jump to navigation

મુક્તક- કવિ શ્રી દિલીપભાઈ મોદી April 28, 2015

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , 1 comment so far

મુક્તક :  એ કંઈ તક જોઈને મૂકવાની વાત નથી…– દિલીપ મોદી

સાધારણ રીતે મુક્તક વિશેની પ્રચલિત (ગેર) સમજ એવી છે કે તે ગઝલોની રજૂઆત પૂર્વે શાયર, મુશાયરામાં એટલે બોલે છે કે ગઝલની રજૂઆત માટેની ભૂમિકા બની રહે. મુશાયરાને લાગેવળગે છે ત્યાં સુધી મુક્તકની આ સ્થિતિ કદાચ નિર્વાહ્ય હશે, પણ મુક્તકને ‘મંચિંગ’ પૂરતું જ સીમિત રાખવામાં મુક્તકને ન્યાય થતો નથી. મુક્તકને એક પ્રકાર લેખે તેની સંપૂર્ણ સ્વાયત્તતા હોવી ઘટે. સામાન્યત: ગુજરાતી શાયરો રુબાઈ અને મુક્તકને એકબીજાના પર્યાય ગણે છે, ખાસ કરીને ગઝલની ઉર્દૂ પરંપરાનો જેમને અભ્યાસ નથી એવા શાયરો, પણ આ બંને પ્રકારો વચ્ચે પાયાનો ભેદ એ છે કે રુબાઈ તેને માટે નક્કી થયેલા 24 છંદોમાં જ રચાય છે જ્યારે મુક્તકો એ છંદો ઉપરાંત પણ, ગઝલોના અન્ય છંદોમાં શક્ય છે. એ સંદર્ભે રુબાઈઓ મુક્તકમાં ખપે, પણ મુક્તકો, રુબાઈમાં ખપે જ એવું ન પણ બને.

મુક્તકની ચાર પંક્તિઓનું પ્રચલિત બંધારણ સ્વીકારીએ તો પહેલી, બીજી અને ચોથી પંક્તિઓમાં રદીફ અને કાફિયાનું આયોજન કદાચ વધુ સ્વીકૃતિ પામે છે. એનો અર્થ એવો પણ નહીં કે ચારેય પંક્તિઓમાં રદીફ-કાફિયાની યોજના કે રચનાથી ત્રીજી પંક્તિ મુક્ત હોય તેની વિશેષ જોવા મળે છે. એવું જ છંદની બાબતેય ખરું. ચાર પંક્તિઓના મુક્તકમાં છંદ પરિવર્તન સહજ સ્વીકાર્ય નથી એટલે ચારેય પંક્તિઓમાં છંદ એક જ હોય એ બાબત પણ મુક્તક સંદર્ભે વધુ સ્વીકાર્ય છે. આ તો થઈ મુક્તકનાં બાહ્ય બંધારણને લગતી વાત, પણ ગરબડો જોવા મળે છે તે તેનાં આંતર સ્વરૂપ સંદર્ભે. મોટે ભાગે વ્યવહારુ કે નિબંધ થઈ જનારી બાબતોને અતિક્રમીને મુક્તકની પ્રથમ ત્રણ પંક્તિઓ ઉત્તરોત્તર કાવ્યોચિત વિકાસ સાધીને કોઈ એક વિચાર, ભાવ કે વિષયનું સાતત્ય જાળવીને, ચોથી પંક્તિમાં એવું તો સચોટ રહસ્યોદઘાટન નૂતનતમ સ્વરૂપે સિધ્ધ કરે છે કે ભાવક વિસ્મય અને આનંદની તીવ્ર અનુભૂતિમાં રમમાણ રહે. ચોથી પંક્તિને અંતે સમગ્ર મુક્તકની પરિણતિરૂપ થતું વિષયરૂપ દર્શન, બાલકૃષ્ણના મુખમાં થતાં વિશ્વરૂપદર્શન જેમ ભાવકને દિગ્મૂઢ બનાવે છે ને ભાવનની પ્રક્રિયાનો તાળો મળે તે પહેલાં પ્રત્યક્ષ થતું ચમત્કૃતિપૂર્ણ દર્શન સર્જકને અને ભાવકને વિસ્મય આશ્રિત આનંદ સિવાય કોઈ ઉકેલ સંપડાવતું નથી. અન્ય વિસ્ફોટ અને આ વિસ્ફોટમાં ફેર એ છે કે અન્ય વિસ્ફોટને અંતે અંધકાર શેષ રહે છે જ્યારે આ વિસ્ફોટને અંતે ઉત્તરોત્તર દિવ્ય આનંદ-પ્રકાશની અનુભૂતિ થતી આવે છે.

મુક્તક વિશે એવી સમજ પણ પ્રવર્તે છે કે ગઝલનો મત્લા અને તેનો એક શે’ર મળીને રચાતી પંક્તિઓ પણ મુક્તક છે. એ શક્ય છે જો ક્રમિક વિકાસ સાધીને એક જ ભાવ, વિષય કે વિચારનું સાતત્ય ચોથી પંક્તિને અંતે આનંદપૂર્ણ ચમત્કૃતિ કે સ્ફોટમાં પરિણમે. એવું ન હોય તો મત્લા અને અલગ શે’રથી વિશેષ કંઈ નથી. ટૂંકમાં, મુક્તક એક જ છંદમાં રચાયેલ મત્લા કે ભિન્ન એવા શે’રનો સરવાળ માત્ર નથી જ ! આમ આપણે ત્યાં લખાતાં મુક્તકો એ સંસ્કૃત સાહિત્યના શ્લોક અને સુભાષિતોને મળતો અને ફારસી-ઉર્દૂ સાહિત્યની રુબાઈને મળતો પ્રકાર છે. એનું સાહિત્યિક મૂલ્ય અન્ય કાવ્યપ્રકારો કરતાં સહેજે ઓછું નથી.

છેલ્લા ત્રણ-ચારેક દાયકામાં અછાંદસ, ગીત અને ગઝલના સ્વરૂપને આપણા કવિઓએ વિશેષ ઉપાસ્યાં છે પણ મુક્તકો બહુ થોડાએ, અને તેય અલ્પ પ્રમાણમાં લખ્યાં છે. ગઝલના ઝળહળાટ સામે જાણે મુક્તકનું રૂપ ઓઝપાઈ ગયું છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે અન્ય કાવ્ય-પ્રકારોમાં ભાવો અને સંવેદનોની અભિવ્યક્તિ માટે ઠીકઠીક મોકળાશ મળી રહે છે જ્યારે મુક્તકમાં તો ચાર પંક્તિઓમાં જ સઘળું કહી દેવાનું હોય છે. મુક્તકમાં ભાવસંવેદનોની સંકુલતા ઉતારવી અશક્ય નહીં તો, કઠિન જરૂર છે. આવા અઘરા અને બહુધા અણસ્પર્શ્યા જ રહી ગયેલા કાવ્યસ્વરૂપનું પ્રામાણિકપણે અને નિષ્ઠાપૂર્વક, ભવ્ય પુરુષાર્થ દ્વારા ખેડાણ કરવાનું બીડું ઝડપવાનું એક સાહસ મેં કર્યું છે. હંમેશ કશુંક નોખું-અનોખું કરવાની ધગશ અને તમન્નામાં બસ મુક્તકો લખાતાં ગયાં, લખાતાં રહ્યાં જેના પરિણામ સ્વરૂપે મારા કુલ ચાર નિતાંત મુક્તકસંગ્રહો આકાર પામ્યા છે. (1) હે સખી ! સંદર્ભ છે તારો અને- 1997 (2) હે સખી ! સોગંદ છે મારા તને- 2004 (3) હે સખી ! ઝંખના છે તારી મને- 2012 (4) હે સખી ! તું રક્તમાં મારા વહે છે…2014. હા, સાચી વાત છે. મેં કુલ લગભગ 2500ની આસપાસ મુક્તકો લખ્યાં છે, જે ગુજરાતી સાહિત્યમાં વિક્રમજનક આંકડો છે. આ અગાઉ કોઈ પણ કવિએ આટલી બધી વિપુલ સંખ્યામાં વ્યવ્સ્થિત રીતે મુક્તકો લખ્યાં નથી. મારા ઉપરોક્ત ચાર મુકતકસંગ્રહો બાદ હજી એક મુક્તકસંગ્રહ ભવિષ્યમાં બહાર પાડવાની મારી યોજના છે અને એ દિશામાં હાલ હું પ્રવૃત્ત છું, સક્રિય છું. મુક્તક લેખન પરત્વે ખાસ લગાવ એટલા માટે છે કે એમાં થોડામાં ઘણું બધું અભિવ્યક્ત થઈ જાય છે. મારા અંગત મંતવ્ય અનુસાર મુક્તકો ક્રિકેટની વન-ડે મેચ જેવાં છે અને ગઝલ જાણે ટેસ્ટમેચ જેવી હોય છે. મુક્તકો તરફ વળવાનું-ઢળવાનું મુખ્ય પ્રયોજન એ છે કે એમાં ઓછામાં ઘણું કહેવાની તાકાત હોય છે. ફક્ત ચાર પંક્તિઓમાં સમગ્ર ભાવવિશ્વ ખડું થઈ જાય. કશું લાંબુંલચક નહીં. ક્યાંય પિષ્ટપેષણ કે ખોટો પથારો નહીં. અનુભવમાંથી આવેલી વાત હોય છે. આખો બગીચો નહીં પણ જાણે અત્તરનું પૂમડૂં...! મારા આ આગવા-ધ્યાનાકર્ષક પ્રદાનને અનુલક્ષીને કવિશ્રી રમેશ પારેખે મને ‘મુક્તકો-એ-આઝમ’ નો એવોર્ડ એનાયત થવો જોઈએ એવું વિધાન કર્યું હતું, કવિશ્રી નયન દેસાઈ મને ‘મુક્તકોના સમ્રાટ’ તરીકે સંબોધે છે. વળી કેટલાક સાહિત્યકારો મને ‘મુક્તકોના મહારથી’ ‘મુક્તકોના શહેનશાહ’, ‘મુક્તકોના બાદશાહ’, કે ‘મુક્તકોના મહારાજા’ વગેરે પ્રકારના બિરુદો આપીને નવાજે છે. અલબત્ત, એમાં એમનો સૌનો મારા પ્રત્યેનો સ્નેહ તથા સદભાવ જ ઉજાગર થતો હોવાનું હું નમ્રપણે માનું છું. કારણ કે મારે હજી આગળ વધવું છે અને ખાસ્સી એવી મજલ કાપવાની બાકી છે. હું ખોટો દંભ નથી કરતો પરંતુ મિત્રો અને મુરબ્બીઓ-વડીલોના પ્રેમ અને આશીર્વાદથી, એમની કદર અને કિંમતથી મને ખૂબ જ પ્રોત્સાહન સાંપડે છે એ એક સત્ય હકીકત છે.

આગળ કહ્યું તેમ મુક્તકમાં ભાવોની સંકુલતા પટુતાપૂર્વક ઉતારવી પડે છે. એક ચોક્કસ કુંડાળામાં રહી તલવારબાજી કરવી પડે છે. મુક્તક એ શબ્દચયનની અને ભાવનિરૂપણની એક વિશેષ પ્રતિભા અને પારંગતતા માગી લે છે. તેની પ્રથમ અને દ્વિતીય પંક્તિમાં નિરૂપિત ભાવાભિવ્યક્તિને ઉપાંત્ય પંક્તિમાં આવતાં એક ઠેસ લાગે છે ને એ ઠેસ અંત્ય પંક્તિના ભાવને કંઈક ઉક્તિવૈચિત્ર્યથી, કોઈક અવનવા ઉદગારથી, કોઈ વિશિષ્ટ ચમત્કૃતિથી ઉદઘાટિત કરીને ભાવકને વિસ્મયથી અને ચોટથી અભિભૂત કરી દે છે. શક્તિશાળી કવિ એને પોતાની આગવી શક્તિ અને પ્રતિભાથી સફળ રીતે યોજી બતાવે છે. જે તમને કોઈ પણ કારણથી ભીતરથી હલાવી નાખે, તમારા સ્વ-ભાવનું આનંદમાં રૂપાંતર કરી નાખે તે મુક્તક. પ્રમાણમાં લઘુ એવો આ કાવ્યપ્રકાર ગુણવત્તાની દૃષ્ટિએ અન્ય કાવ્યપ્રકારોથી લેશ પણ ઓછો મહત્વનો નથી. આ પ્રકારવિશેષ દ્વારા કાવ્ય સિધ્ધ કરવું કઠિન છે એટલે જ કદાચ આપણે ત્યાં એનું ખેડાણ ઓછું થયું છે ને ઓછું થાય છે. અને અંતે મારું એક મુક્તક હું અહીં રજૂ કરું છું :

” નામથી હું દિલીપ મોદી છું

કામથી હું દિલીપ મોદી છું …

છે છલોછલ તપશ્ચર્યા મારી –

જામથી હું દિલીપ મોદી છું ! “

અસ્તુ.

(સુરત, તા. 22.3.2015)

સ્નેહી બહેનશ્રી,

સૌપ્રથમ તો મારો મુક્તકો વિશેનો લેખ તમે સ્વીકાર્યો તેથી હું અત્યંત રાજીપો અનુભવું છું.

ખૂબ ખૂબ આભાર…

હવે તમારા સવાલનો સીધો જવાબ :

જે પ્રમાણે છંદ વગરની ગઝલનું કોઈ મૂલ્ય નથી તે જ પ્રમાણે છંદ વગરના મુક્તકની પણ કોઈ વેલ્યૂ નથી. છંદ એ બંને કાવ્ય પ્રકારની મૂળભૂત આવશ્યકતા (Basic Necessity) છે.અલબત્ત બંનેમાં ઉર્દૂ-ફારસી છંદોનો જ વિનિયોગ કરવામાં આવે છે. સર્જનમાં ભાવ કે સંવેદન ગમે તેટલું મજબૂત હોય, કલ્પનો કે પ્રતીકો અદભુત હોય, પરંતુ છંદની ગેરહાજરીમાં એની સાહિત્યિક ગુણવત્તા શૂન્ય થઈ જાય છે. એ સર્જનને-રચનાને ગણતરીમાં લેવામાં નહિ આવે. એની કોઈ ક્યાંય નોંધ લેતું નથી. તેથી છંદ MUST બની જાય છે. આમ, છંદ વગરની કૃતિને સાહિત્યમાં (ખાસ કરીને ગઝલ અને મુક્તક સંદર્ભે) સ્થાન મળતું નથી.

કુશળ હશો.

આદરપૂર્વક,

– દિલીપ મોદીનાં વંદન

ડો.દિલીપ મોદીના મુક્તકોની ઝલક ઃ

યાર, સોનોગ્રાફી ક્યાં સંબંધની થાય?
એક્સ–રેમાં દર્દ ભીતરનું શું દેખાય ?
ટેસ્ટ લોહીનો કરાવી જોઈએ, ચાલ–
પ્રેમનાં જીવાણુ જો માલમ પડી જાય !
****************************************************

ટેરવાં કાપીને હું અક્ષર લખું.
ડાયરીમાં સ્નેહના અવસર લખું.
તારી સાથેના પ્રસંગો, હે સખી !
આજ મારા રક્તની ભીતર લખું.
******************************************************

લાગણીના રંગથી રંગાઈ જઈએ.
ચાલ, મોસમ છે હવે ભીંજાઈ જઈએ.
આંખથી તારી હું, મારી આંખથી તું;
હા, પરસ્પર આપણે વંચાઈ જઈએ
.

***********************************************

મુક્તકઃ કવિ શ્રી કિશોર મોદી

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , add a comment

             ગુજરાતી સાહિત્યમાં મુક્તકો:

             મુક્તક એટલે મોતી.અર્થાત્ કોઇપણ મુક્તક સ્વતંત્ર રીતે મોતીની માફક સ્વયંપ્રકાશિત હોવું જરૂરી ગણાય.

             જેમ શ્લોક એક બે,ત્રણ,ચાર અને પાંચ પંક્તિના હોઇ શકે તેવું જ મુક્તકનું બંધારણ ગણી શકાય.

              મહાકવિ કાલિદાસે શ્લોક રચના માટે મંદાક્રાંતાનો બહુધા ઉપયોગ કર્યો છે જ્યારે કવિશ્રી ભવભૂતિને

              શિખરિણી છંદ વધુ માફક અાવ્યો છે.અનુષ્ટુપ છંદમાં કવીશ્વર દલપતરામે શ્રી ફાર્બ્સ પર લખેલું એક મુક્તક

              ઉદાહરણરૂપે ઉતારું છું.

                                     छाया तो वडना जेवी,

                                     भाव तो नदना सम,

                                     देवोना धामना जेवुं,

                                     हैयुं जाणे हिमालय।

               વળી અા સાથે ઉપજાતિ છંદમાં લખાયેલો એક શ્લોક પણ ટાંકું છું.

                                    असंभवं हेममृगस्य जन्म ।

                                    तथापि रामो लुलुभे मृगाय ।

                                    प्राय: समापन्न विपत्तिकाले ।

                                    धियोडपि पुंसां मलिनीं भवन्ति ।।

                 અાગળ ઉપર અાપણે એક પંક્તિના મુક્તક/શ્લોકની વાત કરી ત્યારે ગુજરાતીમાં લખાતા “તન્હા”

                 નામનો કાવ્ય-પ્રકાર મને યાદ અાવ્યો.તન્હા એટલે કે એક જ પંક્તિમાં પૂરું થતું સ્વતંત્ર કાવ્ય.

                 જેને બીજી પંક્તિનો સહારો ખપતો નથી.

                                   कोकाकोला अाज मारी जेम उदास।

                        તેમજ

                                  मधमाखीने डायाबिटीस थाय तो ?

                  ગુજરાતી સાહિત્યમાં બે તેમજ ચાર પંક્તિના મુક્તકો વિશેષ જોવા મળે છે.તેમાં અાજકાલ

                  ફારસી છંદોમાં લખાતાં મુક્તકો ચાર પંક્તિના હોય છે. અા ચાર પંક્તિના મુક્તકોમાં અનુક્રમે પહેલી,

                  બીજી અને ચોથી પંક્તિમાં રદીફ-કાફિયારૂપે પ્રાસ નિભાવવા પડે છે.ઉદાહરણરૂપે મારાં બે મુક્તકો અહીં

                  ઉતારું છું.જેમાં પહેલું મુક્તક ફારસી છંદમાં છે જ્યારે બીજું મુક્તક પિંગળના છંદમાં ( રથાોધ્ધતા )

                  નિર્માયું છે.

                                   वाणीनी जाजम विशे मोहित छे मन,

                                   शब्दना मखमल विशे मोहित छे मन,

                                   लागणी अानंदघेली छे ‘किशोर’,

                                   श्वासमां हरफर विशे मोहित छे मन।

                                  वाणीना फलकमां मुदित छुं,

                                  अर्थना मरममां मुदित छुं,

                                  हर्ष अंदर लगी ‘किशोर’ छे,

                                  तत्त्वना अतळमां मुदित छुं।

                    દુહા અને સાખી એટલે મોટા મોટા ગ્રંથનો સારાંશ માત્ર બે પંક્તિમાં ઉજાગર થાય છે અને અા બંને

                    રચનાઓ મુક્તક/શ્લોકનાં સહોદર જેવાં ભાસે છે. બે ત્રણ  ઉદાહરણ ભાવક માટે લખવાનો મોહ

                    છોડી શકતો નથી.

                                  अमारी धरती सोरठ देशनी, ने ऊंचो गढ गिरनार,

                                  सावजडां सेंजळ पीए, एना नमणां नर ने नार।

                                 पैसा पैसा सहु चाहे,

                                 पण ए छे हाथनो मेल,

                                 सघळुं अहीं रही जशे,

                                 पुरो थशे जीवननो खेल।

                                 ढाइ अक्षर प्रेमना,

                                 पढी पढी पछताय,

                                 जो लक्षमी गांठ नारही,

                                 तो गृह लक्षमी पण जाय ।

                      રુબાયતના રચયિતા ફારસી કવિશ્રી ઉમર ખૈયામ મુક્તકોથકી જ જગતના સાહિત્ય મંચના ઉચ્ચ

                      અાસને બિરાજે છે.તેમની એક રુબાયતનો શ્રી રજનીશ માંગા કરેલો હિંદીમાં કરેલો  અનુવાદને

                      ચાલો અાપણે માણીએ.

                                    मुर्गेने जब दी बांग सुन कर हर कोइ ऊठ जायेगा ,

                                    दर सरायेका खुलेगा जब कोइ जोरसे चिल्लायेगा,

                                    तुम जानते तो हो यहाँ पर है ठिकाना कितने दिन,

                                    फिर बाद जाने के यहाँसे कौन मुड कर अायेगा ।

                      અંતમાં કવિશ્રી દિલીપ મોદીએ ફારસી છંદોમાં લગભગ ૨૦૦૦ જેટલાં મુક્તકો રચીને ગુજરાતી

                      સાહિત્યને એક વિક્રમ સુધી ઉજાગર કર્યું  છે તેનો અત્ર ઉલ્લેખ કરીને વિરમું છું.

                      કિશોર મોદી લખ્યા તારીખ : ૩/૨૭/૨૦૧૫.

“કુમાર” માર્ચ ૨૦૧૫-“બાકી છે…” April 18, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

“કુમાર” માર્ચ ૨૦૧૫-“બાકી છે…”

 

kumar-march'15

 “કુમાર” માર્ચ ૨૦૧૫ માં પ્રકાશિત થયેલ મારી એક ગઝલઃ  “બાકી છે…”

જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે.
ઘણી વિતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે.

જમાનો કેટલો સારો, બધું સમજાવતો  રે’છે !
દિવા જેવું બતાવે લો, કહો ક્યાં, શર્મ બાકી છે !

સદા તૂટ્યાં કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો.
સતત મંદિરની ભીંતો, કહે છે,ધર્મ બાકી છે.

ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે,
મથે છે રોજ તો ઈન્સાન, પણ હાયે,દર્દ બાકી છે.

જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ,
ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે.

Sitting on the deck….looking about 35 years back…. April 8, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

This morning (April 4) we were sitting on the deck, having coffee and talking about 35 years back….

sitting on the deck

  On this day of Good Friday..
  leaving our own loved ones
  and mother land,  holding
  little fingers of two kids.
  entered in the new world of  West.
 Traveled long, hand in hand
 without much skills and
 knowledge of new world
 with cool mind and positivism.
 choosing together the best we could
 of unknown path forward.
 crossed Ups and downs
 like mountains and valleys,
 rivers and roads,
 smooth and rough.
 Learned while loss of roots,
earned and gained a lot.
in this natural learning
process of  life-lessons.
Now sitting on the Deck,
found tree looking back.
fruits, colorful flowers
with healthy green branches.
 bowed head to Powers Of Supreme
 on this day of  ” Good Friday”…

 

સમયનો તકાજો.. April 7, 2015

Posted by devikadhruva in : ગઝલ , add a comment

સમયનો તકાજો

જીતી જો જાવ તો ખુદના બધાં, પાછળ રહી જાય છે.
અગર હાર્યાં તમે, તો પોતીકા પાછળ મૂકી જાય છે.

સમયનો આ તકાજો પણ અરે, સોદો કરી જાય છે,
અનુભવ આપી સઘળી માસુમિયત એ લઈ જાય છે.

અજાયબ ને અકળ છે દોડ આ જીવન સંગ્રામે,
કપાતી રાત ના, ને વર્ષના વર્ષો વીતી જાય છે!

અમે વરદાન માંગ્યું, દુશ્મનોથી છૂટવાનું જ બસ,
થતું આશ્ચર્ય કે મિત્રો બધાં ઓછા થઈ જાય છે !

ન જાણે કોને માટે સ્વર્ગ, ઉપર તેં બનાવ્યું હશે.
કહેને કોણ ક્યારે અહીં, ગુના વિના જીવી જાય છે?

‘કવિલોક’ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૫માં પ્રસિધ્ધ થયેલાં ત્રણ કાવ્યો… March 22, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 

kavilok-Jan2015….

 

સ્વ.શ્રી નારાયણભાઈ મહાદેવ દેસાઇને અંજલિ..

Posted by devikadhruva in : Uncategorized , add a comment

સ્વ.શ્રી નારાયણભાઈ મહાદેવ દેસાઇને અંજલિ..

 

પ્રખર ગાંધીવાદી અને ગાંધીજીના વિચારોને મિશન માનીને જીવનભર કાર્યરત રહ્યા તેવા સ્વ.શ્રી નારાયણભાઈ દેસાઇને અંજલિ અર્પવા માટે યોજાયેલ પ્રાર્થના સભા માટેની ઈમેલ મળી ત્યારે હું તેમની સાથેના કેટલાંક સંસ્મરણો વાગોળતી હતી. તેમાંના છેલ્લાં કેટલાંક આજે આ સાથે વહેંચુ છું.

૨૦૦૯ ની શિયાળાની એક સવાર. હું ત્યારે હ્યુસ્ટનથી અમદાવાદ ગઈ હતી અને ગાંધીકથા માટે શ્રી નારાયણભાઈ વેડછીથી ત્યાં આવ્યાં હતાં. યોગાનુયોગે વર્ષો જૂના અમારા કુટુંબના સહારારૂપ મજમુદાર પરિવારમાં હું રોકાઈ હતી અને તેઓ પણ હંમેશા ત્યાં જ ઉતરતા અને રહેતા તેથી નજીકથી મળવાનુ અને સાથે રહેવાનું બન્યું. મારું એ ખુશનસીબ કે એ દિવસોમાં મારા પ્રથમ પુસ્તક “શબ્દોને પાલવડે”ની પ્રથમ નકલ ત્યાં, મારા હાથમાં આવતા તેમના આશીર્વાદને પાત્ર થઈ અને ગુજરાત વિદ્યાપીઠને પહોંચી.

HPIM3423

તે વખતે કહેલાં તેમના શબ્દો હજી એવાં ને એવાં જ યાદ છે. “સાહિત્ય સર્જી શકે એ જ સાચું જીવી શકે. લખવાનું ચાલુ જ રાખજે.” તે પછી તેમની સાથે એક જ ગાડીમાં ગાંધીકથા માટે જવાનું થયું.

ચાર વર્ષ પછી ફરીથી ૨૦૧૩માં  ભારતની મુલાકાત દરમ્યાન તેમને મળવાના યોગો અનાયાસે ઊભા થયાં. મુક્તિબેન મજમુદારનું કુટુંબ એટલે અમારા કુટુંબની છત્રછાયા. નારાયણ દેસાઇનો પણ એ ઘેર જ મુકામ. તેમના તમામ એવોર્ડ પણ ત્યાં જ હોય. ૨૦૧૩માં પણ એ રીતે એ ઘરમાં જ તેમને શાંતિથી મળવાનું બન્યુ.  ૨૦૦૯માં મારા પ્રથમ પૂસ્તક ‘શબ્દોને પાલવડે’ની પ્રથમ કોપીની જેમ જ  બીજી ઇબૂક ‘અક્ષરને અજવાળે’ને પણ એ જ સદભાગ્ય સાંપડ્યુ. આ રહી એ ધન્ય ક્ષણો..

ન..દેસાઇ-૨    ન..દેસાઇ

Narayan Desai

 

 

 ૨૦૧૧ના માર્ચ મહિનામાં હ્યુસ્ટનની  ગુજરાતી સાહિત્ય સરિતાએ જ્યારે દશાબ્દિ મહોત્સવ ઉજવ્યો ત્યારે ગુજરાતી ભાષા અંગેનો તેમનો સંદેશો તેમના જ હસ્તાક્ષરોમાં એરોગ્રામ પત્ર દ્વારા મળ્યો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આવાં થોડાં ઘણાં યાદગાર પ્રસંગોની સ્મૃતિ સહિત, આજે  ગુજરાતી લીટરરી એકેડેમી  ઓફ નોર્થ અમેરિકા અને ટીવી એશિયા સાથે હું પણ મનથી પ્રાર્થના સભામાં જોડાઉં છું અને મહાન આત્માની પરમ શાંતિ અંગે અંજલિ અર્પું છું.

દેવિકા રાહુલ ધ્રુવ

 

होलीका संवाद-गीत March 4, 2015

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

 અહીં ક્લીક કરોઃ     https://www.youtube.com/watch?v=CH72cvGd5NA

https://www.youtube.com/watch?v=iHW0vMIgnPM
होलीके अवसर पर आप सबको मेरा रंगभरा नमस्कार।
 International Hindi Association, Houston ,  India Culture Center and JVB Center  had organized an event of Holi celebration at JVB Preksha Meditation center on March 1st.
 
Here is the presentation of my own poem in Hindi about Holi…
 

મન… February 26, 2015

Posted by devikadhruva in : અગદ્યાપદ્ય , add a comment

 

‘કવિલોક’માં પ્રસિધ્ધ થયેલ એક અછાંદસ રચના…

(અંકઃ જાન્યુ-ફેબ્રુ.૨૦૧૫-પાના નં ૨૪)

મન…મન…
સાવ નાજુક કુમળાં છોડ જેવું.
હઠીલાં નાનકડાં બાળ જેવું.
વારંવાર એને સમજાવવું પડે.
ઘડીઘડી એને મનાવવું પડે.
મન….આ મન……
માની જાય, સમજી જાય,
વાળીએ તેમ વળી પણ જાય ને
વળી પાછું અચાનક છટકી જાય.
મર્કટ બની કો’ મદારીની
ડુગડુગી પર નાચવા માંડી જાય.
મનગમતી જગાએ પહોંચી જ જાય,
આપમેળે ગમતું સઘળું કરતું થઈ જાય.
આ મન.. મન…
કોઈનું મન સુદામાના તાંદુલમાં,
કોઈનું ભરસભામાં ચીર પૂરતા સખામાં.
કોઈનું ભીલડીના એંઠા બોરમાં,
તો કોઈનું મન કેવટની નાવમાં..
હં…આજના માનવીનું મન,
ચંદ્ર અને મંગળમાં.
વિધવિધ ટેક્નીકલ રમકડાંમાં!
પણ એ કદી કેમ નથી પહોંચતું
એકબીજાંના મન સુધી !!!
કેમ?! કેમ!!!
આ મન…મન…..

રૂમઝૂમતું કંઈક આવ્યું છે… February 8, 2015

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

હવા, પાણી અને પ્રકાશ જેટલાં પ્રકૃતિ માટે જરૂરી છે તેટલાં જ માનવ જીવન માટે પણ જરૂરી છે.પ્રતિદિન ખુબ સહેલાઈથી મળી જતાં આ ત્રણે તત્ત્વો વિશે આપણે ભાગ્યે જ ઝાઝું વિચારીએ છીએ.પણ ટેકનીકલના આ યુગમાં, ક્યારેક એકાદી ક્ષણે, જરા આંખ મીંચીને કુદરતને માણવાની તક લઈશું તો એક અનોખો આનંદ મળશે. વસંત ૠતુની વ્હેલી સવારની એવી એક પળની અનુભૂતિ, આજના મારા શુભ દિને (જન્મદિવસ) ગીતરૂપે આપની સમક્ષઃ

 

રૂમઝૂમતું કંઈક આવ્યું છે. 


રૂમઝૂમતું  કંઈક આવ્યું છે, કોઈ લઈ લો 
રે, કોઈ લઈ લો.
મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો.
 

મીંચી ઉઘડતી આંખ વચાળે ઉજાસ થઈ પથરાતું,
વાદળ-દળને  છેદી, ભેદી, રેશમ-શું સ્પર્શાતું.
સૂર્યકિરણનું તેજ સુંવાળું ચેતન ભરતું આવ્યું છે, કોઈ ઝીલો રે, કોઈ લઈ લો.
સ્મિતની સંગે, અંતર અંગે, ઝળહળ  ઝળહળ  ઝીલી લો  રે, કોઈ લઈ લો….રૂમઝૂમતું  કંઈક
 

બારી મનની ખોલી સૂંઘો, શીતલ પવનની સુરભી.
ખુલી હવા મદમાતી ગાતી ગુનગુન ગુનગુન ગરબી.
મધુર સાજને તાલે એ તો થનગન થનગન નાચ્યું છે, કોઈ નીરખો રે, કોઈ લઈ લો.
સરસર સરતા સમીરની મસ્તી, ગુલશન ગુલશન જોઈ લો રે, કોઈ લઈ લો….. રૂમઝૂમતું  કંઈક 

દડદડ દડીને  પરવત  પરથી, બનીને ઝરણું રમતું,
ઝીલમીલ ઝરીને,ભળીને બનતું સરિતા મધ્યે મળતું.
ઉછળી ઉછળી ધસમસતું એ દરિયે જઈ સમાયું છે, કોઈ સમજો રે, કોઈ લઈ લો..
બૂંદબૂંદના ગેબી નારા, હરદમ, મનભર સૂણી લો રે, કોઈ લઈ લો. ……રૂમઝૂમતું  કંઈક 

તેજ,પવન, જલ તનમન  ભરતું કણકણમાં ઉભરાયું છે, કોઈ લઈ લો,
કોઈ ઝીલી લો રે, કોઈ જોઈ લો રે, કોઈ સૂણી લો  રે, કોઈ ભરી લો રે… રૂમઝૂમતું  કંઈ

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.