અંજલિ July 23, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 19 commentsપંખીના ટોળાં અને યાદોના મેળા
દૂરથી ઉડી આવતાં પંખીના ટોળાં;
ફફડાવી પાંખો કરતા યાદોના મેળા;
ચાંચોથી ખોતરતા મનના સૌ જાળાં,
જાળેથી ખરતાં જૂના તાણાવાણા….
ઉપસી છબી માની ફેરવતી પાના,
લખતી રહેતી સદા ભગવાનના ગાણાં;
કહેતી’તી “વેરજો બેન,પંખીને દાણા,
ને જાઓ જો દેશ તો ગાયોને પૂળા..
અવગણજો પડે જો મનને કો’ છાલાં,
વિવાદ-વાદ ના કરશો કોઇ ઠાલા;
સંસાર તો જાદુગરની છે માયા,
અહીંયા ના કોઇને કોઇની છે છાંયા….”
નિસ્પૃહી માતાની સ્મૃતિના ટોળાં,
નીતારે પાંપણથી આંસુની ધારા;
અર્પુ શું અંજલિ લઇ અક્ષ્રરની માળા,
શબ્દો પડે જ્યાં ઉણાં ને ઉણાં….
ગીચ ઝાડીથી ઉડતાં પંખીના ટોળાં,
ફફડાવી પાંખો રચે મમતાના મેળા….