jump to navigation

રસદર્શન..ગઝલઃ બાકી છે.. June 30, 2021

Posted by devikadhruva in : ગઝલ,રસદર્શન , add a comment

ગઝલ “બાકી છે”– દેવિકા ધ્રુવ

જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે?
ઘણી વીતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે. 

 

જમાનો કેટલો સારો, બધું સમજાવતો  રે’છે!
દીવા જેવું બતાવે લો, કહો ક્યાં, શર્મ બાકી છે ! 

 

સદા તૂટ્યાં કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો.
સતત મંદિરની ભીંતો કહે છે ‘ધર્મ બાકી છે.’ 

 

ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે,
મથે છે રોજ તો ઈન્સાન પણ, હાય,  દર્દ બાકી છે. 

 

જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ,
ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે.

 

-દેવિકા ધ્રુવ

****************************************

રસાસ્વાદ- ગઝલકાર શ્રી સતીન દેસાઈ ‘પરવેઝ’

અસ્તિત્વના વાસ્તવને ધ્રુવ તારા સમા ઝબકારે પરોવતા દેવિકા ધ્રુવ હ્યસ્ટન અમેરિકાથી ઉપરોક્ત ગઝલ મને હસ્તગત કરાવે છે.

“જીવન કે મોત વિશે ક્યાં કશો યે અર્થ બાકી છે?
ઘણી વીતી, રહી થોડી, છતાં યે મર્મ બાકી છે.” 

અનાદિકાળથી વહી જતો સમય જીવન અને મોતના બે ધ્રુવ ખંડમાં વિભાજિત થઈ એની રહસ્યલીલા કરે છે. જે વિશે આપણી બુધ્ધિ અભણ સાબિત થાય છે. જ્યારે  એને ખોલતું ચૈતન્ય જવલ્લે જ કોઈ દૈવી જીવને હસ્તગત થાય છે.એટલે જીવન અને મોતના તાદ્રશ્ય વાસ્તવમાં રાચતા જીવ પાસે ઉપરોક્ત ઉદગાર સિવાય અન્ય ક્યાં કોઈ વિકલ્પ હોય છે? હા.એના સંતોષ ખાતર હજી એ બેની વચ્ચે એના હોવાનો જે મર્મ અકબંધ છે..એને આ કવયિત્રીએ આમ કહી ખોલી આપ્યો છે. 

“ઘણી વીતી,રહી થોડી, છતાં યે મર્મ બાકી છે.” 

ખરા અર્થમાં અસ્તિત્વનું હોવું જ  અકળ સમજણના પડદાઓને ચીરી ડોકિયાં કરવાની નિરર્થક મથામણ જ છે. એથી જ ઉર્દૂના શાયર ફાની બદાયુની આમ કહે છે. 

“ઈક મુઅમ્મા હૈ, ન સમજને કા,ન સમજાને કા.
જીંદગી કાહે કો હૈ ખ્વાબ હૈ દીવાને કા.” 

અર્થાત..જીંદગી એક એવી પહેલી છે જે સમજી કે સમજાવી શકાતી નથી. 

“જમાનો કેટલો  સારો, બધું સમજાવતો રે’ છે,
દીવા જેવું બતાવે લો, કહો ક્યાં શર્મ બાકી છે.” 

શેરમાં વક્રોક્તિ નિરૂપણ જ્યારે અનુભૂતિ આવરણને ઉતારી સન્મુખ થાય છે.ત્યારે જીવન વિશેનું જે શર્મનાક ચિત્રણ ખડું થાય છે.એ ઉપરોક્ત  શેરમાં અનુભવી શકાશે. આમ તો જમાનો એની કનિષ્ઠતાનો જ દીવો ધરી આપણને અજવાળવાની જગાએ દઝાડે છે. પણ આ દાહને પણ સકારાત્મક ઝીલતા આ કવયિત્રી જમાનાનું ઋણ સ્વીકારતા કહે છે કે એ રીતેય એ આપણી આંતર દૄષ્ટિ ઉઘાડી આપણને એહસાસ કરવા કહે છે કે એમાં પ્રવર્તમાન બેશરમ એની પરાકાષ્ટાએ હોય છે.એની સામે બાઅદબ વર્તનાર વ્યક્તિ તો મારા આ શેર જેમ આમ જ કહેશે.  

“ઓ અદબ આ આગવું પ્રમાણ જોઈ લે. 

ઊંચકે  નકાબ  એ, ને  લાજિયેં  અમે .”        સતીન દેસાઈ “પરવેઝ” દીપ્તિ”ગુરૂ” 

કવયિત્રી હવે પછીના શેરમાં ધર્માધંતાને મુખરિત કરવા નવ્યશૈલીમાં મંદિરની નિશ્ચેત દીવાલોમાં શ્રધ્ધાનું તત્વ પરોવે છે. આમ તો દીવાલ એ શ્રધ્ધા કરતા નડતરનું જ કાવ્યાત્મક પ્રતીક છે. પણ કવયિત્રીએ મંદિરની દીવાલો હોવાથી એને પ્રાણવંત કરવા મથે છે..પણ એ દીવાલોમાં નિત્ય ભાંગતી ભક્તિ શ્રધ્ધાને બચાવવા જાણે એ જ દીવાલો પુનઃ એ શ્રધ્ધા મંત્ર ફૂંકે છે “હજી સુધી તો ધર્મ ક્યાં મરી પરવાર્યો છે?” આમ આ શેરની બે પંક્તિઓમાં દીવાલ અને ભીંત સમાનાર્થી શબ્દનો કવયિત્રીએ શ્લેષ ઉપજાવી શેરને મમળાવતો કરી દીધો છે. 

સદા તૂટ્યા કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો,
સતત મંદિરની ભીંતો કહે છે ” ધર્મ બાકી છે.”

 ‘બાકી’ રદીફ નિરૂપી આ કવયિત્રી આપણને જે કંઈ તત્વ હજી યે સલામત અને હાથવગું છે .એને જ માણી સકારશૈલીમાં નિર્વાહિત થવા માટેની પ્રેરણા આપે છે.જેને સમર્થન આપતો ચોથો શેર ખુશી, શાંતિ અને પ્રીતિના ત્રિગુણિયલ અભાવમાં પણ દર્દની અમીરાઈએ આપણને જાહોજલાલી માણવા માટે આમ હાકલ દે છે.  

“ખુશી શાંતિ અને પ્રીતિ ત્રણેની છે અછત અત્રે,
મથે છે રોજ તો ઈન્સાન પણ હાય દર્દ બાકી છે.”

 ઉપરોક્ત ત્રણ સંતૃપ્તિકારક તત્ત્વ કાજે મથતો માનવ એની દર્દની મૂડી જાળવી શક્યો છે..એ જ એનું અહોભાગ્ય ગણાય.

 કવયિત્રીએ ઉપરોકત ગઝલના કાફિયાઓ જેવા કે અર્થ, મર્મ કે શર્મ વિગેરેમાં અર્ધ  રકારના જ રણકારે અસ્તિત્વના સારત્વને ઝણઝણાવ્યું છે. અંતે માનવની મિથ્યા કર્મફલિતાની અભિલાષા વિશે સર્વ વિદિત એવી ગીતાના કર્મ અધ્યાયની જ આકાશ વાણી આ કવયિત્રી અંતિમ શેરમાં ચૌદમા ભવનની ચિત્રાત્મકતામાં જ હાસ્યાત્મક રીતે રેલાવે છે. ચાલો, શેર જોઈએ. 

“જુએ છે કોક ઊંચેથી હસી ખંધુ, કહી બંધુ, 

ફળોની આશ શું રાખે હજી તો કર્મ બાકી છે.” 

  આસમાની ચરમનો એ દૄષ્ટા અમાનવીય કર્મિતા પર જે પ્રકારના માર્મિક કટાક્ષ કરતા હોય એક  એની જ સાક્ષાત દર્શના કવયિત્રી નામે દેવિકા ધ્રુવે કરાવી છે.

સતીન દેસાઈ “પરવેઝ”દીપ્તિ”ગુરૂ”

************************************************************

 https://youtu.be/d_OYvm6v3I4

શબ્દાંકન:દેવિકા ધ્રુવ.સ્વર- સ્વરાંકન:ભરત ત્રિવેદી.વિડીયો સંકલન:કૌશિક શાહ(USA) – YouTube

 

રસદર્શન -૧ January 12, 2017

Posted by devikadhruva in : રસદર્શન , add a comment

કવિ શ્રી કૃષ્ણ દવેની એક કવિતા “ ફેસબુક ! “નું રસદર્શન.-દેવિકા રાહુલ ધ્રુવ

શ્રી કૃષ્ણ દવેની તાજેતરમાં  રચાયેલ કવિતા “એની લાઈકથી જીવી જવાય છે.” એ કવિના જણાવ્યા મુજબ આપણી માતૃભાષા ગુજરાતી તરફથી ફેસબુકને અર્પણ કરીને લખાયેલી છે. કારણ કે, ફેઈસબુકના માધ્યમથી આપણે સૌ એકબીજાની રચનાઓને માણી શકીએ છીએ. તેથી ફેસબૂકને અર્પણ”. સૌથી પ્રથમ કવિતા તરફ નજર કરીએ. ત્યારબાદ રસદર્શન.

! ! ! ફેસબુક ! ! !

એની લાઈકથી જીવી જવાય છે .
બુક મારી સાવ ભલે કોરીકટ લાગે પણ ફેસ મને એનો દેખાય છે .
એની લાઈકથી જીવી જવાય છે .છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ
રિકવેસ્ટમાં કેદારો મોકલતા આવડે તો તારી પણ વાગે કરતાલ
કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.
એની લાઈકથી જીવી જવાય છે .બીજાની સાથે નહિ પોતાની જાત સાથે કરતા જે શીખી ગ્યા ચેટ
એવાની આંગળીયું પકડી લઇ જાય છે ને એની કરાવે છે ભેટ
રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે ને ટચસ્ક્રીનમાં રાસ પણ રચાય છે.
એની લાઈકથી જીવી જવાય છે .દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેર
સામેથી સરનામું સર્ચ કરી પહોચે છે શામળીયો શેઠ એને ઘેર
લોગઇન કરીને સાવ બેઠાં નીરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે
એની લાઈકથી જીવી જવાય છે .કૃષ્ણ દવે . તા-21.11.16

રસદર્શનઃ

મને આ કવિતામાં સાંગોપાંગ એક ઉચ્ચ કક્ષાની મસ્તીનો ને સાચા કાવ્યત્વનો ઘેરો રંગ દેખાયો છે. કવિતાની ધ્રુવ પંક્તિમાં તેઓ કહે છે કે, “એની લાઈકથી જીવી જવાય છે.” અહીં જરા ઊંડા ઉતરીને ગહન રીતે વિચારીશું તો “એની લાઈક” દ્વારા સર્જનહારની કૃપાદ્રષ્ટિનો અણસાર તરત જ આવે છે. પરમની નજર અને રહેમ/પસંદગી આપણા તરફ હશે તો જીવી જવાય છે. જેમ જેમ આગળ વાંચતા જઈએ છીએ તેમ તેમ આ અર્થ વધુ ને વધુ ઉઘડતો જાય છે. એ કહે છે કે, “મારા જીવનની બુક ભલે કોરીકટ લાગે પણ ફેઈસ મને ‘એનો’ દેખાય છે. એની લાઈકથી જીવી જવાય છે.” જાણે કે મીરાંબાઈ  કહેતા હોય કે, મારે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ. બીજું ભલે ને કોઈ ન હોય ને જીંદગીનો કાગળ સાવ જ કોરો ને કટ રહે પણ એની લાઇકથી જીવી જવાય છે.

અંતરામાં કવિ એક કદમ આગળ વધે છે ને કહે છે કે, “છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ, રિકવેસ્ટમાં કેદારો મોકલતા આવડે તો તારી પણ વાગે કરતાલ.“કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.” વાહ..વાહ.. રોમેરોમમાં અહીં નરસિંહ મહેતાની કરતાલ અને કેદાર જેવા એકદમ ઉચિત શબ્દ પ્રયોગો વાંચી તનમન રોમાંચિત બને છે તો એનો લય દિલને પુલકિત કરી દે છે.

બીજો અંતરો અંતરની મર્મભરી વાતો માંડે છે. જાતને ઓળખવાની રીત કેવી રમતિયાળ રૂપે ચિત્રાત્મક કરી આપી છે. આંગળીના ટેરવા, ટચસ્ક્રીનમાં રાસ દ્વારા એક સુંદર માહોલ ઉભો કર્યો છે. ચેટ અને ભેટનો પ્રાસ અહીં આબાદ રીતે અર્થને ખુલ્લાં આકાશની જેમ સ્પષ્ટ કરી આપે છે.

ત્રીજા અંતરાની પહેલી પંક્તિમાં દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેરશું સૂચવે છે? જાણે સાચા સંતની અદાથી જીંદગીને સાચી રીતે જીવવાની જડીબુટ્ટી બતાવી દીધી છે! અને પાછા આગળ એક વાત વધુ ઉમેરે છે કે, જો એ પ્રમાણે ચાલશો ને તો “સામેથી સરનામું સર્ચ કરી પહોંચે છે શામળીયો શેઠ એને ઘેર…લોગઇન કરીને સાવ બેઠાં નીરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે..”  આ અઘરા અવસર ઉજવવાની કેટલી મોટી વાત કેટલી સરળતાથી કહેવાઈ છે? અહીં ફિકરને ફાકી કરીને બેઠેલા કોઈ ફકીરની આર્ષવાણી સંભળાયા વગર રહેતી નથી.

કાવ્યમાં વિષયની પસંદગી અને ઉઘાડ ક્રમિક રીતે થયેલ છે.મોબાઈલ મંદિર, અઘરા અવસર અને કેદાર-કરતાલ જેવા શબ્દો મનભાવન પ્રયોજ્યા છે. ટેગ,ચેટ,લોગઈન,ટચસ્ક્રીન,લાઈક,રીક્વેસ્ટ,ફેસબુક,કોમેન્ટ,મોબાઈલ વગેરે રોજબરોજના અંગ્રેજી શબ્દોની સાથે ગુજરાતી ભાષાના શબ્દોનો સમન્વય યોગ્ય રીતે યોગ્ય જગાએ શોભાયમાન લાગે છે,ખીલી ઊઠે છે. સતત રમતો લય મનને અને ચરણને ઝંકૃત કરી દે છે.

સીધી ફેસબૂકને માટે લખાયેલ આ રચના અવનવા અર્થોના અને ભાવોના  ઉન્મેષ જગવે છે. “એને’ એટલે ઈશ્વરને, પ્રિયતમાને કે કોઈપણ પ્રિયપાત્રને સંબોધન/સર્વનામ યોગ્ય જ ઠરાવે છે. કવિએ ‘રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે  માં ‘શ્યામની જગાએ કૃષ્ણ શબ્દ-પ્રયોગ કર્યો હોત તો સ્વયંના નામ માટે પણ  યથાર્થ બની જાત એમ લાગ્યું.એકંદરે આ કાવ્ય અનાયાસે સ્ફૂરેલા ઉત્તમ કાવ્યત્વની કોટિએ પહોંચી આનંદનો અનુભવ કરાવે છે તે નિશંક છે. કૃષ્ણભાઈની કલમને અને કવિકર્મને સલામ.

દેવિકા ધ્રુવ  

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.