jump to navigation

મળવા તને. November 7, 2011

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

 ( છંદવિધાનઃ રજઝ ૨૮-ગાગાલગા*૪ ) 

 

ક્યાં ક્યાં નથી શોધ્યો તને, આંખો થકી જોવા તને,
શબ્દો મહીં ભાવો ભરી, હૈયે જડી ચૂમવા તને.  

 

સંગીતના સૂરો મહીં, સાગર તણાં મોજા અને,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, કર્ણો થકી સૂણવા તને.  

 

ચિત્રો અને શિલ્પો મહીં, રેતી અને ઝાકળ પરે,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, હાથો વડે અડવા તને.  

 

સ્વદેશમાં, પરદેશમાં, આકાશમાં, પાતાળમાં,
મંદિર ને મસ્જિદમાં, પાયે પડી પૂજવા તને. 

 

સુધ-બુધ ભૂલી મીરાં અને પાગલ બની શબરી અહીં,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને,તનમન થકી મળવા તને. 

 

આવી અહીં બસ એક પળ, શોધે મને તો જાણી લઉં,
ભક્તિ કદી ખોટી નથી, ઇન્સાનની ઝુકવા તને !!!!!  

“ગુજરાતી સાહિત્ય સરિતાએ મને શું આપ્યું ? ” October 19, 2011

Posted by devikadhruva in : Uncategorized , 1 comment so far

સરસ  વિષય મળ્યો. “ ગુજરાતી સાહિત્ય સરિતાએ મને શું આપ્યું ? ”

એક જ વાક્યમાં જવાબ આપવાનો હોય તો હું કહીશ કે એક પંખીની પાંખને વિહરવા માટે આકાશ મળ્યું ! પણ આ ટૂંકાક્ષરી જવાબ આપી દઇને ન તો સંતોષ થાય છે, ન  ઋણચૂકવણી. તેથી માંડીને જ વાત કરીશ.

મને યાદ છે,૨૦૦૪ની સાલમાં જ્યારે ન્યુ જર્સીથી હ્યુસ્ટન સ્થળાંતર કર્યું ત્યારે મારા ભાઇબેનોએ કહેલું કે મને અહીં ખુબ ગમશે કારણ કે,અહીં ગુજરાતી સાહિત્ય સરિતા છે ! પછી ૨૦૦૫ની સાલમાં જ્યારે દર મહિને નિયમિત મળતી હ્યુસ્ટનની આ સાહિત્ય-સરિતામાં કદમ માંડ્યા ત્યારે એમાં ચાલતી પ્રવૃત્તિઓ જાણીને સુંદરમની કવિતા, આનંદના સંદર્ભમાં અનુભવાઇ કે, ”તને મેં ઝંખી છે યુગોથી ધીંખેલા પ્રખર સહરાની તરસથી.” જન્મજાત વવાયેલા ભીતરના બીજને જાણે પ્રકાશ અને પાણી મળતા એક પ્રફુલ્લિત છોડ ઉછરતો ત્યારે સ્પર્શાયો ! ધીરે ધીરે,કલમને એક દિશા મળી,પછી વેગ મળ્યો, સાચું માર્ગદર્શન મળ્યુ અને એમ કરતા કરતા આંતરિક સુષુપ્ત શક્તિઓ જાગૃત થઇ,વિકાસ પામી..પરિણામે “શબ્દારંભે અક્ષર એક”નો એક નવીન પ્રયોગ અને “શબ્દોને પાલવડે” પુસ્તકનો જન્મ થયો.એટલું જ નહિ, એક સાવ નવું જ “વેબવિશ્વ” મળ્યું, કંઇ કેટલાય સર્જક અને ભાવક મિત્રો મળ્યાં.સાચું કહું તો મને હું મળી ! જે વર્ષોના વ્હેણમાં અને જીવનની દૈનિક વ્યવહારિક જરૂરી ઘટમાળમાં ખોવાઇ ગઇ હતી..

ખરેખર,સાહિત્ય સરિતા એક એવો મંચ  છે જે ગુજરાતી ભાષા પ્રત્યે  પ્રીતિ રાખનાર સહુનો છે,અને દરેકને ખીલવાની અને વિકસવાની તકો પૂરી પાડે છે.. ૨૦૦૮ અને ૨૦૧૧માં અનુક્રમે સહાયક સંચાલક અને મુખ્ય સંચાલક તરીકે કામ કરતા કરતા જે અનુભવ મળ્યા તે પણ અવિસ્મરણીય જ કહીશ.કારણ કે,એમાંથી ઘણું ઘણું જાણવાનુ અને શીખવાનુ મળ્યું છે.આ જ સંદર્ભમાંથી નીકળતા  બીજા મુદ્દા ( ભવિષ્ય અંગેના )વિષે  થોડા વિચારો વ્યક્ત કરી લઉં.

છેલ્લે, દસ વર્ષથી વહી રહેલાં નાના નાના ઝરણાં,એકમેક સાથે મળી મળીને સરિતા બન્યાં અને કલાના હર ક્ષેત્રમાં સિધ્ધિઓ મેળવી.અને હવે મનમાં એક પરિકલ્પના જાગે છે કે  એક વધુ નવુ રૂપ આપીને,આ “સાહિત્યસરિતા”ને “સાહિત્ય-સાગર” બનાવીએ જેમાં વિશાળતા હોય, ગહેરાઇ હોય,જે સદા યે દૂર દૂરની ક્ષિતિજો સુધી છલકતો રહે, કોઇ  બૂંદને સૂકાવાનો અવકાશ ન રહે, સતત સભર રહે…અને એ બધું ત્યારે જ બને જ્યારે તેના માળખાના પાયામાં સમયની સાથે સાથે જરૂરી સુધારા થાય.એવી થોડી નવી વ્યક્તિઓ આગેવાની લઇ કામ કરે જેમાં કામની સરળતા હોય,સહજતા હોય અને સાચી સમજણથી લેવાતા નિર્ણયો હોય. નિષ્ક્રિયતા અને દોષદર્શી વલણ ન હોય અને ભાષામાં કટુતા ન હોય. નવી પેઢી અને નવા વિચારોને આવકાર મળે. સાચા અર્થમાં કલાની,સાહિત્યની,સરસ્વતીની સતત સાધના ચાલુ રહે…

શરદ-પૂનમની રઢિયાળી રાત October 11, 2011

Posted by devikadhruva in : સ્વરચના , 3 comments

   

રાસઃ

આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

જાગી જાગીને સૂઝી જાય હો રાજ મારી,આંખો જાગીને સૂઝી જાય.

 

ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,
પૂનમનો ચાંદ મીઠી યાદને જગવતો,
ઓઢું ઓઢું ને ઉડી જાય હો રાજ,
મારી ચુંદડી શિરેથી ઉડી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

 

એવા તે કામણ કહે શીદને ત્‍હેં કીધા,
ભરિયા ના જામ તો યે મદીરા શા પીધા ?
મળી મળીને વળી જાય હો રાજ,
કેમ નજરું મળીને વળી જાય.
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

 

લાલપીળા લીલા ને આસમાની દાંડિયે,
ગોળગોળ ફરતા આ માને મંદિરિયે,
ફરી ફરીને રાતી થાય હો રાજ,
મુજ કાયા લજવાતી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.

 

હોય છે…. October 10, 2011

Posted by devikadhruva in : ગઝલ , add a comment

જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે. 

આવે કદી હોંશે અહીં,ઇચ્છા ઘણી સપના લઇ,
માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે. 

ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે. 

જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે. 

બાંધી મૂઠી છે લાખની,ખોલી રહો તો રાખની,
શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે. 

પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે ? 

હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.

****************       ******************

( છંદવિધાન ઃ રજઝ-૨૮–ગાગાલગા*૪ )

અમે વાદળ-દળ પર વિહર્યા.. October 2, 2011

Posted by devikadhruva in : સ્વરચના , add a comment
 
છેલ્લાં ચાર દાયકાથી પ્લેઇનની મુસાફરી કરી છે.પરંતુ સાથે બેસીને, બારીની બહારનું અ‌દ્‍ભૂત સૌન્દર્ય  જોતી  નાનકડી પૌત્રીએ જ્યારે પૂછ્યું કે
“have you written poem about this scene ?” ત્યારે એને “ના” નો જવાબ આપવાનું કેમ ગમે ? અને એનો પ્રશ્ન પ્રેરણા બની ગયો. ખાસ એના માટે,એના જવાબ રૂપે, એક હવાની લ્હેરખી જેવી હલકી ફૂલકી રચના “અમે વાદળ-દળ પર વિહર્યા”…
 
 ***************          ********************   
   
  

પવન પંખ લઇ નભસરવર મહીં વાદળ દળ પર વિહર્યાં,

સ્વરગ-નરકની મધ્યે જાણે પતંગિયા થઇ ફરક્યાં.

          અમે વાદળ-દળ પર વિહર્યા

 

તારણહારની અકળસકળ આ અજબગજબની લીલા,

ભરચક ખેલ શી નીરખી નીરખી વિસ્મિત થઇને ઉડ્યા,

           અમે વાદળ-દળ પર વિહર્યા…

 

હસ્તવિંઝનથી હવામહીં  બસ ઘડીભર મસ્તી માણી,

બંધ નયનથી પંખી સરીખુ મનભર રંજન પામ્યાં,

          અમે વાદળ-દળ પર વિહર્યા

 

કલ કલ કરતા ઝરણાં જોતાં ફરફર હવામાં હાલ્યા,

ગુન ગુન કરતા ભમરા સઘળાં દેવદૂત-શા ભાળ્યા,

          અમે વાદળ-દળ પર વિહર્યા…

 

આરા કે ઓવારા નહિ, જટિલ કઠિન બધી રાહો,

શ્વાસ સમા વિશ્વાસને ઝાલી, જાણે ભવની વાટે ઉડ્યાં,

         અમે વાદળ-દળ પર વિહર્યા.. 
         અમે વાદળ-દળ પર વિહર્યા…

વાત લાવી છું… September 25, 2011

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

 

સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાત સમી આશ લાવી છું.

સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.

હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું. 

પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.

ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.

મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું….

************          **************              **********

 ( છંદ વિધાનઃ —ષટકલ ૨૨-વિષમ- ( ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા )

ન કોઇ અહીં August 16, 2011

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

સરી જાય છે દિન આ બધા, પકડી શકે ન કોઇ અહીં.
વહી જાય છે લઇ બાળપણ, બદલી શકે ન કોઇ અહીં.

નિયતિ ફરે ધરતી પરે, સહુ દોડતા ઝીલવા થકી,
અણમોલ ભેટ છે જીંદગી, સમજી શકે ન કોઇ અહીં.

અરમાન સૌ ભરી મન મહીં ઉજવે મળી ભર-યૌવને,
ઘડપણ પછીની વિદાયને, સમજી શકે ન કોઇ અહીં.

જળમાં ચરે જલચર મૂંગા,તરતા મળે ફરતા જીવો,
નહિ જીવતા વિણ પાણી સૌ, જીરવી શકે ન કોઇ અહીં.

પથરા નડે, તડકા પડે, રમતી રહે પુરપાટ આ,
સરિતા સદા હસતી વહે, જકડી શકે ન કોઇ અહીં.

જો મળે નજર મુજથી અગર, સમજી જજે પ્રભુ આરઝુ,
કે જુબાન જે ન કહી શકે, પરખી શકે ન કોઇ અહીં.

ઉસાલ July 25, 2011

Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so far
તાજેતરમાં મારી ભારતની મુલાકાત દરમ્યાન  અમદાવાદના જાણીતા કવિ અને ગઝલકાર શ્રી યોસેફ મેકવાન સાથે ફોન પર મળવાનુ થયુ. તેમણે ગઝલપ્રકારમાંથી એક નવો પ્રયોગ કર્યાની વાત કરી. યોસેફ મેકવાનના શબ્દોમાં  ” USAL is a new form  which is  formed  from GAZAL.By this new form poet can reveal  his  feelings powerfully.
અહીં મત્લા ન હોય.ગઝલમાં જેને ઉલા અને સાની પંક્તિઓ તરીકે પીછાનીએ છીએ તે પંક્તિઓનું અહીં સાયુજ્ય સાધવાનુ હોય છે.તે દ્વારા અર્થ કે ધ્વનિ યા વ્યંજના પ્રગટ કરવાના હોય-ચમત્કૃતિથી. આરંભની પ્રથમ,ત્રીજી,પાંચમી,સાતમી એમ આગળની ઉલા પંક્તિઓ આવે તેના કાફિયા-રદીફ જાળવવાના.એ જ રીતે બીજી, ચોથી,છઠ્ઠી,આઠમી એમ આગળની સાની પંક્તિઓના અલગ કાફિયા રદીફ જાળવવાના.આ એક નવ્ય પ્રયોગ છે જેની નિપજ ગઝલમાંથી કરી હોઇ તેને “ઉસાલ” નામ આપ્યુ છે.દિલીપ મોદી,દત્તાત્રય ભટ્ટ, ફિલિપ ક્લાર્ક વગેરે હાથ અજમાવી સુંદર રચનાઓ કરે છે. ”
મિત્રો, મારો પણ આ એક પ્રયાસ ઃઉસાલમાં ઃ
**************          **************           ***************           ***************
 
વરસાદના ફોરાં સમી ઝરતી સમય-ધારા બધી,
પલ પલ પડી યુગો તણાં પર્વત‍ પરે ખડકાય છે.
 
વિશ્વાસની મોટી અહીં સંસારની વાર્તા બધી,
સંબંધના ગીલેટની આ સાંકળો વરતાય છે.
 
સાચી કહો જૂઠી કહો લોભાવતી માળા બધી,
મારી તમારી આરતો મૃગજળ સમી સમજાય છે.
 
સૌએ વગાડે પોતીકા વાજિંત્ર અને ગાથા બધી,
વાહ્‍ વાહ્‍ કહીને ભીતરે જલતા અહીં પરખાય છે.
 
છોને થતાં દીવા અને મંદિરમાં પૂજા બધી,
ભીતર હશે જો પ્રેમ તો, ઇશ્વર સદા હરખાય છે.
**********   **************   **********

અલ્લડ આ મેઘને…….. July 8, 2011

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

અલ્લડ આ મેઘને થયું  શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ,કે ચીરીને આભલાને તેથી એ આવે.

પાગલ પવનના અંગ મહીં સૂરો,
ફૂંકી ભરીને લીલા પાનને નચાવે !
શ્વેત આ પ્રભાત પર શ્યામરંગી ચાદર
પાથરીને પ્રેમભીની રમઝટ મચાવે.

અલ્લડ આ મેઘને થયું  શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.

પંખીના કલરવ ને મબલખ આ ધાર,
ગગનની ગરજન ને નવલખ આ ઝાર,
મખમલી ઊર્મિને મનભરી અડકે ને છેડે,
ને ધરાનો કુદરતી રાસ એ રચાવે !

અલ્લડ આ મેઘને થયું  શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.

રોમરોમ જાગે ને વાગે  શરણાઇઓ,
ભીતરના જીવમહીં શિવને જગાડે,
હૈયાના મંદિરમાં મૌનનો ઘૂમ્મટ લઇ,
અનંતના આનંદની ધ્વજા ફરકાવે.

અલ્લડ આ મેઘને થયું  શું આજે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.

એક નાનકડી વાતઃ June 30, 2011

Posted by devikadhruva in : ટૂંકી વાર્તા/લઘુ કથા , 5 comments

 

૪૫ વર્ષ પહેલાંની આ વાત છે. ત્યારે અમે સ્કુલમાં સાથે ભણતા હતા.અમારું એક નાનકડું ગ્રુપ હતુ. શાન્તુ એમાંની એક હતી..વર્ષો પછી એને મળીને, વિશેષ તો એને સાંભળીને ગદ્‍ગદ્‍ થઇ જવાયું. સાત બેનો અને ત્રણ ભાઇઓ સાથે સંયુક્ત કુટુંબમાં ઉછરેલી શાન્તુ આજે વર્ષોના ગેપ પછી મને સાવ જુદી જ લાગી. કેટકેટલી વાતો કરી એણે ? એની એક એક વાતમાંથી નર્યો પ્રેમ નીતરતો હતો.

કહેતી હતીઃ દેવી, કેટલાં વખત પછી મળ્યા,નહિ ? હું તો તને વારંવાર ખુબ યાદ કરું. સ્કુલમાં સાથે ભણતા હતા અને કેવી મઝા કરતા હતા એ દિવસો તો કેમે કરી ભૂલાતા નથી. પછીના વર્ષોમાં તો આપણે સૌ પોતપોતાની જીન્દગીમાં પરોવાઇ ગયા.તું અમેરિકા ગઇ એ જાણ્યું હતું. ક્યારે કેવી રીતે આટલો મોટો ગેપ પડી ગયો એ જ ખબર ન પડી ! દુનિયાને નાની બનાવતી અને નજીક રાખતી આજના જેવી ટેક્નોલોજી પણ પહેલાં ક્યાં હતી ? કહેતા કહેતા એણે એની બેગમાંથી એક સુંદર, હા્થે બનાવેલ રંગીન પૂજાનું આસન કાઢ્યું અને મને આપતા બોલીઃ આ મેં જાતે બનાવ્યું છે, ખાસ તારા માટે આજે જ પુરૂં કર્યુ. બે વર્ષ પહેલાં તું આવી ત્યારે તને મળવાનું ખુબ મન હતું અને પ્રયત્નો પણ ખુબ કર્યા હતાં પણ જ્યારે તારો ટેલી.નં. મળ્યો ત્યારે તું તો પાછી અમેરિકા જવા નીકળી ચૂકી હતી ! ત્યારથી તારા ફરી આવવાની રાહ જોતી હતી.”

હું તો તાજ્જુબ થઇ ગઇ. ક્યાંય કોઇ ફરિયાદ નહિ, અપેક્ષા નહિ. કેવળ હ્રદયનો છલોછલ છલકાતો સ્નેહ.. સાંભળતા સાંભળતા હ્રદય ભરાઇ આવ્યુ અને આંખ ઝળઝળ થઇ ગઇ.. એ બોલે જતી હતી,ઃ” હવે જરા આંખની થોડીક તકલીફ છે. સોય પરોવતા વાર લાગે. બપોરે ઘરમાં કોઇ હતુ નહિ તો પડોશીને ત્યાં જઇ ત્રણ-ચાર સોયો પરોવડાવી..મારે મારા હાથે જ કંઇક બનાવીને તને આપવુ હતું.;અને હા,આ તારા માટે ખમણ અને સમોસા પણ લાવી છું”.. વાહ, મારા ઘેર આવી હતી અને મારા માટે નાસ્તો લઇને આવી હતી !! એની પ્રેમધારામાં હું ભીંજાતી જતી હતી. શું બોલવું એ જ મને સૂઝતુ નહોતુ. કારણ કે મેં તો એને ફોન પણ કર્યો નહતો..મનોમન મેં ખુબ ગુનેગારીની લાગણી અનુભવી.

ભૂતકાળના સંસ્મરણો યાદ કરી કરીને કહેતી હતીઃ  “યાદ છે આપણે પેલા નાટકમાં રહ્યા હતાઃ ”માનવ તારું વિશ્વ” ? મણીપુરી નૃત્ય, આસામી  લોક-નૃત્ય ? હું આપણા ગુરુ રામકુમાર રાજપ્રિયને મળી હતી.એ પણ બધાને યાદ કરતા હતા.”  એને કેટલું બધું કહેવુ હતું ? પોતે દીકરા-વહુ અને પૌત્રી સાથે રહે છે જણાવી સારી સારી આનંદની વાતો કરી અને એના મનોકાશમાં મારી સાથે સંકળાયેલી જેટલી જેટલી વ્યક્તિઓ હતી તે તમામના ખબર અંતર રસપૂર્વક પૂછ્યાં અને જાણ્યાં.સાંભળતા સાંભળતા તેને લઇને આવેલી મારી ખાસ સખી શોભામાંથી મારું ધ્યાન શાન્તુની લાગણી તરફ કેન્દ્રિત થતું જતુ હતું. મારી વાતો અને પ્રવૃત્તિઓની કહેવા અને બતાવવા માંગતી બાબતને બાજુએ મૂકી હું તેને વધુ ને વધુ સાંભળવા લાગી.મનમાં વિચારતી હતી કે સાત સમંદર પાર કરીને  જ્યારે સૌને મળવા અને જોવા વતનમાં જઇએ છીએ ત્યારે આ બદલાતા જતા સમયમાં હવે તો ત્યાં કોઇને સમય,અનુકૂળતા અને અમદાવાદથી ગાંધીનગર જેટલા અંતર સુધી જવાની તૈયારી કે ઇચ્છા પણ હોતી નથી; ત્યારે આવી વ્યક્તિઓની આ નીતરતી લાગણી, હૈયાના ઊંડાણને અડકી ન જાય ?

પતિના અવસાન પછીની પોતાની મનોદશાની વાત પણ એણે કેટલી હિંમતપૂર્વક છતાં અતિ નાજૂકાઇથી કરી. કહેતી હતીઃ “દેવી, રોજ સવારે ઉઠું અને અરીસા સામે જોઇને જાતને સમજાવું, હિંમત ભેગી કરતા શીખવાડું, સમાજની પરંપરાગત વિધવાના રિવાજોમાંથી બહાર આવી જીવવાના રસ્તાઓ વિષે ચિંતન-મનન કરું,. દીકરા-વહુના જીવનમાં ઉપયોગી થઇ પડું, ભારરૂપ ન બનું તેવુ બધું ઘણું વિચારું. છેવટે આ “હેન્ડીક્રાફ્ટ” નું કામ શીખી અને  હવે તેમાં આગળ ધપી રહી છું. સારું ચાલે છે. મોટી કંપનીઓ ખરીદે છે અને મને આનંદ આવે છે તે જુદો. અમે બધા સંયુક્ત કુટુંબમાં સાથે જ રહીએ છીએ અને આનંદ કરી છીએ.” કેટકેટલી નમ્રતા,સ્વાભાવિક્તા અને પરિસ્થિતિનો સહજ સ્વીકાર હતો એમાં ?

ત્રણ ચાર કલાકની આ મુલાકાત મારા મન પર ઘેરી અસર કરી ગઇ. જતા જતા એના પર્સમાંથી સાચવીને રાખેલી એક દોઢ વર્ષ જૂની,નાનકડી છાપાની કાપલી કાઢીને બતાવી; જેમાં મારા પુસ્તક પ્રકાશન અંગે ફોટા સહિતનો લેખ હતો ! હું તો નિઃશબ્દ,અવાક્‍,સ્તબ્ધ થઇ ગઇ. છેલ્લે “આવજે” કહેતા અમારા ત્રણેની આંખો ભીની થઇ. એ એટલું જ બોલીઃ”યાદ રાખજે હવે,” અને હું ક્યારના વાળી રાખેલા આંસુને ખાળી રહી.. ઉનાળાના બળબળતા એ દિવસે આકાશ પણ મન મૂકીને વરસ્યું…માટીમાંથી મીઠી મીઠી મનગમતી સોડમ પ્રસરી ગઇ. બહારનું અને આંતરમનનું વાતાવરણ પ્રફુલ્લિત થઇ રહ્યું….

અનિલ ચાવડાનું એક સુંદર ગીત સાંભર્યુઃ–

જીવતરના ગણિતનો ના ગણતા ફાવે ઘડિયો,ભીતરમાં મંદિર ચણે છે કોઇ અજાણ્યો કડિયો..
નહીં જ ભીંતો,નહીં જ બારી,નહીં કશી યે ફ્રેમ,કહો હ્રદયજી,લખ્યા વિણ કૈં રહી જ શક્શો કેમ 
? !!!!

મે ૧૩,૨૦૧૧.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.