મનનો માણીગર November 26, 2011
Posted by devikadhruva in : સ્વરચના , comments closed
એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.
લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી,નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.
દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર પૂછતો’તો આજે.
રમતું મૂક્યું કેવું નિર્દોષ બાળ મ્હેં,
હસતું ને ખેલતું સૃષ્ટિને બારણે,
એકના અનેક થઇ, રુપને કુરુપ કરી,
કાયાપલટ ત્હેં કીધી કૈં એવી,
ન બાળક રહ્યો, ના મોટો થયો, જોઇ વિશ્વનો બાજીગર હસતો’તો આજે.
રોબાટ થયો ને થયો મશીન એ,
પૈસાને પૂજતો ઠેર ઠેર ભટકી,
અરે, ભૂલ્યો એ ભાન કૈં કારણ વગર,
ને રહી ગયો લાગણી-શૂન્ય ને પથ્થર,
ન ભગવાન બન્યો, ન માણસ રહ્યો! જોઇ જગનો જાદુગર હસતો’તો આજે.
પેઢી બે પેઢીના અંતર વધાર્યા,
સમયના બહાને નિત નુસખાઓ ખેલ્યાં,
જુગજૂની વાતોના મનભાવન અર્થ લઇ,
દેવતાના નામે ભૂંડા વાડાઓ રોપ્યાં.
ન જડતાને ટાળી, ન ચેતના એ પામ્યો, કુદરતનો કારીગર હસતો’તો આજે.
એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.
લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી, નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.
દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર રડતો’તો આજે ?!!
પીવાઇ ગયું…. November 15, 2011
Posted by devikadhruva in : ગઝલ , add a commentછંદવિધાનઃ ષટકલ ૧૭-વિષમ
પોત આ રાહનું વણાઇ ગયું.
કાળની સોયથી સીવાઇ ગયું.
દિલડું એવું તો ચીરાઇ ગયું,
લોહી ઉડી નભે ચિત્રાઇ ગયુ.
દેહના રાગની કથા શું કરવી ?
સઘળું યે મોહમાં લીંપાઇ ગયું.
વીસરી દીધા લો કટુ વચનો,
પ્રેમમાં ઝેર પણ પીવાઇ ગયું.
શ્વાસ છે તો જ છે બધું અહીંયા,
બાકી તો ફ્રેમમાં ટીંગાઇ ગયું.
મળવા તને. November 7, 2011
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far( છંદવિધાનઃ રજઝ ૨૮-ગાગાલગા*૪ )
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, આંખો થકી જોવા તને,
શબ્દો મહીં ભાવો ભરી, હૈયે જડી ચૂમવા તને.
સંગીતના સૂરો મહીં, સાગર તણાં મોજા અને,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, કર્ણો થકી સૂણવા તને.
ચિત્રો અને શિલ્પો મહીં, રેતી અને ઝાકળ પરે,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, હાથો વડે અડવા તને.
સ્વદેશમાં, પરદેશમાં, આકાશમાં, પાતાળમાં,
મંદિર ને મસ્જિદમાં, પાયે પડી પૂજવા તને.
સુધ-બુધ ભૂલી મીરાં અને પાગલ બની શબરી અહીં,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને,તનમન થકી મળવા તને.
આવી અહીં બસ એક પળ, શોધે મને તો જાણી લઉં,
ભક્તિ કદી ખોટી નથી, ઇન્સાનની ઝુકવા તને !!!!!
“ગુજરાતી સાહિત્ય સરિતાએ મને શું આપ્યું ? ” October 19, 2011
Posted by devikadhruva in : Uncategorized , 1 comment so farસરસ વિષય મળ્યો. “ ગુજરાતી સાહિત્ય સરિતાએ મને શું આપ્યું ? ”
એક જ વાક્યમાં જવાબ આપવાનો હોય તો હું કહીશ કે એક પંખીની પાંખને વિહરવા માટે આકાશ મળ્યું ! પણ આ ટૂંકાક્ષરી જવાબ આપી દઇને ન તો સંતોષ થાય છે, ન ઋણચૂકવણી. તેથી માંડીને જ વાત કરીશ.
મને યાદ છે,૨૦૦૪ની સાલમાં જ્યારે ન્યુ જર્સીથી હ્યુસ્ટન સ્થળાંતર કર્યું ત્યારે મારા ભાઇબેનોએ કહેલું કે મને અહીં ખુબ ગમશે કારણ કે,અહીં ગુજરાતી સાહિત્ય સરિતા છે ! પછી ૨૦૦૫ની સાલમાં જ્યારે દર મહિને નિયમિત મળતી હ્યુસ્ટનની આ સાહિત્ય-સરિતામાં કદમ માંડ્યા ત્યારે એમાં ચાલતી પ્રવૃત્તિઓ જાણીને સુંદરમની કવિતા, આનંદના સંદર્ભમાં અનુભવાઇ કે, ”તને મેં ઝંખી છે યુગોથી ધીંખેલા પ્રખર સહરાની તરસથી.” જન્મજાત વવાયેલા ભીતરના બીજને જાણે પ્રકાશ અને પાણી મળતા એક પ્રફુલ્લિત છોડ ઉછરતો ત્યારે સ્પર્શાયો ! ધીરે ધીરે,કલમને એક દિશા મળી,પછી વેગ મળ્યો, સાચું માર્ગદર્શન મળ્યુ અને એમ કરતા કરતા આંતરિક સુષુપ્ત શક્તિઓ જાગૃત થઇ,વિકાસ પામી..પરિણામે “શબ્દારંભે અક્ષર એક”નો એક નવીન પ્રયોગ અને “શબ્દોને પાલવડે” પુસ્તકનો જન્મ થયો.એટલું જ નહિ, એક સાવ નવું જ “વેબવિશ્વ” મળ્યું, કંઇ કેટલાય સર્જક અને ભાવક મિત્રો મળ્યાં.સાચું કહું તો મને હું મળી ! જે વર્ષોના વ્હેણમાં અને જીવનની દૈનિક વ્યવહારિક જરૂરી ઘટમાળમાં ખોવાઇ ગઇ હતી..
ખરેખર,સાહિત્ય સરિતા એક એવો મંચ છે જે ગુજરાતી ભાષા પ્રત્યે પ્રીતિ રાખનાર સહુનો છે,અને દરેકને ખીલવાની અને વિકસવાની તકો પૂરી પાડે છે.. ૨૦૦૮ અને ૨૦૧૧માં અનુક્રમે સહાયક સંચાલક અને મુખ્ય સંચાલક તરીકે કામ કરતા કરતા જે અનુભવ મળ્યા તે પણ અવિસ્મરણીય જ કહીશ.કારણ કે,એમાંથી ઘણું ઘણું જાણવાનુ અને શીખવાનુ મળ્યું છે.આ જ સંદર્ભમાંથી નીકળતા બીજા મુદ્દા ( ભવિષ્ય અંગેના )વિષે થોડા વિચારો વ્યક્ત કરી લઉં.
છેલ્લે, દસ વર્ષથી વહી રહેલાં નાના નાના ઝરણાં,એકમેક સાથે મળી મળીને સરિતા બન્યાં અને કલાના હર ક્ષેત્રમાં સિધ્ધિઓ મેળવી.અને હવે મનમાં એક પરિકલ્પના જાગે છે કે એક વધુ નવુ રૂપ આપીને,આ “સાહિત્યસરિતા”ને “સાહિત્ય-સાગર” બનાવીએ જેમાં વિશાળતા હોય, ગહેરાઇ હોય,જે સદા યે દૂર દૂરની ક્ષિતિજો સુધી છલકતો રહે, કોઇ બૂંદને સૂકાવાનો અવકાશ ન રહે, સતત સભર રહે…અને એ બધું ત્યારે જ બને જ્યારે તેના માળખાના પાયામાં સમયની સાથે સાથે જરૂરી સુધારા થાય.એવી થોડી નવી વ્યક્તિઓ આગેવાની લઇ કામ કરે જેમાં કામની સરળતા હોય,સહજતા હોય અને સાચી સમજણથી લેવાતા નિર્ણયો હોય. નિષ્ક્રિયતા અને દોષદર્શી વલણ ન હોય અને ભાષામાં કટુતા ન હોય. નવી પેઢી અને નવા વિચારોને આવકાર મળે. સાચા અર્થમાં કલાની,સાહિત્યની,સરસ્વતીની સતત સાધના ચાલુ રહે…
શરદ-પૂનમની રઢિયાળી રાત October 11, 2011
Posted by devikadhruva in : સ્વરચના , 3 commentsરાસઃ
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.
જાગી જાગીને સૂઝી જાય હો રાજ મારી,આંખો જાગીને સૂઝી જાય.
ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,
પૂનમનો ચાંદ મીઠી યાદને જગવતો,
ઓઢું ઓઢું ને ઉડી જાય હો રાજ,
મારી ચુંદડી શિરેથી ઉડી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.
એવા તે કામણ કહે શીદને ત્હેં કીધા,
ભરિયા ના જામ તો યે મદીરા શા પીધા ?
મળી મળીને વળી જાય હો રાજ,
કેમ નજરું મળીને વળી જાય.
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.
લાલપીળા લીલા ને આસમાની દાંડિયે,
ગોળગોળ ફરતા આ માને મંદિરિયે,
ફરી ફરીને રાતી થાય હો રાજ,
મુજ કાયા લજવાતી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.
હોય છે…. October 10, 2011
Posted by devikadhruva in : ગઝલ , add a commentજેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
આવે કદી હોંશે અહીં,ઇચ્છા ઘણી સપના લઇ,
માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે.
ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.
જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.
બાંધી મૂઠી છે લાખની,ખોલી રહો તો રાખની,
શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે.
પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે ?
હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.
**************** ******************
( છંદવિધાન ઃ રજઝ-૨૮–ગાગાલગા*૪ )
અમે વાદળ-દળ પર વિહર્યા.. October 2, 2011
Posted by devikadhruva in : સ્વરચના , add a commentપવન પંખ લઇ નભસરવર મહીં વાદળ દળ પર વિહર્યાં,
સ્વરગ-નરકની મધ્યે જાણે પતંગિયા થઇ ફરક્યાં.
અમે વાદળ-દળ પર વિહર્યા
તારણહારની અકળસકળ આ અજબગજબની લીલા,
ભરચક ખેલ શી નીરખી નીરખી વિસ્મિત થઇને ઉડ્યા,
અમે વાદળ-દળ પર વિહર્યા…
હસ્તવિંઝનથી હવામહીં બસ ઘડીભર મસ્તી માણી,
બંધ નયનથી પંખી સરીખુ મનભર રંજન પામ્યાં,
અમે વાદળ-દળ પર વિહર્યા
કલ કલ કરતા ઝરણાં જોતાં ફરફર હવામાં હાલ્યા,
ગુન ગુન કરતા ભમરા સઘળાં દેવદૂત-શા ભાળ્યા,
અમે વાદળ-દળ પર વિહર્યા…
આરા કે ઓવારા નહિ, જટિલ કઠિન બધી રાહો,
શ્વાસ સમા વિશ્વાસને ઝાલી, જાણે ભવની વાટે ઉડ્યાં,
અમે વાદળ-દળ પર વિહર્યા..
અમે વાદળ-દળ પર વિહર્યા…
વાત લાવી છું… September 25, 2011
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far
સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાત સમી આશ લાવી છું.
સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.
હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.
પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.
ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.
મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું….
************ ************** **********
( છંદ વિધાનઃ —ષટકલ ૨૨-વિષમ- ( ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા )
ન કોઇ અહીં August 16, 2011
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so farસરી જાય છે દિન આ બધા, પકડી શકે ન કોઇ અહીં.
વહી જાય છે લઇ બાળપણ, બદલી શકે ન કોઇ અહીં.
નિયતિ ફરે ધરતી પરે, સહુ દોડતા ઝીલવા થકી,
અણમોલ ભેટ છે જીંદગી, સમજી શકે ન કોઇ અહીં.
અરમાન સૌ ભરી મન મહીં ઉજવે મળી ભર-યૌવને,
ઘડપણ પછીની વિદાયને, સમજી શકે ન કોઇ અહીં.
જળમાં ચરે જલચર મૂંગા,તરતા મળે ફરતા જીવો,
નહિ જીવતા વિણ પાણી સૌ, જીરવી શકે ન કોઇ અહીં.
પથરા નડે, તડકા પડે, રમતી રહે પુરપાટ આ,
સરિતા સદા હસતી વહે, જકડી શકે ન કોઇ અહીં.
જો મળે નજર મુજથી અગર, સમજી જજે પ્રભુ આરઝુ,
કે જુબાન જે ન કહી શકે, પરખી શકે ન કોઇ અહીં.
ઉસાલ July 25, 2011
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farસંબંધના ગીલેટની આ સાંકળો વરતાય છે.
મારી તમારી આરતો મૃગજળ સમી સમજાય છે.
વાહ્ વાહ્ કહીને ભીતરે જલતા અહીં પરખાય છે.
ભીતર હશે જો પ્રેમ તો, ઇશ્વર સદા હરખાય છે.