ઇશ્વરની યાચના December 23, 2013
Posted by devikadhruva in : ગઝલ , trackbackપથ્થર બનાવી પૂજતા, આ માનવીનું શું કરું?
દંભી બનીને પ્રાર્થતા, આ માનવીનું શું કરું?
શણગારવા મુજને કરે, લાખો કરોડો ખર્ચ સૌ,
મૂઠી ભરી ના દાન દેતા, માનવીનું શું કરું?
ના પામતા કો’ બાળકો પણ, દૂધ છાંટો ક્યાંક તો,
પંચામૃતો રેલાવતા, આ માનવીનું શું કરું?
ભૂખ્યા જનો દ્વારે ઉભી, પીડા લઇને ટળવળે,
છપ્પન ધરે ભોગો બધા, આ માનવીનું શું કરું?
જોયા નથી શુકન કદી, કે ના મુહુર્તો શ્વાસના,
ક્ષણ ક્ષણ દીધી મેં હાથમાં, આ માનવીનું શું કરુ?
ફૂલો સમા નિર્દોષ ને નિર્મળ સહુ જન્માવું હું,
કેવાં હતાં, કેવાં થયાં, આ માનવીનું શું કરું?
ક્યાંથી રીઝુ? આ વિશ્વ જોઇ, યાચના તો હું કરું !
હે માનવી, સમજાવી જા, આ માનવીનું શું કરું?
Comments»
no comments yet - be the first?