jump to navigation

પ્રતિભા પરિચયઃ આલેખન રાજુલ કૌશિક December 7, 2023

Posted by devikadhruva in : લેખ , add a comment

પ્રતિભા પરિચય-દેવિકા ધ્રુવ

  આલેખનઃ રાજુલ કૌશિક –

‘નિર્મોહી એક અવાજ’ માસિકમાં પ્રકાશિત લેખ. સૌજન્ય તંત્રી:શ્રી અંકિત ચૌધરી.

સહ તંત્રી:ભારતી ભંડેરી

પ્રતિભા પરિચય- દેવિકા ધ્રુવ

‘રોજ રોજ ઊડું છું તરંગની પાંખે

ને દૂર દૂર જોઉં છું વિશ્વની આંખે

શબ્દોના કુંડાંમાં ભાવોના રંગ ભરી,

પીંછી બોળું ને ચીતરાતી એક પરી’

એવું કહેતાં બહુઆયામી લેખિકા દેવિકા ધ્રુવ જ્યારે મ્યુનિસિપાલિટીના દીવા નીચે બેસીને વાંચતાં હશે ત્યારે એમણે અંતરથી તરંગની પાંખે ઉડવાનું અને શબ્દોનાં કુંડાંમાં ભાવોના રંગ ભરી કાલ્પનિક પરી ચીતરવાનું સપનું જરૂર જોયું જ હશે.

બહુઆયામી લેખિકા તરીકે પરિચય આપવાનું મન થાય એટલું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સર્જન દેવિકા ધ્રુવના નામે બોલે છે.

નાનપણથી જ અભ્યાસમાં અવ્વલ રહેવાની સાથે શાળામાં વકૃત્વ સ્પર્ધા, નૃત્ય- નાટકની પ્રવૃત્તિમાં આગળ પડતાં દેવિકા ધ્રુવને નાનપણથી જ શેર, શાયરીમાં રસ પડવા માંડ્યો હતો. પંદર વર્ષે લખેલી પહેલી કવિતા પછી તો કેટલાય ગીતો, ગઝલ, છંદબદ્ધ અને અછાંદસ રચનાઓ ગુજરાતી સાહિત્યને આપ્યાં છે.

ભૂડાસણ જેવાં નાનાં ગામમાં ૧૯૪૮માં જન્મ. થોડીક આર્થિક વિટંબણાઓ વચ્ચે બાળપણ વીત્યું પણ અંદરનું અને અંતરનું જે ઓજસ હતું એ હંમેશાં ઝળકતું રહ્યું. ૧૯૬૪માં S.S.C.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયાં પછી B.A.માં પ્રથમ વર્ગની સાથે સોમૈયા ગોલ્ડ મેડલ અને અન્ય ચાર ઈનામો પ્રાપ્ત કર્યાં. પ્રથમ આવવું એ જ એમની ખાસિયત છે. કાવ્ય પઠન સ્પર્ધામાં ઉમાશંકર જોશીના હસ્તે ઈનામ મેળવ્યાં પછી કૉલેજની ઈતર પ્રવૃત્તિમાં નાટક, સંસ્કૃત ભાષાનાં વકતવ્યમાં પણ સતત ઈનામો જીતતાં રહ્યાં. સવારની કૉલેજની સાથે બપોરે ટ્યુશન, ટાઇપિંગ જેવી પાર્ટ ટાઇમ જોબ કર્યા પછી ગુજરાત યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગમાં જોડાયાં.

૧૯૭૧માં જાણીતા રણજી ટ્રોફી પ્લેયર રાહુલ ધ્રુવ સાથે પ્રેમલગ્ન, ૧૯૮૦માં અમેરિકા કાયમી વસવાટ, ૧૯૮૦થી ૨૦૦૩ સુધી ન્યુયોર્કની બેંક ઓફ બરોડામાં જોબ, ૨૦૦૩માં હ્યુસ્ટન સ્થળાંતર. જો કે શબ્દોમાં લખવા જેટલી સરળતાથી અમેરિકામાં ગોઠવાવું સરળ નહોતું. નવો દેશ, નવું વાતાવરણ, નવી સંસ્કૃતિની સાથે તાલમેલ જાળવવાં સંઘર્ષ પણ વેઠ્યો છતાં આ સમગ્ર સમય દરમ્યાન સાહિત્ય વિસરાયું નહોતું.

૨૦૦૩માં હ્યુસ્ટન સ્થાયી થયાં પછી એમની સાહિત્યિક પ્રવૃત્તિને હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’નું પ્લેટફોર્મ મળ્યું. સાહિત્ય સર્જનને વેગ મળ્યો. દેવિકાબહેને આજ સુધી જે મેળવ્યું એ એમણે અનેક રીતે પાછું વાળ્યું છે. ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ને ફક્ત હ્યુસ્ટન સુધી સીમિત ન રાખતાં વિશ્વભરમાં એની ખ્યાતિ પહોંચે એ માટે સતત પ્રયત્નશીલ રહ્યાં. ગુજરાતી સાહિત્ય સરિતામાં આમંત્રિત મહેમાન લેખકો, કવિમિત્રો વિશે માહિતી એકઠી કરીને દેવિકાબહેને ઈબુક બનાવી. આ ઈબુકમાં ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીની ‘હ્યુસ્ટન સાહિત્ય સરિતા’ની પ્રવૃત્તિનો ઈતિહાસ સચવાયો છે. હ્યુસ્ટનના લેખકો, કવિઓ માટે દેવિકાબહેન લખવાનું પ્રેરકબળ બન્યાં છે. દેવિકાબહેને છંદ બંધારણની ઓળખ વિશે યોગ્ય માર્ગદર્શન આપીને સભ્યોને વધુ લખવા પ્રોત્સાહિત કર્યાં છે.

આ સાથે ગુર્જરી, નવનીત સમર્પણ, કવિલોક, ફીલિંગ્સ, ગુજરાત દર્પણ, ફીલિંગ્સ, ઓપિનીયન, કુમાર જેવાં સામયિકોમાં દેવિકા ધ્રુવની રચનાઓ પ્રકાશિત થતી રહી છે.

ગીત, ગઝલને અનુરૂપ એવા ટહુકો, અક્ષરનાદ, લયસ્તરો, રીડ ગુજરાતી, વેબ ગુર્જરી, આસ્વાદ જેવા બ્લોગમાં એમની પદ્ય રચનાને આવકાર મળ્યો. પ્રિન્ટ મીડિયા સુધી એમની રચનાઓ સીમિત ન રહેતાં ડલાસ રેડિયો, આઝાદ, લંડન સંસ્કાર રેડિયોની સાથે લોકલ રેડિયો સ્ટેશનની જેમ યુટ્યુબ પર પણ એમની રચનાઓ ગુંજતી થઈ.

ગુર્જરવાણી, સ્પીકબિન્દાસ, સ્વરસેતુ, બુધસભા, કેલીફોર્નિયા, યુનિ.ઓફ ફ્લોરીડા, ગુજરાતી રાઈટર્સ ફોરમ ઓફ યુ. કે. વગેરેનાં પ્રસારણમાં પણ દેવિકા ધ્રુવ ઝળકતાં રહ્યાં છે. લંડન, આંતરરાષ્ટ્રીય જુઈ મેળા જેવા અનેક કાર્યક્રમોમાં વક્તા તરીકે ઉપસ્થિત રહીને સ્વ-પ્રતિભા પરિચય કરાવ્યો છે. ‘સદા સર્વદા કવિતા, અમદાવાદ’ વગેરે સ્થળે કાવ્યપઠન કર્યું છે. દેવિકાબહેનની ૨૫ જેટલી રચનાઓને જુદા જુદા સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવી છે.

દેવિકા બહેન પોતાનો પરિચય આપતાં કહે છે કે,

“નામ મારું દેવિકા હું છું શબ્દ-સેવિકા.”

૧૯૪૮થી માંડીને વર્તમાન ૨૦૨૩ સુધીમાં કેટલાય આવાસ બદલ્યાં હશે પણ હંમેશ માટે એમનાં સર્જનનું સરનામું તો એક જ રહ્યું ‘પોએટ કોર્નર’.

આવાસ બદલાયા એની સાથે વાતાવરણ બદલાયું હશે પણ અંતરથી એમનો નાતો પ્રકૃતિ અને પરમ સાથે રહ્યો. આવાસ બદલાયા એની સાથે સંસ્કૃતિ, સાથીઓ કે પાડોશી બદલાયા હશે, પણ દિલનો અતૂટ નાતો તો કવિઓ સાથે જ રહ્યો.

સમય અને સ્થળાંતર સાથેની દોડમાં ક્યારેક સારાનરસા અનુભવ થયા હશે, સાચાખોટા માણસો સાથે મુલાકાત થઈ હશે, ખટમધુરી યાદોની સાથે મન ચચરી જાય એવી યાદો પણ આ સફર દરમ્યાન ઉમેરાતી ગઈ હશે અને એમાંથી જ સ્ફૂરી હશે આ પંક્તિઓ…..

‘કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો…

ભર્યા ઠાલા અને પોલા છે અર્થો શબ્દ-કોષોમાં
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો’

દેવિકાબહેને મનની ઊર્મિઓ, હૃદયના ભાવો, પ્રસંગો, તહેવારો પર અનેક રચનાઓ આપી છે. એમની રચનાઓમાં નાવિન્ય છે. સૌ જ્યારે કૃષ્ણજન્મ ઉજવતાં હોય ત્યારે એમનાં દિલને દેવકીનો વલોપાત વ્યથિત કરતો હોય. સાત સાત બાળકોની કંસના હાથે હત્યા થઈ હોય એ માતાનાં હૃદયમાં આઠમા બાળકના જન્મ સમયે જે ભય,આતંકનો ઓળો ઝળુંબતો હોય ત્યારે જે ભાવ ઉદ્ભવે એ ભાવની કલ્પના માત્રથી જન્માષ્ટમી નિમિત્તે લખાય એક સાવ અનોખી રચના.

“શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…

સાત સાત નવજાત હોમીને સેવ્યો,

નવ નવ મહિના મેં ઉદરમાં પોષ્યો,

જન્મીને જ જવાને આવ્યો જ શાને?“

દેવિકા ધ્રુવ જિંદગીને વિસ્મયોનો કિલ્લો અને અનુભવોનો બિલ્લો કહે છે. જિંદગી એક વર્તુળાકાર ગતિ છે જેમાં હારજીત તો છે જ નહીં. આ ક્ષણે યાદ આવે છે કવિ આનંદ બક્ષીએ લખેલું એક ગીત,

“ये न सोचो इस मे अपनी हार है के जीत है

इसे अपना लो जो जीवन की रीत है”.

કેટલું સામ્ય છે બંને ભાવ અભિવ્યક્તિમાં?

દેવિકાબહેનનાં બીજા એક પાસા વિશે વાત કરવી છે. એ સ્વલિખિત રચનાઓ સુધી સીમિત રહેવાનાં બદલે એ અન્યની રચનાઓમાં પ્રગટ થતા ભાવ, સૌંદર્યને જાણે છે, માણે છે અને વાચકો, ભાવકોને એ ગીત, ગઝલનો સુંદર કાવ્યમય આસ્વાદ કરાવે છે.

શબ્દારંભે અક્ષર એક ‘શબ્દોના પાલવડે’ પુસ્તક પ્રગટ કર્યું જેને એ માનસિક વ્યાયામ કહે છે પણ ‘શબ્દોના પાલવડે’ વાંચીએ તો સમજાય કે, સાચે જ એમનાં માટે એ કેટલો કપરો વ્યાયામ રહ્યો હશે. બારાખડીના દરેક અક્ષર પરથી એમણે કાવ્યો રચ્યાં છે. એ કાવ્યોની કડીઓમાં પણ શબ્દની શરૂઆત એક જ અક્ષરથી કરી છે. જેમકે,

આવો આવો આંગણે આજે, આવકારીએ આદિત્યનાં આગમનને આજે.

અમાસનાં અંધકારને ઓગાળતા, આરોગ્યને આશાઓને અજવાસતા…”

આ તો માત્ર એક જ રચના છે પણ કલ્પના કરીએ કે ખ,છ,ઝ, ટ, ઠ, ઢ, ળ, ણ, ક્ષ કે જ્ઞ પરથી રચના કરવી હોય તો એના માટે પ્રાસ બેસાડવાની કેવી અને કેટલી મથામણ કરી હશે!

પ્રસ્તુત છે એવા અક્ષર -ઢ અને ઉ- પરની રચના,

‘ઢ’પરની

‘ઢોલિયો ઢાળી ઢોલીએ,

ઢોલક ઢમ ઢમ ઢબુકાવ્યાં.’

ઉ’ પરથી

‘ઉગમણેથી ઉષા ઉતરે,

ઊંચે ઊંચે ઉદધિ ઉછળે,

ઉમંગના ઉમળકા ઉમટે,

ઊર્ધ્વસ્થિત ઉમાપતિના’

શબ્દારંભે અક્ષર એક’ સાવ અનોખું કહી શકાય એવું પ્રકાશન છે. એ ઉપરાંત અન્ય પ્રકાશિત પુસ્તકો છે, જેમાં કવયિત્રી, ગઝલકાર, લેખિકા દેવિકા ધ્રુવની રચનાઓ જ નહીં ખુદ દેવિકા ધ્રુવ આવીને મળે છે.

વાત કરીએ દેવિકા ધ્રુવનાં સાહિત્ય સર્જન વિષે …

૧- શબ્દોના પાલવડે- ૨૦૦૯

૨- અક્ષરને અજવાળે- (ગીત અને છંદોબદ્ધ ગઝલનો સમાવેશ.) ઈબુક-૨૦૧૩

૩- ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક- ઈબુક -૨૦૧૫

૪- Glimpses into a Legacy of Dhruva Family. eBook in English-2016

૫-Maa- Banker Family- eBook in English 2017

૬- કલમને કરતાલે (ગીત, ગઝલ અને અછાંદસ કવિતાઓનો ગૂર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત સંગ્રહ-૨૦૧૭

૭- ‘આથમણી કોરનો ઉજાસ’ પત્રશ્રેણીને- ડૉ. બળવંતભાઈ જાની દ્વારા ૨૦૧૬-૧૭માં ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક તરીકે જાહેર કરવામાં આવ્યું. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ Glow From Western Shores (july 10, 2020) નામે પ્રસિદ્ધ થયો છે.

૮- Glow From Western Shores: July 10, 2020

૯- પત્રોત્સવ- ‘ગૂર્જર’ દ્વારા પ્રકાશિત પત્રશ્રેણી (સંપાદકઃ દેવિકા ધ્રુવ, પ્રીતિ સેનગુપ્તા, જુગલકિશોર વ્યાસ, રાજુલ કૌશિક)

૧૦- From There to Here.. સ્મરણની શેરીમાંથી ઈબુક ( અંગ્રેજી અને ગુજરાતીમાં)

૧૧- નિત્યનીશી- ઈબુક ( સંપાદકોઃ જુગલકિશોર વ્યાસ, પ્રીતિ શાહ-સેનગુપ્તા, દેવિકા ધ્રુવ, નયના પટેલ, રાજુલ કૌશિક)

આ ઉપરાંત વર્તમાનમાં વેબગુર્જરી’ની પદ્યસાહિત્ય સમિતિના સંપાદન કાર્ય અને હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’માં દેવિકાબહેન સન્માનિત સક્રિય સભ્ય તરીકે કાર્યરત છે.

દેવિકા ધ્રુવને વધુ જાણવા હોય, વધુ ઓળખવા હોય તો એમનાં અનેક ગીત, ગઝલ, કાવ્યોની સાથે ગદ્ય સર્જન જ્યાં મુકાયું છે એ ભાવવિશ્વ https://devikadhruva.wordpress.com ની મુલાકાત લેવી ઘટે.

આલેખનઃ રાજુલ કૌશિક —

સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૯મી બેઠકનો અહેવાલ October 4, 2023

Posted by devikadhruva in : લેખ , add a comment

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૪૯મી બેઠક, ઑક્ટોબર ૧, ૨૦૨૩ ને રવિવારના રોજ  “ઑસ્ટીન પાર્કવે’ના સભાગૃહમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભારતથી આવેલ સુવિખ્યાત કવિ ડૉ. વિનોદ જોશીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું..

  

સૌથી પ્રથમ સાંજના ચાર ને દસ મિનિટે પ્રમુખ શ્રીમતી ભારતી મજમુદારે  સૌનું સ્વાગત કર્યું, જરૂરી સૂચનાઓ અને માહિતી આપીને સંસ્થાનાં ઉપપ્રમુખ શ્રીમતી મીના પારેખને પ્રાર્થના માટે આમંત્રણ આપ્યું. મા શારદાની  સુંદર પ્રાર્થના બાદ કાર્યક્રમના ‘સ્પોન્સર્સ’દ્વારા આમંત્રિત કવિશ્રીનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું.

    

ત્યારબાદ  શ્રીમતી દેવિકા ધ્રુવે આજના મંચને કવિતાના તીર્થધામ તરીકે બિરદાવી “આજની ઘડી રળિયામણી” કહી પ્રારંભ કર્યો.  તેમણે કાવ્યમય શૈલી થકી કવિ ડો.વિનોદ જોશીની જ લખેલ પંક્તિઓ દ્વારા કવિશ્રીની કલમનો સંક્ષિપ્તમાં પરિચય આપી સભાજનોને સવિશેષ માહિતગાર કર્યા.  તે પછી સંસ્થાના પ્રથમ ૧૫ વર્ષના ઈતિહાસની ઝલક દર્શાવતું પુસ્તક ભેટ ધર્યું અને કવિનાં ગીતોની ઝલક દર્શાવવા માટે શ્રીમતી ભાવના દેસાઈને આમંત્રણ આપ્યું.  તેમણે મધુર કંઠે “ કચકડાંની ચૂડી રે, મારું કૂણું માખણ કાંડું, સૈયર શું કરીએ? સપનાનું સાંબેલું લઈને, ઉજાગરાને ખાંડું રે! સહિયર શું કરીએ?” અને
“સખી! મારો સાહ્યબો સૂતો 
ફળીયે ઢાળી ઢોલિયો,હું તો મેડીએ ફાનસ ઓલવી, ખાલી પડખે પોઢી જાઉં……એમ બે ગીતો ગાઈ સંભળાવ્યાં. વાતાવરણમાં  કવિનાં ગીતોનો, લયનો અને શબ્દોનો  રંગ રેલાવા માંડ્યો.

      

ગીતોની રમઝટ પછી પ્રમુખે સભાનો દોર ડો.શ્રી વિનોદ જોશીને સોંપ્યો. શરૂઆતમાં તેમણે શબ્દ સાથેનો પોતાનો નાતો, શબ્દનો મહિમા, નારીભાવની કવિતા વગેરે અંગે સ્પષ્ટતાભરી સમજૂતી આપી, સર્જનપ્રક્રિયા દર્શાવી અને નરસિંહ મહેતાનો ઉલ્લેખ પણ કર્યો. તે ઉપરાંત પોતાનું ગામ, બાળપણ, ગામમાં કરેલાં કામો, પારિવારિક વારસો વગેરે સંભારણાં રજૂ કરતા ગયા; તે સાથે જ સભામાં સાહિત્યિક રંગો ઘેરા થતા ગયા. તે પછી  કવિતાઓની શરૂઆત કરતાં પહેલાં, પ્રથમ તેમની લાક્ષણિક ઢબે સરસ્વતીની પ્રાર્થના આરંભી કે “વીજળીયું વેડીને લેખણ કીધી, સરસ્વતી માતા! કાગળનો ખાલી ખૂણો આપજો… ને પછી તો એક પછી એક કવિતાઓની રજૂઆત થતી ગઈ. નારી સંવેદનાનાં  જાણીતાં ગીતો ઉપરાંત  નવા કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’ની કેટલીક રચનાઓ પણ સંભળાવી. ખૂબ લોકપ્રિય થઈ ગયેલ ગીતો જેવાં કે, (૧) ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી (૨) તું મીઢળ જેવો કઠણ ને હું નમણી નાડીછડી (૩) તું શીલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી  (૪) પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ, હવે દરિયો લાવું તો કેમ લાવું? અને (૫) ભારે ઉતાવળા.. વગેરે કવિતાઓને શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.


કેટલાંક ગીતો ગાઈને રજૂ કર્યા અને કેટલાંક ગીતોનું પઠન કર્યું. વાતાવરણ કવિતામય બનતું જતું હતું.  તે પછી સોનેટ,અછાંદસ અને દીર્ઘકાવ્યના રચયિતા આ કવિએ વળાંક લીધો અને થોડી જુદા ભાવની કવિતાઓ એના મર્મ સાથે પ્રસ્તુત કરી. જેમકે, ‘ઝાડ એકલું અમથુંઅમથું જાગે’ અને વાવાઝોડાનું વર્ણન કરતું, પૃથ્વી છંદમા રચેલું “ECSTASY” ‘ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમા સોંસરી, ખચાક ખચખચ્ ચીરી’… જેવાં ગર્જનાત્મક શબ્દોયુક્ત કાવ્ય પણ સુપેરે સંભળાવ્યું.

   

ત્યારબાદ સભામાંથી અષ્ટનાયિકાનો પ્રસ્તાવ થયો અને કવિએ થોડી અષ્ટનાયિકા, જેવી કે, પ્રોષિતભર્તૃકા, અભિસારિકા, સ્વાધીનભર્તૃકા,ખંડિતા વગેરે વિશે વાત કરી અને તેમાંની એક ‘કલહાંતરિતા’ની કવિતા ‘મુજથી સહ્યું ન જાય, આમ નજ૨થી દૂર ન રાખે, આમ અડે નહીં ક્યાંય’ રજૂ કરી. તે પછી વિનોદભાઈએ ખૂબ લોકપ્રિય બનેલ ‘સૈરંધ્રી’ વિશે સમજૂતી આપી કહ્યું કે, સ્વયંને છુપાવીને,  પોતે એક રાણી હોવા છતાં, બીજા દેશની રાણીની દાસી બનીને રહેતી દ્રૌપદીની માનસિકતા, એની વિડંબના વિશેની એમાં વાત છે. આમ જુઓ તો માનવી પોતે જે કંઈ છે તેનાથી જગતને જુદો બતાવતો હોય છે. તો એ કાયમી અજ્ઞાતવાસ જ છે; એટલે કે, અંગત વિશ્વની વિડંબનાનું  એ એક રૂપક છે! એમ જણાવી સૈરંધ્રીનો એક અંશ વાંચી સંભળાવ્યો.

 

આમ કવિતાનાં જુદાંજુદાં પરિમાણોનું સુંદર આચમન થયું. જો કે, વચમાં એકવાર ફરીથી નારી સંવેદનાનાં કાવ્યો આવતાં જતાં હતાં! જેમ કે, એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ’, ‘જો આ રીતે મળવાનું નહિ’, ‘ મારા ઘરમાં તારો દીવો, તારા ઘરમાં મારો’, ‘મુંબઈ સમાચાર વાંચે મારો સાહ્યબો અને  ‘ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું’ વગેરે. ત્યારબાદ છેલ્લે, ‘આ માછલી તો આવે પણ માછલીની ભેળો આ દરિયો પણ આવે છે, એ દખ’ કાવ્ય સંભળાવી તેમના ટૂંકા વક્તવ્ય સાથે સમાપન કર્યું. આમ, ભાવજગતમાં તલ્લીન થયેલ સૌ સભાજનોએ ઊભાં થઈ  અવિરત તાળીઓની ગૂંજથી કવિ શ્રી વિનોદ જોશીનું સ્નેહપૂર્વક અભિવાદન કર્યું.

   

બેઠકને અંતે, દેવિકા ધ્રુવે કવિ માટે સન્માનપત્ર વાંચી સંભળાવ્યું અને સંસ્થાના આદ્યસ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટના હસ્તે કવિને સુપ્રત કર્યું, ભારતી મજમુદારે સૌનો આભાર માન્યો અને ખજાનચી શ્રી પ્રફુલ ગાંધીએ યથોચિત રીતે કવિને પુરસ્કૃત કર્યા.
છેલ્લે સ્વાદિષ્ટ ભોજન લઈ સૌ  સાહિત્યરસિક ભાઈબહેનો છૂટાં પડ્યાં.

આ આખીયે બેઠક રસપ્રદ રહી, કવિતામય બની રહી. સુંદર આયોજન માટે સમિતિને અને અન્ય સૌ સહાયકો, દાતાઓ તેમજ ફોટો-વિડીયો લેનાર સૌને ખૂબ ખૂબ અભિનંદન.

અસ્તુ.

દેવિકા ધ્રુવ

‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુભાઈ પરીખની અલવિદા.. May 9, 2021

Posted by devikadhruva in : લેખ , add a comment

‘કુમાર’ સામયિકના તંત્રી અને ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ પરીખના અવસાનના સમાચાર હમણાં જ  સાંભળ્યાં. ખૂબ  દુઃખ થયું. અવારનવાર ધીરુભાઈ સાથે ફોન પર વાતો થતી રહેતી હતી. તેમની અહીંની મુલાકાત હોય કે મારી ત્યાંની…. ફોનથી કે રૂબરૂ મળવાનું અચૂક બનતું.

૨૦૦૯ની સાલમાં, મારી ભારતની મુલાકાત દરમ્યાન કવિ શ્રી યોસેફ મેકવાન દ્વારા શ્રી ધીરુભાઈનો પરિચય થયેલ. એ વખતે જ્યારે યોસેફ્ભાઈ સાથે ફોન પર વાત ચાલી રહી હતી ત્યારે જોગાનુજોગ ગુજરાત વિદ્યાપીઠના પ્રેસીડેન્ટ અને ‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુભાઇ પરીખ ત્યાં બેઠેલા હતા. યોસેફભાઈએ તેમને ફોન આપતા વાતચીતનો મોકો મળ્યો અને તે પછી તો તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત પણ ગોઠવાઈ. લગભગ કલાક-દોઢ કલાક જેટલો સમય આ બંને મહાનુભાવો સાથે યોસેફભાઇના ઘેર સાહિત્યગોષ્ઠીમાં ગાળ્યો. એટલું જ નહિ, બીજા દિવસની બુધસભા માટેનું આમંત્રણ પણ મળ્યુ.

   

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ધીરુભાઇ પરીખ, દેવિકા ધ્રુવ
અને કવિ શ્રી યોસેફ મેકવાન. જુલાઇ ૨૦૧૩.

કવિ શ્રી યોસેફ મેકવાનના ઘેર થયેલ એ આત્મીય મુલાકાતથી માંડીને સાહિત્ય પરિષદની બુધસભા દરમ્યાનની  ઘણી ઘણી યાદો નજર સામે આવે છે. ન્યૂ જર્સીની તેમની છેલ્લી વીઝીટ સમયે હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં આવવા અંગે ઘણી વાતોની આપલે થયા પછી next time જરૂર આવીશ એવી ખાત્રી પણ આપી હતી. ખૈર…એ next time કાળના વહેણમાં વહી ગયો.

રહી ગઈ માત્ર  યાદોવંદન સાથે.. શાંતિ

BUDH SABHA JULY 2013(world poetry centre)PART_01 – YouTube

 

 

 

નરસિંહ મહેતાના પદ અને વેદાંત વિચારઃ શીઘ્ર પ્રતિભાવઃ દેવિકા ધ્રુવ January 23, 2021

Posted by devikadhruva in : લેખ , add a comment

નરસિંહ મહેતાના પદ અને વેદાંત વિચારઃ શીઘ્ર પ્રતિભાવઃ 

 

 આજે ૨૩ મી જાન્યુ.ની અમેરિકાની સવારે, સાહિત્ય, સંગીત અને તત્ત્વજ્ઞાનના ત્રિવેણી સંગમ સમા એક અદભૂત કાર્યક્રમે આજનો શનિવાર ધન્ય કરી દીધો. આ એક યુટ્યુબ ઉપર પ્રસારિત થયેલ પ્રીમિયર શો હતો. જૂનાગઢની  કુદરતની ગોદમાં શ્વેત વસ્ત્રમાં સજ્જ  ગાયક અને વાદક વૃંદ તથા ઘેરા ભૂરા આકાશી રંગના પોશાકમાં સુસજ્જ વક્તા બહેન રાધા મહેતાની અસ્ખલિત વાણીના આ મંત્રમુગ્ધ કાર્યક્રમ અંગે શીઘ્ર પ્રતિભાવ લખવાનું  તરત જ મન થયું. 

 

 આદિ કવિ શ્રી નરસિંહ મહેતાની પાંચ કવિતાઓ અને તેના દરેક પદનું સમજણભર્યુ, સીધી સાદી, સરળ ભાષામાં વક્તવ્ય અને તેની સાથે ભાઈ શ્રી નિર્વેશ દવેના કંઠે ગવાતું ગાન પણ મનમોહક અને યાદગાર બની રહ્યું. વાદ્ય વૃંદના શ્રી કિશન પાઠક,સાગર સોલંકી અને પૂજન મુનશીએ પણ યથોચિત સુંદર કલા દાખવી.

 

સાત જેટલી ભાષાઓ જાણનાર રાધાએ નરસિંહ મહેતાની પાંચ અમર  કવિતાઓના મર્મને, એના શબ્દે શબ્દના અર્થને અને તત્ત્વને સમજાવ્યો તો ખરો જ. પણ એને અલગ અંદાજમાં વેદાંત વિચાર સાથે અદભૂત રીતે સાંકળી બતાવ્યો. વેદ ઉપનિષદ, ભાગવત,શ્રુતિ, સ્મૃતિ,ગીતા વગેરેના અવતરણો  યથાવત  તેના મૂળ રૂપમાં ટાંક્યા અને સંસ્કૃત ભાષાના ધાતુથી બનેલા શબ્દનો મહિમા પણ સુંદર રીતે, રૂપકોની ફ્રેઈમમાં મઢી સજાવ્યો અને સમજાવ્યો.

 

તે ઉપરાંત મરાઠી સંત શિરોમણિ રામદાસથી માંડીને,કબીર,શંકરાચાર્ય,સંત તુકારામ, સાંપ્રત સમયના ગઝલકારના શેરો, અરે, હિન્દી ફિલ્મના  (કૃષ્ણના રોલમાં ) હીરોના મુખે બોલાયેલ સંવાદોનો પણ ઉલ્લેખ કર્યો જેને કારણે તત્ત્વજ્ઞાન જેવા અઘરા અને ગૂઢ વિષયને પણ સરળ અને રસથી તરબોળ રાખ્યો. તેમના શુધ્ધ ઉચ્ચારો, જ્ઞાનની સ્પષ્ટતા, વક્તૃત્વ છટા અસરકારક અને નોંધપાત્ર હતી.એટલું જ નહિ, જ્ઞાનને આત્મસાત કર્યાની પ્રતીતિ કરાવતા હતા.

૧.ધ્યાન ધર હરિ તણું, ૨.નીરખને ગગનમાં, ૩.અખિલ બ્રહ્માંડમાં, ૪.હું ખરે તું ખરો અને ૫.ભૂતળ ભક્તિ પદારથ મોટું આ પાંચ કવિતાના પદોનો  વેદાંત વિચાર સાથે કરાવેલ સુંદર આસ્વાદ મમળાવવો ગમે તેવો રોચક અને અર્થસભર રહ્યો.

 

ઘડીભર માટે  સાબરમતીના તીરે આવેલ એચ.કે. આર્ટસ કોલેજના  વર્ષો જૂના વહેલી સવારના ઝીરો પીરયડવાળા સંસ્કૃતના ક્લાસમાં પહોંચી ગઈ.  જ્યાંથી પ્રો. શ્રી પરમાનંદ દવે અને ઈન્દુકલાબહેન ઝવેરીના વેદ અને ગીતા વિષયના વ્યાખ્યાનો મનોભૂમિકા પર પડઘાતા રહ્યાં. સાહિત્યનો રત્નાકર કેટલો વિશાળ છે અને કેટલો ઊંડો છે. તેમાંથી અમોલા મોતીઓ તો મળે જ પણ એને, સાચા અર્થમાં ભણનાર અને  આત્મસાત કરનાર રાધા મહેતા જેવાં રત્નો પણ સાંપડે જ. જે ખરા મૂલ્યોનું જતન કરે અને જગતમાં  આનંદપૂર્વક એની લ્હાણી પણ કરે.

કાર્યક્રમની લીંકઃ
https://youtu.be/u9X819MjY24

 

નરસિંહ મહેતાના જૂનાગઢમાં ગૂંજેલી કરતાલનો આનંદ હજી આજે પણ કેવો સૂરીલો બની વહે છે! પાંચે ગીતોના શબ્દાર્થ,ભાવ,મર્મ,કર્મ,જ્ઞાન,ભક્તિ સમગ્ર તત્ત્વ નો અખિલાઈપૂર્વક આનંદ માણ્યો. આ આંગણે આવેલ અષ્ટમહાસિધ્ધિ જેવા અથવા કહું કે, ચિદાનંદ સમા કાર્યક્રમ માટે સમગ્ર ટીમને સાચા દિલથી અભિનંદન. ફરી ફરી આ રીતે વધુ આગળ સોપાન ચઢતા રહો એ જ શુભેચ્છા.

 

દેવિકા રાહુલ ધ્રુવ.

હ્યુસ્ટન

તા. જાન્યુ.૨૨ ૨૦૨૧

 

ટેક્સાસની તેજસ્વી ધારા…. November 25, 2020

Posted by devikadhruva in : લેખ , add a comment

ટેક્સાસની તેજસ્વી ધારા-ચિ.સ્વરા અને આજ્ઞા.

“Gujarati Fun with Swara and Agna” ના નામથી શરૂ કરેલી યુટ્યુબ ચૅનલ પર ….
નમસ્તે ઍન્ડ જય સ્વામિનારાયણઆઇ એમ સ્વરાઆઇ એમ આજ્ઞા.” ના  મીઠા સંવાદથી ચાલું થતો વિડિયો  અમેરિકામાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટેનું એક આગવું અંગ બની ગયું છે. નવાઈની અને આનંદની વાત તો એ છે કે, આ યુટ્યુબ ચૅનલના સૂત્રધાર  ચિ. સ્વરા મોણપરા હજી તો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે  ચિ.આજ્ઞા  KG માં. આ બંને બહેનો હ્યુસ્ટનના મિઝોરી સિટીમાં રહે છે અને તેમણે અમેરિકામાં વસતા ગુજરાતી બાળકોને ગુજરાતી શિખવાડવા માટે કવાયત આદરી છેતેમના વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. માતાપિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ બાળકો ગુજરાતી મૂળાક્ષરો બોલતાવાંચતા અને લખતા શીખી જાય છે.

જુલાઇ ૨૦૨૦ થી શરૂ કરેલી આ ચૅનલમાં અત્યાર સુધીમાં “” થી લઇને “” સુધીના મૂળાક્ષરોના વિડિયો આવરી લેવાયા છેઆગળના અક્ષરો માટેના વિડિયો બનાવવાનું કામ અને સાથે સાથે તેમની વેબસાઇટ www.gujaratilearner.com પણ ચાલું જ છે આખીયે વાત રસપ્રદ તો છે  પણ ખૂબ ખૂબ મહત્ત્વની છેપ્રશંસાને પાત્ર છે અને પ્રેરણાદાયી પણ છેઆના અનુસંધાન માટે તેના ઘરના વાતાવરણ અને માતાપિતાની એક પૂર્વભૂમિકા આપવી પણ જરૂરી છે.

સ્વરા અને આજ્ઞાના પિતા એટલે કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપ માટે’ ‘પ્રમુખ ટાઈપ પેડના સંશોધક શ્રી વિશાલ મોણપરામાતા નયનાબહેન  માઈક્રોબાયોલોજીના અનુસ્નાતક છે અને હાલ યુનિઓફ ટેક્સાસમાં  ક્લીનીકલ લેબ.સાયન્સનો અભ્યાસ કરી રહ્યાં છે.

 વાત તો સૌને વિદિત છે  કે૨૦૦૪૨૦૦૫ ના સમયગાળા સુધી નોન યુનિકોડ ગુજરાતી ફોન્ટ ખુબ  પ્રચલિત હતાંજેટલાં કંઇ પણ લખાણો હતાં તે બધા  નોન યુનિકોડમાં હતાંપરંતુ તેમાં કેટલીક તકલીફો હતી૨૦૦૫ માં  હ્યુસ્ટનસ્થિત શ્રી વિશાલ મોણપરાએ ગુજલીશમાં લખેલા લખાણને ગુજરાતી યુનિકોડમાં ફેરવવાનો પ્રોગ્રામ બનાવ્યો. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની જ હતી અને અમેરિકાની ધરતી પર પગરણ  કર્યાને  માંડ એક-દોઢ વર્ષ જ થયું હતું. તે સમયે તેમણે અંગ્રેજી કીબોર્ડ પર જેવું ટાઇપ કરીએ  સાથે  ગુજરાતીમાં ટાઇપ થાય  માટેની યોગ્ય ટેકનોલોજી વિષે સંશોધન આદર્યું અને  જાન્યુઆરી ૨૦૦૬ માં ગુજરાતી સહિતની ભારતની કુલ આઠ ભાષાઓમાં સરળતાથી ટાઇપ થઇ શકે એવું “પ્રમુખ ટાઇપ પેડ” પોતાની વેબસાઇટ પર લોકોના ઉપયોગ માટે મૂક્યુંગુજરાતી ભાષાપ્રેમીઓએ ગુજરાતીમાં પોતાના બ્લોગ બનાવવાની શરૂઆત કરી ત્યારે  તેમના  પ્રમુખ ટાઇપ પેડે લોકોને ગુજરાતીમાં ટાઇપ કરવાની સરળતા કરી આપી. હાલ તો ૨૦થી વધુ ભાષાઓમાં પણ લખી શકાય છે. આમ,અંગ્રેજી  કીબોર્ડમાંથી ગુજરાતી ટાઇપિંગગુજરાતી ફોન્ટ રૂપાંતર અને ગુજરાતી OCR સોફ્ટવેર એ તેમનું ગુજરાતી ભાષાના વિકાસ અને વિસ્તાર માટેનું પાયાનું યોગદાન છે.

હવે તેમણે એક નવું મોટું કામ  આદર્યું છે કે તેમની અમેરિકામાં જન્મેલી અને અંગ્રેજીમાં ભણતી પાંચ અને નવ વર્ષની પુત્રીઓ થકી ગુજરાતી ભાષાના https://www.gujaratilearner.com/ પર વીડિયો દ્વારા કોઈપણ ઉંમરે, કોઈપણ વ્યક્તિને ગુજરાતી શીખી શકાય તેવું કામ ચાલુ કર્યુ છેતેઓ કહે છે કે, “આ કાર્યના બીજ પાંચ વર્ષ પહેલાં વવાઇ ગયા હતાઆ સમયે સ્વરા ચાર વર્ષની હતીતેના મમ્મી નયનાએ ખૂબ જ જહેમત ઉઠાવીને આટલી નાની ઉંમરમાં સ્વરાને કક્કોબારાખડી અને શબ્દો વાંચતા શીખવાડી દીધા હતાઆ રીતે નાનપણથી જ સ્વરાને ગુજરાતી ભાષાનો અભ્યાસ હતો અને રસ પણ વધવા માંડ્યો હતો. “

સ્વરા તેના વિડીયો ટ્યુટોરીઅલમાં કહે છે કે,

“Gujarati Learner Website is dedicated for kids who want to learn how to read, write and speak Gujarati.”

બાળકોની વિવિધ રમતોની ઘણી બધી યુટયુબ ચેનલો જોતા જોતા સ્વરાને પોતાની પણ એક ચેનલ હોવાનું સ્વપ્ન જાગ્યુંતેમાંથી ગુજરાતી શિખવાશિખવાડવાનો વિચાર આકાર લેવા માંડ્યો અને પછી તો  તેણે એક સવારે રાત્રિના એક સ્વપ્નમાં જોયેલ logoની વાત કરીને નીચે મુજબ એ દોરી બતાવ્યો .

અને તેના આ ચિત્ર ઉપરથી વિશાલ મોણપરાએ નીચે મુજબના રંગીન logo નક્કી કરી ગુજરાતી શિખવા માટેની ચેનલ તૈયાર કરી દીધી.

Final Gujarati Learner Logo

સ્વરા અને આજ્ઞાના પિતા વિશાલ મોણપરા હ્યુસ્ટનમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ચલાવાતા ગુજરાતી ભાષાના વર્ગોમાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. આ દરમિયાન તેમણે બાળકોને ગુજરાતી શીખવામાં પડતી તકલીફોને ખૂબ નજીકથી જાણી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજ જ્યારે હ્યુસ્ટન પધાર્યા ત્યારે ૨૦૧૭માં વિશાલને ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ આશીર્વાદની ફળશ્રુતિ રૂપે વિશાલે સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા ગુજરાતી વર્ગો માટે બાળકો ગુજરાતી સરળતાથી લખતા શીખે તે માટેના પ્રોગ્રામ બનાવ્યા પરંતું તેમને હંમેશા ‘હજુ પણ કંઇક ખૂટે છે’ તેવું લાગ્યા કરતું હતું.


વિશાલ મોણપરા વધુમાં જણાવે છે કે,” ૨૦૨૦ ના વર્ષમાં કોરોના મહામારી અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ બની. ઘર બેઠા જ સ્કુલ અને નોકરી હોવાને કારણે પરિવારના સભ્યોને સતત સાથે રહેવાનો ખૂબ જ સારો લહાવો મળ્યો. પારિવારિક વાર્તાલાપ દરમિયાન બાળકોને ગુજરાતી શીખવાડવા માટે વિડિયો બનાવવાનો વિચાર આવ્યો. કામ અઘરું હતું પરંતુ પરિવારના દરેક સભ્યોએ આ પડકાર ઝીલી લીધો.”


સ્વરા અને આજ્ઞા પોતે નક્કી કરેલ વિડિયો માટે ગુજરાતી શબ્દો, સ્ક્રીપ્ટ અને પાત્રો પસંદ કરે છે. વિશાલ સ્ક્રીપ્ટ અને પાત્રોને વિડિયોમાં આવરી લેવા માટેની એનીમેશનની ટેકનીક તૈયાર કરી રાખે છે. ચિ.સ્વરા અને આજ્ઞા પોતપોતાના સંવાદોનું રિહર્સલ કરે છે કે જેથી ઓછામાં ઓછા સમયમાં સારી રીતે વિડિયોનું રેકોર્ડીંગ  થઇ શકે. શનિ-રવિની રજાના દિવસોમાં વિડિયો રૅકોર્ડ કરવાનો હોય ત્યારે નયનાબહેન બંનેને સમયસર તૈયાર કરી દે છે. વળી રૅકોર્ડિંગના સમયે એકદમ નીરવ શાંતિ જળવાય તે માટે નયનાબહેન પોતાના નિર્ધારિત કામ આગળ-પાછળ કરીને પણ વિડિયો રૅકોર્ડ કરવાની અનુકૂળતા કરી દે છે. વિડિયો રૅકોર્ડ થયા બાદ વિશાલ તેને સ્ક્રીપ્ટ પ્રમાણે કાપકૂપ કરીને તેમાં એનિમેશન મૂકે છે અને ત્યાર બાદ યુટ્યુબ પર અપલોડ કરે છે.


ત્રણ થી ચાર મિનિટના વિડિયો માટે આટલી બધી મહેનત વ્યાજબી છે? આ પ્રશ્નનો જવાબ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવાર પાસે છે. અમેરિકામાં ઉછેર પામતા બાળકો માટે ગુજરાતી શીખવું એ અતિશય કપરું છે. માતા-પિતા સમયની વ્યસ્તતાને કારણે કે ગુજરાતી લખતાં, વાંચતા, કે બોલતા ન આવડતું હોય તેના કારણે બાળકોને ગુજરાતી ભાષાનું માર્ગદર્શન આપી શકતા નથી. વળી ગુજરાતી શીખવા માટેના જે ઓનલાઇન વિડિયો હાલમાં ઉપલબ્ધ છે તે માત્ર ગુજરાતી ભાષામાં હોય અથવા ભારતીય શિક્ષણ પદ્ધતિ પ્રમાણે હોય જેથી થોડા જ સમયમાં બાળકને ગુજરાતી શીખવામાંથી રસ ઉડી જાય. પરંતુ સ્વરા અને આજ્ઞાએ બનાવેલ વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. બાળક પોતાના માતા-પિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ ગુજરાતી વાંચતા અને લખતા શીખી જાય છે.

કક્કામાં બાળકોને પાપા પગલી ભરાવીને બાળકોને ગુજરાતીમાં પુસ્તકો વાંચતા કરી દે ત્યાં સુધીના સ્વપ્ના  ચિ.સ્વરા અને આજ્ઞાએ સેવેલા છેઆ સ્વપ્નાને સાકાર કરવા માટે વિશાલ ગુજરાતી શીખવા માટેની મોબાઇલની ઍપ પણ હાલમાં બનાવી રહેલ છે.

આજે અમેરિકામાં યુવાન વર્ગ પોતાના વ્યવસાય અને બાળકોના ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છેછતાં અહીં જન્મેલા ગુજરાતી બાળકો બહુ સરળતાથી ફ્રેંચ, સ્પેનીશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકે છે, તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું  આ એક સરસ કામ  અમેરિકામાં જન્મેલી,અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી આ બે સાવ નાની બાળાઓ દ્વારા થઈ રહ્યું છે તે કેટલી મોટી વાત છે?

સ્વરા અને આજ્ઞાનુ સ્વપ્ન  www.gujaratilearner.com ચેનલ દ્વારા સાત ધોરણ સુધીના શિક્ષણને આવરી લેવાનું છે.  તેમના માતાપિતા ફુલ ટાઈમ જોબ,અન્ય સાંસ્કૃતિક કામ અને પરિવારની દૈનિક જવાબદારીઓ સાથે સાથે શાંતિપૂર્વક આવાં સુંદર કામમાં સાથ અને માર્ગદર્શન આપી રહ્યાં છે જે સાચે  ખૂબ સરાહનીય છે.

અતિ નમ્રમીતભાષી અને માત્ર ૩૮ વર્ષના  યુવાન વિશાલ  મોણપરા હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય છે અને ગઝલો પણ લખે છે.
 રહ્યા તેમના કેટલાંક શેરઃ

છે ડૂબવાની મજા મજધારેસાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પરમંઝિલ કોને જોઇએ છે?

શું સાથે લાવ્યા હતાશું સાથે લઇ જવાના?
બે ગજ બસ છેબ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?

અમે તો છીએ પ્રત્યંચાધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોરઢીલ કોને જોઇએ છે?

વિશાલતેમના પત્ની અને બંને પૂત્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સાચા અર્થમાં માતૃભાષાનું જતન કરતા  પરિવારને સલામચિસ્વરા અને  ચિ.આજ્ઞાને અઢળક  શુભેચ્છા અને અંતરના ઊંડાણથી  આશિષ.

અસ્તુ.

લેખઃ દેવિકા રાહુલ ધ્રુવ. હ્યુસ્ટન.
સંપર્કઃ ddhruva1948@yahoo.com

માહિતી અને તસ્વીર સૌજન્યઃ વિશાલ મોણપરા.
સંપર્કઃ 
vishal_monpara@yahoo.com

ગુ.સા.સ. હ્યુસ્ટનના ઈતિહાસની ઝલક.. May 7, 2019

Posted by devikadhruva in : લેખ , add a comment

P.K.Davdaના સ્નેહભર્યા આમંત્રણથી લખેલ લેખ…

https://davdanuangnu.wordpress.com/category/%E0%AA%89%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80/

(અમેરિકામાં પૂર્વ કિનારે અને પશ્ચિમ કિનારે ગુજરાતીઓની વસ્તી સારા પ્રમાણમાં છે. પૂર્વ કિનારે ન્યુજર્સી, ફ્લોરિડા, ફીલા ડેલ્ફીયા અને ટેક્ષાસના હ્યુસ્ટનમાં સારી એવી વસ્તી છે. પશ્ચિમ કિનારે કેલીફોર્નિયા રાજ્યના Bay Area અને લોસ એંજેલસમાં વધારે ગુજરાતીઓ છે. જ્યાં જ્યાં ગુજરાતીઓની સારી વસ્તી છે, ત્યાં ત્યાં ગુજરાતીઓ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જીવંત રાખવા સંગઠિત પ્રયાસ કરે છે. હ્યુસ્ટનમાં આવી એક સંગઠિત અને લોકશાહી રીતે ચાલતી પ્રવૃતિનો  અહીં સુંદર અને સંક્ષિપ્ત લેખ દેવિકાબહેન ધ્રુવે આપ્યો છે. અન્ય સંગઠનોને પણ આવો અહેવાલ મોકલવા આંગણાં વતી હું આમંત્રણ આપું છું. – સંપાદક- પી. કે. દાવડા )

 

           ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનઃ

સાહિત્ય જગતમાં જેનો ધ્વજ આજે સન્માનપૂર્વક ફરફરતો છે તેવી ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની સ્થાપના ૨૦૦૧માં વ્યવસ્થિત રીતે કરવામાં આવી. તેની પૂર્વભૂમિકા, ઈતિહાસ અને વિકાસયાત્રા ખૂબ રસપ્રદ છે. એટલું નહિ, ગુજરાતી ભાષાને જાળવી રાખવા ઈચ્છતી આજની અને આવતી કાલની પેઢીને માટે જરૂરી અને માર્ગદર્શક પણ અવશ્ય છે . તેની પૂર્વભૂમિકા કાંઈક પ્રમાણે છે.

            પૂર્વભૂમિકા, સ્થાપના અને હેતુઃ

અમેરિકાના મોટાભાગના દરેક શહેરોમાં ગુજરાતીઓગુજરાતી સમાજનામે વિવિધ રીતે ગુજરાતને અને ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે. તે રીતે  વર્ષોથી અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં પણ માતૃભાષાની સતત ઉજવણી થતી આવી છે.

હ્યુસ્ટન ગુજરાતીઓથી અને વિવિધ કલાના કસબીઓથી ધબકતું છે. પોતપોતાની રુચિ અનુસાર જુદા જુદા પ્રકારના  ગુજરાતી વર્તુળો સાથે મળીને કમાલ કરતા રહે છે. ૧૯૯૭૯૮માં જ્યારે સાહિત્યકાર શ્રી ગુણવંત શાહ આવ્યા તે પછી હ્યુસ્ટનના કેટલાંક સાચા સાહિત્ય-રસિકોના મનમાં એક નવી વિચારધારાએ જન્મ લીધો અને થોડા સમય માટે ૧૫ થી ૨૦ જણનું એકસાહિત્યપરિચયજેવું વૃંદ રચાયું. તે થોડા સમય માટે ચાલ્યું. તેમાંથી એક વાત સમજાઈ કે હ્યુસ્ટનમાં ગુજરાતી સાહિત્ય માટેના સારા કાર્યક્રમો થઈ શકે છે. ફક્ત કમી છે એક વ્યવસ્થિત સંસ્થાની. વિચારને પુષ્ટી મળી શ્રી દીપકભાઈ ભટ્ટનાઆપણો અમર વારસોનામે સાહિત્યની બેઠક થકી. તેમણે ૨૩ સપ્ટે. ૨૦૦૧માં પ્રથમ બેઠક પોતાના ઘેર રાખી. ૪૨ માણસોની બેઠક આખી રસપ્રદ રહી.

રસ જળવયેલો રહે તે હેતુથી નામાભિધાન અંગે બહુમતી દ્વારા ‘ગુજરાતી સાહિત્ય સરિતા” નામે સંસ્થાનો જન્મ થયો. તે વખતે આમ તો, ગુજરાતી સાહિત્ય સરિતા ગણ્યાં ગાંઠ્યા સાહિત્ય પ્રેમીઓનું સ્વપ્ન હતું. પણ આ સ્વપ્નને સાકાર કરવા માટે  સ્વ. ગઝલકાર શ્રી આદિલ મનસુરીએ નીચે પ્રમાણેના લક્ષ્યો કંડાર્યાં.

. ગુજરાતી કવિઓ અને લેખકોનો અમર વારસો જાળવી રાખવો.

. મહિનામાં એક વાર બેઠક યોજીને સ્થાનિક નવોદિત સર્જકોને માટે મંચ પૂરું પાડવું.

. ઉચ્ચ કક્ષાના સર્જકોને આમંત્રણ આપી, સ્થાનિક સર્જકોનું સ્તર ઉંચું લાવવા પ્રયત્નશીલ રહેવું.

. અન્ય લલિત કલાના કાર્યોમાં સહકાર આપવો.

. ગુજરાતી ભાષાનું સર્જન, સંવર્ધન, પ્રચાર, પ્રસાર અને વિકાસનો હેતુ રાખવો.

રીતે ત્યારથી માંડીને આજ સુધી એટલે કે, છેલ્લાં ૧૯ વર્ષથી સાહિત્ય સરિતા વહેતી રહી છે. તેમાં નિયમિતપણે મહિનામાં એક વાર બેઠક યોજીને સ્થાનિક સર્જકોને માટે મંચ પૂરું પાડવામાં આવે છે. એટલું જ નહિ, પરંતુ ઉચ્ચ કક્ષાના લેખકો કે કવિઓને આમંત્રણ આપી, સાહિત્યનું સ્તર ઉંચું લાવવા માટે પ્રયત્નશીલ રહે છે અને સાહિત્ય સિવાય અન્ય લલિત કલાઓમાં પણ સહકાર આપવામાં આવે છે. તેમાં લગભગ ૨૦ થી ૨૫ જેટલાં સર્જકો કવિતાઓ રચે છે, વાર્તાઓ લખે છે, નવલકથાઓ ઘડે છે, નાટકો યોજે છે, સંગીત સર્જે છે, શેરાક્ષરી રમે છે, ઉજાણી કરે છે અને રીતે ગુજરાતી ભાષાને આદર સહિત વંદે છે, એક સામૂહિક આનંદ માણે  છે.

             પ્રવૃત્તિ અને પ્રગતિનો ક્રમિક ઈતિહાસઃ 

છેલ્લાં ૧૯ વર્ષના ઈતિહાસ પર અને www.gujaratisahityasarita.org. પર વિહંગાવલોકન કરશો તો જણાશે કે, એમાં સતત પ્રવૃત્તિઓ છે, ક્રમે ક્રમે પ્રગતિ છે, છલ છલ છલકાતી સરસ્વતીની સાધના  છે અને હર કલાની સિધ્ધિ છે. એક એવો મંચ છે જેમાં સર્જક હોય કે ભાવક, સૌને માટે અવકાશ છે. દર મહિનાની બેઠકોમાં નીચે મુજબ વિવિધતા જોવા મળશે.

૨૦૦૧સપ્ટે.મહિનામાં સ્થાપના થઈ.

૨૦૦૨પ્રથમ માર્ગદર્શી મુલાકાતી નામાંકિત ગઝલકાર શ્રી અદિલ મનસુરી અને આદમ ટંકારવી હતા. તેમની હાજરીમાં સર્જન અને શિબિરપર્વની ઉજવણી થઈ. ગાંધી હોલમાં પાદપૂર્તિ હરીફાઈ પણ ત્યારે થઈ.

૨૦૦૩ફ્લોરીડાથી ડૉ. દિનેશ શાહ, ડૉ.સ્નેહલતા પંડ્યાનું આગમન.

૨૦૦૪ –  જુદા જુદા સમયે કવિ શ્રી શ્રી રઈશ મનીયાર, ચીનુ મોદી, યુકે.થી ગઝલકાર શ્રીઅદમટંકારવી અને શ્રી એહમદ ગુલ સાથે બેઠકો થઈ.

૨૦૦૫સંસ્થાના સભ્ય શ્રી વિશાલ મોણપરાએ ગુજરાતી કીપેડની શોધ કરી. એ જ વર્ષમાં. કવિ શ્રી અનિલ જોશી, ગઝલકાર શ્રી શોભિત દેસાઈ સાથે કવિ સંમેલન યોજાયુ.

૨૦૦૬ કવિ શ્રી વિનોદ જોશી સાથે કાવ્યસંધ્યા અને  તે વષે શેરઅંતાક્ષરીનો પ્રથમ પ્રયોગ  પણ થયો.

૨૦૦૭પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા સાથે વાર્તાલાપ યોજાયો. તે વર્ષે મહેન્દ્ર મેઘાણી સાથે બેઠક, રઈશ મનીઆર સાથે ગઝલ વર્કશોપ અને શ્રી જવાહર બક્ષી સાથે કાવ્ય-ગોષ્ઠી યોજાઈ.

૨૦૦૮શાંગ્રિલા આર્ટગેલેરીમાં શેરોની રમઝટ મચાવતો શેરાક્ષરીનો નવો પ્રયોગ થયો. તે ઉપરાંત વિદ્વાન શ્રી સુમન શાહ સાથે બેઠક થઈ અનેચલો ગુજરાતનાં વૈશ્વિક અધિવેશનમાં ભાગ લીધો. શ્રી ગૌરાંગ દીવેટીઆ સાથે બેઠક પણ વર્ષે યોજાઈ.

૨૦૦૯પ્રથમ શબ્દસ્પર્ધાનું આયોજન અને ગાંધીનિર્વાણ દિનની ઉજવણી રૂપે તેમની અંતિમ પળોની ઝાંખી નાટ્યરૂપે દર્શાવવામાં આવી..

૨૦૧૦વાંચનયાત્રાના વિરલ યાત્રી મહેન્દ્ર મેઘાણી સાથે બેઠક, ‘સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગ રૂપેઅનોખી મહેફિલનામે નાટક અને ગુજરાતનો ઝળહળતો દીવડોગરબાનો કાર્યક્રમ, બળવંત જાનીનું પ્રવચન અને સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’માં સાહિત્ય સરિતાના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું

૨૦૧૧દશાબ્દિ-મહોત્સવ’ બે ભાગમાંઉજવાયો,. તે વર્ષે કવિ શ્રી વિવેક ટેલર, હાસ્યલેખક શ્રી હરનીશ જાની અને વાર્તાકાર શ્રી વલીભાઈ મુસા સાથે ખાસ બેઠકો યોજાઈ.

૨૦૧૨ ખુલ્લાં આકાશ નીચે સાહિત્ય ગોષ્ઠી અને ઉજાણી કરવામાં આવી.

૨૦૧૩સામયિકતંત્રી શ્રી અતુલભાઈ શાહ સાથે તેમજ વાર્તાકાર શ્રીમતી નીલમબેન દોશી સાથે  બેઠક કરવામાં આવી. ‘ગૂગલ હેંગઆઉટનો પ્રથમ પ્રયોગ પણ થયો.

૨૦૧૪ડાયસ્પોરા સાહિત્યના સંશોધક શ્રી બળવંત જાની સાથે વાર્તાલાપ થયો. કવિ શ્રી કૃષ્ણ દવે અને શ્રી અદમ ટંકારવી સાથે કાવ્યોત્સવ યોજાયો.

૨૦૧૫શ્રી હરિકૃષ્ણ મજમુદાર સાથે બેઠક અને તે વર્ષે શ્રી રઈશ મનીઆરની હાજરીમાંસાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલકનામે પુસ્તકનું ઉદઘાટન કરવામાં આવ્યું.

 ત્યારબાદ ૨૦૧૬ થી ૨૦૧૯ દરમ્યાન કવિ શ્રી અનિલ ચાવડા, શ્રી ભાગ્યેશ જહા, શ્રી મુકેશ જોશી.શ્રી શોભિત દેસાઇ, શ્રી મહેશ રાવલ, પન્નાબેન નાયક, પ્રીતિ સેનગુપ્તા, વાર્તાકાર શ્રીમતી નીલમબહેન દોશી, ડાયસ્પોરા સાહિત્યના સંશોધક શ્રી બળવંત જાની, વગેરેએ પણ મુલાકાત લીધી. તે સૌનો ફાળો પણ અનન્ય છે. ૨૦૧૯ના વર્ષથી અન્ય ભાષાઓના પ્રતિનિધિઓને નિમંત્રણ આપવાનું કામ પણ શરૂ કર્યું છે.

સંસ્થાની બીજી એક વિશેષતા છે કે અહીં દર વર્ષે કે બે વર્ષે વ્યવસ્થાપક સમિતિ બદલાય છે. સ્વૈચ્છિક રીતે ચાહીને આગળ આવનાર જવાબદારી ઉપાડે છે, અને અન્ય સભ્યો તેમાં સાથ આપે છે. મંચ ઉપર કોઈ એકનું સામ્રાજ્ય કે વર્ચસ્વ નથી. તેથી દરેકને અવકાશ મળી રહે છે. સંસ્થા યોગ્ય વ્યક્તિઓની પરખ કરી સન્માન પણ કરે છે. ખુશીની વાત છે કે, છેલ્લાં થોડા વર્ષોથી સભ્યોની સંખ્યા વધતી રહી છે.

અહીં સહાયકો, દાતાઓ, તસ્વીરકાર, પ્રચારક, પ્રસારક, વેબમાસ્ટર, ચિત્રકાર, કલાકાર, સર્જક, વ્યવસ્થાપક, ખજાનચી, અહેવાલ લખનાર સૌ કોઈ યથા શક્તિમતિ સાથ આપે છે. સરિતા છે એટલે અવરોધો તો આવતા રહે પણ છતાં સતત વહેતી રહી છે તે મોટું સદભાગ્ય છે અને તેનું ખૂબ ગૌરવ છે. અત્રે હંમેશને માટે ગુમાવેલા કેટલાંક સારા સર્જકો જેવા કે શ્રી સુમન અજમેરી, નાટ્યકાર શ્રી ગીરીશ દેસાઈ, શ્રી અશોક પટેલ, શ્રી મહમદ અલી પરમારસૂફીને પણ સ્મરી લેવા ઘટે અને નાદુરસ્તીને કારણે કાયમ માટે પાકિસ્તાન ગયેલા એક સારા ગઝલકાર શ્રીરસિકમેઘાણી (અબ્દુલ રઝાક) ને પણ કેમ ભૂલાય?

                 ઉપસંહારઃ
તો છે હ્યુસ્ટનના આંગણે ઉગેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો; જેમાં રોજ અવનવા હસ્તે અક્ષરજળનું સિંચન થયા કરે છે, વિવિધ વિચારકિરણોના તેજ પથરાયા કરે છે અને ભાવકોની શીતળ હવા ભળ્યા કરે છે. રીતે માતૃભાષાનો છોડ લીલોછમ રાખવા પ્રયાસો થાય છે.

માતૃભાષાની કટોકટી નવી નથી, વર્ષોથી ચર્ચિત થતી આવી છે પણ નેટના નવા માધ્યમો થકી યુવાનવર્ગને ઉત્સાહિત થતાં જોઈને આંખ ઠરે છે અને આશા જન્મે છે. એક એવો પણ સમય આવશે જ્યારે અન્ય વિદેશી ભાષાઓની જેમ ગુજરાતી ભાષા જાણવા, શીખવા, ટકાવવાની ટહેલ સંભળાશે.

સાહિત્ય સરિતાના આ મંચ પરથી ઘણાંને ઘણું મળ્યું છે. વાંચન, લેખન અને રજૂઆતનો  આયાસ, પ્રયાસ અને રિયાઝ થતો રહ્યો છે, લેખન-સાધના દ્વારા શબ્દપૂજા થતી રહી છે. પરિણામે ભીતરમાં સાહિત્યનું એક વિશ્વ ઉઘડતું રહ્યું છે. કંઈ કેટલાય સર્જક અને ભાવક મિત્રો મને અને સૌને મળ્યાં છે. એકાદ વાક્યમાં કહેવું હોય તો પંખીની પાંખને વિહરવા માટે અહીં આકાશ મળ્યું છે. સાચું કહું તો  મને તો એમ લાગે છે કે જાણે ‘મને હું મળી ! ‘

सरस्वत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ
Ddhruva1948@yahoo.com
મે ૨૦૧૯.
https://devikadhruva.wordpress.com/

http://devikadhruva.gujaratisahityasarita.org/

 

 

 

.

 

ઈ-વિદ્યાલય-૫ March 13, 2019

Posted by devikadhruva in : લેખ , add a comment

કલમ શબ્દ બહુ મજેદાર છે. એ મૂળ અરબી ભાષાનો શબ્દ. લખવાનું અણીદાર સાધન એટલે કલમ. કલમ શબ્દના બીજાં પણ ઘણા અર્થો છે. તે તો જોઈશું જ. પણ તે પહેલાં એ પણ જાણી લઈએ કે  કલમ શબ્દ સંસ્કૃતમાં, ફારસીમાં અને ઊર્દૂમાં અને અંગ્રેજીમાં પણ ઉતરી આવ્યો છે. ઊર્દૂમાં ‘ક’ની નીચે મીંડું કરવામાં આવે  એટલે કે क़लम   (हिन्दी लिपि) આ રીતે લખાય.

કલમ શબ્દના બીજા અર્થો થાયઃ લખવું, જેનાથી લખાય તે સાધન,ચીતરવા માટેની પીંછી, લેખિની, બંગાળમાં થતી એક પ્રકારની ચોખાની જાત, કદંબ વૃક્ષની એક જાત, કતાર વગેરે. આ કતાર શબ્દ લખ્યો એટલે લખાણની કતાર મતલબ કે અંગ્રેજીમાં જેને કોલમ કહીએ છીએ તે થાય. મઝા આવી ને જાણવાની?

હવે કતારને અડીને પણ કેટલા બધા શબ્દ-પ્રયોગો બને છે, ખબર છે?

કલમ-કશી= સુંદર છટાદાર લખાણ કરવું તે. અહીં કલમ એ અરબી શબ્દ અને કશી એ વળી ફારસી શબ્દ.

કલમ ચોર= લખવા માટે આળસુ માણસ, કોપી કરનારો, નકલ કરનારો.

કલમ ચિત્ર = ચિત્ર જેવું સુંદર લખાણ

કલમ-ક્રિયા= જુદા જુદા બે ઝાડની ડાળીઓને કાપી એકબીજાં પર ચડાવવી.

કલમબાજ=લેખન કાર્યમાં કુશળ.

આગળના લેખમાં આપણે વાત શરૂ કરી હતી કે અલગ અલગ ભાષા અને બોલીની.

સંસ્કૃત શબ્દ ‘ભાષ’ પરથી ભાષા અને ‘બોલ’ પરથી બોલી, એમ ગુજરાતીમાં ભાષા અને બોલી શબ્દો આવેલા છે. ભાષા અને બોલી વચ્ચે તફાવત  છે.

બોલી રોજબરોજના સ્વાભાવિકપણે વપરાશના શબ્દો જે બોલાય છે તે. દા.ત. હું ઘરની વ્યક્તિ સાથે ‘પાણી આપજે ને?”એમ કહું તે મારી સ્વાભાવિક બોલી કહેવાય. પણ એ જ હું મારી ઓફિસમાં અન્ય વ્યક્તિ પાસે પાણીની માંગણી કરતા કહું કે “મને પાણી આપશો,પ્લીઝ?” તો એ મારી ઔપચારિક ભાષા બની.

ભાષા જે તે રાજ્ય કે પ્રદેશની શિક્ષણની ભાષા છે તે. જ્યારે બોલી એ કોઈ ચોક્કસ જનસમુદાય કે શહેર કે પ્રદેશમાં વસતા લોકો દ્વારા રોજિંદા જીવનમાં બોલચાલમાં બોલાતી ભાષા છે તે. તે દેશે,દેશે,પ્રાંતે,પ્રાંતે અને શહેરે શહેરે જુદી જુદી  બની જતી હોય છે. તેની ઉપર જે તે જગાની સાંસ્કૃતિક અને ભૌગોલિક રીતોની અસર પડતી હોય છે.

સાવ સામાન્ય દાખલો લઈએ તો ગુજરાતના શહેરોમાં ‘પાણી આપો’ બોલે જ્યારે ગામડાના લોકો

‘પોણી આલો ને બઈ” એમ બોલે. ભાષાને અતિ શુધ્ધ રીતે બોલતા નાગરો વળી એક વિશિષ્ટ લઢણથી “પાણી આપશો? એ રીતે માંગણી કરે! આમ.બોલી બાર ગાઉએ બદલાતી રહેતી હોય છે.

ભાષા અને બોલીનો આ તફાવત સમજવા માટે નેલ્સન મંડેલા ખુબજ સરસ વાત કરે છે. એ કહે છે કે, “If you talk to a man in a language he understands, that goes to his head. If you talk to him in his language, that goes to his heart.“ અર્થાત, “કોઈ વ્યક્તિ જે ભાષા સમજે છે તે ભાષામાં તમે તેની સાથે વાત કરશો તો તે તેના મગજ સુધી પહોંચશે, પરંતુ તમે જો તેની પોતાની ભાષામાં તેની સાથે વાત કરશો તો તે તેના હ્રદય સુધી પહોંચશે.”

આ રીતે કેટલીક વાતો બૌધ્ધિક કહેવાય અને કેટલીક વાતો લાગણીની,હ્રદયની કહેવાય. આમ, ભાષા અને બોલીનો દરિયો કેટલો મોટો છે ને? ધીરે ધીરે પગલાં મૂકીએ તો વધુ ને વધુ મઝા આવતી જાય. તેથી આજે આટલેથી અટકીશુ? ફરી પાછા કોઈ નવા શબ્દોની વધુ વાત…

દેવિકા ધ્રુવ

 

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૬૫મી બેઠકનો અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ. June 13, 2016

Posted by devikadhruva in : લેખ , 1 comment so far

 

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૬૫મી બેઠકનો અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ.

        DSC_9399DSC_9395     IMG_1344     IMG_1348

સંસ્કૃતથી સંસ્કૃતિના માણસ શ્રી ભાગ્યેશ જહાની ઉપસ્થિતિમાં,વરસાદના જોરદાર ઝાપટા વચ્ચે, ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનની ૧૬૫મી બેઠક, ૧૨મી જૂનની ભીની ભીની સાંજે યોજાઈ. પ્રાર્થના,સ્વાગત અને પરિચયની વિધિ પછી ભાગ્યેશભાઈએ સંસ્કૃતમાં “વાગર્થાવિવ સમ્પૃક્તૌ વાગર્થપ્રતિપત્તયે, જગતઃપિતર્રૌ વન્દે પાર્વતીપરમેશ્વરૌ…થી વક્તવ્યની શરુઆત સંસ્કૃતમાં જ કરી. આ કોમ્પ્યુટરના આધુનિક યુગમાં, વેબવિશ્વમાં પ્રમ્પ્ટ ધારીને બેઠેલી ચીપરૂપી સરસ્વતી દેવીના પ્રારંભથી સૌ શ્રોતાજનોને પોતાની અદભૂત વાગ્ધારાના પકડમાં લઈ લીધા.

કવિતાની શરુઆત, વિદ્વાન પિતાની યાદો સાથે, આજના વરસાદી વાતાવરણને જોડી એક ગામડાના વરસાદના માહોલને તાદૃશ કરી મઝાની કવિતા સંભળાવી કે “તમે વરસાદે કેમ કદી મળતા નથી, તમે મેઘધનુષની જેમ કેમ મળતા નથી”. કવિતા વેદનામાંથી આવે છે એવા કથન સાથે એક વ્યંગ-કાવ્ય રજૂ કર્યું કે; “અમે તો એક્ટિવિસ્ટો,….. ટવીસ્ટ કરી ગાવું એ જ અમારો મેનીફેસ્ટો”!

ત્યારબાદ પોતાના વોશિંગ્ટનના અનુભવોને યાદ કરતા, ‘જ્યોર્જ વોશિંગ્ટન તમારા મહામેટ્રોની જય હો’ કહી ‘સલામ વોશિંગ્ટન’ની કવિતા રજૂ કરી. એ જ ભાવને મહેસાણાની ભાષામાં “મારું હારું મેટ્રો નામનું ગાડું,ફટાક દૈને ડાઉનટાઉન પોંક્યું,જબરુ હારું ગાડું..આ  વાતના અનુસંધાનમાં એક ખેડૂતની ભાષામાં પણ હમજ્યો મારા દિયોર,ખરા બપોરે ચ્યોંથી આયા મારા દિયોર” એવી હળવી રચના સંભળાવી શ્રોતાજનોને હસાવ્યા.

મઝાથી મહાલતા અને રજૂઆત કરતા આ કવિએ બે-ત્રણ પારિવારિક કાવ્યો “ દીકરી રંગોળી દોરે છે” અને પિતાના મૃત્યુ ટાણે “મૃત્યુ ખોલે છે એક અજાણી બારી” રજૂ કરી સભાગૃહને લાગણીભીના કરી દીધા. તો પત્ની અંગેનું કાવ્ય “ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા, આપણે માધ્યમ વિના મળતા રહ્યા”પણ ખૂબ જ સુંદર રીતે સંભળાવ્યું. ‘એન આર આઇ’ નું એક ગીત “તમે અહીંથી ના જાઓ તો સારું રહે, કે જળને વહેવાનું એક કારણ રહે..પ્રસ્તૂત કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા.

ત્યાર પછી જેની સૌથી વધુ રાહ જોવાતી હતી તે ચિતોડગઢની વાતને યાદ કરી આ માધવ અને મૂરલીના મોહક કવિએ  ભાવભેર “ મેં તો ઝેરનો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!’  અને ‘આરપાર, આસપાસ અઢળક ઊભો છું, તમે પાછાં વળીને મને કળજો, તમે મીરાંની જેમ મને મળજો”  અને “SMS કરવાનું બંધ કરો શ્યામ ! હવે રૂબરૂમાં આવવાનું રાખો. વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે,મોરલી મોબાઇલ જેવી રાખો.” વાળી તેમની જાણીતી કવિતાઓ રજૂ કરી સૌની વાહ વાહ મેળવતા રહ્યાં.

છેલ્લે, ગાંધારી નામના હાલ લખાઈ રહેલા પોતાના નાટકના પ્રોજેક્ટની માહિતી, કાલિદાસના મેઘદૂત,રઘુવંશનો થોડો અછડતો ઉલ્લેખ,, સંસ્કૃતમાં લખેલા ગરબાની ઝલક અને શ્રી નરેન્દ્ર મોદી સાથેના કામના સંસ્મરણોની વાતો પણ કરી. શ્રોતાજનોના કેટલાંક પ્રશ્નોના ઉત્તરો આપ્યા પછી શ્રી ભાગ્યેશભાઈએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. સાહિત્ય સરિતા તરફથી આભાર વિધિ અને આગામી કાર્યક્રમની જાહેરાત કર્યા બાદ સભા સમાપ્ત થઈ. બે કલાક ચાલેલી આ રસપ્રદ બેઠક પછી સૌ સભાજનો અલ્પાહારને ન્યાય આપી વિખેરાયા.

આમ, બહુમુખી પ્રતિભા ધરાવતા એક કાબેલ અને કુશળ તથા માધવ અને મોરલીના કવિ સાથે ગાળેલી આ સાંજ, સાહિત્ય સરિતાના પાના પર એક સુગંધિત મોરપીંછ સમી મહેંકી રહી. પંદર-સોળ વર્ષથી ચાલતી હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના અહોભાગ્યમાં એક વધુ ઉમેરો થયો. અંતે ગુજરાતી સાહિત્ય એકેડેમી સાથે આ ગૌરવવંતી સંસ્થાના સંધાનની આશા સાથે અહીં વિરમીએ.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ

જુન ૧૩, ૨૦૧૬

વિશાલ મોણપરા-ગુજરાતીઓની શાન… September 18, 2013

Posted by devikadhruva in : લેખ , 1 comment so far

 

 

નેટ-જગતના ગુજરાતી-વિશ્વમાં આજે જેમનું નામ અજાણ્યું નથી એવા વિશાલ મોણપરાની થોડી વાતો કરીશું. વિશાલ મોણપરા એટલે શાંત અને શરમાળ, વિનયી અને વિવેકી. નમ્ર અને નિરાભિમાની. ધર્મ અને સાહિત્ય-પ્રેમી. તેમને કામ સાથે કામ. બોલાવો તો પરાણે થોડું બોલે પણ કામ, સતત બેસુમાર કરે. એમની સિધ્ધિઓને બિરદાવીએ તે પહેલાં જરૂર કહેવાનુ મન થાય કે વિશાલ એટલે ગુજરાતીઓ માટે વરદાન, હ્યુસ્ટનનું અભિમાન અને ગુજરાતી ભાષાનું આશાસ્પદ સ્થાન. 

પોતાનો પરિચય આપતા http://www.vishalon.net પર નમ્રતાપૂર્વક એ માત્ર આટલું જ લખે છે કે, 

“I am Vishal Monpara. I am a Microsoft certified technology specialist and working in Houston, TX. I am proud volunteer of Bochasanvasi Shree Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS). Unique combination of inspiration from my spiritual guru HDH Pramukh Swami Maharaj, love to Gujarati and technical skills led me to develop various Indian language tools.” 

કેટલી સરળતા અને સહજતા ! 

આપની જાણકારી માટે આ રહ્યા વિશાલનાં નોંધનીય કાર્યો– 

૧) પ્રમુખ ટાઇપ પેડ.. 

૨) સ્પેલ-ચેકર ઇન ટાઇપ પેડ.. 

૩) શબ્દસ્પર્ધાનો સોફ્ટવેર. 

૪)કન્વર્ટર કે જેમાં ગુજરાતી ભાષાના વિવિધ ફોન્ટને યુનિકોડમાં ફેરવવાની સવલત આપી. યુનિકોડમાંથી અન્ય ફોન્ટમાં પણ બદલી શકાય છે. આ પ્રોગ્રામમાં પબ્લીશરનો ઘણો સમય બચતો હોય છે. 

૫) હાલ સ્પેલચેકર માટે શબ્દ-ભંડોળ વધારી રહ્યા છે. સાર્થ જોડણીના બધા જ શબ્દો તે સ્પેલચેકરમાં લાવવા કટીબધ્ધ છે. 

૬) ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના વેબ પેઇજ પર એક સાથે ૩૫ જેટલાં સર્જકોને તેમના સ્વતંત્ર બ્લોગ આપ્યા. 

૭) જોડણી પર એ વિશેષ ભાર મૂકે છે.માતૃભાષા એ ગૌરવ અને સંસ્કારનો વિષય છે.બીજી પેઢી સુધી તેને લઇ જવાનો પ્રયત્ન સાચા હ્રદયથી નથી થતો તેમ તે માને છે અને તેથી તે માટે તે ટેક્નીકલ સંશોધનો કરી જાળવવા મથે છે. 

પ્રમુખ આઇ.એમ.ઈ.ને તેમણે વધુ સુસજ્જ કર્યું છે અને તેના ઉપયોગથી ૨૦ ભારતીય ભાષાઓમાં કંપ્યુટરમાં ટાઇપીંગ શક્ય બન્યુ છે. ડિસેમ્બર ૨૦૦૯માં આ સોફ્ટવેરની આવૃત્તિ ૧.૧ તેમણે બહાર પાડેલી અને નવી આવૃત્તિ ૨.૦ તેમણે ૧૫ ઑગષ્ટ ૨૦૧૩માં બહાર પાડેલ છે. આ સમયગાળા દરમ્યાન આ સોફ્ટવેરમાં કરેલાં ફેરફાર વિષે તે જણાવે છે કે, “ પ્રમુખ આઇ.એમ.ઈ.ની જૂની આવૃત્તિ એ લિપિ પર આધારિત હતી જેથી હિન્દી,મરાઠી,સંસ્કૃત વગેરે ભાષાઓના ટાઇપીંગ માટે દેવનાગરી લિપીના યુનિકોડ વપરાતા હતા.પરંતુ સૌથી મોટી તકલીફ એ હતી કે આ દરેક ભાષાઓમાં દેવનાગરી લિપીના અમુક યુનિકોડ વપરાતા ન હતા. વળી દરેક ભાષાઓના ટાઇપીંગના નિયમોમાં પણ થોડીક ભિન્નતા હતી. પ્રમુખ આઇ.એમ.ઈ.ની નવી આવૃત્તિમાં લિપીની જગાએ દરેક ભાષામાં ટાઇપીંગ શક્ય બન્યું છે કે જેથી દરેક ભાષાઓમાં વપરાતા અક્ષરોનો જ જે તે ભાષામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને અલગ અલગ ભાષાઓના ટાઇપીંગના નિયમોની ભિન્નતાને પણ આવરી લેવાયા છે.તેનાથી ટાઇપીંગ કરવાનું પણ આસાન બન્યું છે. 

આ ઉપરાંત દરેક ભાષાઓમાં ભારતિય રૂપિયાનું ચિન્હ અને સ્વસ્તિકનું ચિન્હ પણ આવરી લેવાયું છે. પહેલાં વિવિધ મૅનુનો ઉપયોગ કરવા માટે માઉસ વાપરવું પડતું હતું અને ટાઇપીંગની ઝડપ ઓછી થઇ જતી હતી. નવી આવૃત્તિમાં કીબોર્ડના શોર્ટકટની મદદથી માઉસ વગર પણ વિવિધ મૅનુનો ઉપયોગ શક્ય બન્યો છે અને ટાઇપીંગની ઝડપ જળવાઇ રહે છે.” 

માત્ર ગુજરાતી ભાષા માટે પ્રમુખ આઇ.એમ.ઈ.માં કરેલાં ફેરફાર વિષે તેઓ જણાવે છે કે, 

“ગુજરાતી ભાષામાં પહેલેથી જ ટાઇપીંગના મોટાભાગના નિયમો સાચા હોવાથી તેમાં મોટો ફેરફાર કર્યો નથી.પરંતુ લોકોના પ્રતિભાવના આધારે થોડા સુધારા કરવામાં આવ્યા છે.દા.ત. પહેલાં ‘છ’ લખવા માટે Ch ટાઇપ કરવું પડતું હતું.પરંતુ હવે તેને chh કે Ch બંને વડે લખી શકાય છે. વળી અન્ય ભારતિય ભાષાઓ સાથે તાલ મેળવવા માટે ‘જ્ઞ’ ને Gn કે Gy બંને વડે લખી શકાય છે. આ ઉપરાંત ભારતિય રુપિયાનું ચિન્હ પણ ઉમેરાયું છે.” 

વાચકોને એ વિદિત થાય કે, પ્રમુખ આઇ.એમ.ઈ કોઇપણ વ્યક્તિ વિશાલ મોણપરાની વેબસાઇટ http://vishalon.net પરથી નિઃશુલ્ક ( ફ્રી ) ડાઉનલોડ કરીને વાપરી શકે છે. 

ઑગષ્ટ ૨૦૧૩ સુધીમાં કુલ ૮૮,૫૦૦ વખત આ સોફ્ટવેર ડાઉનલોડ થયેલ છે. જાન્યુઆરી ૨૦૦૫થી ઑગષ્ટ ૨૦૧૩ સુધી ૨,૩૦૦ કલાક કરતાં પણ વધારે સમય આ વિવિધ નિઃશુલ્ક ( ફ્રી ) સોફ્ટવેર બનાવવામાં ફાળવીને તેમણે માત્ર ગુજરાતી જ નહિ પણ ભારતિય અન્ય ભાષાઓની પણ અનન્ય સેવા કરી છે. 

વિશાલ વિશે શ્રી પી.કે દાવડાએ ગુજરાતના બે બ્લોગ-રત્નો- માં સવિશેષ વાત કરી છે. 

તો શ્રી વિજય શાહે વિશાલ મોણપરાની એક વધુ સિદ્ધિ અને ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે જરુરી શબ્દભંડોળ માટેનો પ્રોગ્રામ – વિશાલ મોણપરા દ્વારા યોગ્ય મૂલવણી કરી છે.વિવિધ સમાચાર પત્રોમાં પણ તેમના કાર્યોની નોંધ લેવાઇ છે. 

આ ઉપરાંત વિશાલની એક છૂપી ખુબી એ છે કે તે્મણે ૨૦૦૫ થી ૨૦૦૭ સુધીના ગાળામાં ગઝલ અને પદ્યરચનાઓ પણ કરી છે અને હાલ પણ સમયની અનુકુળતાએ એ મસ્તી માણે છે. 

આ રહ્યા કેટલાંક નમૂના ઃ 

ફાયર એલાર્મ સાંભળ્યો 

અને હું રૂમની બહાર નીકળી ગયો.. 

ત્યારે એક વિચાર આવ્યો. 

તેં મારા દિલમાં લગાડેલી પ્રેમની 

આગનો ફાયર એલાર્મ વાગ્યો 

એ તે સાંભળ્યો હશે? 

 ********************************

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે? 

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
********************************

થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા.. 

અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી….. 

************************************************

દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે? 

પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે? 

એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં 

બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે?
******************************************

પારખ્યા છે ઘણા લોકો, બધા કથીર હોય છે.. 

આંગળીના વેઢે ગણાય એટલા જ વીર હોય છે.. 

એ જ વ્યક્તિ જીવનમાં આગળ નિકળે છે.. 

જેમાં હિંમત ખરી, સાથે થોડી ધીર હોય છે.
********************************************************

આમ, વિશાલના દિલ અને દિમાગ બંને ટેલેન્ટેડ છે !!!!  

છેલ્લે, ફરી એક વાર મારા શબ્દોને દોહરાવીશ કે,વિશાલ એટલે ગુજરાતીઓ માટે વરદાન, માત્ર હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાનું જ નહિ પણ સમગ્ર હ્યુસ્ટન શહેરનું અભિમાન અને ભવિષ્યની નવી પેઢી માટે ગુજરાતી ભાષાનું આશાસ્પદ સ્થાન. ધરતી આવા સિતારાઓથી ચમકતી રહે એ જ ધન્યતા.

 

અસ્તુ.

 

દેવિકા ધ્રુવ

 

યાદગાર ક્ષણો September 5, 2013

Posted by devikadhruva in : લેખ , add a comment

ઑગષ્ટ ૨૯

લાંબા વિરામ બાદ ફરી એક વાર…

વચગાળામાં સાબરમતીમાં ઘણા પાણી વહી ગયા ! ( તાજી તાજી અમદાવાદથી પાછી વળેલ લાગુ છું ને ?) પરિવારના માઠા સમાચારને કારણે અચાનક જ ભારત જવાનું થયું. ઉનાળાના વેકેશનને કારણે એરલાઇન ખાસ્સી ભરચક રહી, પાછા આવવા માટે ધારી ટિકિટ ન મળી શકી. પણ એને પરિણામે કેટલાંક સાહિત્યકારોને મળવાનો અલભ્ય મોકો મળ્યો.

શરુઆત થઇ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર શ્રી નારાયણ દેસાઇથી. દર વખતે ભારતની મુલાકાત દરમ્યાન તેમને મળવાના યોગો અનાયાસે જાગે જ છે. મુક્તિબેન મજમુદારનું કુટુંબ એટલે મારી છત્રછાયા. નારાયણ દેસાઇનો પણ એ ઘેર જ મુકામ. તેમના તમામ એવોર્ડ પણ ત્યાં જ હોય. આ વખતે પણ એ રીતે એ ઘરમાં જ તેમને શાંતિથી મળવાનું બન્યુ. મને યાદ છે ૨૦૦૯માં મારા પ્રથમ પૂસ્તક ‘શબ્દોને પાલવડે’ની પ્રથમ કોપી પણ તેમને જ આપવા સદભાગી બની હતી અને આ બીજી ઇબૂક ‘અક્ષરને અજવાળે’ને પણ એ જ સદભાગ્ય સાંપડ્યુ. આ રહી એ ધન્ય ક્ષણો..

ન..દેસાઇ     ન..દેસાઇ-૨

ગાંધીકથાના પ્રખર હિમાયતી પૂજનીય શ્રી નારાયણ દેસાઇ સાથે-જુલાઇ ૨૦૧૩.

બીજી એક સુખદ ઘટના બની “બુધસભાની”. ૨૦૦૯ની સાલમાં કવિ શ્રી યોસેફ મેકવાન નો પરિચય થયેલ. આ વખતે જ્યારે યોસેફ્ભાઇ સાથે ફોન પર વાત ચાલી રહી હતી ત્યારે જોગાનુજોગ ગુજરાત વિદ્યાપીઠના પ્રેસીડેન્ટ અને ‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુભાઇ પરીખ ત્યાં બેઠેલા હતા. યોસેફભાઇએ તેમને ફોન આપતા વાતચીતનો મોકો મળ્યો અને તે પછી તો તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત પણ ગોઠવાઇ. લગભગ કલાક-દોઢ કલાક જેટલો સમય આ બંને મહાનુભાવો સાથે યોસેફભાઇના ઘેર સાહિત્યગોષ્ઠીમાં ગાળ્યો.એટલું જ નહિ, બીજા દિવસની બુધસભા માટેનું આમંત્રણ પણ મળ્યુ.

BUDH SABHA JULY 2013 (PART_01)

Watch this link. http://youtu.be/E9hzWslr-0Y.

ધિરુભાઇ-૨

( ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રેસીડેન્ટ શ્રી ધીરુભાઇ પરીખ,દેવિકા ધ્રુવ અને કવિ શ્રી યોસેફ મેકવાન. જુલાઇ ૨૦૧૩. )

બુધસભા વિષે વર્ષોથી ઘણી વાર ઘણું બધુ સાંભળ્યું હતુ અને ‘કુમાર’માં અવારનવાર વાંચ્યું પણ હતુ. તો પણ આજે બુધ સભા વિશે થોડું સવિશેષ લખવાનું મન થાય છે.તેના ઘણા કારણો છે. સૌથી પ્રથમ તો તેનું આયોજન ખુબ જ શિસ્તબધ્ધ, સમયસર અને મુદ્દાસર હોવાથી હું ખુબ જ પ્રભાવિત થઇ. બીજું, સાહિત્યનો એક એવો સરસ માહોલ રચાય છે જે અતિશય આનંદ આપે છે. બરાબર સાતના ટકોરે ભાઇ શ્રી મનીષ પાઠકે કાર્યક્રમની શરુઆત કરી અને ક્ષણના પણ વિલંબ કે બિનજરૂરી વાતોમાં સમય વેડફ્યા વગર,એક પછી એક સર્જકો આવતા ગયા અને પોતાની કૃતિઓ રજૂ કરતા ગયાં. મધુસૂદન પટેલ,ગુંજન ગાંધી, રાધિકા પટેલ,દક્ષા પટેલ અને પ્રવીણ પટેલે પોતપોતાની એક એક કૃતિ રજૂ કરી જેમાં ગીત,ગઝલ અને અછાંદસનો સમાવેશ હતો. શ્રી ધીરુભાઇએ, વિદેશમાં ગુજરાતીને સાચવવાની અને વિક્સાવવાની પ્રવૃત્તિઓની સરસ કદર કરતાં, મારી સવિશેષ ઓળખાણ આપી અને બે સ્વરચના વાંચવાનું ઇજન આપ્યું. મેં મારી ખુબ જ માનીતી રચના ‘શતદલ’ અને ‘પૃથ્વી વતન કે’વાય છે’ એ બંને રચનાઓ રજૂ કરી. બુધસભામાં કાવ્યપઠનનો આનંદ તો થયો જ પરંતુ અન્ય સર્જકોને સાંભળવાનો અનેરો લ્હાવો પણ મળ્યો એ મારે મન બહુ મોટી વાત બની ગઇ..

ત્યારપછી મહાન કવિની અમર રચના’નીરખને ગગનમાં’ના શબ્દે શબ્દનો રસાસ્વાદ ધીરુભાઇના મુખે,મનભાવન રીતે સાંભળતા સાંભળતા ઘણી બધી જૂની સ્મૃતિઓ તાજી થતી ગઇ. ( BUDH SABHA JULY 2013 (PART_02) http://youtu.be/f2Yq0w3-wJc ) ઘડીભર માટે એચ.કે આર્ટ્સ કોલેજના વિશાળ સભાખંડમાં યશવંત શુક્લ,નગીનકાકા ( નગીનદાસ પારેખ ) કે મધુસુદન પારેખના ગુજરાતીના વર્ગમાં હોવાનો રોમાંચ અનુભવ્યો. તેમનો બુલંદ અવાજ અને હળવી રસાળ વાણી સાંભળીને ધન્યતા અનુભવી.આ યાદગાર પ્રસંગની ખુશીનો આખો યે યશ યોસેફભાઇને અને આભારનો ભાર, નતમસ્તકે શ્રી ધીરુભાઇને આપુ છું.

તે પછી ઉડન ખટોલાની જેમ, “stop by” થવા આવું છું અને ઘેર ન હોવ તો પુસ્તક ‘drop-off’ કરીને જતી રહીશ’  એવી રીતે નેટ અને વેબ ગુર્જરીના શ્રી જુ.કાકાના નામથી ખ્યાતનામ  જુ.ભાઇશ્રી જુગલકિશોર વ્યાસને પણ અલપઝલપ મળી લીધું.તેમની ઇચ્છા તો હતી કે થોડા સાહિત્ય-પ્રેમીઓને એક્ઠા કરી શાંતિથી મળીએ.પણ પ્રખર ગરમી અને સાંબેલાધાર સતત વરસાદને કારણે સંગઠનની અનુકૂળતા ન મળી શકી. છતાં એ ટૂંકી મુલાકાત દરમ્યાન (૧)ભાષાશુધ્ધિનો તેમનો આગ્રહ અને (૨) ગુજરાતી કીબોર્ડના સંશોધક આપણા હ્યુસ્ટનના લાડીલા વિશાલ મોણપરાના બહુમાનની એમ બે મુખ્ય વાતો ભારપૂર્વક કરી.

અમદાવાદના ૩૬ દિવસના રોકાણમાં માંડ ૬ દિવસ વરસાદ વિનાના હતા તેમાંના એક દિવસનો લાભ લઇ વડોદરાની મુલાકાત લીધી.ઘણાં વખતથી ‘રીડગુજરાતી’ના સ્થાપક અને સર્જક મૃગેશ નવયુવાન મૃગેશ શાહને મળવાની ઇચ્છા હતી. અવારનવાર ફોન,ઇમેઇલ વગેરે માધ્યમો દ્વારા મળવાનું બનતુ. પણ આ વખતે પ્રત્યક્ષ મળતાં સાહિત્ય અને ગુજરાતી ભાષા અંગે ઘણી વાતો થઇ. એ કહે છે કે, “રીડગુજરાતીનો મુખ્ય ઉદ્દેશ છે યુવાવર્ગ સુધી એવા પ્રકારનું સાહિત્ય પહોંચાડવાનો કે જે તેમને આપમેળે વાંચતા કરી દે. સૌને પોતાના જીવનનું પ્રતિબિંબ એમાં દેખાય. એક એવા પ્રકારનું વાંચન જે સૌના મનને અનેરી તાજગી અર્પે. આ હેતુથી આ વેબસાઈટ પર રોજ નિયમિત રૂપે બે ચૂંટેલા લેખો પ્રકાશિત કરવામાં આવે છે.” યુવાનવયે ભાષાનો ભેખ ધરીને બેઠેલા,રાત દિવસ સતત માત્ર આ જ કામમાં મગ્ન અને એકલે હાથે ઝઝુમતા આ નવયુવાનને અંતરથી સલામ.

આવા જ એક બીજા વેબમિત્ર મળ્યા જીગનેશ જિજ્ઞેશ અધ્યારું. ‘અક્ષરનાદ’ પર ધૂમ મચાવતા આ સાહિત્યપ્રેમી પણ મળવા જેવી વ્યક્તિ છે. અક્ષરનાદને એ લેખન,વાંચન અને ભ્રમણ એમ ત્રણે પ્રવૃત્તિનું સંગમ સ્થાન ‘પ્રયાગ’ તરીકે ગણાવે છે.અક્ષરના માધ્યમથી અંતરના નાદ તરફ દોરી જતી આ પ્રવૃત્તિ તેમની મનગમતી વાત છે. વેબમિત્ર તરીકે મેં જ્યારે ફોન પર “તમારા ગામમાં છું’નો ટહૂકો કર્યો ત્યારે ‘મહુવા કે વડોદરા? ના આશ્ચર્યોદ્ગાર પછી ઉમળકાભેર સ્વાગત કર્યું અને યોગાનુયોગે તે દિવસે ત્રણ મહિના પછીની તેમની એ વડોદરાની ટૂંકી મુલાકાત હતી ! જેમાં પરસ્પર આ મોકો મળી ગયો. વિચારું છું; વેબવિશ્વે કેટલું સર કર્યું અને કરાવ્યુ !!

વડોદરાની ત્રીજી એક વ્યક્તિ કે જે કમ્પોસર અને ગાયક બંને છે તેમને ખાસ મળવાનો મારો ઉદ્દેશ હતો. નામ શ્રી કર્ણિક શાહ. ૨૦૧૨માં ફ્લોરી્ડાના પોએટ્રી ફેસ્ટીવલ દરમ્યાન પરિચય થયો. ડો.દિનેશ શાહ અને અન્ય કવિઓના તેમણે કમ્પોઝ કરેલાં ગીતો અને ગઝલો તેમના પોતાના જ કંઠે ત્યારે સાંભળવા મળ્યા હતાં. તે પછી મારા કેટલાંક ગીતો અને ગઝલો તેમણે કમ્પોઝ કર્યા છે જે મારે મન આનંદનો વિષય છે. વડોદરાના તેમના રેકોર્ડીંગ સ્ટુડીઓમાં, મારા શબ્દોને સૂરબધ્ધ થઇ વહેતા સાંભળવાની એ ક્ષણો પણ યાદગાર જ રહી.

એક જ દિવસના વડોદરાના માત્ર ચાર-પાંચ કલાક જેટલાં ટૂંકા સમયગાળામાં જેમને કારણે આ બધું શક્ય બન્યું તેમનું તો સદાનુ ૠણ ! તાજેતરમાં ‘અહમથી સોહમ્ સુધી’ જેવા ઉચ્ચ,આધ્યાત્મિક વિષય પર અતિ સરળ અને સહજ ભાષામાં લખનાર નિકટના મિત્ર ભોન્ડેશ્રી વિલાસ ભોંડેનો, આ તબક્કે, જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. કેટલીક વ્યક્તિઓ જીવતરના ગોખલે હંમેશા ઝગમગતી રહે છે.

યુ એસ એ.નીકળવાના દિવસે વળી ગુજરાતી સાહિત્ય એકેડેમી, ગાંધીનગરની મુલાકાત લીધી. ‘ગુજરાતી સાહિત્યકાર કોશ’ ઉપલબ્ધ કરી અને ગુ.સા.એ.ના મહામંત્રી તથા ‘શબ્દસૃષ્ટિ’ના  કવિ,વાર્તાકાર અને તંત્રી શ્રી હર્ષદ ત્રિવેદીને પણ મળવાની તક ઝડપી. તેમની પાસેથી મનોહર ત્રિવેદી સંપાદિત કવિ શ્રી કિસન સોસાના ગીતોનો સંચય ભેટ તરીકે મળ્યો અને મારી ’અક્ષરને અજવાળે’ બૂક અવલોકનાર્થે શ્રી હર્ષદભાઇને આપી. સાહિત્યરસિક વ્યક્તિઓ સાથેની આ થોડી થોડી ક્ષણો આનંદસભર અને યાદગાર લાગે જ.

તો આ હતી મારી ખોબોભર ખુશી અને ગમતાનો ગુલાલ. કલમ શબ્દ અર્પે છે, શબ્દ કલા જગવે છે, કલા સર્જન કરે છે અને સર્જન સંબંધોનો સેતુ બને છે. કદાચ આનું જ નામ જીવન હશે કે જીવંત ચૈતન્ય હશે ! આ દિવસો દરમ્યાન કુદરતે પણ વરસવામાં માઝા મૂકી હતી. અવિરત વરસાદ પડ્યો હતો પણ ક્યાંય નડ્યો ન હતો ! એ પણ કેવો સુયોગ…ઋણાનુબંધ ! પરિવારના માઠા સમાચારથી અચાનક જ આરંભાયેલી આ અનાયોજીત યાત્રા ( કે યાતના ) મહદ્ અંશે સંકેતપૂર્ણ રહી.

बलियसी केवलम इश्वरेच्छा.

અસ્તુ.

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.