનાનો વિસ્તાર  હ્રદયને સ્પર્શતા તે કવિતા બને છે.

 

આપણી ભાષામાં સોનેટગઝલરૂબાઈ  જેવા કાવ્યપ્રકારો  વિદેશથી આવ્યા અને સમય જતાં આપણા દેશની સંસ્કૃતિમાં હળીભળી પાંગર્યા. રીતે ગઈ સદીના ઉત્તરાર્ધમાં કવિ શ્રી  સ્નેહરશ્મિના હાથે જાપાનીસ કાવ્યપ્રકાર હાઇકુ અવતર્યું,ખીલ્યું ને ગુજરાતી ભાષામાં પાંગર્યું.

 

પ્રાચીન કાળમાં દુનિયાના દેશોમાં,આપણે જાણીએ છીએ તેમ,રાજદરબાર ભરાતા. તેમાં કવિઓને આગવું સ્થાન મળતું. આરબ દેશોના રાજદરબારમાં શાયરો ( કવિઓ ) ગઝલોમુક્તકો કહેતા.આપણી જેમ જાપાનમાં પણ રાજદરબારમાં કવિઓ તાન્કા કે હાઈકુ સંભળાવી રાજદરબારનું મનોરંજન કરતા. મૂળ તાન્કામાંથી હાઈકુ આવ્યું. તાન્કામાં ની શ્રુતિ રહેતી.  તેમાંથી સત્તરમી સદીમાં  (૧૬૪૪૧૬૯૪) બાશો નામના કવિએ તાન્કામાંથી જે નવું રૂપ સર્જ્યું તેહાઈકુકહેવાયું. તેમણે તાન્કાની આરંભની ની શ્રુતિની સ્વતંત્ર કાવ્ય રચના આપી તેનેહોક્કુકહી. પછી સમય જતાં તેહાઈકાઈનામે ઓળખાઈ. તેમાંથી અંતે નામ થયુંહાઈકુ’!

 

હાઈકુ વિશે બાશોનો મત પ્રમાણે છેઃ
જ્યારે સંવેદનશીલ મન જડચેતન પદાર્થોમાં કોઈ વિરલ ભાવ અનુભવે, કોઈ આધ્યાત્મિક સંવેદના જગાડે, કવિ તેને શબ્દસ્થ કરે તે પણ ૫ની શ્રુતિમાં ત્યારે તે હાઈકુ બને! તેમાંથી વ્યંજનાના કે ધ્વનિના તરંગો ભાવક મનમાં જન્મે.

 

આવું હાઈકુ અણુમાં વિરાટનું દર્શન કરાવે..
કોઈ સદ્વૃત્તિનું ભાવવિશ્વ ખડું કરે.
રોજ સવારે ખીલતા પુષ્પો રોજ નવું દર્શન કરાવે. નવો પથ આપે.પ્રકૃત્તિના તત્વોથી શબ્દચિત્રમાં અંકિત કરે,જે નવજીવન પ્રેરે.

 

આમ,હાઈકુની પ્રથમ શરત છે કે પ્રકૃત્તિના તત્ત્વોથી શબ્દચિત્ર રચાય. તે ભાવક ચિત્તમાં પ્રતીતિકર રીતે સંક્રાન્ત થાય. તેમાં ઈન્દ્રિજ્ઞવ્યત્યયો,ભાવવ્યત્યયો,પ્રતીકોનો સુમેળભર્યો વિનિયોગ થયો હોય. એકનું એક પ્રતીક અનેક સંદર્ભે,વિવિધ અર્થે રચાયું હોય કે જેના દ્વારા વાચકભાવકના ચિદાકાશમાં  સંતર્પક સંવેદનો તરંગિત થઈ ઊઠે!

 

આપણે ત્યાં આવા લઘુ કાવ્યસ્વરૂપ  મુક્તક,સુભાષિત,ઉખાણાં કે લાંબા કાવ્યોમાં સૂત્રાત્મક પંક્તિઓ આવતાં,તે દ્વારા કવિ બોધાત્મક ભાવને ઉપસાવતા. યાદ રહે કે ,હાઈકુનું સ્વરૂપ બધાંથી અલગ પ્રકારનું છે. લઘુકાવ્યના સ્વરૂપથી પણ અલગ. એટલે કે,હાઈકુમાં કશું બોધાત્મક હોય. પ્રકૃતિનું જે શબ્દચિત્ર કવિએ જે ખડું કર્યું હોય તે બોલે. તેમાંથી ધ્વનિ કે વ્યંજના ઊઠે તે અર્થ પ્રતિપાદિત કરે.
હાઈકુને બોલવા દો.કવિ તમે બોલોએમ કહેવાય.

 

એનો અર્થ એવો થયો કે ૫ની શ્રુતિથી જે શબ્દચિત્ર રચાયું તેમાંથી ઉઠતી વ્યંજના કે ઉઠતો ધ્વનિનો રણકાર આંખ સાંભળે અને કાનને દેખાય! તે ચાક્ષુસ થાય. ત્યાં હાઈકુનું કામ પૂર્ણ થયું .

 

મિત્રો, ભાષાના સંદર્ભે જાપાનીઝ હાઈકુ અને આપણી ભાષાના હાઈકુ વચ્ચે ભિન્નત્વ રહેવાનું.બંનેની અલગ તાસીર રહેવાની.કારણકે બંને ભાષાઓનું કુળ અલગ છે ને ? જાપાનીઝ ભાષાના નામ,ક્રિયાપદ.વિશેષણો,ક્રિયાવિશેષણો વગેરેના પદક્રમોની ગોઠવણીથી અર્થ સૂચવાય છે. એટલે ત્યાં પદક્રમ મહત્વનો છે. જ્યારે આપણી ગુજરાતી ભાષામાં પ્રત્યયો વિના ડગ મૂકાય. પરિણામે ભાષા આલંકારિક બને. એટલે જાપાનીઝ ભાષાની હાઈકુવિભાવના અહીં ખપમાં લાગે. છતાં આપણે તે  આપણું હાઈકુ કહેવાય.

 

મિત્રો, આપણે જાપાનીઝ બનાવટની ચીજવસ્તુઓથી પરિચિત છીએ.એમની નાનામાં નાની ચીજ વસ્તુની બનાવટ અદભૂત ફીનીશીંગવાળી હોય છે.જોતાં તેનું આકર્ષણ થાય ને મન લેવા લલચાય.તેમની બનાવટની વસ્તુની કારીગરી મોહક અને આકર્ષક હોય છે. અરે તે પ્રજાએ તો વનસ્પતિની વિશાળતાને બોન્સાઈમાં રૂપાંતરિત કરી ક્યાં ચમત્કાર નથી કીધો? જાપાનીઝ પ્રજાની કલાપ્રતિભા હાઈકુ જેવાં લઘુકાવ્યમાં પણ સંસ્પર્શ પામી છે.

 

હાઈકુને આમ પણ સમજી શકીએ. કેલિડોસ્કોપમાં રંગીન કાચના ટૂકડાઓ હોય છે. તેના વડે આકાર આકૃતિ રચાતાં હોઈ તે જોઈ મનવિસ્મય સાથે આહ્લાદ અનુભવે છે,હરખાય છે.ને જે સંવેદન જગાડે તેવું અહીં ૫ની શ્રુતિ વડે રચાતું લઘુકાવ્ય તે હાઈકુ ! કેલિડોસ્કોપ સહેજ હાલી જતાં તેમાંની આખી રંગીન  આકૃત્તિચિત્ર બદલાઈ જાય ને નવું સંવેદન જગાડે. રીતે સત્તર શ્રુતિમાં એકાદ શબ્દ અહીં ત્યાં કરીએબદલીએ ને ભાવ પલટાઈ જાય,અર્થ બદલાઇ જાય. એમ આનંદદાયક અર્થો,ભાવો મળતાં રહે જે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય !

 

આમ, હાઈકુની અસલિયત કવિની અનુભૂતિની અસલિયત છે. ભાવ જ્યારે ભાવક અને વાચકની અસલિયતમાં રૂપાંતર પામે ત્યારે તેની ચમત્ક્રુતિનો આનંદ મળે! બધું ખુબ સહજસ્વાભાવિક રીતે જે હાઈકુમાંથી અનુભવાય તેટલું તે હાઈકુ ઉત્તમ! તેમાંથી જે સુખદુઃખ,વિસ્મય,આઘાતપ્રત્યાઘાત, અધ્યાત્મ વગેરેની લાગણી જન્મી તે હાઈકુનો પ્રાણ! તેમાંથી ભાવકે ભાવકે એક હાઈકુમાંથી જેટલી જુદી અર્થચ્છાયાઓ કે અર્થવ્યંજનાઓ ઝંકારી ઊઠે તેટલા અંશે તેમાં સાચું હાઈકુત્ત્વ! હાઈકુ દ્વારા પોતાની સંવેદનાનો આક્ષાત્કાર થાય. આમ, હાઈકુ સામાન્યભાવનું અસામાન્ય ભાવમાં અને અસામાન્ય ભાવનું સામાન્યભાવમાં  રૂપાંતર કરે છે. તેમાં ભાવક ચિત્તને સ્થળકાળથી પર થવાની સમાધિ લાધે. ચિત્ર જેવું હોય તેવું ભાવક ચિત્તમાં પ્રતિતીકર રીતે સંક્રાન્ત થાય. તેના તર્ક,બુધ્ધિને વળોટી જાય, ને આનંદ મૂર્ત કરે.

 

કેટલાંક સુંદર હાઈકુ કે જેમાં  કેટકેટલાં સ્પંદનો છે,ચિત્રો છે, બેહદ ભાવો છેઃ

 

હિમશિખરે
ફૂટે પરોઢ : અહો !
સૂર્ય હાઈકુ !               (સ્નેહરશ્મિ)

 ઊડી ગયું કો
પંખી કૂજતું : રવ
 હજીયે  નભે                 (સ્નેહરશ્મિ)

પવન કરે
વાતો,બેવડ વળી
ડાળીઓ હસે..             (પન્ના નાયક)

શયનખંડે
અંધારું અજવાળે
શબ્દોના દીવા..          (પન્ના નાયક)

*****************************************************************

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.