સ્મરણની શેરીમાંથી….(૩) February 24, 2019
Posted by devikadhruva in : Uncategorized , add a comment(૩) ગામડાનો મહોલ્લો અને ઘર
ગામડાનું એ ફળિયું. બિલકુલ સામે દરજીનું ઘર, ડાબા હાથે વાળંદનુ અને, જમણા હાથે ચાર-પાંચ ઘર છોડી ગાયો-ભેંસોની ગમાણ. પૂળા ખાતી ગાયો અને દૂધ દોહતા માજીને હું જોઈ રહેતી. ઘણી વાર સાંજે બા ખીચડી બનાવી મને દૂધ લેવા મોકલતા. અને હાં, તે જમાનામાં ગામમાં સાટા પધ્ધતિ હજી યે ચાલુ હતી. જો કે, કાણિયો પૈસો અને પીળી ચોરસ ઢબૂડી પણ ચલણમાં હતી. નાના/દાદા નાની ઉંમરમાં વિદાય થયેલાં તેથી બા મોટા પીળાં નળામાં રંગબેરંગી ખાટીમીઠી ગોળીઓ ભરી વેચતા અને લાલપીળીલીલી બંગડીઓના બદલામાં થોડા પૈસા પણ મળતા એવું યાદ આવે છે. પણ મોટેભાગે વસ્તુના બદલામાં વસ્તુનો સાટા વ્યવહાર ચાલતો. જીવન એમ જ ચાલતું. ઘરની પાછળ વાડો હતો અને તેમાં સરસ મઝાનું ગોરસઆમલીનું ઝાડ હતું. અને તેની પાછળના રસ્તે એક દેરી હતી જેનો ઘંટ સાંજે સંભળાતો અને દૂરથી કોઈ સંચાનો પ્ણ ઘમઘમ ઘરેરાટી જેવો અવાજ સંભળાતો. ગામમાં કોઈ વાહન ન હતું. પગપાળા કે આઘે જવાનું હોય તો ગાડાંમાં બેસીને જવું પડે અથવા ઘોડા પર.
થોડી ઘરની વાત કરું. લીંપણની ઓકળીવાળો ફ્લોર. ઓકળી એટલે ચડઉતર તરંગો જેવી લીંપણની અર્ધચન્દ્રાકાર ડીઝાઈન. મને રંગોળી અને ડિઝાઈન પાડવી નાનપણથી જ ગમે તેથી મેં પણ બાને જોઈ જોઈ ગારાથી ઓકળી પાડી લીંપ્યાનુ સ્મરણ છે. બહારની ઓસરીમાં દોરડા બાંધીને વચ્ચે પોતાના સાડલાઓમાંથી બનાવેલી નાની નાની ગાદીઓ મૂકીને તૈયાર કરેલો હિંચકો. નવરી પડું કે તરત જ હું એમાં જઈ મોટા મોટા હિંચકા ખાધા જ કરું. અત્યારે પણ ખાઉં છું, તરંગોના હિંચકા !!
રોજ રોજ તરંગની પાંખે, હું ઊડું છું, દૂરદૂર,જુદી,નવી સફરે ઉપડું છું.
ક્યારેક સંબંધની તો ક્યારેક લાગણીની, કુદરત ને ભીતરની સફરે ઉડું છું.
હિરા-મોતી ખૂબ ખોબે ભરી લાવીને, અમોલા ખજાને સ્નેહે સજાવું છું.
કલમની પીંછી લઇ ચીતરી વિરાટે, શબ્દોના રંગ લઇ પાલવડે વેરું છું.
પાછી મૂળ વાત પર આવું. ઓસરીના ખૂણામાં બે ત્રણ પાણીની ડોલ અને મોટું વાસણો ભરવાનું તગારું પડ્યું રહેતું. દબાવો તો દૂધ નીકળે એવી થોરની વાડ ઘરનું રક્ષણ કરતી. તે તરફ એક નાનકડા ખાડા જેવું કરી ગાય-કૂતરાને માટે ખાવાનું ભરતા. નિયમિત સમયે ત્યાં ગાય આવતી અને ખાતી. કૂતરા તો સતત અવરજવર કરતા રહેતા.
ઘરની અંદર ડાબા હાથે માટીનો ચૂલો, ત્રાંબા-પિત્તળના થોડા વાસણો, એક મોટો ઉનમણો, કલાડી અને લાકડીઓનો ભારી રહેતી. કાળી ઝીણી જાળીવાળું લાકડાનું કબાટ જેમાં રાંધેલું ધાન,વધે તો ઢાંકતા. કબાટ નહિ પણ એક ખાસ શબ્દ…કદાચ ઉલાળિયું,આગળું.ખામણિયું એવું કંઈક બા બોલતા. સામે ખોલવાનાં બારણાં નહિ પણ ઉપરથી એને ઉઘાડવાનું. ઘણીવાર બહુ વાયરો આવે ત્યારે કમાડનો આગળિયો વાસી દે એમ પણ કહે. કમાડની પાછળ ઠંડક વાળી જગાએ પાણીની માટલી, ઢાંકેલું બૂઝારું અને ડોયો પડી રહેતા. બાકી તો ઘઉં ભરવાના મોટા નળા વગેરે જેમાં કેરીઓ પાકવા માટે મૂકાતી. મોટાં કહી શકાય એ ઓરડામાં જ વાળું પછી, પથારીઓ પથરાય. વરસાદ ન હોય ત્યારે તો બહાર જ કાથીના ખાટલા ઢાળી સૂવાનું. ઘીથી લથપથતી ઢીલી ખીચડી ખાઈ, બિન્દાસ થઈ ખુલ્લાં આકાશ નીચે, ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે સૂવાની,આહાહા…. શી મઝા હતી! ભાઈબેનો સાથે રમ્યાની બહુ ઓછી યાદો છે. ઝઘડ્યાની તો બિલકુલ યાદ નથી. કદાચ ઝઘડ્યા જ નથી. સંજોગોને કારણે બધા જ સમજુ થઈ ગયા હતા!! ઘરની પાછળના વાડામાં જે ગોરસઆમલીનું ઝાડ હતું તે નાનું પણ રળિયામણું હતું. આજે તો એ બધું જ જમીનદોસ્ત થઈ ગયું છે પણ હજી યે મનના માંડવે ગૂંજતું રહ્યું છે.
ગામની કાંતા,તારા,શકરી,કોકી વગેરે બેનપણીઓના ચહેરા એવા ને એવા જ યાદ છે પણ કોઈ છોકરો નહિ હોય? કોઈ સ્મરણમાં જ નથી! ગામમાં છોકરો ન હોય એવું બને કાંઈ? રસપ્રદ સવાલ જાગ્યો.પૂછવું પડશે કોઈને!
આટલી સ્મૃતિઓ પછી આ બદલાતા જતા સમય અંગે હવે એક વધુ વિચાર જાગે છે. કે, બદલાવ એ ખરેખર વિકાસ જ છે?!! આદિમાનવથી માંડીને આજસુધી પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરી છે એ વાત તો સાચી. પણ સૌએ યથોચિત બદલાવને અપનાવવો જોઈએ અને તે પણ મૂળ મૂલ્યોની જાળવણી કરીને. પરિવર્તનને નામે પાયાને હચમચાવી ન જ દેવાય. જ્યાં જન્મ્યાં એ ભૂમિનો ચોરસ ટૂકડો,એ માબાપ, એ માહોલનું રતનની જેમ જતન કરવું જ જોઈએ. એ જ સાચી સમૃધ્ધિ છે, વૈભવ છે,ખજાનો છે, કાયમી સધવારો છે. આગળ ચાલો, ચાલતા રહો પણ સારું અને આપણું પોતીકું, સ્મરણના ખાનામાં ગોઠવી માણતા રહો. સાચો આનંદ ખરા મૂલ્યોમાં છે. એને મનથી જાળવવામાં છે. દેખાડા ખાતર કે ધન-ઉપાર્જન માટે થતી ધંધાકિય પ્રવૃત્તિઓમાં નહિ.
હું હંમેશા માનતી આવી છું અને કહેતી પણ આવી છું કે wealth ( money) is not and should never be a definition of happiness. No outside source can give a real happiness. happiness is mostly in knowing who you are, your foundation and cherishing it the same way. It is a feeling of pleasure and positivity.
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાવો.
ગામડાંની વાતો પછી માનસપટ પર ઉપસે છે ચિત્ર ૫-૬ વર્ષની વયનું. પણ તે હવે આવતા પ્રકરણમાં..
સ્મરણની શેરીમાંથી..-(૨) February 23, 2019
Posted by devikadhruva in : સ્મરણની શેરીમાંથી.. , 1 comment so far(૨)
સ્મરણની આ શેરીમાં રખડતા રખડતા એક Maternity Home,પ્રસૂતિગૃહ નજર સામે આવ્યું અને નવજાતનું રુદન સાંભર્યું. વીજળીના ચમકારાની જેમ એક લઘુવાર્તા જેવી કલ્પના ઉપસી..
જોખમના લેખાંજોખાં…
ધરતી પર જન્મ લેતા પહેલાં જીવે શિવને કહ્યુઃ ‘મારે મોકળાશ જોઈએ છે. એક મોટી જગા જોઈએ છે. કારણ કે, મારે બાગ–બગીચા જેવું ખૂબ સરસ કામ કરવું છે. શિવે કહ્યુ, “અરે વાહ..બહુ સરસ. જગા તો હું તને મોટી અને સરસ આપું. પછી તું એને ઉપવન કરે કે રેતીનું રણ બનાવે. કુસ્તીનું મેદાન બનાવે કે શાંતિનું ધામ રચાવે, બધું જ તારા હાથમા. એક કામ કર. વિચારીને કાલે આવજે.”
બીજાં દિવસની સોનેરી સવારે જીવ “તૈયાર છું” કહી હાજર થયો. શિવે ફરીથી પૂછ્યુઃ સાચે જ વિચારીને આવ્યો ?
જીવે મક્કમતાથી કહ્યું “હા,હા, એકદમ તૈયાર છું.” શિવ તો ‘તથાસ્તુ’ કહી અંતરધ્યાન થયા. અજ્ઞાત જીવને મા મળી,ધરા મળી, જગત મળ્યું, જીવન મળ્યું. પણ જીવને તો અવતરણની પ્રથમ ક્ષણથી જ રડવું આવ્યું, ઉંઆઆ…ઉવાં..ઉંવાઆ.. જીવને શિવની વાત યાદ આવી. ધીરે ધીરે બંધ આંખે ઉંઘમાં હસી જવાયું. હજી તેનામાં શિવનો અંશ હતો….!
*************************************************************************************
આમ, જીવનું ધરતી પર અવતરવું એ પહેલું અને મોટું જોખમ અને લાંબી કે ટૂંકી જીંદગીને આ જગત વચ્ચે જીવવી એ બીજું મોટું સાહસ. આ બંનેની વચ્ચે જે કાંઈ બને છે તેનાં સજાગપણે લેખા-જોખા કરવાનો આ એક પ્રયોગ છે. એ અંગે સાચી અનુભૂતિ જીવન અને જગત સિવાય બીજે ક્યાંથી પામવી? આ લેખનમાં આત્મકથા કે જીવન ચરિત્ર કહેવાનો કોઈ જ ઈરાદો નથી. ( એ તો મહાન માણસોના લખાય ને?!!! ) પણ કુંભારના ચાકડાની જેમ ઘડાઈને બહાર આવેલાં મન-ઘડાની થોડી આકૃતિઓ ઉપસાવવી છે જે કદાચ ભાવિ પેઢીને ક્યારેક શાતા અને શક્તિ બક્ષે. મારા લોહીમાં સતત વહન કરતી ભાવનાઓ તેમના હ્રદય સુધી પહોંચે તો આ પ્રત્યેક જીવના સ્વીકારેલાં જોખમ અને આદરેલાં સાહસ લેખે લાગે.
હા, તો મારી સ્મૃતિની આજે બીજી વાત હતી જન્મના સ્થાન,ગામની. ગુજરાતનું એ સાવ નાનું ગામડું. માત્ર વીસ-પચીસ ઘરોનું. નામ એનું ભૂડાસણ. આ નામ મને જરા પણ ના ગમે. કોણે આટલાં હૂંફાળાં ગામનું નામ આવું ભૂંડું રાખ્યું હશે? ને કેમ? એ પણ એક પ્રશ્ન. પણ ચાલો, શેક્સપિયરને યાદ કરીને, જુલિયેટ કહે છે તેમ,
“What’s in a name? That which we call a rose,
By any other name would smell as sweet.” એમ વિચારી મન મનાવી લઉં!
ધૂળિયું એ ગામ, ભીની માટીની મહેંકની જેમ હજી પણ સ્મૃતિમાં અકબંધ સચવાઈને પડ્યું છે. આમ તો પિતાનું ઘર અમદાવાદમાં પણ મોટે ભાગે ઉનાળામાં ગામ જવાનું થતું. અને તે પણ મને યાદ છે તેમ પરાણે ચાર-પાંચ વખત બાળપણમાં જ. ઘરથી થોડે દૂર ગામનો એક કુવો. દોરડા બાંધેલા ઘડાથી ગામની સ્ત્રીઓ પાણી ખેંચતી તે હું જોતી. વચ્ચે પંખીઓનો એક ખૂબ મોટો ચબૂતરો. ઘણીવાર રાત્રે ત્યાં રામલીલાવાળા આવીને ભવાઈ જેવું કંઈક ભજવતા. મને તો રાત્રે વહેલા સૂવાની ટેવ એટલે બા ( નાનીને અમે બા જ કહેતા.) મારા માટે એક ખાસ હાથેથી ઉંચકાય એવી નાની અમસ્તી ઢોયણી (ખાટલી) સાથે રાખતા. જેવી મને ઉંઘ આવે એટલે તેમાં સૂવાડી દેતા. ચબૂતરાથી આગળ ચાલીએ એટલે ગામની ભાગોળ. સવારે ઊઠીને લોકો (અમે પણ) પાણીનો લોટો ભરી એ તરફ ‘ઝાડે ફરવા’ જતા. ઘરમાં ક્યાં બાથરૂમ કે ટોયલેટ હતા? અમે બધી બેનપણીઓ ભેગી થઈને જતા. પાછા આવતા રસ્તામાંથી લાલ ચટાક ચણોઠીઓ વીણતા. ચણોઠી શબ્દ એના રૂપ જેટલો મને ખૂબ જ ગમે. સૌથી વધારે હું જ વીણતી અને ભેગી કરતી. તે પછી ખેતરો આવે. ત્યાં પણ પથ્થર ફેંકી કેરીઓ તોડ્યાનું સ્મરણ છે. ઘરની બીજી તરફ એકાદ માઈલના અંતરે નદી. ત્યાં કપડાં ધોવા જવાનું. મને એ બહુ ગમતું. પણ કિનારે બેસીને જ! પાણીમાં ડૂબવાનો ડર. એક વખત મારો નાનો ભાઈ ઘોડા પરથી પડી ગયો હતો અને નદી કિનારે ફેંકાયો હતો ત્યારથી એ બીક પેસી ગઈ હતી. તે દિવસે બહું રડવું આવ્યું હતું. આવા તો અનેક પ્રસંગો!
ગામના એ ફળિયાની અને ઘરની વાતો પણ કેટલી બધી? લખતા પહેલા…વિચારું છું કે આજની પેઢીને આ વાંચતા કેટલું આશ્ચર્ય લાગતું હશે? ૬-૭ દાયકામાં તો સમય ક્યાંથી ક્યાં ઊડ્યો અને ફેંકાયો? ક્યાં ધૂળિયા ગામની વાતો અને ક્યાં અમેરિકાના આ ટેક્સાસ રાજ્યના મહેલ જેવાં ઘરોની મિરાત! આસમાનમાં ઊડતા પતંગની જેમ સમયની આ દોરી કેવી ગગડે છે! આકાશને જો બારી હોત તો અને કદાચ જો ત્યાંથી આપણા સૌના સદગત પૂર્વજો જોતાં હોય તો કંઈક આવું ન લાગે? !!
અંતરિક્ષની બારી જરા ખોલીને જોઈ,તો દૂનિયા દેખાઈ સાવ અનોખી;
છોડીને આવ્યાં જે કેડી એ દેશી, કેવી દેખાય આજે ફરતી વિદેશી…..
કોઇ ગયાં યુકે તો કોઇ યુએસએ, ફેલાયા ચારેકોર ઘરના સિતારા,
કોઈ છે રશિયા તો કોઈ ઓસ્ટ્રેલિયા, દીસે છે આભેથી ભૂમિના નક્શા….
રમતા’તાં ભૂલકાં કેવા મોટા ચોકમાં, રહેતા’તાં એક જ છત નીચે દીકરા,
કાચા સૂતરના પાકા એ તાંતણામાં, બંધાતી રાખડીઓ મોટા આંગણમાં….
ઉજવાયે આજે ઈમેઇલ પર સઘળી, ને સામેય હોય પેલી વેબકેમની દોરી,
અંતરિક્ષની બારી જરા ખોલીને જોઈ, તો દૂનિયા નિહાળી સાવ અનોખી….–
આજે અને આવતીકાલે, સૌ કોઈએ શીખવાનું એજ કે, પરિવર્તન સંસારનો અને કુદરતનો સનાતન નિયમ છે.પ્રત્યેક સમાજમાં પરિવર્તન સતત અને અવિરતપણે આવ્યા જ કરે છે. કેટલાંક જૂથ અને સમૂહોમાં પરિવર્તન ઝડપથી આવે છે તો કેટલાક સમાજમાં ધીમેથી આવે છે.પણ ફેરફારો તો થયા જ કરે છે. તેથી એને સમજી, સ્વીકારી, યોગ્ય રીતે અપનાવવું એ સત્ય છે. જરૂરી પણ એટલું જ છે. કારણ કે, માનો યા ન માનો પણ પરિવર્તનથી સ્વભાવમાં અને આદતોમાં પણ flexibilityનો ગુણ કેળવાય છે. વળી આ પરિવર્તન આમ જોઈએ તો વિજ્ઞાને કરેલી રચનાત્મક શોધ અને સિધ્ધિને જ આભારી છે ને? બદલાતા જવું, વિકસતા જવું અને વિસ્તરતા રહેવું એ પ્રકૃતિ શીખવે છે, જીંદગીની હરપળ શીખવે છે.
સ્મરણની આ શેરીમાંથી ન જાણે કેટલી કણિકાઓ ઝગમગી ઊઠશે?
સ્મરણની શેરીમાંથી…૧ February 20, 2019
Posted by devikadhruva in : સ્મરણની શેરીમાંથી.. , 1 comment so farસ્મરણની શેરીમાંથી…
સ્મરણગલીની સાંકડી શેરી, વિશાળ થઈને વિહરી જો.
વતન-જતનનું નર્તન કરતાં નિશાળ થઈને નીકળી જો.
ઝુંપડી સમી પોળની માટી, પથ્થર, રેતી પવન ને પાણી,
તેજની ધારે ધારે અહાહા, કેવી મહેલ થઈને નીખરી,જો.
( ૧ )
રેશમી સુંવાળા રુમાલમાં અને મશરૂથીયે મુલાયમ મખમલી કપડામાં વીંટળાઈને મળેલી એક જીંદગી, અંતે સફેદ ચાદરની ચિર શાંતિમાં પોઢી જાય છે. પણ એની વચ્ચે કેટકેટલું બને છે? બંને સમયે હાથ તો ખાલી ને ખાલી, છતાં આ પારણા ને નનામીની વચ્ચે..’ક્રીબ’ અને કફનની વચ્ચે…ઘોડિયાથી શબવાહિનીની વચ્ચે કેટકેટલી ઘટના? કેટકેટલા ઉધામા?
પહેલાં સોહામણું…રળિયામણું..પછી સતામણું, બિહામણું અને છેલ્લે ?.. આ સનાતન સત્ય સુધી પહોંચવાના આ તે કેવા તબક્કાઓ, કેટલી અવસ્થાઓ? અને કેવાં કેવાં પરિવર્તનો?
જન્મ પછી બાળક પર અનેક વસ્ત્રો વીંટળાતા જાય છે. સૌથી પહેલાં લોહીના સગપણના વસ્ત્રો. પછી શેરીના, મહોલ્લાના કે આસપાસના બાળકોની દોસ્તીના વસ્ત્રો. પછી ૫-૬ વર્ષે સ્કુલમાં જવાનું શરૂ થતા થતા શિક્ષક અને મિત્રોના સંબંધોના વસ્ત્રો ચડે છે. ધીરે ધીરે વય વધતા વ્યવહારના અને તહેવારના, એમ એક પછી એક વસ્ત્રોથી પેલો બાળક વીંટાતો જ જાય છે. એટલી હદ સુધી કે એ ક્યારે બાળકમાંથી બદલાઈ જાય છે એની એને પોતાને જ ખબર નથી રહેતી. બાળપણમાં મળેલા કોરાકટ કાગળ પર પોતે ક્યારે અને કઈ રીતે રાગદ્વેષના હાંસિયા દોર્યા એય ખ્યાલ બહાર જ જાય છે. હા, આ આવરણોથી રક્ષણ અને સંરક્ષણ તો મળે છે જ પણ સાથે સાથે જે ખરાં બીજ છે તે ઊભરતા અનુભવાય છે.
આ વિચારધારા સાથે, વર્ષો જૂના કેલેન્ડરના પાનાં પાછળ ને પાછળ ફેરવતા જઈએ તો સ્મૃતિના ડાબલામાંથી ઘણું બધું હાથમાં સરી આવે છે. પણ આ સ્મૃતિ પણ એક અજબની રહસ્યમય વસ્તુ છે. એ હંમેશા એને ગમતું જ સાચવે છે. બાકીનું તો બધું ખબર નહિ, કેવી રીતે ક્યાં ફેંકી આવે છે કે ઢાંકી દે છે! આ સાથે જ બીજો સવાલ એ છે કે, આગળ ચાલતી આ ગાડીના ‘રીઅર વ્યુ મિરર’માંથી કેટલે દૂર જોઈ શકાય છે?
૭૧ વર્ષના જૂના દ્વારો ખોલવા બેઠી છું. નથી ખોલી શકાતા. ક્યાંથી ખુલે? આશ્ચર્ય નથી. હકીકત છે. સ્મૃતિનું આ એક વિસ્મય છે, એક રહસ્ય છે કે એના દાબડામાં અમુક ઉંમર સુધીનું કોઈને કશું જ યાદ નથી હોતું. સ્વયંનું ગર્ભમાંથી બહાર આવવું, તે વખતના માતાના ચહેરા પરના ભાવો, પિતાની ખુશી અને જવાબદારીનો અહેસાસ, કુટુંબનો આનંદ વગેરેની છાપ કોઈપણ બાળકના અબૂધ માનસમાં પડેલી હશે કે કેમ તે તો ખબર નથી. એ જે હશે તે પણ, જીંદગીના કોઈપણ સમયમાં ક્યારેય, કોઈ કારણસર કે વિના કારણ, એ છાપ આળસ મરડીને બેઠી થતી જ નથી. વળી એ જમાનામાં આજના જેવી ફોટોગ્રાફી કે વીડીયોગ્રાફી જેવાં ઉપકરણો ન હતા અને માતપિતામાં પણ એવી કોઈ ઘેલછા ન હતી. હા, પેંડા બરફી વહેંચાતા ખરા.
સ્મૃતિમાંથી સરે છે માત્ર વડિલોના કહેવાયેલા શબ્દો. તે પણ સમજણી ઉંમરે. મા ખૂબ જ ઓછાબોલી હતી. એણે એકવાર કહેલું કે “તારો જન્મ ગામડામાં ઘરમાં જ, દાયણોના હાથે થયેલો. એ જમાનામાં છોકરો આવે તો વધારે આનંદ થાય અને તારો નં ત્રીજો. તારી આગળ એક છોકરી તો હતી જ. તોય તને જોઈ મને બહુ હેત ઉભરાતું.” બસ, આટલું જ. અને દાદીમાએ કહેલુઃ “દિકરો આવ્યો છે તેમ ગામડેથી કોઈએ કહેવડાવેલું એટલે પેંડા વહેંચ્યા. પછી ખબર પડી કે તું તો મૂઈ માતા છે!! ને પછી હસતા.
આટલી જન્મ વિશેની સાંભળેલી વાત સિવાય ચાર વર્ષ સુધીની કોઈ જ યાદો ખુલતી નથી. સૌથી પહેલી જે ખુલે છે તે મા સાથે ગામડે મોસાળ જતી તે. સાવ પોતીકું, જનમોજનમથી પોતીકું હોય એવું એ લીંપણવાળું, ઈંટ કલરના નળિયાના છાપરાંવાળું, કાથીના ખાટલા ઢાળેલું, આગળ ઓસરી, અંદર એક જ ઓરડો અને પાછળ નાનકડા વાડાવાળું ઘર. એ જગા, જ્યાં પરમ શક્તિએ આ જીવને ધરતી પર હળવો ધક્કો મારી મોકલ્યો હશે. આહ..એ જગા, ઘર અને ગામ વિશે આગળ ઉપર વાત.
આજે તો માત્ર આ યાદો કેવી હોય છે? એ વિશે થોડું ચિંતન અને મનન. આપણે કહીએ છીએ કે સમય બળવાન છે એ વાત તો સાચી.પણ આ સ્મૃતિઓ સમયથી પરે છે. એને વર્તમાનકાળ સાથે કશી જ નિસ્બત નથી અને ભવિષ્યની તો પરવા જ ક્યાં છે? છતાં ખૂબી તો એ છે કે, સ્મૃતિઓ ભૂતકાળને લઈને વર્તમાનમાં જીવે છે. એ મનમોજી છે. એને જ્યારે આવવું હોય ત્યારે જ અચાનક આવી જાય છે. ઘણીવાર કારણો મળે તો પણ સંતાઈ જાય છે. કદાચ સમૃધ્ધિમાં! અને ક્યારેક વગર કારણે આવી જાય છે અને ખસવાનું નામ પણ નથી લેતી. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. મોટે ભાગે બુધ્ધિને નેવે મૂકી દે છે અને દિલને વળગી જાય છે. એનું સ્વરૂપ કેવું છે? નથી ખબર. એનો આકાર કેવો છે? નથી ખબર. એના નખરા ખબર છે. ક્યારેક મઝા કરાવે છે તો ક્યારેક હેરાન હેરાન કરી મૂકે છે. એ મનમાં જ રહે છે, મનમાં જ ઊભી થાય છે અને મનમાંથી જતી પણ રહે છે. ઉપમા કોની અપાય? નિરાકાર તો ઈશ્વર છે એને ઈશ્વર તો ન કહેવાય. કારણ કે,ઈશ્વર તો સર્જક છે! યાદો ક્યાં સર્જક…..અરે..કેમ ભૂલાય? હા, યાદો સર્જક ખરી જ. માનવીને જ્યારે સંવેદના કે અનુભૂતિ થાય છે ત્યારે બરાબર એ જ ક્ષણે એ કંઈ કહેતો કે લખતો નથી. પણ મોટેભાગે બધું થઈ ગયા પછી ધીરે ધીરે એની યાદોમાંથી જ તો લેખક કે કવિઓ સર્જન કરે છે ને? એટલે શબ્દાકારે થતાં સર્જનો એ સંવેદનાની યાદોમાંથી જન્મે છે એમ કહી શકાશે? અદ્ભૂત ! અદ્ભૂત! આજે આ જે કંઈ લખ્યું તે એની જ તો લીલા છે ને!
આ વિશે સુરેશ જોશીના એક નિબંધ સંગ્રહ “જનાન્તિકે”માં ખૂબ જ સુંદર લખ્યું છે કે,
સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવાં નવાં વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે..તથ્યનો એ વિકાસ જ સ્મરણમાં જ થાય છે; ત્યાં જ એનાં શાખા, પલ્લવ અને ફળફૂલ પ્રકટ છે. આથી જ આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડી શકીએ છીએ.”
આજની પેઢીને માટેનું ચિત્ર કદાચ જુદું હશે. કારણ કે, વિકસતી જતી ટેક્નોલોજીને કારણે ‘ડોક્યુમેન્ટસ’ ની જેમ યાદો પણ એને હાથ વગી જ હશે! હાથમાંની “એપલ વોચ”પર, યુટ્યુબ પર, આઈપેડ/ટેબ્લેટ પર,આઇફોન/સ્માર્ટ ફોન પર… એને સંવેદનાશૂન્ય કહીશું? યાદદાસ્તનું સ્મશાન કે આશીર્વાદ કહીશુ? મનનો અભિગમ પરિવર્તનને આવકારે છે આશીર્વાદરૂપે. જરૂર છે માત્ર યથોચિત ઉપયોગ. મોજશોખ કે ઈચ્છાઓ અનિવાર્ય જરૂરિયાત ન બની જાય તેવી તકેદારી.
अति सर्वत्र वर्जयेत्।
ઈ-વિદ્યાલય–૨ February 6, 2019
Posted by devikadhruva in : Uncategorized , add a commentપ્રિય ઈ-વિદ્યાર્થીઓ.
આજે કેવું સંબોધન કર્યું? ઈ-વિદ્યાર્થીઓ !
ઈ ( ઈલોક્ટ્રોનિક્સનો ) સમય છે ને? ઈ-મેઇલની જેમ..ઈ-વિદ્યાલયની જેમ..ઈ-બુકની જેમ..
આજે આપણે શબ્દ લઈશું, વિદ્યાલય.
આ શબ્દને પહેલા આપણે છૂટા પાડી દઈએ. વિદ્યા+આલય.મૂળ સંસ્કૃત શબ્દ છે.
વિદ્યા= શિક્ષા,જ્ઞાન અભ્યાસ. અને આલય=જગા,સ્થાન,ધામ,આવાસ,નિવાસ,સદન,ઘર,ગૃહ
એટલે કે, જ્યાં શિક્ષણ આપવામાં આવતું હોય તે જગા.
તેના બીજાં શબ્દો છે નિશાળ,શાળા,પાઠશાળા વગેરે. અંગ્રેજીમાં ‘સ્કૂલ’ કહેવામાં આવે છે.
વિદ્યા પણ બહુ પ્રકારની હોય અને વિદ્યા શબ્દના બીજાં પણ અનેક અર્થો છે. પણ મુખ્ય અર્થ જ્ઞાન છે. મઝા આવે છે તમને? થોડાં વધુ ઊંડા જવું છે? તો સાંભળો.
સંસ્કૃત ભાષામાં શબ્દોના મૂળને તેનો ધાતુ કહેવાય. હવે આ વિદ્યા શબ્દના મૂળમાં ‘વિદ’ (દ ખોડો) એટલે કે, विद्=જાણવું અને અર્થી એટલે કે ઈચ્છાવાળું. આમ, જેને જાણવાની ઈચ્છા કે જીજ્ઞાસા છે તેને વિદ્યાર્થી કહેવાય. વિદ્યાલયમાં જઈ વિદ્યા સંપૂર્ણ મળી જાય તેને વિદ્યાવાન કહેવાય. તમારે વિદ્યાવાન થવું છે ને બાળકો?
તે જ રીતે આલય શબ્દને પણ આ+લય એ રીતે સંસ્કૃતમાં છૂટો પાડવામાં આવે છે અને તેના પણ બીજાં ઘણાં અર્થો થાય. જેમ કે, આ= સુધી અને લય એટલે નાશ. એટલે કે નાશ પામે ત્યાં સુધી, છેક સુધી. એના ઉપરથી તમે જાતે જ કેટલાંક શબ્દો વિચારી જુઓ.
હિમાલય= હિમ+આલય
દેવાલય=દેવ+આલય
કાર્યાલય=કાર્ય+આલય
વિદ્યાલય=વિદ્યા=આલય.
આપણી માતૃભાષા કેટલી મઝાની છે, નહિ?
એક વાત યાદ આવી. હું બહુ નાની હતી. કંઈ પણ વાંચુ તો મનમાં બહુ સવાલો થાય. વાક્યમાં કોઈ એક શબ્દ પર ધ્યાન જાય.દા.ત. “તેઓ હિમાલય ફરવા ગયાં” વાંચ્યા પછી વિચાર આવે કે, હિમાલયને બદલે ‘શીતાલય’ કે ‘ટાઢાલય’ ના વપરાય?!! અર્થ તો એ જ થાય ને? હિમ એટલે ઠંડી, ટાઢ એટલે પણ ઠંડી અને શીત એટલે પણ ઠંડી. પછી મનમાં ને મનમાં હસવું પણ આવે. તમને પણ એવું થતું હશે ને? આ ઈવિદ્યાલયમાં એવા સવાલો પૂછવાની છૂટ છે હોં. તો અમને અને આ સુરેશદાદાને પણ ખબર પડે ને કે તમે વાંચ્યું!
બીજી પણ એક એવી જ વાત કહું. હસતાં,રમતાં ભણવાની બહુ મઝા આવે ને? મારા દીકરાનો દીકરો મને પૂછે કે, આપણે અંગ્રેજીમાં ૧૬,૧૭,૧૮ વગેરે નંબરોને સિક્સ+ટીન, સિક્સટીન કહીએ, સેવન+ટીન,એઈટ+ટીન અને નાઈન+ટીન કહીએ તો તે પછી ટેન+ટીન કેમ ના કહેવાય?!! સરસ અને વિચારવા જેવો સવાલ છે, હેં ને? તમે પણ આવા સવાલો કરો તો મને બહુ ગમે.
ચાલો બીજો એક શબ્દ લઈએ હવે?
તમે જે આ ઈ-વિદ્યાલયમાં ભણી રહ્યાં છો ને તેમાં ઈ-વિદ્યાલયના ચિત્રની નીચે ‘પ્રવેશ દ્વાર’ શબ્દ લખ્યો છે. બરાબર?
તેમાં પ્ર+વિશ+અ= પ્રવેશ અને દ્વાર=બારણું.
પ્ર એટલે આગળનું. અંગ્રેજીમાં જેને prefix કહેવાય છે ને તેને ગુજરાતી અને સંસ્કૃતમાં પણ ઉપસર્ગ કહેવાય છે.દા.ત. પ્રારંભ,પ્રગતિ,પ્રબળ,પ્રદર્શન. એ રીતે પ્રવેશ.
વિશ એટલે દાખલ થવું, અંદર જવું,આરંભ કરવો,શરૂઆત કરવી વગેરે.
પ્ર+વિશ+અ. અ એટલે નામ બનાવવા માટે લગાડાતો પ્રત્યાય. પ્રવેશ કરવો એક ક્રિયા છે. પણ પ્રવેશ એકલો કહેવો હોય તો તેને નામ બનાવવું પડે ને? ત્યારે અ લગાડાય. હવે ફરીથી આખો શબ્દ વાંચોઃ પ્રવેશદ્વાર. અંદર દાખલ થવાનું બારણું. એટલે હવે કોઈપણ વ્યક્તિને આ ઈવિદ્યાલયમાં શું શું છે તે જોવું હોય કે શીખવું હોય તો પ્રવેશદ્વારમાં જઈએ તો બધું જ જોવાય અને શીખાય. જેમ નિશાળે જઈએ અને બારણું ખોલીને દાખલ થઈએ તેમ જ.
પ્રવેશદ્વારને અંગ્રેજીમાં Entrance door અને હિન્દીમાં आगमन दरवाज़ा કે પ્રવેશદ્વાર પણ કહેવાય છે.
ચાલો, આજે અહીં ઘંટ વગાડી દઈ વર્ગ પૂરો કરીએ.
દેવિકા ધ્રુવ
ઈ-વિદ્યાલય–૧ January 30, 2019
Posted by devikadhruva in : Uncategorized , add a commenthttp://evidyalay.net/archives/109514
http://evidyalay.net/archives/109514
ઈવિદ્યાલયના બાળકો માટે ખાસ…
પ્રિય બાળકો,
આજે વહેલી સવારે તમે યાદ આવ્યાં અને થયું તમારી સાથે કંઈક વાતો કરું. સૌથી પહેલા તો તમે આ ઈવિદ્યાલય પર જે ભણી રહ્યા છો તેને માટે અભિનંદન આપી દઉં. કારણ કે એમાં જાતજાતનું કેટલું બધું શીખવાનું મળે છે!
તમારી જેમ એમાંથી હું પણ શીખું છું હોં. એક વાત કહું ? મને સૌથી વધારે પ્રાર્થના વિભાગ ખૂબ ગમ્યો. તમને ખબર છે પ્રાર્થના એટલે શું? ચાલો એના વિશે થોડી વાતો કરીએ.
આમ તો પ્રાર્થના એટલે બે હાથ જોડીને, આંખો બંધ કરીને ભગવાન પાસે કંઈ માંગવું તે એવો એનો અર્થ થાય. આપણે સૌ નાનપણથી આ કરીએ છીએ અને એનો અર્થ પણ જાણીએ છીએ. પણ આજે આપણે એના વિશે થોડી વધારે વાતો જાણીએ.
એક નવાઈની વાત કહું? બહુ હસતાં નહિ. થોડું મલકી લેજો જરૂર. આપણે આ ’પ્રાર્થના’ શબ્દ કેટલી સહેલાઈથી બોલી શકીએ છીએ પણ અમેરિકનો કે બીજી પરદેશી પ્રજાને તો એ બોલતા પણ ન આવડે અથવા બહું અઘરી લાગે. કેવી નવાઈની વાત હેં?
હા,તો આ પ્રાર્થના શબ્દનું મૂળ ક્યાંથી આવ્યું? પહેલાં આ શબ્દને છૂટો પાડીએ.
પ્ર+અર્થ=અન+આ
સંસ્કૃત ભાષામાં પ્ર એટલે સૌથી સારું,ઉત્તમ,શ્રેષ્ઠ.
અર્થ એટલે માંગવું તે.
અન એટલે પણું+માંગવાપણું
આ એટલે સ્ત્રી જાતિનો પ્રત્યય. પ્રાર્થના કેવી કહેવાય.
આ રીતે આખો શબ્દ થયો પ્રાર્થના. પ્રાર્થનાના પણ ઘણાં શબ્દો છે. દા.ત. વંદના,સ્તુતિ કરવી, શ્લોક ગાવો, મંત્ર બોલવો, બંદગી કરવી, સ્તવન કરવું, વિનંતી કે અરજ કરવી, ભજન ગાવું વગેરે. વળી પ્રાર્થનાનો અર્થ માંગણી ખરી.પરંતુ ગમે તેની પાસે માંગીએ તે પ્રાર્થના ન કહેવાય. માત્ર ઈશ્વર સામે જે વાતો કરીએ, ઈચ્છા કરીએ, કોઈનું શુભ ઈચ્છીએ કે ક્યારેક કંઈક માંગીએ અને તે પણ ખરા દિલથી તેને જ પ્રાર્થના કહેવાય. હવે સવાલ થાય કે ઈશ્વર એટલે કોણ? બરાબર ને? તો એનો જવાબ એવો છે કે, કોઈએ એને જોયો નથી પણ દરેક ક્ષણે એનો અનુભવ થાય છે. એણે જ આખું જગત રચ્યું છે અને એણે જ આપણને આ વિશ્વમાં જન્મ પણ આપ્યો છે ને? તમારી સાથે આ વાત કરું છું ને બાળકો? તો પેલી પ્રાર્થનાની પંક્તિ સંભળાઈ કે “મંદિર તારું વિશ્વ રૂપાળું..સુંદર સર્જનહારા રે”.તો આ સર્જનહારને જે વિનંતી થાય કે એની પ્રશંસા થાય કે એની પાસે કંઈક માંગણી થાય અને તેનો આભાર પણ મનાય તેનું નામ પ્રાર્થના. પ્રાર્થનામાં ખૂબ શક્તિ છે પણ એ ખૂબ જ ભાવથી, અંતરથી થવી જોઈએ.
બીજી એક વાત એ કે પ્રાર્થના કોઈપણ જગાએ થાય અને કોઈપણ રીતે થાય. એવું જરૂરી નથી કે એ માત્ર મંદિરમાં જ થાય. હા, મંદિરમાં જઈને કરીએ તો એક સરસ મઝાનું પવિત્ર વાતાવરણ લાગે અને કદાચ સૌની સાથે ભાવપૂર્વક પણ થાય. પણ એ હંમેશા જરૂરી નથી. આપણે તો નિશાળોમાં પણ પ્રાર્થના કરીએ જ છીએ ને? અને ઘરમાં પણ. બરાબર? પ્રાર્થના ખરેખર તો ઈશ્વર સાથેનો સંવાદ છે. એ સાંભળે? એવો તમને સવાલ થશે. હા, એ ચોક્કસ સાંભળે. એની તો બહુ બધી વાતો છે અને ઘણી લાંબી છે. ક્યારેક એ વાતો પણ કરીશું. પણ આજે તો પ્રાર્થના વિશે જ વિચારીશું.
બીજું, તમને ખબર છે બહુ મોટી મોટી અને મહાન વ્યક્તિઓએ પોતાના અનુભવ પછી પ્રાર્થના માટે બહુ સરસ લખ્યું છે. કોઈકે કહ્યું છે કે, પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે. મહાત્મા ગાંધીજી તો કહેતા કે, પ્રાર્થના એ આત્માને સ્વચ્છ કરવાની સાવરણી છે. આપણા મોટા કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું કે, હે ઈશ્વર,મારા આનંદ અને શોકને હું સહેલાઈથી સહી શકું એવું મને બળ આપ, કોઈ સેવાનું કામ કરી શકું એવી મને શક્તિ આપ. કેટલી ઊંચી પ્રાર્થના?
આવી પ્રાર્થના કર્યા પછી મન ખૂબ પ્રસન્ન પ્રસન્ન થઈ જાય. હિન્દી ભાષામાં પણ એમ કહેવાય છે કે જિસકા રબ હો ઈસકા સબ હો. રબ એટલે કે જેને પ્રાર્થના કરીએ છીએ તે પરમ શક્તિ,ઈશ્વર. વળી કોઈકે તો એક મઝાની વાત કરી કે, પ્રાર્થના એ ઈશ્વરનો મોબાઈલ નંબર છે!!! તો તમે પણ મોબાઈલ સાથે જોડાશો ને?!! It is a greatest wireless connection and nearest approach to God.
મારી ગમતી એક પ્રાર્થનાઃ
ના માંગુ ધન વૈભવ એવા,મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના,ગરીબ કેરી હાય !
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! … માગું
ઉંચા નીચા ભેદ ન જાણું,સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ, કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! … માગું
કરતાં કાર્ય જગે સેવાનાં,જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે ,જીવતર ઉજળું
એવું મનનું બળ તું આપ, પ્રભુજી !
માંગુ હું તે આપ…
ચાલો, ફરી કોઈ બીજી વાત કરવા મળીશું. આવજો.
દેવિકા ધ્રુવ
આભલે માછલા, સાગરે તારલા…. January 8, 2019
Posted by devikadhruva in : કાવ્યો , add a commentઆભલે માછલા, સાગરે તારલા, એવું પણ વિશ્વમાં કોઈ આણશે.
માનવીને મળે પંખ ને પૂંછડા, અવનવું અટપટું કંઈક આવશે.
પંખીઓ પામશે વાણી ને બે પગો, અચરજો પણ પછી કંઈ ન લાગશે.
યુગયુગોથી અહીં હાલતા ને ચાલતા, ફેરફારો જગે કાળ લાવશે..
એક જણ વાવશે, અન્ય કો’ ફાવશે એ જ ક્રમ હર ઘરે એમ ચાલશે.
કોઈ નથી કોઈનું, વાતવાતે કહી, સગવડિયો નિયમ સૌ બતાવશે.
ધમપછાડા કરો, નભ સુધી પહોંચવા, એકમેક અંતરો કોણ વાંચશે?
જે વિતી તે ઘડીય, તું કદી ફેરવે, નીકળ્યાં વેણ-તીર કોણ વાળશે?
મારશે ગોળી ત્રણ, હાથ ખીલે બાંધશે, તે પછી શિર ખાલી નમાવશે.
યાદ ‘દેવી’ કરી, આશ દિલમાં ભરે, ‘એ જ એ’ આવીને સર્વ તારશે.
સાત રંગનું સરનામું… December 22, 2018
Posted by devikadhruva in : Uncategorized , add a commentગઝલકાર શ્રી,’શૂન્ય’પાલનપુરીના ૯૭-મા જન્મદિનપ્રસંગે, ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે, તારીખ:૧૯ ડિસેમ્બર ૨૦૧૮,બુધવારના રોજ,સાંજે ૦૫-૩૦ કલાકે,આત્મા હૉલ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે યોજાયેલ સાહિત્યિક વ્યાખ્યાન ‘સાત રંગનું સરનામું’ પ્રસંગની થોડી તસ્વીરો..
‘શૂન્ય’પાલનપુરીના જીવન વિશે,શૂન્ય’પાલનપુરીના પુત્ર શ્રી તસનીમખાન બલુચ અને ‘શૂન્ય’પાલનપુરીની કાવ્યસૃષ્ટિ વિશે જાણીતા કવિશ્રી રઈશ મનીઆરે વક્તવ્ય આપ્યું હતું અનેસમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેતે’સંભાળ્યું હતું..
પળ-અકળ November 29, 2018
Posted by devikadhruva in : કાવ્યો , add a commentપળ-અકળ
જન્મની પળ કંઈ એવી અકળ અહીં,
પહોંચે ન કોઈ એ વિસ્મયના તળ મહીં.
ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.
કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય..
રોજ રોજ પાના તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી..
પણ પહોંચે ન કોઈ એ વિસ્મયના તળ મહીં…………
જન્મની પળ કંઈ એવી અકળ અહીં..
અંદર છે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.
શોધી શોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર..
સદીઓથી સૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,
તોય પામે ન કોઈ એ વિસ્મયના તળ મહીં..………
જન્મની પળ કંઈ એવી અકળ અહીં..
ને વારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાંય રાખી, ના કોઈને કીધી.
લાવે સવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા, પ્રતીક્ષાની લીધી.
છેલ્લું વિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી..
આખરી પળ પણ એવી અકળ અહીં…………
પામે ન કોઈ એ વિસ્મયના તળ મહીં…
એકાંકી નાટકઃ ‘વિનોદ ભટ્ટ-સ્વર્ગલોકમાં’ June 27, 2018
Posted by devikadhruva in : Uncategorized , add a commentસ્થળ– ‘ધર્મયુગ’ કોલોનીનું એક નિવાસસ્થાન.
કથાબીજ– ‘પોઝીટીવ મીડિયા’ ના ચેરમેન શ્રી રમેશ તન્ના.
શિર્ષક : ‘વિનોદ ભટ્ટ-સ્વર્ગલોકમાં’
પાત્રો—
વિનોદ ભટ્ટ–
યમરાજાની પત્ની યમી-
ચિત્રગુપ્તની પત્ની- ચિત્રા-
હાસ્ય લેખકોઃ જ્યોતિન્દ્ર દવે,બકુલ ત્રિપાઠી,તારક મહેતા-
કથાબીજ– ‘પોઝીટીવ મીડિયા’ ના ચેરમેન શ્રી રમેશ તન્ના.
નાટ્ય રૂપાંતરઃ રાહુલ ધ્રુવ, દેવિકા ધ્રુવ અને સહાયક બધાં જ પાત્રો
સૂત્રધાર— દેવિકા ધ્રુવ..
_____________________________________________________________________
પ્રથમ દૃશ્ય
સાંજનો સમય છે. શ્રી વિનોદ ભટ્ટ ‘ધર્મયુગ કોલોની’માં આવેલા પોતાના નિવાસસ્થાને બેઠા છે. ઢળતી સાંજના આછા અંધારામાં ઓરડામાં કંઈક હલચલ થતી જણાય છે, કોઈ આકૃતિ આવતી દેખાય છે. અને…વિનોદ ભટ્ટ પૂછે છેઃ
****************************************************************************************************
વિનોદ ભટ્ટ– કોણ? કોણ છે?
યમી– હું યમી..
વિનોદ ભટ્ટ.- યમી? કોણ યમી?? કાંઈ ઓળખાણ નથી પડતી.
યમીઃ હું યમરાજની પત્ની યમી.
વિનોદ ભટ્ટ -ઓહોહો… પણ તમે ક્યાંથી? હું તો યમરાજની રાહ જોતો હતો!!
યમીઃ. તમે લોકોને બહુ એન્ટરટેઈન કર્યા એટલે તમારા માટે યમે મને મોકલી!
વિનોદ ભટ્ટ -લો કહો ત્યારે… આપણે તો અહીંથી જ સ્વર્ગલોક શરુ. કર્મના ફળની વાત સાચી હોં.
યમી- આ ઘોર કલિયુગમાં તમે ‘ધર્મયુગ‘ કોલોનીમાં રહો છો? કમાલ છો !
વિનોદ ભટ્ટ– કેમ એમાં શુ? હસે અને બીજાને હસાવે તે ઘર વસાવે. એનું નામ ‘ધર્મયુગ’.. અરે, તમને પણ હસાવીને પેટ
દુઃખાડી દઉ. કરવો છે અખતરો?
યમીઃ હા, હા, ચાલો મારી સાથે..તૈયાર છો ને?
વિનોદ ભટ્ટ– યમી….એક મિનિટ હોં.. ઊભા રહો. આ ઘર અને બીજાં બંગલાવાસીઓને છેલ્લી એકવાર જોઈ લઉં?
યમીઃ રહેવું છે હજી થોડાં વર્ષ ? લાગવગ લગાડું? વોટ્સેપ પર મેસેજ મોકલી દઉં?
વિનોદ ભટ્ટ -ના, રે ના, હવે બહું થયું, કૈલાસ ગઈ, હમણાં નલિની ગઈ, તેમને મળવાની ઉતાવળ છે. જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાનેય મળવું છે. અને યમી..તમને જાણીજોઈને બેન નથી કહેતો. નહિ તો પાછા આપણને એન્ટરટેઈન કરવાની અગવડ પડી જાય! હં… તો હું એમ કહેતો હતો કે…અરે..( માથું ખંજવાળતાં) શું કહેતો હતો…આ તમને જોઈને ભૂલી ગયો બધું.
યમીઃ તમે એમ કહેતા હતા કે, જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાનેય મળવું છે …
વિનોદ ભટ્ટ -હા તે બધાનેય મળવું છે અને અહીં આમેય બધુ સેટ થઇ ગયું છે. નવા હાસ્યલેખકો પણ ઉત્તમ લખતા થઈ ગયા છે. તેમના માટે પણ જગ્યા કરવી પડે. ચાલો, તમતમારે… આપણે રેડી છીએ.”
યમીઃ ઊભા રહો, જરા ગાંઠિયા ખાઈ લઉં.
વિનોદ ભટ્ટ- હા, એ પહેલું હો.. ગાંઠિયા અને ચહા વિના વાહન ના ચલાવી શકાય, તો તમારે તો આવડો મોટો પાડો ચલાવવાનો છે.
યમીઃ (હસીને) પાડો નથી,પાડી છે.. તમારે માટે બધી જ સ્ત્રીઓ!
વિનોદ ભટ્ટ —આ તમારી પાડીને તો ગાંઠિયા નથી ખવડાવતા ને ! “
યમી હસી પડી., ના, ના, પાડી તો લીલા ઘાસ વિના બીજું કશું ખાતી નથી.
વિનોદ ભટ્ટ-, અમારા દેશના રાજકારણમાં દાખલ કરી દો, બધુ ખાતી થઈ જશે.
દૃશ્ય ૨—
સૂત્રધાર—(આમ વિનોદ ભટ્ટ યમીની પાછળ પાડી પર બેસીને, મજાક કરતા કરતા યમલોકમાં પહોંચે છે..)
યમીઃ લો, તમે અમારા લોકમાં આવી પહોંચ્યા હવે. અરે, ચિત્રા,ઓ ચિત્રા …(બૂમ પાડી બોલાવે છે.)
યમી-( વિનોદ ભટ્ટને ચિત્રાને સોંપતાં કહ્યું-) આમનો હિસાબ-કિતાબ કરીને જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલી દેજો.
વિનોદ ભટ્ટ-.– આ ચિત્રા વળી કોણ છે?
યમીઃ યમની યમી અને ચિત્રગુપ્તની ચિત્રા ! એ તમારો બધો હિસાબ જોશે.
(ચિત્રાએ મોટો ચોપડો કાઢ્યો._)
ચિત્રા– નામ ?
વિનોદ ભટ્ટ –“વિનોદ”
ચિત્રા–“કેવા ? “
વિનોદ ભટ્ટ –“એવા રે અમે એવા”
ચિત્રા-“એમ નહીં,જ્ઞાતિએ કેવા ?”
વિનોદ ભટ્ટ –” અહીં પણ લોકશાહી છે? અહીં પણ જ્ઞાતિવાદ ચાલે છે? “
ચિત્રા–અરે, આખું નામ તો કહેવું પડે ને ! પૃથ્વીલોકમાં વિનોદ કુલ ૬૭૫૮૩ છે.”
“વિનોદ ભટ્ટ—( હસીને કહે છે) હવે ૬૭૫૮૨ થઈ ગયા. મારું આખું નામ વિનોદ ભટ્ટ.”
ચિત્રાએ ચોપડો ફંફોસવા માંડ્યો.
ચિત્રા–” હિસાબમાં તો કિતાબો જ કિતાબો છે. આટલું બધું લખ્યું છે ?”
વિનોદ ભટ્ટ–..કેમ “વધારે લખાઇ ગયું છે? ઓછું લખે એને જ સ્વર્ગ લોક મળે એવી કોઈ યોજના છે ?”
ચિત્રા—( થોડી) અકડાઈ, વિનોદભાઇ, જે ઓછું કે વધુ નહીં, પણ સાંભળો.. ઉત્તમ લખે તેને સ્વર્ગ લોક મળે. ફેસબુક પર લખે એના માટે કડક ધોરણો છે. બાય ધ વે, તમે તો લોકોને બહુ હસાવ્યા છે.”
“વિનોદ ભટ્ટ-_( ચિત્રાના ખભા પર હાથ મૂકીને) જો દોસ્ત, લખવાનું કામ આપણું, હસવાનું કામ વાચકોનું.”
ચિત્રા— (ગળગળી થઇ) સાહેબ, મેં પણ તમને બહુ વાંચ્યા છે, હોં..
વિનોદ ભટ્ટ –(આંખ મીંચકારી) તો પછી હિસાબકિતાબમાં થોડું ધ્યાન રાખજો.
ચિત્રા–સાહેબ, તમારા જેવા હાસ્યવિદ્ સ્વર્ગલોકમાં આવે એ તો તેના ફાયદામાં છે. હાસ્ય વગરનું તો સ્વર્ગ પણ નકામું છે.
વિનોદ ભટ્ટ –અચ્છા તો તમે ગુણવંત શાહને પણ વાંચ્યા એમ ને.. પણ એમને લાવવાની ઉતાવળ ના કરશો.. દિવ્ય ભાસ્કરમાં એક સાથે બે કોલમો બંધ થાય તો સંપાદકને તકલીફ પડે.
ચિત્રા—સાહેબ, આ બધુ તમારે ઉપર, યમરાજાને કહેવું પડે. હું તો હિસાબની વ્યક્તિ અને તે પણ તમારા જેવા ખાસ
માણસોને માટે જ.. પૃથ્વીલોક પર જેવું કરો તેવું અહીં ભરો.
ચિત્રા— (પોતાના નાક પર આંગળી મૂકીને કહે છે) હવે વિનોદભાઈ થોડી વાર મનમોહનસિંહ થઈ જજો. હું તમારો હિસાબ જોઈને તમને તમારું નવું સરનામું ફાળવી દઉં.
(ચિત્રાને વિનોદભટ્ટનાં હિસાબ કરતાં વાર લાગી એટલે)
વિનોદ ભટ્ટ —- તમે યાર, હજી આ ચોપડા છોડતા નથી. કોમ્ય્યુટર લાવી દો ને… બધું ઓનલાઇન કરી નાખો.
ચિત્રા–(ચશ્માં સરખાં કરતાં)– એ માટે અનેક મિટિંગો થઇ ગઇ છે. ઠરાવો પાસ થઇ ગયા છે, પણ છેવટે એવું નક્કી થયું છે કે મોદી અહીં આવશે ત્યારે એ જ બધું કરશે, આપણે ખોટી મહેનત કરવી.”
વિનોદ ભટ્ટ (હસતાં હસતાં)–“એ અહીં આવવાને બદલે તમને ત્યાં ના બોલાવી લે એનું ધ્યાન રાખજો…હવે મારો વિભાગ મને ફાળવી દો…
ચિત્રા (હસતાં હસતાં),” બોલો, નર્કમાં જવું છે કે સ્વર્ગમાં ?”
વિનોદ ભટ્ટ –વારાફરતી બન્નેનો અનુભવ કરી શકાય તેવું કોઇ પેકેજ નથી ?
ચિત્રા–“ના, અહીં સાહિત્ય એકેડેમી કે સાહિત્ય પરિષદ જેવું ના હોય. અહીં તો કોઇ એકમાં જ જવું પડે. તમારાં હાસ્યકર્મોને આધારે તમે સ્વર્ગલોકમાં જઇ શકો તેમ છો”.
વિનોદ ભટ્ટ ––તો યાર, ત્યાં લઈ લો. મારો કોલમ લખવાનો સમય જતો રહેશે તો‘દિવ્યભાસ્કર‘માંથી સંપાદક ફોન કરી કરીને માથું ખાઇ જશે.”
ચિત્રા–“તમે કહેતા હોય તો, તેમને અહીં બોલાવી લઇએ.”
વિનોદ ભટ્ટ ––“ના, ના. ” જરા ઉભા રહો, આ વોટ્સેપ જોઈ લઉ.
(બન્ને જણ વાતો કરતા હોય છે ત્યારે ચિત્રા પર વોટ્સએપ મેસેજ આવે છે. મેસેજ વાંચીને તે વિનોદભાઇને કહે છે,)”
ચિત્રા– આ મારો પણ વોટ્સેપ આવ્યો, લો. (વાંચતા વાંચતા) તમને જ્યોતિન્દ્ર દવે,તારક મહેતા,બકુલ ત્રીપાઠી યાદ કરે છે, જાઓ, સ્વર્ગલોકમાં સિધાવો.”
દૃશ્ય-૩
સૂત્રધાર–(ચાર-પાંચ સૂરજ એક સાથે ઉગ્યા હોય એવું અજવાળું છે, લતાઓ, વનલતાઓ, અનેક પ્રકારના છોડ, વિવિધ પ્રકારનાં પુષ્પો અને લીલાંછમ પાનથી શોભતાં વૃક્ષોથી વાતાવરણ છલકાઈ રહ્યું છે. સુંદર અપ્સરાઓ ડીજેના તાલે નૃત્ય કરી રહી છે. ના ઓળખી શકાય તેવા એક સુંદર વૃક્ષ નીચે જ્યોતિન્દ્ર દવે આરામ ખુરશી પર સૂતા છે, તેમની બાજુમાં બકુલ ત્રિપાઠી અરધા બેઠા અને અરધા સૂતા છે, તારક મહેતા પાન ખાતાં ખાતાં ઝાડની ડાળી પર લગાડેલા હીંચકા પર ઝૂલી રહ્યા છે. જ્યોતિન્દ્ર દવે વિનોદભાઈને ભાવથી આવકારે છે.)