સ્મરણની શેરીમાંથી…૧ February 20, 2019
Posted by devikadhruva in : સ્મરણની શેરીમાંથી.. , 1 comment so farસ્મરણની શેરીમાંથી…
સ્મરણગલીની સાંકડી શેરી, વિશાળ થઈને વિહરી જો.
વતન-જતનનું નર્તન કરતાં નિશાળ થઈને નીકળી જો.
ઝુંપડી સમી પોળની માટી, પથ્થર, રેતી પવન ને પાણી,
તેજની ધારે ધારે અહાહા, કેવી મહેલ થઈને નીખરી,જો.
( ૧ )
રેશમી સુંવાળા રુમાલમાં અને મશરૂથીયે મુલાયમ મખમલી કપડામાં વીંટળાઈને મળેલી એક જીંદગી, અંતે સફેદ ચાદરની ચિર શાંતિમાં પોઢી જાય છે. પણ એની વચ્ચે કેટકેટલું બને છે? બંને સમયે હાથ તો ખાલી ને ખાલી, છતાં આ પારણા ને નનામીની વચ્ચે..’ક્રીબ’ અને કફનની વચ્ચે…ઘોડિયાથી શબવાહિનીની વચ્ચે કેટકેટલી ઘટના? કેટકેટલા ઉધામા?
પહેલાં સોહામણું…રળિયામણું..પછી સતામણું, બિહામણું અને છેલ્લે ?.. આ સનાતન સત્ય સુધી પહોંચવાના આ તે કેવા તબક્કાઓ, કેટલી અવસ્થાઓ? અને કેવાં કેવાં પરિવર્તનો?
જન્મ પછી બાળક પર અનેક વસ્ત્રો વીંટળાતા જાય છે. સૌથી પહેલાં લોહીના સગપણના વસ્ત્રો. પછી શેરીના, મહોલ્લાના કે આસપાસના બાળકોની દોસ્તીના વસ્ત્રો. પછી ૫-૬ વર્ષે સ્કુલમાં જવાનું શરૂ થતા થતા શિક્ષક અને મિત્રોના સંબંધોના વસ્ત્રો ચડે છે. ધીરે ધીરે વય વધતા વ્યવહારના અને તહેવારના, એમ એક પછી એક વસ્ત્રોથી પેલો બાળક વીંટાતો જ જાય છે. એટલી હદ સુધી કે એ ક્યારે બાળકમાંથી બદલાઈ જાય છે એની એને પોતાને જ ખબર નથી રહેતી. બાળપણમાં મળેલા કોરાકટ કાગળ પર પોતે ક્યારે અને કઈ રીતે રાગદ્વેષના હાંસિયા દોર્યા એય ખ્યાલ બહાર જ જાય છે. હા, આ આવરણોથી રક્ષણ અને સંરક્ષણ તો મળે છે જ પણ સાથે સાથે જે ખરાં બીજ છે તે ઊભરતા અનુભવાય છે.
આ વિચારધારા સાથે, વર્ષો જૂના કેલેન્ડરના પાનાં પાછળ ને પાછળ ફેરવતા જઈએ તો સ્મૃતિના ડાબલામાંથી ઘણું બધું હાથમાં સરી આવે છે. પણ આ સ્મૃતિ પણ એક અજબની રહસ્યમય વસ્તુ છે. એ હંમેશા એને ગમતું જ સાચવે છે. બાકીનું તો બધું ખબર નહિ, કેવી રીતે ક્યાં ફેંકી આવે છે કે ઢાંકી દે છે! આ સાથે જ બીજો સવાલ એ છે કે, આગળ ચાલતી આ ગાડીના ‘રીઅર વ્યુ મિરર’માંથી કેટલે દૂર જોઈ શકાય છે?
૭૧ વર્ષના જૂના દ્વારો ખોલવા બેઠી છું. નથી ખોલી શકાતા. ક્યાંથી ખુલે? આશ્ચર્ય નથી. હકીકત છે. સ્મૃતિનું આ એક વિસ્મય છે, એક રહસ્ય છે કે એના દાબડામાં અમુક ઉંમર સુધીનું કોઈને કશું જ યાદ નથી હોતું. સ્વયંનું ગર્ભમાંથી બહાર આવવું, તે વખતના માતાના ચહેરા પરના ભાવો, પિતાની ખુશી અને જવાબદારીનો અહેસાસ, કુટુંબનો આનંદ વગેરેની છાપ કોઈપણ બાળકના અબૂધ માનસમાં પડેલી હશે કે કેમ તે તો ખબર નથી. એ જે હશે તે પણ, જીંદગીના કોઈપણ સમયમાં ક્યારેય, કોઈ કારણસર કે વિના કારણ, એ છાપ આળસ મરડીને બેઠી થતી જ નથી. વળી એ જમાનામાં આજના જેવી ફોટોગ્રાફી કે વીડીયોગ્રાફી જેવાં ઉપકરણો ન હતા અને માતપિતામાં પણ એવી કોઈ ઘેલછા ન હતી. હા, પેંડા બરફી વહેંચાતા ખરા.
સ્મૃતિમાંથી સરે છે માત્ર વડિલોના કહેવાયેલા શબ્દો. તે પણ સમજણી ઉંમરે. મા ખૂબ જ ઓછાબોલી હતી. એણે એકવાર કહેલું કે “તારો જન્મ ગામડામાં ઘરમાં જ, દાયણોના હાથે થયેલો. એ જમાનામાં છોકરો આવે તો વધારે આનંદ થાય અને તારો નં ત્રીજો. તારી આગળ એક છોકરી તો હતી જ. તોય તને જોઈ મને બહુ હેત ઉભરાતું.” બસ, આટલું જ. અને દાદીમાએ કહેલુઃ “દિકરો આવ્યો છે તેમ ગામડેથી કોઈએ કહેવડાવેલું એટલે પેંડા વહેંચ્યા. પછી ખબર પડી કે તું તો મૂઈ માતા છે!! ને પછી હસતા.
આટલી જન્મ વિશેની સાંભળેલી વાત સિવાય ચાર વર્ષ સુધીની કોઈ જ યાદો ખુલતી નથી. સૌથી પહેલી જે ખુલે છે તે મા સાથે ગામડે મોસાળ જતી તે. સાવ પોતીકું, જનમોજનમથી પોતીકું હોય એવું એ લીંપણવાળું, ઈંટ કલરના નળિયાના છાપરાંવાળું, કાથીના ખાટલા ઢાળેલું, આગળ ઓસરી, અંદર એક જ ઓરડો અને પાછળ નાનકડા વાડાવાળું ઘર. એ જગા, જ્યાં પરમ શક્તિએ આ જીવને ધરતી પર હળવો ધક્કો મારી મોકલ્યો હશે. આહ..એ જગા, ઘર અને ગામ વિશે આગળ ઉપર વાત.
આજે તો માત્ર આ યાદો કેવી હોય છે? એ વિશે થોડું ચિંતન અને મનન. આપણે કહીએ છીએ કે સમય બળવાન છે એ વાત તો સાચી.પણ આ સ્મૃતિઓ સમયથી પરે છે. એને વર્તમાનકાળ સાથે કશી જ નિસ્બત નથી અને ભવિષ્યની તો પરવા જ ક્યાં છે? છતાં ખૂબી તો એ છે કે, સ્મૃતિઓ ભૂતકાળને લઈને વર્તમાનમાં જીવે છે. એ મનમોજી છે. એને જ્યારે આવવું હોય ત્યારે જ અચાનક આવી જાય છે. ઘણીવાર કારણો મળે તો પણ સંતાઈ જાય છે. કદાચ સમૃધ્ધિમાં! અને ક્યારેક વગર કારણે આવી જાય છે અને ખસવાનું નામ પણ નથી લેતી. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. મોટે ભાગે બુધ્ધિને નેવે મૂકી દે છે અને દિલને વળગી જાય છે. એનું સ્વરૂપ કેવું છે? નથી ખબર. એનો આકાર કેવો છે? નથી ખબર. એના નખરા ખબર છે. ક્યારેક મઝા કરાવે છે તો ક્યારેક હેરાન હેરાન કરી મૂકે છે. એ મનમાં જ રહે છે, મનમાં જ ઊભી થાય છે અને મનમાંથી જતી પણ રહે છે. ઉપમા કોની અપાય? નિરાકાર તો ઈશ્વર છે એને ઈશ્વર તો ન કહેવાય. કારણ કે,ઈશ્વર તો સર્જક છે! યાદો ક્યાં સર્જક…..અરે..કેમ ભૂલાય? હા, યાદો સર્જક ખરી જ. માનવીને જ્યારે સંવેદના કે અનુભૂતિ થાય છે ત્યારે બરાબર એ જ ક્ષણે એ કંઈ કહેતો કે લખતો નથી. પણ મોટેભાગે બધું થઈ ગયા પછી ધીરે ધીરે એની યાદોમાંથી જ તો લેખક કે કવિઓ સર્જન કરે છે ને? એટલે શબ્દાકારે થતાં સર્જનો એ સંવેદનાની યાદોમાંથી જન્મે છે એમ કહી શકાશે? અદ્ભૂત ! અદ્ભૂત! આજે આ જે કંઈ લખ્યું તે એની જ તો લીલા છે ને!
આ વિશે સુરેશ જોશીના એક નિબંધ સંગ્રહ “જનાન્તિકે”માં ખૂબ જ સુંદર લખ્યું છે કે,
સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવાં નવાં વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે..તથ્યનો એ વિકાસ જ સ્મરણમાં જ થાય છે; ત્યાં જ એનાં શાખા, પલ્લવ અને ફળફૂલ પ્રકટ છે. આથી જ આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડી શકીએ છીએ.”
આજની પેઢીને માટેનું ચિત્ર કદાચ જુદું હશે. કારણ કે, વિકસતી જતી ટેક્નોલોજીને કારણે ‘ડોક્યુમેન્ટસ’ ની જેમ યાદો પણ એને હાથ વગી જ હશે! હાથમાંની “એપલ વોચ”પર, યુટ્યુબ પર, આઈપેડ/ટેબ્લેટ પર,આઇફોન/સ્માર્ટ ફોન પર… એને સંવેદનાશૂન્ય કહીશું? યાદદાસ્તનું સ્મશાન કે આશીર્વાદ કહીશુ? મનનો અભિગમ પરિવર્તનને આવકારે છે આશીર્વાદરૂપે. જરૂર છે માત્ર યથોચિત ઉપયોગ. મોજશોખ કે ઈચ્છાઓ અનિવાર્ય જરૂરિયાત ન બની જાય તેવી તકેદારી.
अति सर्वत्र वर्जयेत्।
ઈ-વિદ્યાલય–૨ February 6, 2019
Posted by devikadhruva in : Uncategorized , add a comment http://evidyalay.net/archives/109619
( ૨ )
પ્રિય ઈ-વિદ્યાર્થીઓ.
આજે કેવું સંબોધન કર્યું? ઈ-વિદ્યાર્થીઓ !
ઈ ( ઈલોક્ટ્રોનિક્સનો ) સમય છે ને? ઈ-મેઇલની જેમ..ઈ-વિદ્યાલયની જેમ..ઈ-બુકની જેમ..
આજે આપણે શબ્દ લઈશું, વિદ્યાલય.
આ શબ્દને પહેલા આપણે છૂટા પાડી દઈએ. વિદ્યા+આલય.મૂળ સંસ્કૃત શબ્દ છે.
વિદ્યા= શિક્ષા,જ્ઞાન અભ્યાસ. અને આલય=જગા,સ્થાન,ધામ,આવાસ,નિવાસ,સદન,ઘર,ગૃહ
એટલે કે, જ્યાં શિક્ષણ આપવામાં આવતું હોય તે જગા.
તેના બીજાં શબ્દો છે નિશાળ,શાળા,પાઠશાળા વગેરે. અંગ્રેજીમાં ‘સ્કૂલ’ કહેવામાં આવે છે.
વિદ્યા પણ બહુ પ્રકારની હોય અને વિદ્યા શબ્દના બીજાં પણ અનેક અર્થો છે. પણ મુખ્ય અર્થ જ્ઞાન છે. મઝા આવે છે તમને? થોડાં વધુ ઊંડા જવું છે? તો સાંભળો.
સંસ્કૃત ભાષામાં શબ્દોના મૂળને તેનો ધાતુ કહેવાય. હવે આ વિદ્યા શબ્દના મૂળમાં ‘વિદ’ (દ ખોડો) એટલે કે, विद्=જાણવું અને અર્થી એટલે કે ઈચ્છાવાળું. આમ, જેને જાણવાની ઈચ્છા કે જીજ્ઞાસા છે તેને વિદ્યાર્થી કહેવાય. વિદ્યાલયમાં જઈ વિદ્યા સંપૂર્ણ મળી જાય તેને વિદ્યાવાન કહેવાય. તમારે વિદ્યાવાન થવું છે ને બાળકો?
તે જ રીતે આલય શબ્દને પણ આ+લય એ રીતે સંસ્કૃતમાં છૂટો પાડવામાં આવે છે અને તેના પણ બીજાં ઘણાં અર્થો થાય. જેમ કે, આ= સુધી અને લય એટલે નાશ. એટલે કે નાશ પામે ત્યાં સુધી, છેક સુધી. એના ઉપરથી તમે જાતે જ કેટલાંક શબ્દો વિચારી જુઓ.
હિમાલય= હિમ+આલય
દેવાલય=દેવ+આલય
કાર્યાલય=કાર્ય+આલય
વિદ્યાલય=વિદ્યા=આલય.
આપણી માતૃભાષા કેટલી મઝાની છે, નહિ?
એક વાત યાદ આવી. હું બહુ નાની હતી. કંઈ પણ વાંચુ તો મનમાં બહુ સવાલો થાય. વાક્યમાં કોઈ એક શબ્દ પર ધ્યાન જાય.દા.ત. “તેઓ હિમાલય ફરવા ગયાં” વાંચ્યા પછી વિચાર આવે કે, હિમાલયને બદલે ‘શીતાલય’ કે ‘ટાઢાલય’ ના વપરાય?!! અર્થ તો એ જ થાય ને? હિમ એટલે ઠંડી, ટાઢ એટલે પણ ઠંડી અને શીત એટલે પણ ઠંડી. પછી મનમાં ને મનમાં હસવું પણ આવે. તમને પણ એવું થતું હશે ને? આ ઈવિદ્યાલયમાં એવા સવાલો પૂછવાની છૂટ છે હોં. તો અમને અને આ સુરેશદાદાને પણ ખબર પડે ને કે તમે વાંચ્યું!
બીજી પણ એક એવી જ વાત કહું. હસતાં,રમતાં ભણવાની બહુ મઝા આવે ને? મારા દીકરાનો દીકરો મને પૂછે કે, આપણે અંગ્રેજીમાં ૧૬,૧૭,૧૮ વગેરે નંબરોને સિક્સ+ટીન, સિક્સટીન કહીએ, સેવન+ટીન,એઈટ+ટીન અને નાઈન+ટીન કહીએ તો તે પછી ટેન+ટીન કેમ ના કહેવાય?!! સરસ અને વિચારવા જેવો સવાલ છે, હેં ને? તમે પણ આવા સવાલો કરો તો મને બહુ ગમે.
ચાલો બીજો એક શબ્દ લઈએ હવે?
તમે જે આ ઈ-વિદ્યાલયમાં ભણી રહ્યાં છો ને તેમાં ઈ-વિદ્યાલયના ચિત્રની નીચે ‘પ્રવેશ દ્વાર’ શબ્દ લખ્યો છે. બરાબર?
તેમાં પ્ર+વિશ+અ= પ્રવેશ અને દ્વાર=બારણું.
પ્ર એટલે આગળનું. અંગ્રેજીમાં જેને prefix કહેવાય છે ને તેને ગુજરાતી અને સંસ્કૃતમાં પણ ઉપસર્ગ કહેવાય છે.દા.ત. પ્રારંભ,પ્રગતિ,પ્રબળ,પ્રદર્શન. એ રીતે પ્રવેશ.
વિશ એટલે દાખલ થવું, અંદર જવું,આરંભ કરવો,શરૂઆત કરવી વગેરે.
પ્ર+વિશ+અ. અ એટલે નામ બનાવવા માટે લગાડાતો પ્રત્યાય. પ્રવેશ કરવો એક ક્રિયા છે. પણ પ્રવેશ એકલો કહેવો હોય તો તેને નામ બનાવવું પડે ને? ત્યારે અ લગાડાય. હવે ફરીથી આખો શબ્દ વાંચોઃ પ્રવેશદ્વાર. અંદર દાખલ થવાનું બારણું. એટલે હવે કોઈપણ વ્યક્તિને આ ઈવિદ્યાલયમાં શું શું છે તે જોવું હોય કે શીખવું હોય તો પ્રવેશદ્વારમાં જઈએ તો બધું જ જોવાય અને શીખાય. જેમ નિશાળે જઈએ અને બારણું ખોલીને દાખલ થઈએ તેમ જ.
પ્રવેશદ્વારને અંગ્રેજીમાં Entrance door અને હિન્દીમાં आगमन दरवाज़ा કે પ્રવેશદ્વાર પણ કહેવાય છે.
ચાલો, આજે અહીં ઘંટ વગાડી દઈ વર્ગ પૂરો કરીએ.
દેવિકા ધ્રુવ
ઈ-વિદ્યાલય–૧ January 30, 2019
Posted by devikadhruva in : Uncategorized , add a commenthttp://evidyalay.net/archives/109514
http://evidyalay.net/archives/109514
ઈવિદ્યાલયના બાળકો માટે ખાસ…
પ્રિય બાળકો,
આજે વહેલી સવારે તમે યાદ આવ્યાં અને થયું તમારી સાથે કંઈક વાતો કરું. સૌથી પહેલા તો તમે આ ઈવિદ્યાલય પર જે ભણી રહ્યા છો તેને માટે અભિનંદન આપી દઉં. કારણ કે એમાં જાતજાતનું કેટલું બધું શીખવાનું મળે છે!
તમારી જેમ એમાંથી હું પણ શીખું છું હોં. એક વાત કહું ? મને સૌથી વધારે પ્રાર્થના વિભાગ ખૂબ ગમ્યો. તમને ખબર છે પ્રાર્થના એટલે શું? ચાલો એના વિશે થોડી વાતો કરીએ.
આમ તો પ્રાર્થના એટલે બે હાથ જોડીને, આંખો બંધ કરીને ભગવાન પાસે કંઈ માંગવું તે એવો એનો અર્થ થાય. આપણે સૌ નાનપણથી આ કરીએ છીએ અને એનો અર્થ પણ જાણીએ છીએ. પણ આજે આપણે એના વિશે થોડી વધારે વાતો જાણીએ.
એક નવાઈની વાત કહું? બહુ હસતાં નહિ. થોડું મલકી લેજો જરૂર. આપણે આ ’પ્રાર્થના’ શબ્દ કેટલી સહેલાઈથી બોલી શકીએ છીએ પણ અમેરિકનો કે બીજી પરદેશી પ્રજાને તો એ બોલતા પણ ન આવડે અથવા બહું અઘરી લાગે. કેવી નવાઈની વાત હેં?
હા,તો આ પ્રાર્થના શબ્દનું મૂળ ક્યાંથી આવ્યું? પહેલાં આ શબ્દને છૂટો પાડીએ.
પ્ર+અર્થ=અન+આ
સંસ્કૃત ભાષામાં પ્ર એટલે સૌથી સારું,ઉત્તમ,શ્રેષ્ઠ.
અર્થ એટલે માંગવું તે.
અન એટલે પણું+માંગવાપણું
આ એટલે સ્ત્રી જાતિનો પ્રત્યય. પ્રાર્થના કેવી કહેવાય.
આ રીતે આખો શબ્દ થયો પ્રાર્થના. પ્રાર્થનાના પણ ઘણાં શબ્દો છે. દા.ત. વંદના,સ્તુતિ કરવી, શ્લોક ગાવો, મંત્ર બોલવો, બંદગી કરવી, સ્તવન કરવું, વિનંતી કે અરજ કરવી, ભજન ગાવું વગેરે. વળી પ્રાર્થનાનો અર્થ માંગણી ખરી.પરંતુ ગમે તેની પાસે માંગીએ તે પ્રાર્થના ન કહેવાય. માત્ર ઈશ્વર સામે જે વાતો કરીએ, ઈચ્છા કરીએ, કોઈનું શુભ ઈચ્છીએ કે ક્યારેક કંઈક માંગીએ અને તે પણ ખરા દિલથી તેને જ પ્રાર્થના કહેવાય. હવે સવાલ થાય કે ઈશ્વર એટલે કોણ? બરાબર ને? તો એનો જવાબ એવો છે કે, કોઈએ એને જોયો નથી પણ દરેક ક્ષણે એનો અનુભવ થાય છે. એણે જ આખું જગત રચ્યું છે અને એણે જ આપણને આ વિશ્વમાં જન્મ પણ આપ્યો છે ને? તમારી સાથે આ વાત કરું છું ને બાળકો? તો પેલી પ્રાર્થનાની પંક્તિ સંભળાઈ કે “મંદિર તારું વિશ્વ રૂપાળું..સુંદર સર્જનહારા રે”.તો આ સર્જનહારને જે વિનંતી થાય કે એની પ્રશંસા થાય કે એની પાસે કંઈક માંગણી થાય અને તેનો આભાર પણ મનાય તેનું નામ પ્રાર્થના. પ્રાર્થનામાં ખૂબ શક્તિ છે પણ એ ખૂબ જ ભાવથી, અંતરથી થવી જોઈએ.
બીજી એક વાત એ કે પ્રાર્થના કોઈપણ જગાએ થાય અને કોઈપણ રીતે થાય. એવું જરૂરી નથી કે એ માત્ર મંદિરમાં જ થાય. હા, મંદિરમાં જઈને કરીએ તો એક સરસ મઝાનું પવિત્ર વાતાવરણ લાગે અને કદાચ સૌની સાથે ભાવપૂર્વક પણ થાય. પણ એ હંમેશા જરૂરી નથી. આપણે તો નિશાળોમાં પણ પ્રાર્થના કરીએ જ છીએ ને? અને ઘરમાં પણ. બરાબર? પ્રાર્થના ખરેખર તો ઈશ્વર સાથેનો સંવાદ છે. એ સાંભળે? એવો તમને સવાલ થશે. હા, એ ચોક્કસ સાંભળે. એની તો બહુ બધી વાતો છે અને ઘણી લાંબી છે. ક્યારેક એ વાતો પણ કરીશું. પણ આજે તો પ્રાર્થના વિશે જ વિચારીશું.
બીજું, તમને ખબર છે બહુ મોટી મોટી અને મહાન વ્યક્તિઓએ પોતાના અનુભવ પછી પ્રાર્થના માટે બહુ સરસ લખ્યું છે. કોઈકે કહ્યું છે કે, પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે. મહાત્મા ગાંધીજી તો કહેતા કે, પ્રાર્થના એ આત્માને સ્વચ્છ કરવાની સાવરણી છે. આપણા મોટા કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું કે, હે ઈશ્વર,મારા આનંદ અને શોકને હું સહેલાઈથી સહી શકું એવું મને બળ આપ, કોઈ સેવાનું કામ કરી શકું એવી મને શક્તિ આપ. કેટલી ઊંચી પ્રાર્થના?
આવી પ્રાર્થના કર્યા પછી મન ખૂબ પ્રસન્ન પ્રસન્ન થઈ જાય. હિન્દી ભાષામાં પણ એમ કહેવાય છે કે જિસકા રબ હો ઈસકા સબ હો. રબ એટલે કે જેને પ્રાર્થના કરીએ છીએ તે પરમ શક્તિ,ઈશ્વર. વળી કોઈકે તો એક મઝાની વાત કરી કે, પ્રાર્થના એ ઈશ્વરનો મોબાઈલ નંબર છે!!! તો તમે પણ મોબાઈલ સાથે જોડાશો ને?!! It is a greatest wireless connection and nearest approach to God.
મારી ગમતી એક પ્રાર્થનાઃ
ના માંગુ ધન વૈભવ એવા,મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના,ગરીબ કેરી હાય !
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! … માગું
ઉંચા નીચા ભેદ ન જાણું,સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ, કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! … માગું
કરતાં કાર્ય જગે સેવાનાં,જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે ,જીવતર ઉજળું
એવું મનનું બળ તું આપ, પ્રભુજી !
માંગુ હું તે આપ…
ચાલો, ફરી કોઈ બીજી વાત કરવા મળીશું. આવજો.
દેવિકા ધ્રુવ
આભલે માછલા, સાગરે તારલા…. January 8, 2019
Posted by devikadhruva in : કાવ્યો , add a commentઆભલે માછલા, સાગરે તારલા, એવું પણ વિશ્વમાં કોઈ આણશે.
માનવીને મળે પંખ ને પૂંછડા, અવનવું અટપટું કંઈક આવશે.
પંખીઓ પામશે વાણી ને બે પગો, અચરજો પણ પછી કંઈ ન લાગશે.
યુગયુગોથી અહીં હાલતા ને ચાલતા, ફેરફારો જગે કાળ લાવશે..
એક જણ વાવશે, અન્ય કો’ ફાવશે એ જ ક્રમ હર ઘરે એમ ચાલશે.
કોઈ નથી કોઈનું, વાતવાતે કહી, સગવડિયો નિયમ સૌ બતાવશે.
ધમપછાડા કરો, નભ સુધી પહોંચવા, એકમેક અંતરો કોણ વાંચશે?
જે વિતી તે ઘડીય, તું કદી ફેરવે, નીકળ્યાં વેણ-તીર કોણ વાળશે?
મારશે ગોળી ત્રણ, હાથ ખીલે બાંધશે, તે પછી શિર ખાલી નમાવશે.
યાદ ‘દેવી’ કરી, આશ દિલમાં ભરે, ‘એ જ એ’ આવીને સર્વ તારશે.
સાત રંગનું સરનામું… December 22, 2018
Posted by devikadhruva in : Uncategorized , add a commentગઝલકાર શ્રી,’શૂન્ય’પાલનપુરીના ૯૭-મા જન્મદિનપ્રસંગે, ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે, તારીખ:૧૯ ડિસેમ્બર ૨૦૧૮,બુધવારના રોજ,સાંજે ૦૫-૩૦ કલાકે,આત્મા હૉલ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે યોજાયેલ સાહિત્યિક વ્યાખ્યાન ‘સાત રંગનું સરનામું’ પ્રસંગની થોડી તસ્વીરો..
‘શૂન્ય’પાલનપુરીના જીવન વિશે,શૂન્ય’પાલનપુરીના પુત્ર શ્રી તસનીમખાન બલુચ અને ‘શૂન્ય’પાલનપુરીની કાવ્યસૃષ્ટિ વિશે જાણીતા કવિશ્રી રઈશ મનીઆરે વક્તવ્ય આપ્યું હતું અનેસમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેતે’સંભાળ્યું હતું..
પળ-અકળ November 29, 2018
Posted by devikadhruva in : કાવ્યો , add a commentપળ-અકળ
જન્મની પળ કંઈ એવી અકળ અહીં,
પહોંચે ન કોઈ એ વિસ્મયના તળ મહીં.
ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.
કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય..
રોજ રોજ પાના તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી..
પણ પહોંચે ન કોઈ એ વિસ્મયના તળ મહીં…………
જન્મની પળ કંઈ એવી અકળ અહીં..
અંદર છે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.
શોધી શોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર..
સદીઓથી સૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,
તોય પામે ન કોઈ એ વિસ્મયના તળ મહીં..………
જન્મની પળ કંઈ એવી અકળ અહીં..
ને વારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાંય રાખી, ના કોઈને કીધી.
લાવે સવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા, પ્રતીક્ષાની લીધી.
છેલ્લું વિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી..
આખરી પળ પણ એવી અકળ અહીં…………
પામે ન કોઈ એ વિસ્મયના તળ મહીં…
એકાંકી નાટકઃ ‘વિનોદ ભટ્ટ-સ્વર્ગલોકમાં’ June 27, 2018
Posted by devikadhruva in : Uncategorized , add a commentસ્થળ– ‘ધર્મયુગ’ કોલોનીનું એક નિવાસસ્થાન.
કથાબીજ– ‘પોઝીટીવ મીડિયા’ ના ચેરમેન શ્રી રમેશ તન્ના.
શિર્ષક : ‘વિનોદ ભટ્ટ-સ્વર્ગલોકમાં’
પાત્રો—
વિનોદ ભટ્ટ–
યમરાજાની પત્ની યમી-
ચિત્રગુપ્તની પત્ની- ચિત્રા-
હાસ્ય લેખકોઃ જ્યોતિન્દ્ર દવે,બકુલ ત્રિપાઠી,તારક મહેતા-
કથાબીજ– ‘પોઝીટીવ મીડિયા’ ના ચેરમેન શ્રી રમેશ તન્ના.
નાટ્ય રૂપાંતરઃ રાહુલ ધ્રુવ, દેવિકા ધ્રુવ અને સહાયક બધાં જ પાત્રો
સૂત્રધાર— દેવિકા ધ્રુવ..
_____________________________________________________________________
પ્રથમ દૃશ્ય
સાંજનો સમય છે. શ્રી વિનોદ ભટ્ટ ‘ધર્મયુગ કોલોની’માં આવેલા પોતાના નિવાસસ્થાને બેઠા છે. ઢળતી સાંજના આછા અંધારામાં ઓરડામાં કંઈક હલચલ થતી જણાય છે, કોઈ આકૃતિ આવતી દેખાય છે. અને…વિનોદ ભટ્ટ પૂછે છેઃ
****************************************************************************************************
વિનોદ ભટ્ટ– કોણ? કોણ છે?
યમી– હું યમી..
વિનોદ ભટ્ટ.- યમી? કોણ યમી?? કાંઈ ઓળખાણ નથી પડતી.
યમીઃ હું યમરાજની પત્ની યમી.
વિનોદ ભટ્ટ -ઓહોહો… પણ તમે ક્યાંથી? હું તો યમરાજની રાહ જોતો હતો!!
યમીઃ. તમે લોકોને બહુ એન્ટરટેઈન કર્યા એટલે તમારા માટે યમે મને મોકલી!
વિનોદ ભટ્ટ -લો કહો ત્યારે… આપણે તો અહીંથી જ સ્વર્ગલોક શરુ. કર્મના ફળની વાત સાચી હોં.
યમી- આ ઘોર કલિયુગમાં તમે ‘ધર્મયુગ‘ કોલોનીમાં રહો છો? કમાલ છો !
વિનોદ ભટ્ટ– કેમ એમાં શુ? હસે અને બીજાને હસાવે તે ઘર વસાવે. એનું નામ ‘ધર્મયુગ’.. અરે, તમને પણ હસાવીને પેટ
દુઃખાડી દઉ. કરવો છે અખતરો?
યમીઃ હા, હા, ચાલો મારી સાથે..તૈયાર છો ને?
વિનોદ ભટ્ટ– યમી….એક મિનિટ હોં.. ઊભા રહો. આ ઘર અને બીજાં બંગલાવાસીઓને છેલ્લી એકવાર જોઈ લઉં?
યમીઃ રહેવું છે હજી થોડાં વર્ષ ? લાગવગ લગાડું? વોટ્સેપ પર મેસેજ મોકલી દઉં?
વિનોદ ભટ્ટ -ના, રે ના, હવે બહું થયું, કૈલાસ ગઈ, હમણાં નલિની ગઈ, તેમને મળવાની ઉતાવળ છે. જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાનેય મળવું છે. અને યમી..તમને જાણીજોઈને બેન નથી કહેતો. નહિ તો પાછા આપણને એન્ટરટેઈન કરવાની અગવડ પડી જાય! હં… તો હું એમ કહેતો હતો કે…અરે..( માથું ખંજવાળતાં) શું કહેતો હતો…આ તમને જોઈને ભૂલી ગયો બધું.
યમીઃ તમે એમ કહેતા હતા કે, જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાનેય મળવું છે …
વિનોદ ભટ્ટ -હા તે બધાનેય મળવું છે અને અહીં આમેય બધુ સેટ થઇ ગયું છે. નવા હાસ્યલેખકો પણ ઉત્તમ લખતા થઈ ગયા છે. તેમના માટે પણ જગ્યા કરવી પડે. ચાલો, તમતમારે… આપણે રેડી છીએ.”
યમીઃ ઊભા રહો, જરા ગાંઠિયા ખાઈ લઉં.
વિનોદ ભટ્ટ- હા, એ પહેલું હો.. ગાંઠિયા અને ચહા વિના વાહન ના ચલાવી શકાય, તો તમારે તો આવડો મોટો પાડો ચલાવવાનો છે.
યમીઃ (હસીને) પાડો નથી,પાડી છે.. તમારે માટે બધી જ સ્ત્રીઓ!
વિનોદ ભટ્ટ —આ તમારી પાડીને તો ગાંઠિયા નથી ખવડાવતા ને ! “
યમી હસી પડી., ના, ના, પાડી તો લીલા ઘાસ વિના બીજું કશું ખાતી નથી.
વિનોદ ભટ્ટ-, અમારા દેશના રાજકારણમાં દાખલ કરી દો, બધુ ખાતી થઈ જશે.
દૃશ્ય ૨—
સૂત્રધાર—(આમ વિનોદ ભટ્ટ યમીની પાછળ પાડી પર બેસીને, મજાક કરતા કરતા યમલોકમાં પહોંચે છે..)
યમીઃ લો, તમે અમારા લોકમાં આવી પહોંચ્યા હવે. અરે, ચિત્રા,ઓ ચિત્રા …(બૂમ પાડી બોલાવે છે.)
યમી-( વિનોદ ભટ્ટને ચિત્રાને સોંપતાં કહ્યું-) આમનો હિસાબ-કિતાબ કરીને જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલી દેજો.
વિનોદ ભટ્ટ-.– આ ચિત્રા વળી કોણ છે?
યમીઃ યમની યમી અને ચિત્રગુપ્તની ચિત્રા ! એ તમારો બધો હિસાબ જોશે.
(ચિત્રાએ મોટો ચોપડો કાઢ્યો._)
ચિત્રા– નામ ?
વિનોદ ભટ્ટ –“વિનોદ”
ચિત્રા–“કેવા ? “
વિનોદ ભટ્ટ –“એવા રે અમે એવા”
ચિત્રા-“એમ નહીં,જ્ઞાતિએ કેવા ?”
વિનોદ ભટ્ટ –” અહીં પણ લોકશાહી છે? અહીં પણ જ્ઞાતિવાદ ચાલે છે? “
ચિત્રા–અરે, આખું નામ તો કહેવું પડે ને ! પૃથ્વીલોકમાં વિનોદ કુલ ૬૭૫૮૩ છે.”
“વિનોદ ભટ્ટ—( હસીને કહે છે) હવે ૬૭૫૮૨ થઈ ગયા. મારું આખું નામ વિનોદ ભટ્ટ.”
ચિત્રાએ ચોપડો ફંફોસવા માંડ્યો.
ચિત્રા–” હિસાબમાં તો કિતાબો જ કિતાબો છે. આટલું બધું લખ્યું છે ?”
વિનોદ ભટ્ટ–..કેમ “વધારે લખાઇ ગયું છે? ઓછું લખે એને જ સ્વર્ગ લોક મળે એવી કોઈ યોજના છે ?”
ચિત્રા—( થોડી) અકડાઈ, વિનોદભાઇ, જે ઓછું કે વધુ નહીં, પણ સાંભળો.. ઉત્તમ લખે તેને સ્વર્ગ લોક મળે. ફેસબુક પર લખે એના માટે કડક ધોરણો છે. બાય ધ વે, તમે તો લોકોને બહુ હસાવ્યા છે.”
“વિનોદ ભટ્ટ-_( ચિત્રાના ખભા પર હાથ મૂકીને) જો દોસ્ત, લખવાનું કામ આપણું, હસવાનું કામ વાચકોનું.”
ચિત્રા— (ગળગળી થઇ) સાહેબ, મેં પણ તમને બહુ વાંચ્યા છે, હોં..
વિનોદ ભટ્ટ –(આંખ મીંચકારી) તો પછી હિસાબકિતાબમાં થોડું ધ્યાન રાખજો.
ચિત્રા–સાહેબ, તમારા જેવા હાસ્યવિદ્ સ્વર્ગલોકમાં આવે એ તો તેના ફાયદામાં છે. હાસ્ય વગરનું તો સ્વર્ગ પણ નકામું છે.
વિનોદ ભટ્ટ –અચ્છા તો તમે ગુણવંત શાહને પણ વાંચ્યા એમ ને.. પણ એમને લાવવાની ઉતાવળ ના કરશો.. દિવ્ય ભાસ્કરમાં એક સાથે બે કોલમો બંધ થાય તો સંપાદકને તકલીફ પડે.
ચિત્રા—સાહેબ, આ બધુ તમારે ઉપર, યમરાજાને કહેવું પડે. હું તો હિસાબની વ્યક્તિ અને તે પણ તમારા જેવા ખાસ
માણસોને માટે જ.. પૃથ્વીલોક પર જેવું કરો તેવું અહીં ભરો.
ચિત્રા— (પોતાના નાક પર આંગળી મૂકીને કહે છે) હવે વિનોદભાઈ થોડી વાર મનમોહનસિંહ થઈ જજો. હું તમારો હિસાબ જોઈને તમને તમારું નવું સરનામું ફાળવી દઉં.
(ચિત્રાને વિનોદભટ્ટનાં હિસાબ કરતાં વાર લાગી એટલે)
વિનોદ ભટ્ટ —- તમે યાર, હજી આ ચોપડા છોડતા નથી. કોમ્ય્યુટર લાવી દો ને… બધું ઓનલાઇન કરી નાખો.
ચિત્રા–(ચશ્માં સરખાં કરતાં)– એ માટે અનેક મિટિંગો થઇ ગઇ છે. ઠરાવો પાસ થઇ ગયા છે, પણ છેવટે એવું નક્કી થયું છે કે મોદી અહીં આવશે ત્યારે એ જ બધું કરશે, આપણે ખોટી મહેનત કરવી.”
વિનોદ ભટ્ટ (હસતાં હસતાં)–“એ અહીં આવવાને બદલે તમને ત્યાં ના બોલાવી લે એનું ધ્યાન રાખજો…હવે મારો વિભાગ મને ફાળવી દો…
ચિત્રા (હસતાં હસતાં),” બોલો, નર્કમાં જવું છે કે સ્વર્ગમાં ?”
વિનોદ ભટ્ટ –વારાફરતી બન્નેનો અનુભવ કરી શકાય તેવું કોઇ પેકેજ નથી ?
ચિત્રા–“ના, અહીં સાહિત્ય એકેડેમી કે સાહિત્ય પરિષદ જેવું ના હોય. અહીં તો કોઇ એકમાં જ જવું પડે. તમારાં હાસ્યકર્મોને આધારે તમે સ્વર્ગલોકમાં જઇ શકો તેમ છો”.
વિનોદ ભટ્ટ ––તો યાર, ત્યાં લઈ લો. મારો કોલમ લખવાનો સમય જતો રહેશે તો‘દિવ્યભાસ્કર‘માંથી સંપાદક ફોન કરી કરીને માથું ખાઇ જશે.”
ચિત્રા–“તમે કહેતા હોય તો, તેમને અહીં બોલાવી લઇએ.”
વિનોદ ભટ્ટ ––“ના, ના. ” જરા ઉભા રહો, આ વોટ્સેપ જોઈ લઉ.
(બન્ને જણ વાતો કરતા હોય છે ત્યારે ચિત્રા પર વોટ્સએપ મેસેજ આવે છે. મેસેજ વાંચીને તે વિનોદભાઇને કહે છે,)”
ચિત્રા– આ મારો પણ વોટ્સેપ આવ્યો, લો. (વાંચતા વાંચતા) તમને જ્યોતિન્દ્ર દવે,તારક મહેતા,બકુલ ત્રીપાઠી યાદ કરે છે, જાઓ, સ્વર્ગલોકમાં સિધાવો.”
દૃશ્ય-૩
સૂત્રધાર–(ચાર-પાંચ સૂરજ એક સાથે ઉગ્યા હોય એવું અજવાળું છે, લતાઓ, વનલતાઓ, અનેક પ્રકારના છોડ, વિવિધ પ્રકારનાં પુષ્પો અને લીલાંછમ પાનથી શોભતાં વૃક્ષોથી વાતાવરણ છલકાઈ રહ્યું છે. સુંદર અપ્સરાઓ ડીજેના તાલે નૃત્ય કરી રહી છે. ના ઓળખી શકાય તેવા એક સુંદર વૃક્ષ નીચે જ્યોતિન્દ્ર દવે આરામ ખુરશી પર સૂતા છે, તેમની બાજુમાં બકુલ ત્રિપાઠી અરધા બેઠા અને અરધા સૂતા છે, તારક મહેતા પાન ખાતાં ખાતાં ઝાડની ડાળી પર લગાડેલા હીંચકા પર ઝૂલી રહ્યા છે. જ્યોતિન્દ્ર દવે વિનોદભાઈને ભાવથી આવકારે છે.)
જ્યોતિન્દ્ર દવે–“આવો, વિનોદ આવો,” (જ્યોતિન્દ્ર દવેએ વિનોદ ભટ્ટને આવકાર્યા.)
વિનોદ ભટ્ટ —બધાંને વંદન. તમને બધાને એકસાથે આ રીતે સ્વર્ગલોકમાં મળીને આનંદ થયો. ” અહીં આવીને તમે યુનિયન કરી નાખ્યું છે? (વિનોદ ભટ્ટે તારક મહેતાની બાજુમાં સ્થાન લેતાં પૂછ્યું.”)
જ્યોતિન્દ્ર દવે —ના રે ના “નર્કમાં સ્વર્ગનો અને સ્વર્ગમાં પણ નર્કનો અનુભવ કરી શકાય એટલે સંચાલકોએ હાસ્ય લેખકોને એક સાથે રાખ્યા છે.” અમે યુનિયન નથી કર્યું હો ભઈલા…..
બકુલ ત્રિપાઠી—(વિનોદભાઇના દેહ પર નજર કરતાં) “વિનોદ, તમે બહું સૂકાઇ ગયા લાગો છો ? ”
વિનોદ ભટ્ટ –-“બકુલભાઈ, સૂકાઈ ગયો એટલે તો અહીં આવ્યો, નહીંતર તો પૃથ્વીલોક પર જ ના રહેત ? પણ તમારી હાઈટ અહીં સ્વર્ગમાં પણ ના વધી હો બકુલભાઈ”.
બકુલભાઈ—( હસતાં હસતાં જવાબ ) તમે અહીં આવવાના હતા એટલે…બાકી આમ તો થોડી વધી હતી!
તારક મહેતા—( વિનોદ ભટ્ટના ખભા પર હાથ મૂકી)—વિનોદભાઈ, સારું થયું તમે અમારી સાથે આવી ગયા. મજા આવશે હવે…!”
વિનોદ ભટ્ટ —.”તે અહીં સ્વર્ગમાં મજા લેવી પડે છે ? અહીં પરમેનેન્ટ મજા નથી હોતી ?”
જ્યોતિન્દ્રભાઇ –“પહેલા એવું હતું, પણ હવે વોટસેપ અને ફેઈસબૂકને કારણે સ્થિતિ બદલાઇ ગઈ છે.
તારક મહેતા – સારુ, સારુ.. એ વાત જવા દો. હવે એમ કહો કે રતિલાલ બોરીસાગર ત્યાં કેમ છે?
વિનોદ ભટ્ટ–.—“એકદમ મજામાં છે. તેમના નામે સાવરકુંડલામાં હોસ્પિટલ થઇ છે ત્યારથી તેમની તબિયત ફૂલગુલાબી રહે છે. બાબા રામદેવનું શીખવાડેલું શવાસન અને કપાલભાતિ દરરોજ 30 મિનિટ કરીને યમરાજાને દૂર રાખે છે. હમણાં ૩૦-૩૫ વરસ અહીં આવે તેમ લાગતું નથી!”
જ્યોતિન્દ્ર –એકાદો સારો હાસ્યલેખક તો ત્યાં રાખવો જોઈએ.( થોડી વાર વિચારી)
જોકે બીજા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. મધુસુદન પારેખ, અશોક દવે, શાહબુદીન રાઠોડ, જગદીશ ત્રિવેદી, હરનીશ જાની આ બધા લખી રહ્યા છે. વિનોદ્ભાઈ, તમે મારા કરતાં પૃથ્વી પર બે વર્ષ વધારે રહ્યા. હું ૭૮એ અહીં આવ્યો હતો તમે એંશીએ આવ્યા. આ તારક મહેતા ૮૭માં વર્ષે આવ્યા હતા. બકુલ ત્રિપાઠી ૭૭મેં આવ્યા. મધુસુદન પારેખ ૮૫ વર્ષે હજી જામેલા છે, આમ તો રતિલાલ બોરીસાગરને ૮૦ થઇ ગયાં છે, પણ એ બન્ને શતાયુ થાય તેવી શક્યતા છે.
બકુલભાઈ–” ના, ના, બધા હાસ્યલેખકો અહીં ભેગા થાય એ ઉચિત ના કહેવાય, થોડાને ત્યાં પણ રહેવા દો”
ચિત્રા–, વિનોદ ભટ્ટ સાહેબ… કૈલાસબહેન અને નલિનીબહેન પણ અહીંયા જ છે.
વિનોદ ભટ્— ઓહોહો…ઓહોહો…લાગવગ લગાવો ત્યારે. મને ત્યાં જ લઈ જાવ ને ભાઈ.
ચિત્રા—ચાલો,ચાલો લઈ જાઉં. એ લોકો પણ તમને યાદ કરી રહ્યાં છે.
વિનોદ ભટ્ટ (ઊભા થાય છે, ઉતાવળે પગલે જતાં જતાં બોલે છે)_ હાશ.. ઘણાં વર્ષે બન્નેને એકસાથે મળીશ.
પરમ શાંતિ…
સ્ટેજ પર અંધકાર છવાય છે અને પડદો પડે છે.
સૂત્રધાર—અને… વિનોદ ભટ્ટ આ રીતે શાંતિથી સ્વર્ગલોકની મઝા માણે છે…
———————————————————–
પોઝિટિવ મિડિયા.. રમેશ તન્નાના લેખ પરથી નાટ્યરૂપાંતર.
કાવ્યપઠન-વાસંતી વાયરો August 27, 2017
Posted by devikadhruva in : કાવ્યપઠન , add a commentરચયિતા-દેવિકા ધ્રુવ
સ્વર-સંગીતા ધારિયા
કાવ્ય પઠન-સોનેરી એક સાંજ August 26, 2017
Posted by devikadhruva in : કાવ્યપઠન , add a commentરચયિતા-દેવિકા ધ્રુવ
સ્વર-દેવિકા ધ્રુવ
મને આવી સવાર ગમે-કાવ્યપઠન-સંગીતા ધારિયા August 25, 2017
Posted by devikadhruva in : કાવ્યપઠન , 2 commentsમને આવી સવાર ગમે-કાવ્યપઠન-
રચયિતા-દેવિકા ધ્રુવ
કાવ્યપઠન-સંગીતા ધારિયા