jump to navigation

જુલાઈ ૨૦૧૫-‘નવનીત-સમર્પણ’માં પ્રસિધ્ધ થયેલ ગઝલ. July 16, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

જુલાઈ ૨૦૧૫-‘નવનીત-સમર્પણ’માં પ્રસિધ્ધ થયેલ ગઝલ.

શિર્ષક-“વાત રે’વા દો.”

નવનીત-સમર્પણ-જુલાઈ'૧૫

 

કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો.

 ભર્યા ઠાલા અને પોલા, છે અર્થો શબ્દ-કોષોમાં,
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો.

 જુએ સામે અરીસો લઇ, છતાં ના જાતને જોતા,
મળે ઇશ્વર, તો શું દેખે? બેગાની વાત રે’વા દો.

 સુગંધી શ્વાસમાં સૂંઘી, ભરે અત્તરને વસ્ત્રો પર,
ફૂલોની પાંદડી તોડી,પીસ્યાની વાત રે’વા દો.

 ઝવેરી વેશ પ્‍હેરી વિશ્વને ઘાટે જૂઠા બેઠા,
હિરા ફેંકી, વિણે પત્થર, દીવાની વાત રે’વા દો.

 કોઇ લાવો નવા રાજા ને રાણીની કથાવાર્તા,
પરીઓની ખરી ખોટી, રૂપાળી વાત રે’વા દો..

કહ્યું છે સાચું વિજ્ઞાને હજારો વાર પૃથ્વી ગોળ,
મળે રોવાને ક્યાં એકે, ખૂણાની વાત રે’વા દો.

 

’તઝમીન’- એક કાવ્ય પ્રકાર June 25, 2015

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , add a comment

જુન ૨૧ ૨૦૧૫ના રોજ  ‘વેબગુર્જરી’ માં પ્રસિધ્ધ થયેલ લેખઃ

ગઝલની સાથે સાથે કેટલાક રચનાકળામાં નિષ્ણાત એવા ઉસ્તાદોએ ‘તઝમીન’ જેવા કાવ્ય પ્રકાર ઉપર પણ હાથ અજમાવ્યો છે. બરકત વીરાણીએ લખ્યું છે કે, ’તઝમીન’, કોઈ શાયરની મૂળ બે પંક્તિઓ મત્લા, શેર કે મક્તા લઈને એના ઉપર અન્ય શાયર પોતાના તરફથી ત્રણ પંક્તિઓ ઉમેરી એનું અનુસર્જન કરે અથવા વિશેષ સર્જન કરે એને કહેવાય છે. આ કાવ્ય પ્રકારને કોઈ ઉદાહરણ રૂપે રજૂ કરવો હોય તો ગની દહીંવાલા કહે છે કે ‘કોઈ સારા નીવડેલા ગઝલકારના ઉત્કૃષ્ટ એવા ‘શેર’ની બે પંક્તિઓને સુઘડ એવા કોઈ બેઠા ઘાટના મકાનની ઉપમા આપી શકાય. એ મકાન ઉપર ત્રણ માળ ચઢાવી આપનાર કુશળ સ્થપતિ તે તઝમીનકાર’. આ વાતનું સમર્થન કરતાં શ્રી શેખાદમ આબુવાલા કહે છે કે તઝમીનકારને કોઈપણ ગઝલકારનો એક શેર મળવો જોઈએ કે જેના આધારે પોતાની ઊર્મિનો વિસ્તાર કરી શકે.

‘મુસાફિર’ પાલણપુરીએ ૧૯૮૪માં એક તઝમીન સંગ્રહ બહાર પાડ્યો હતો. તેમાં મૂળ કસબી પણ જોતો રહી જાય તેવું કૌશલ તેમણે દાખવ્યું છે. એમની કલમ કુતુબમિનારના પહેલા કઠેરા પરથી ઊંચા સોપાને ચઢે છે. મૂળ ‘શેર’ના ભાવ-જગત સાથે એકરસ થઈ પોતાને સાધ્ય એવી રચનાકળાનાં દર્શન કરાવે છે. ‘મુસાફિર’ પાલણપુરીના તઝમીન સંગ્રહમાંથી કેટલાક નમૂના ‘વેબગુર્જરી’ના વાચકો માટે અત્રે સહર્ષ રજૂ કરવામાં આવે છે.

– દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ

તઝમીન (૧)

      (૧) શયદાનો મૂળ શેર :

મને એ જોઈને હસવું હજારો વાર આવે છે.
પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.

              તઝમીન :

‘હશે કે કેમ તું?’ એવી કોઈ શંકા ઉઠાવે છે.
ખુદાઈનો કરીને કોઈ દાવો, મન મનાવે છે.
પડે છે ભીડ તો તારે જ ચરણે શિર ઝુકાવે છે!
મને એ જોઈને હસવું હજારો વાર આવે છે.
પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.

તઝમીન (૨)

     (૨) મરીઝનો મૂળ શેર : 

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ !
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

              તઝમીન :

દૂર બહુ નીકળી ગયા,પાછા ફરો જલ્દી મરીઝ !
પાથરેલી જાળ પાછી આવરો જલ્દી મરીઝ !
મોત પહેલાં જે મળે હોઠે ધરો જલ્દી મરીઝ !
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ !
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

તઝમીન (૩)

    (3) ઓજસ પાલનપુરીનો મૂળ શેર :

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ.
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

          તઝમીન :

ધૂળની લીલા હતી એ,ધૂળમાં ધરબાઈ ગઈ!
કો’ મધુરા સ્વપ્ન પેઠે જાણે ક્યાં ખોવાઈ ગઈ!
ઘેલછા ઓજસ! અમરતાની તરત સમજાઈ ગઈ.
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ.
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

                    – ‘મુસાફિર પાલણપુરી

મળી ગઈ… June 7, 2015

Posted by devikadhruva in : ગઝલ , add a comment

અહો ક્યાં અચાનક મને હું મળી ગઈ.
હતી જે ખરી તે જગે હું જડી ગઈ.

આ ઉગ્યો રવિ દૂરથી રાત વીંધી.
ને સૂરજની ધારા તિમિરો ગળી ગઈ. 

સમયના બે કાંટા સતત ફર્યા પણ,
ફરીને સમયના અક્ષરો કળી ગઈ. 

ભૂલી તો પડી’તી ઘડી બે ઘડી છો,
વળી તો,પરમ દર્શને હું મળી ગઈ. 

આ શબ્દોની ઝાડી મહીં વીંટળેલી
ઘનેરા ફૂલોના વને હું ઢળી ગઇ. 

નિરવ શાંત સ્થાને, સમી એક સાંજે,
અનાયાસે ખુદમાં, હવે હું ભળી ગઈ.

કલમની કમાલે ધરી હામ સાચી,
કહું? આ છે પૂજા, શિવે હું મળી ગઇ.

ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીનો રજત જયંતિ કાર્યક્રમ અને મુશાયરો □ ‘મહેક’ ટંકારવી June 3, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીનો

રજત જયંતિ કાર્યક્રમ અને મુશાયરો

અહેવાલઃ ‘મહેક’ ટંકારવી.

 

photo_008   photo_102

શુક્રવાર તા. ૧૫મી મે ૨૦૧૫ના રોજ બાટલીના અલ-હિકમાહ સેન્ટર ખાતે યુ.એસ.એ.થી આ કાર્યક્રમ માટે ખાસ પધારેલ કવયિત્રી દેવિકા ધ્રુવના મુખ્ય મહેમાનપદે ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલી’ની રજત જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કવિ અહમદ ગુલ સંપાદિત ગુલદાન જેમાં બાટલીના છ ગઝલકારોની કાવ્યકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું અને ‘Batley Bond’ અને ‘Batley Buds’ જેમાં બાટલી અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના નવોદિત કવિઓની અંગ્રેજી રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત કરતાં ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીના સેક્રેટરી ઇસ્માઇલ દાજીએ મહેમાનો, કવિગણ તથા ઉપસ્થિત શ્રોતાઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીના પ્રમુખ કવિ અહમદ ગુલે ફોરમની સ્થાપના અને વિકાસયાત્રા પર ઘણી વિગતે વાત કરતાં જણાવ્યું હતું કે ૧૯૯૦માં ફોરમની સ્થાપના થઇ ત્યારથી લઇ આજ સુધીનાં ૨૫ વર્ષોમાં ફોરમે

દેશપરદેશના ઘણાં જાણીતા કવિઓને અહીં આમંત્રી તેમની ઉપસ્થિતિમાં અનેક મુશાયરાઓનું આયોજન કર્યું છે, સ્થાનિક કવિઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા વર્કશોપ્સ (કાવ્ય શિબિરો) યોજી છે, કાવ્ય અને ગઝલસંગ્રહોનું પ્રકાશન કર્યું છે, અંગ્રેજ કવિઓને પણ પ્રવૃત્તિમાં સાંકળ્યા છે અને એ રીતે લોકોને ગઝલો-હઝલોની લહાણી કરાવવા સાથે છેલ્લા પચ્ચીસ વર્ષથી અહીં બ્રિટનમાં અને ખાસ કરીને યોર્કશાયરમાં ગુજરાતી ભાષાની માવજત સાથે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જીવંત રાખવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે. અહમદ ગુલે મેં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કારવાઁ બનતા ગયા એ જાણીતો શેર ટાંકીને પોતાનું વકતવ્ય સમાપ્ત કર્યું હતું. અહમદ ગુલની સેવાઓની કદર રૂપે આ પ્રસંગે તેમને તેમની પૌત્રી તરફથી ફુલહાર અર્પણ કરવામાં આવ્યો હતો.

ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.ના પ્રમુખ અને ગઝલકાર ‘મહેક’ ટંકારવીએ ‘આ કવિઓએ જે ગાયું છે તેને મારે ગાવું છે, તેમના દર્દને આપ લોકો સુધી પહોંચાડવું છે’ એમ કહી ‘ગુલદાન’ના કવિઓની ગઝલોમાંથી કેટલાક શેરો તરન્નુમથી રજુ કરી જાણે મુશાયરાનું માહોલ સર્જી આપ્યું હતું. તેમણે ખાસ કરીને જેમની ગઝલો-હઝલોના પડઘા હજી યોર્કશાયરની ખીણ-ટેકરીઓમાં ગુંજે છે અને જેઓ પોતાની ગઝલો-હઝલોનો વારસો આપણને સોંપીને અલ્લાહને પ્યારા થઇ ગયા છે તેવા મરહુમ હસન ગોરા ડાભેલી અને મુલ્લાં હથુરણીને યાદ કરી તેમની સેવાઓને બિરદાવી હતી.

ગુજરાતી લિટરરી ગૃપ, બર્મિન્ગહામના કવિ પ્રફુલ્લ અમીને Batley Bond વિષે બોલતાં જણાવ્યું હતું કે અંગ્રેજી ભાષી આપણી નવી પેઢીઓને ધ્યાનમાં લઇ હવે બહુભાષી મુશાયરાઓ યોજવાનો સમય આવી ગયો છે. અંગ્રેજ કવિઓને પણ સાથે લઇને ચાલવાથી એકબીજા સાથે હળવાભળવાનો અને પરસ્પર વિચારોની આપલે કરવાનો મોકો મળી રહેશે. તેમણે સંગ્રહમાં સમાવિષ્ટ તમામ કવિઓને અંગ્રેજીમાં સુંદર કવિતાઓ પીરસવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ત્યાર પછી Batley Budsf]=  ડેવીડ કૂપર અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના જુલિ હેઇગના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. નવોદિત કવિઓને પ્રોત્સાહિત કરતી આવી પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવતાં તેમણે કહ્યું કે “investment in poets is an investment in our community. It binds together our communities.” વિવિધ સમાજોને એકબીજાની નિકટ લાવવામાં સાહિત્ય અને કવિતા સારો એવો ભાગ ભજવી શકે છે.

ઝયનબ દાજીએ પોતાની અંગ્રેજી કવિતાનું વાંચન કરી શ્રોતાઓની દાદ મેળવી હતી. ત્યાર બાદ ૧૭ વ્યક્તિઓનું સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે તેમના ઉમદા યોગદાન બદલ પ્લાક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનના શ્રી વિપુલ કલ્યાણીએ બ્રિટનમાં ગુજરાતી ભાષા વિષે બોલતાં જણાવ્યું કે અહીંની અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓએ ગુજરાતી ભાષાને અહીં અંગ્રેજીના પ્રભુત્વવવાળા દેશમાં આજ પર્યંત જીવંત રાખવા ઘણું કર્યું છે. દુ:ખ એ વાતનું છે કેે ગુજરાતથી હજારો માઇલ દૂર રહીને પણ રોજી રોટી કમાવાની સાથે સાથે ગુજરાતી ભાષા, સંસ્કૃતિ-સંસ્કાર અને અસ્મિતાને જાળવી રાખવા પોતાની કલમ દ્વારા અહીંના કવિઓ, ગઝલકારો, વાર્તાકારો અને લેખકોએ જે મહેનત કરી છે તેની અત્યાર સુધી ગુજરાતમાં જોઇએ તેવી અને તેટલી નોંધ લેવાઇ નથી. ગુજરાતીના વર્ગો પહેલાં ચાલતા હતા જે હવે ચાલતા નથી, ગુજરાતીને અહીંની શાળા કોલેજોમાંથી પણ જાકારો આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે ચિંતા ઉપજે છે. આવા સંજોગોમાં ગુજરાતી આપણા ઘરોમાં બોલવાનું પણ ચાલુ રહે તો ગનિમત લેખાશે.

લેસ્ટરની લેખિકા અને દેવિકાની વર્ષો જૂની નિકટની સહેલી નયના પટેલે જેમણે લગ્ન પછી ‘વર, ઘર અને બાળકો’ સાથે પણ લખવાનું ચાલુ રાખ્યું છે તેવા મુખ્ય મહેમાન દેવિકા ધ્રુવનો પરિચય આપ્યો હતો. પોતાનું વકતવ્ય શરૂ કરતાં કવયિત્રી દેવિકા ધ્રુવે ચમત્કારોના આવિષ્કારની વાત કરતાં જણાવ્યું કે અહીંયાં આવવું એ પણ મારા માટે એક ચમત્કાર જેવું થયું છે. ‘જ્યાં જ્યાં ભરાતો શબ્દનો દરબાર ત્યાં મન દોરાતું’ એમ કહી અહમદ ગુલનું આમંત્રણ મળતાં મેં અહીં આવવાનું નક્કી કર્યું અને ભાવભીના સ્વરે ઉમેર્યું કે આજે લાગણીનું તાપણું કરી બેઠેલા આવા દિલાવર લોકો વચ્ચે મને ઘર આંગણા જેવું લાગે છે. હું ફોરમની સાહિત્યિક પ્રવૃત્તિઓ વિષે સાંભળી અને નિહાળીને ઘણીજ પ્રભાવિત થઇ છું અને અહમદ ગુલને ખોબા ભરીને દરિયા જેટલી શુભાશિષ આપું છું, અભિનંદન પાઠવું છું. વિશ્વની ભાષાઓમાં સમૃદ્ધિની દ્દષ્ટિએ ગુજરાતી પચાસમા નંબરે આવે છે એમ જણાવી ‘મા (ગુજરાતી) વહાલી પણ માસી (અંગ્રેજી) પણ ગમે છે એમ કહી તેમણે બેઉ ભાષાઓનું ગૌરવ કર્યું હતું. એમણે આદિલ મન્સૂરીને યાદ કરતાં કહ્યું કે મને ગઝલ લખવાની પ્રેરણા આદિલ પાસેથી મળી હતી.

છેલ્લે વિરામ અને ભોજન બાદ મુશાયરાની શરૂઆત કરતાં કાર્યક્રમના સંચાલક ઇમ્તિયાઝ પટેલે હાજર રહેલા ૨૦ જેટલા કવિઓને પૂરતા સમયના અભાવે ઝડપથી રજૂ કરવાનું કપરુ કામ ઉપાડી લીધું હતું. મહેમાન કવયિત્રી દેવિકા ધ્રુવ ઉપરાંત બોલ્ટન, બ્લૅકબર્ન અને બાટલીના સ્થાનિક કવિઓ, લંડનથી પંચમ શુકલ, પંકજ વોરા અને ભારતી પંકજ, લેસ્ટરથી દિલીપ ગજ્જર, મધુબેન ચાંપાનેરિયા, કીર્તિબેન મજેઠિયા અને ડાહ્યાભાઇ પ્રજાપતિ, તથા બર્મિન્ગ્હામથી પ્રફુલ્લ અમીને પોતાનાં કાવ્યો રજૂ કરી શ્રોતાઓને રાત્રિના ૧૧.૩૦ વાગ્યા સુધી જકડી રાખ્યા હતા.

શબ્બીર કાઝીએ આભારવિધિ કરતાં કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોનો અને સુંદર સ્વાદિષ્ટ શાકાહારી ભોજન પીરસવા બદલ ઇકબાલ ધોરીવાલાનો તથા કાર્યકમના આયોજનની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લઇ તેને સરસ રીતે પાર પાડવા બદલ અહમદ ગુલ અને સાથીઓનો આભાર માન્યો હતો. સાંજના છ વાગ્યે શરૂ થયેલો આ કાર્યક્રમ રાતના ૧૧.૩૦ વાગ્યે સમાપ્ત થયો હતો..

વંટોળ..

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

જ્યારે વિચારોના વંટોળ ઊડે ત્યારે રાત્રિના શાંત અંધકાર વચ્ચે નાનકડી સોનેરી આશાની રજકણ ઝબૂકે ને પછી મન શાંત થઈ જંપે એ ભાવને વ્યક્ત કરતી, શિખરિણી છંદમાં ગૂંથેલ એક રચના….

શિખરિણી-૧૭ અક્ષર- યમનસભલગા
( લગાગા ગાગાગા લલલ લલગા ગાલલ લગા )

**********************************************

ફરે, ઘૂમે, ઊડે, ભીતર મનની ખીણ મહીં એ,
કદી સૂતી જાગે સળવળ  થઈ ખુબ ઝબકે.
વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમકે.
અને ઘેરે શબ્દે નીરવ રજનીના વનવને.
ચડે વંટોળે એ ઘમરઘમ  ઘૂમે વમળ શું,
ઊંચે, નીચે થાતું, સઘળું વલવાતું હ્રદયનું.
પછી ધીરે આવે સરવર  પરે શાંત જલ થૈ
મઢી ચારેકોરે મખમલ સમી સેજ બિછવે.
મિટાવી ચિંતાઓ, કરકમલ  લેખિની ધરીને,
જગાવી શક્તિ સૌ તનમન  શ્વસે પ્રાણ દઈ દે.
કશું ના જાણું હું, કલમ  કરતાલે રણકતું,
અહો, કેવી લીલા 
કવન કણથી એ શમવતું….

ગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે ની રજતજયંતિ નિમિત્તે… પહેલી મુલાકાત સમયે… May 28, 2015

Posted by devikadhruva in : ગઝલ , add a comment

ગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે ની રજતજયંતિ નિમિત્તે…પહેલી મુલાકાત સમયે…સપ્રેમ, સાદર…

 

કડકડ થતી ઠંડી મહીં આ લાગણીનું તાપણું,
આવા દિલાવર લોક વચ્ચે લાગતું ઘર આંગણું.

 

પહેલી છે મુલાકાત, ને અણજાણ છું હું આપથી,
સાચું કહું તહેદિલથી, આ લાગતું સૌ આપણું.

 

જ્યાં જ્યાં સજાતો શબ્દનો દરબાર ત્યાં મન દોડતું
વિચારતું એના વિના બાકી બધું છે વામણું.

 

આવી અહીં જોયાં બધાં, ગુલશન ભરેલાં ગુલ આ,
પૂછું મને હું પ્રેમથી, શું સ્વર્ગનું આ બારણું?

 

મુજ દિલની આ પ્રાર્થના, ભાવે ભરું અમી છાંટણું,
શુભાશિષો, ગુલે ફલો, શબ્દો તણું લઈ ટાંકણું.

 

Britiasianbazz.com પર એક મુલાકાત-મે ૧૮, ૨૦૧૫ May 26, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 

 

 

 

ગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે. સાથે એક અવિસ્મરણીય સાંજ અને અન્ય યાદગાર મુલાકાતો.

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 

IMG_3966photo_113

 ગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે. સાથે એક અવિસ્મરણીય સાંજ અને અન્ય યાદગાર મુલાકાતો.

કેટલાંક પ્રસંગો કાયમી સંભારણા બની જીવનના ગોખલે ઝગમગી રહેતા હોય છે. મે મહિનાની યુકે.ની મુલાકાત કંઈક એવી જ યાદગાર બની ગઈ.

એક સાહિત્ય-રસિક, વર્ષો જૂની નિકટની સહેલી સાથે સમય ગાળવાની અને સાથે માણેલા દિવસો વાગોળવાની ઇચ્છાની પાંખ સળવળી અને જાણે કે આખું યે આભનું ઉડાન મળ્યું!  જોગાનુજોગે ગુજરાતી રાઈટર્સ ફોરમ,યુકે.નું આમંત્રણ પણ એમાં ભળ્યું અને તેમની ૨૫ વર્ષની રજત જયંતિની ઉજવણીમાં સામેલ થવાની તક સાંપડી.  માતૃભાષાનો પ્રેમ, કવિતાનો પ્રેમ ક્યાંથી ક્યાં વિક્સે છે,વિસ્તરે છે અને સાંકળે છે તેની કેટલીક ઝલક સંક્ષિપ્તમાં રજૂ કરવાનો આ નમ્ર પ્રયાસ છે.

શ્રી દિલીપભાઈ ગજજર, શ્રીમતિ ભારતીબેન વોરા,પંકજ વોરા અને યુસુફભાઈ IMG_3956

શ્રી દિલીપભાઈ ગજજર, શ્રીમતિ ભારતીબેન વોરા,પંકજ વોરા અને યુસુફભાઈ

યુકે.માં જુદાજુદા શહેરોમાં જુદા જુદા નામે ગુજરાતી મંડળો સક્રિય છે. સૌથી પ્રથમ તા. ૧૪મી મેના રોજ ગુજરાતી લીટરરી ગ્રુપ,લેસ્ટરની એક બેઠક નયના પટેલના નિવાસસ્થાને ગોઠવાઈ. કવિતા, ગઝલ અને વાર્તાનું આદાન-પ્રદાન આનંદદાયી રહ્યું. મારા માટે ઘણી

આશ્ચર્યની ક્ષણો પણ સર્જાઈ. ફૂલોના ગુચ્છા અને સન્માનિત પ્રમાણપત્રની ભાવભરી ભેટ સૌની લાગણીના પ્રતીક બની રહ્યાં. તસ્વીરમાં શ્રી દિલીપભાઈ ગજજર, શ્રીમતિ ભારતીબેન વોરા,પંકજ વોરા અને યુસુફભાઈ  પ્રમાણપત્ર એનાયત કરતાં જણાય છે.

બીજાં દિવસે, ૧૫ મેના રોજ ‘ગુજરાતી રાઈટર્સ ફોરમ’ કે જેની સ્થાપના ૧૯૯૦માં થઈ હતી, તેની ૨૫ વર્ષની ઉજવણીનો ઓચ્છવ હતો. તેનું મૂળ નામ ‘ગુજરાતી રાઈટર્સ  સર્કલ’ હતું. ઘણા બધા સર્જકો/ભાવકો અને અપરિચિત ભાષાપ્રેમીઓને  મળવાનો મોકો મળ્યો. સાંજના  સાડા પાંચ-છ વાગ્યે Al Hikmah Centre,Batelyમાં શરુ થયેલાં આ કાર્યક્રમમાં સંસ્થાની ૨૫ વર્ષની શબ્દ-સાધના,સર્જન યાત્રા અને તેના વિકાસરૂપ પુસ્તકોનું વિહંગાવલોકન કરવામાં આવ્યું, સક્રિય અને સહકાર આપનાર સૌ કોઈને સન્માનિત કરવામાં આવ્યાં. યુકે.ના જુદા જુદા ગુજરાતી સંસ્થાઓના પ્રતિનિધિઓએ શ્રી અહમદભાઈ ગુલના આ ઉત્સવમાં હાજરી  આપી હતી. લંડનથી કવિ શ્રી પંચમ શુક્લ, સાહિત્યકાર શ્રી વિપુલભાઈ કલ્યાણી, બોલ્ટનથી ‘અદમ’ ટંકારવી, મહેંક ટંકારવી, સિરાજ પટેલ,બર્મિન્ગમથી  પ્રફુલભાઈ અમીન, લેસ્ટરથી પંકજ વોરા,દિલીપભાઈ ગજજર, શરદ ભાઈ રાવળ,વાર્તાકાર નયનાબેન પટેલ અને ઘણાં અન્ય સર્જકોએ હાજરી આપી હતી.  કુલ ૪૦૦ જેટલાં સભ્યોથી ખીચોખીચ ભરાયેલાં સભાગૃહનું સંચાલન  ટીવી  ચેનલના એક ખુબ જ કુશળ સભ્ય શ્રી ઈમ્તિહાસ પટેલે કલાત્મક રીતે કર્યું હતું . કાર્યક્રમ પછી ભોજન અને તે પછી મુશાયરો  મોડી રાત સુધી ચાલ્યો. આખા યે પ્રસંગને આવરી લેતો હેવાલ શ્રી મહેંક ટકારવીએ મ્હેંકતી રીતે લખ્યો છે,જે અહીં ક્લીક કરવાથી વાંચવા મળશે.

GWF, Batley, Silver Jubilee

આ રહી કેટલીક તસ્વીરોઃ  સૌજન્ય શ્રી શરદ  રાવળ

photo_008photo_039photo_009

ખુબ આનંદ એ વાતનો છે કે ઘણાં કવિઓને સાંભળવાનો લહાવો મળ્યો ,શ્રી અહમદભાઈ ગુલે મને અતિથિવિશેષ તરીકેનું  સન્માન આપ્યું અને ભારતથી પધારેલ ચિત્રકાર શ્રી કનુભાઈ પટેલે  હોલમાં બેઠા બેઠા એક સ્કેચ બનાવી (મારા ચહેરાનું ચિત્રાંકન )મૌન  અભિવાદન કર્યું જે મને હંમેશા યાદ રહેશે.

દેવિકા રાહુલ ધ્રુવ
દેવિકા રાહુલ ધ્રુવ

 આ પ્રસંગે બીજી ખુબ જ પ્રભાવિત કરાવનારી એક વાત એ હતી કે અહીં અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં કામ સાથે સાથે ચાલે છે. બંને ભાષાના સર્જનોના પરસ્પર અનુવાદ થાય છે અને જે ગુજરાતી નથી તે લોકો પણ અહીં આવી ગુજરાતીઓની વાતો,લાગણીઓને સમજવાનો નિષ્ઠાપૂર્વક, પ્રોત્સાનરૂપે પ્રમાણિક પ્રયત્ન કરે છે. આ નાની સૂની વાત નથી,બલ્કે પ્રેરણાદાયી અને અનુકરણીય વાત છે. ભાષા અભિવ્યક્તિનું માધ્યમ હોઈ દરેક ભાષાનો આદર  કરવો ખુબ જરૂરી છે. દરેક વક્તાના વક્તવ્યમાં અને સમગ્ર કાર્યક્રમમાં સાહિત્યની હવા અને હૂંફ હતી.

ઘણીવાર તો મને લાગે છે કે વિદેશમાં રહેતાં ગુજરાતીઓ માતૃભાષાને જાળવવા વિશે વધુ સજાગ છે અને સખેદ કહેવું પડે છે કે તે અંગે ભારતમાં કોઈ  ગંભીરતાપૂર્વક નોંધ  લેવાતી નથી. એટલું જ નહિ પોતાના જ દેશમાં  (એન.આર.આઈ  ! )પરદેશી દ્રષ્ટિકોણ જોવા/સાંભળવા/અનુભવવા મળે છે. શ્રી વિપુલભાઈ  કલ્યાણીનો તેમના વક્તવ્યમાં પ્રગટ થયેલ ગુજરાતીભાષા પરત્વેનો પ્રેમાક્રોશ બિલકુલ બરાબર હતો. 

સાંજના  સ્વાદિષ્ટ જમણ પછી તરત જ શરુ થયેલ મુશાયરાની ઘણી બધી વાતો છે, જે અહીં ક્લીક કરવાથી વાંચવા મળશે.

GWF, Batley, Silver Jubilee એક પછી એક  ગઝલ અને હસલના જામ પીવાતાં  ગયાં જેના નશાથી મન હજી પણ તરબતર   છે. કવિ શ્રી પંચમભાઈ શુક્લની શિખરિણી છંદમાં પ્રસ્તૂત થતી ખળખળ વહેતા ઝરણા જેવી છંદોલયભરી સરવાણીના સૂરો હજી પણ કાનમાં ગૂંજે છે.

આ રહી કેટલીક તસ્વીરોઃ  સૌજન્ય શ્રી શરદ  રાવળ    

 photo_110photo_102photo_011


photo_068photo_088

photo_109

૧૭મી મેના રોજ લેસ્ટરના  રેડિયો પર ‘સબરસ’ નામની ચેનલ સંભાળતા  બહેન શોભા જોશીએ  રેડિયો પર  મારા કાવ્યોને પ્રસારિત કર્યાં અને શ્રોતાઓ સમક્ષ લગભગ  અડધો કલાક જેટલો સમય પ્રશ્નોત્તરી તથા વાર્તાલાપ પણ રજૂ કર્યાં. તેમનો ખુબ આભાર.

૧૮મી મેના રોજ માનીતા ગઝલકાર  માનનીય શ્રી‘અદમ’ ટંકારવીના શહેર બોલ્ટન મુકામે એક નાનકડી બેઠક યોજાઈ. ખુબ ગૌરવ એ વાતનું છે કે તેમણે શ્રી આદિલભાઈ  મનસુરી, જ્યોતિન્દ્ર દવે, શેખાદમ આબુવાલા,ભગવતીકુમાર શર્મા જેવા પીઢ સાહિત્યકારો સાથે ગાળેલા સમય અને પ્રસંગોની ઝરમરતી વાતો કરી,જે ખુબ નિકટતાથી, રસપૂર્વક સાંભળવાની મળી. ઘણું નવું જાણવા/સમજવાનું મળ્યું. ‘બી બઝ’ નામના ટીવી અને રેડિયો ચેનલના સ્ટુડિયોમાં મળેલ આ ટૂંકી મુલાકાત પણ ઘણો આનંદ આપી ગઈ. આ ટીવી ચેનલ સંભાળતા એક  ચપળ, આકર્ષક નવયુવાન શ્રી ઈમ્તિહાસ પટેલે  ટીવીના દર્શકો માટે ગુજરાતી ભાષા અંગે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી યોજી, રેકોર્ડીંગ પણ કર્યું.  ‘નવનીત સમર્પણ’માં જેમની વાર્તા સ્થાન પામી રહી છે તે શ્રીમતિ નયના પટેલની વાર્તાઓ અંગે પણ રેકોર્ડીગ કરવામાં આવ્યું.

આ રહી કેટલીક તસ્વીરોઃ        

IMG_4028

IMG_4029

IMG_4035

 યુકે.ની ૧૦ દિવસની આ આખી યે મુલાકાત કલમભીની અને મનભાવન  બની રહી.

આજે મારી આ અભિવ્યક્તિ આભાર અને શુભેચ્છા સાથે, કંઈક આ શબ્દોમાં કહીને વિરમીશ કેઃ

કડકડ  થતી  ઠંડી મહીં આ લાગણીનું તાપણું,
આવા હૂંફાળા લોક વચ્ચે  લાગતું ઘર આંગણું.

પહેલી છે મુલાકાત, ને અણજાણ છું હું આપથી,
સાચું કહું તહેદિલથી, આ લાગતું સૌ આપણું.

જ્યાંજ્યાં સજાતો શબ્દનો દરબાર ત્યાં મન દોડતું,
વિચારતું એના વિના બાકી બધું છે વામણું.

આવી અહીં જોયા બધાં ગુલશન ભરેલાં ગુલ આ,
પૂછું મને હું પ્રેમથી, શું સ્વર્ગનું આ બારણું ?

મુજ દિલની આ પ્રાર્થના, ભાવે ભરું અમી છાંટણું,
શુભાશિષો,ગુલે ફલો શબ્દો તણું લઈ ટાંકણુ….

અસ્તુ.

મુક્તકો વિશે-કવિ શ્રી યોસેફ મેકવાન April 28, 2015

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , add a comment

કહેવાયું છે કે, literature is the mirror of our life. એટલે કે, સાહિત્ય એ સમાજનું દર્શન કરાવે છે.સાહિત્યમાં ગદ્ય અને પદ્ય પ્રકાર આવી જાય.વાર્તા, નવલકથા,નાટક,લઘુકથા,નિબંધ…વગેરે ગદ્યમાં આવે તો પદ્યમાં કવિતા,ગીત,ગઝલ,ખંડકાવ્ય,મુક્તકખાઈકુ વગેરેનો સમાવેશ થાય.

અહીં આપણે મુક્તકનો વિચાર કરીશું.

આપણે મુક્તકો બોલીએ છીએ તેમાં ‘મુક્ત’નો અર્થ આપણે જાણીએ છીએ.મુક્ત એટલે કોઈપણ બંધન વિનાનુ. છૂટું. હવે તેને અંતે ‘ક’ જોડીએ તો મુક્ત-ક બને. એનો અર્થ છૂટું કાવ્ય. લાંબી કવિતામાં દરેક શ્લોક સમગ્ર કાવ્ય રચનામાં આખી કૃતિને બાંધી રાખે.પરંતુ કવિઓ ક્યારેક ક્યારેક છૂટક એકલ-દોકલ શ્લોકો લખે. બસ,ાઅવા દરેક શ્લોક પરસ્પર સાથે સંકળાઈ એક ભાવવિશ્વ રચતા. પરંતુ આવાં છૂટક લખાયેલા મુક્તકોમાં એકબીજા સાથે કશો સંબંધ ન રહેતો. માટે જ એ

આવા મુક્તકની ખાસિયત શી?

મુક્તકની ખાસિયત એ કે તેમાં જીવનનો કોઈ એવો અનુભવ આકાર પામ્યો હોય-સુંદર અને અસરકારક રીતે રજૂ થયો હોય કે જે વાંચે તેના ચિત્તમાં,જે સાંભળે તેના અસ્તિત્વમાં એક કાવ્યાનંદની લ્હેર પસાર કરી દે.અરે, તે જીંદગીના એક અમૂલ્ય ભાથારૂપ બની જાય.કિસ્તી કહેવતરૂપ બની જાય.

મુક્તકોની રચનાની એક આખી પરંપરા છે. આપ્રકાર સંસ્કૃતમાં પણ ખુબ વિક્સિત થયેલો છે. આપણે આજે ય એવાં મુક્તકોને પ્રસંગોપાત યાદ કરીએ છીએ. આવાં મુક્તકો સંસ્કૃત કાવ્ય સાહિત્યનો એક મહાન વારસો છે.

રાજદરબારમાં કવિઓ પ્રસંગોપાત મુક્તકો રજૂ કરતા. કોઈ કોઈ વિદ્યાપ્રિય રાજા એક લાખ રુપિયા કે સવા લાખ રુપિયા કવિને આપતા એવી લોક-વાયકાઓ-કિંવદન્તીઓ પ્રચલિત છે. સહસા વિદધિત ન ક્રિયામ્‍- એટલે કે ઉતાવળે કોઈ કામ ન કરવું. આવા મુક્તકના ખર્ચેલા પૈસા આગળ જતાં દુષ્કાર્યમાંથી બચાવવા જતાં અનેકગણા ખપમાં આવેલા છે.આવા બયાન તત્કાલ કવિકથાઓમાં મળે છે.

ટૂંકમાં મુકત્કો એટલે તો લોક-હૈયે અને લોકજીભે વસી જાય છે. કારણ કે તે ટૂંકા,મર્મભર્યા,સાંભળવામાં રસિક કવનો જ હતાં. મુક્તકોના સંગ્રહો સંસ્કૃતમાં મળે છે. મુક્તકને સુભાષિત પણ કહેવાય છે.’સુભાષિત-રત્નભાંડાગાર’ એ મુક્તકોનો મૂલ્યવાન ખજાનો છે.
રાજા ભતૃહરિએ સો સો મુક્તકોના ત્રણ શતકો આપ્યાં છે. અમરુ કવિના ‘અમરુશતક’માં શૃંગારના જે મિત્રો ઉપસાવ્યાં છે તે અત્યંત પ્રજાપ્રિય બન્યાં છે.

આમ, સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષા ઉતરી આવી,તેમાંથી અપભ્રંશ ભાષા વગેરે ભાષામાં મુક્તકો રચાતાં રહ્યા છે. લોક-સાહિત્યમાં પણ પાણીદાર મોતી જેવા મુક્તકોમળી આવે છે. આપણી ગુજરાતીમાં દૂહા અને સોરઠા જે જોવા મળે છે તે મુક્તકો જ છે. જેવાં કે  ઃ

બાકર બચ્ચાં લાખ,લાગે બિચારાં. સિંહણ બચ્ચૂં એક એકે હજારા.
બકરીના બચ્ચાં લાખ હોય તો યે બિચારા લાગે.સિંહનું બચ્ચું એક હોય પણ તે હજારને બરાબર છે. અનેક સંતાનો દૈવત વગરના હોય તેનાં કરતાં એક બાળક જો ગુણવાન હોય તો એ અનેક સંતાનની સમૃધ્ધિ સમું હોય.

એક સંસ્કૃત મુક્તકઃ સ્થાન ભ્રષ્ટા ન શોભન્તે હન્તા કેશા નખા નરાઃ
ઈતિ વિજ્ઞાય મતિમાન સ્વસ્થાન ન પરિત્યજેત।

પંચતંત્રના આ શ્લોકમાં (મુક્તકમાં ) કહેવાયું છે કે દાંત,વાળ, નખ અને મનુષ્ય એકવાર જો સ્થાનથી ભ્રષ્ટ થાય છે તો પછી તે શોભતાં નથી. એ રીતે જે બુદ્ધિશાળી માણસ છે તે પોતાને મળેલું સ્થાન છોડતો નથી.જો તે વધુ પૈસાની લલચે મળેલું સ્થાન છોડી બીજે જાય છે તો તેની કિંમત થતી નથી. થોડાં મુક્તકો માણીએઃ

અતિ ડહાપણ અળખામણો,અતિ ઘેલે ઉચાટ, આણંદ કહે પરમાણંદા ભલો જ વચલો ઘાટ.
મુક્તકમાં કવિ અને શ્રોતાઓનું નામ પણ મૂકી શકાય. કવિ આણંદ પરમાણંદને કહે છે કે, જે બહુ ડહાપણ ડહોળવા જાય તે અળખામણો બને,અતિશય ઘેલો બને તે ઉચાટમાં રહેીટલે કોઈએ વધુ પડતું ડહાપણ ડહોળવું નહિ કે અતિ ઉત્સાહી ન થવું. બંનેની વચ્ચે રહેવું આ થયો ભગવાન બુધ્ધનો મધ્યમ પ્રતિપ્રદાનો માર્ગ.

કબીરનો દૂહોઃ કહત કબીર કમાલ્કુ

કહત કબીર કમાલકુ,દો બાતેં સીખ લે,કર સાહેબકી બંદગી,ભૂખે કો કુછ દે. કબીર સાહેબ શિષ્ય કમાલને કહે છે કે જીવનમાં બે વાતો મુખ્ય છે. ઇશ્વરની બંદગી કરવી ને જરુરિયાત મંદને સહાય કરવી.

મુક્તકમાં વિનોદ વૃત્તિ પણ આવી શકે.‘કાણાને કાણો કહે કડવા લાગે વેણ,ધીરે રહીને પૂછીએ,ભલા શેણે ગયાં તુજ નેણ ?” કાણાને કાણો કહીએ તો ખોટું લાગે.પણ હળવે રહીને પૂછીએ કે ભાઇ, તારા નેણ કેમ કરતા ગયાં ?

સુંદરમનું એક લીટીનું મુક્તકઃ જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી. એમનું બીજું મુક્તકઃ “હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની,ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી.” સૃષ્ટિની સુંદર ચીજને ચાહું છું પણ જે અસુંદર છે તેને ય ચાહી ચાહી સુંદર કરી મૂકું…આમ મુક્તકો છંદમાં રચાય છે. ગઝલનો પ્રકાર પણ એ જાતનો છે કેતેમાં મુક્તકો મોતીની જેમ પરોવાય છે. શયદાનો એક શેર-મુક્તક જુઓ.

મને આ જોઈને હસવું હજારો વાર આવે છે,પ્રભુ, તારા બનાવેલાં આજે તને બનાવે છે.
મનહર મોદીનું એક મુક્તકઃ દિલ તમોને આપતાં આપી દીધું,પામતાં પાછું અમે માપી લીધું.

યોસેફ મેકવાનનું મુક્તકઃ

હું ક્યાં તમારાથી અરે અળગો હતો.
બોલ્યાં તમે એનો જ હું પડઘો હતો.

થોડી ક્ષણોનો પ્રેમ છે આ જીંદગી.
એ પ્રેમનો યે વહેમ છે આ જીંદગી.

શેખાદમ આબુવાલાના બે મુક્તકોઃ

તાજમહેલને—
ચમકતો ને દમકતો શાહજહાંનો મહેલ જોવા દે,
મને ધનવાન મજનુએ કરેલો ખેલ જોવા દે.
પ્રદર્શનન કાજ જેમાં પ્રેમ જેમાં કેદી છે જમાનાથી,
ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.

ગાંધીને–
કેટલો કિંમતી હતો ને સસ્તો બની ગયો.
થાવું હતું નહિ ને ફરિશ્તો બની ગયો.
તને ખબર છે ગાંધી તારું થયું છે શું-
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

મુક્તકો માણો અને લખો.


યોસેફ મેકવાનના વંદન.

 

 

 

મુક્તક- કવિ શ્રી દિલીપભાઈ મોદી

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , 1 comment so far

મુક્તક :  એ કંઈ તક જોઈને મૂકવાની વાત નથી…– દિલીપ મોદી

સાધારણ રીતે મુક્તક વિશેની પ્રચલિત (ગેર) સમજ એવી છે કે તે ગઝલોની રજૂઆત પૂર્વે શાયર, મુશાયરામાં એટલે બોલે છે કે ગઝલની રજૂઆત માટેની ભૂમિકા બની રહે. મુશાયરાને લાગેવળગે છે ત્યાં સુધી મુક્તકની આ સ્થિતિ કદાચ નિર્વાહ્ય હશે, પણ મુક્તકને ‘મંચિંગ’ પૂરતું જ સીમિત રાખવામાં મુક્તકને ન્યાય થતો નથી. મુક્તકને એક પ્રકાર લેખે તેની સંપૂર્ણ સ્વાયત્તતા હોવી ઘટે. સામાન્યત: ગુજરાતી શાયરો રુબાઈ અને મુક્તકને એકબીજાના પર્યાય ગણે છે, ખાસ કરીને ગઝલની ઉર્દૂ પરંપરાનો જેમને અભ્યાસ નથી એવા શાયરો, પણ આ બંને પ્રકારો વચ્ચે પાયાનો ભેદ એ છે કે રુબાઈ તેને માટે નક્કી થયેલા 24 છંદોમાં જ રચાય છે જ્યારે મુક્તકો એ છંદો ઉપરાંત પણ, ગઝલોના અન્ય છંદોમાં શક્ય છે. એ સંદર્ભે રુબાઈઓ મુક્તકમાં ખપે, પણ મુક્તકો, રુબાઈમાં ખપે જ એવું ન પણ બને.

મુક્તકની ચાર પંક્તિઓનું પ્રચલિત બંધારણ સ્વીકારીએ તો પહેલી, બીજી અને ચોથી પંક્તિઓમાં રદીફ અને કાફિયાનું આયોજન કદાચ વધુ સ્વીકૃતિ પામે છે. એનો અર્થ એવો પણ નહીં કે ચારેય પંક્તિઓમાં રદીફ-કાફિયાની યોજના કે રચનાથી ત્રીજી પંક્તિ મુક્ત હોય તેની વિશેષ જોવા મળે છે. એવું જ છંદની બાબતેય ખરું. ચાર પંક્તિઓના મુક્તકમાં છંદ પરિવર્તન સહજ સ્વીકાર્ય નથી એટલે ચારેય પંક્તિઓમાં છંદ એક જ હોય એ બાબત પણ મુક્તક સંદર્ભે વધુ સ્વીકાર્ય છે. આ તો થઈ મુક્તકનાં બાહ્ય બંધારણને લગતી વાત, પણ ગરબડો જોવા મળે છે તે તેનાં આંતર સ્વરૂપ સંદર્ભે. મોટે ભાગે વ્યવહારુ કે નિબંધ થઈ જનારી બાબતોને અતિક્રમીને મુક્તકની પ્રથમ ત્રણ પંક્તિઓ ઉત્તરોત્તર કાવ્યોચિત વિકાસ સાધીને કોઈ એક વિચાર, ભાવ કે વિષયનું સાતત્ય જાળવીને, ચોથી પંક્તિમાં એવું તો સચોટ રહસ્યોદઘાટન નૂતનતમ સ્વરૂપે સિધ્ધ કરે છે કે ભાવક વિસ્મય અને આનંદની તીવ્ર અનુભૂતિમાં રમમાણ રહે. ચોથી પંક્તિને અંતે સમગ્ર મુક્તકની પરિણતિરૂપ થતું વિષયરૂપ દર્શન, બાલકૃષ્ણના મુખમાં થતાં વિશ્વરૂપદર્શન જેમ ભાવકને દિગ્મૂઢ બનાવે છે ને ભાવનની પ્રક્રિયાનો તાળો મળે તે પહેલાં પ્રત્યક્ષ થતું ચમત્કૃતિપૂર્ણ દર્શન સર્જકને અને ભાવકને વિસ્મય આશ્રિત આનંદ સિવાય કોઈ ઉકેલ સંપડાવતું નથી. અન્ય વિસ્ફોટ અને આ વિસ્ફોટમાં ફેર એ છે કે અન્ય વિસ્ફોટને અંતે અંધકાર શેષ રહે છે જ્યારે આ વિસ્ફોટને અંતે ઉત્તરોત્તર દિવ્ય આનંદ-પ્રકાશની અનુભૂતિ થતી આવે છે.

મુક્તક વિશે એવી સમજ પણ પ્રવર્તે છે કે ગઝલનો મત્લા અને તેનો એક શે’ર મળીને રચાતી પંક્તિઓ પણ મુક્તક છે. એ શક્ય છે જો ક્રમિક વિકાસ સાધીને એક જ ભાવ, વિષય કે વિચારનું સાતત્ય ચોથી પંક્તિને અંતે આનંદપૂર્ણ ચમત્કૃતિ કે સ્ફોટમાં પરિણમે. એવું ન હોય તો મત્લા અને અલગ શે’રથી વિશેષ કંઈ નથી. ટૂંકમાં, મુક્તક એક જ છંદમાં રચાયેલ મત્લા કે ભિન્ન એવા શે’રનો સરવાળ માત્ર નથી જ ! આમ આપણે ત્યાં લખાતાં મુક્તકો એ સંસ્કૃત સાહિત્યના શ્લોક અને સુભાષિતોને મળતો અને ફારસી-ઉર્દૂ સાહિત્યની રુબાઈને મળતો પ્રકાર છે. એનું સાહિત્યિક મૂલ્ય અન્ય કાવ્યપ્રકારો કરતાં સહેજે ઓછું નથી.

છેલ્લા ત્રણ-ચારેક દાયકામાં અછાંદસ, ગીત અને ગઝલના સ્વરૂપને આપણા કવિઓએ વિશેષ ઉપાસ્યાં છે પણ મુક્તકો બહુ થોડાએ, અને તેય અલ્પ પ્રમાણમાં લખ્યાં છે. ગઝલના ઝળહળાટ સામે જાણે મુક્તકનું રૂપ ઓઝપાઈ ગયું છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે અન્ય કાવ્ય-પ્રકારોમાં ભાવો અને સંવેદનોની અભિવ્યક્તિ માટે ઠીકઠીક મોકળાશ મળી રહે છે જ્યારે મુક્તકમાં તો ચાર પંક્તિઓમાં જ સઘળું કહી દેવાનું હોય છે. મુક્તકમાં ભાવસંવેદનોની સંકુલતા ઉતારવી અશક્ય નહીં તો, કઠિન જરૂર છે. આવા અઘરા અને બહુધા અણસ્પર્શ્યા જ રહી ગયેલા કાવ્યસ્વરૂપનું પ્રામાણિકપણે અને નિષ્ઠાપૂર્વક, ભવ્ય પુરુષાર્થ દ્વારા ખેડાણ કરવાનું બીડું ઝડપવાનું એક સાહસ મેં કર્યું છે. હંમેશ કશુંક નોખું-અનોખું કરવાની ધગશ અને તમન્નામાં બસ મુક્તકો લખાતાં ગયાં, લખાતાં રહ્યાં જેના પરિણામ સ્વરૂપે મારા કુલ ચાર નિતાંત મુક્તકસંગ્રહો આકાર પામ્યા છે. (1) હે સખી ! સંદર્ભ છે તારો અને- 1997 (2) હે સખી ! સોગંદ છે મારા તને- 2004 (3) હે સખી ! ઝંખના છે તારી મને- 2012 (4) હે સખી ! તું રક્તમાં મારા વહે છે…2014. હા, સાચી વાત છે. મેં કુલ લગભગ 2500ની આસપાસ મુક્તકો લખ્યાં છે, જે ગુજરાતી સાહિત્યમાં વિક્રમજનક આંકડો છે. આ અગાઉ કોઈ પણ કવિએ આટલી બધી વિપુલ સંખ્યામાં વ્યવ્સ્થિત રીતે મુક્તકો લખ્યાં નથી. મારા ઉપરોક્ત ચાર મુકતકસંગ્રહો બાદ હજી એક મુક્તકસંગ્રહ ભવિષ્યમાં બહાર પાડવાની મારી યોજના છે અને એ દિશામાં હાલ હું પ્રવૃત્ત છું, સક્રિય છું. મુક્તક લેખન પરત્વે ખાસ લગાવ એટલા માટે છે કે એમાં થોડામાં ઘણું બધું અભિવ્યક્ત થઈ જાય છે. મારા અંગત મંતવ્ય અનુસાર મુક્તકો ક્રિકેટની વન-ડે મેચ જેવાં છે અને ગઝલ જાણે ટેસ્ટમેચ જેવી હોય છે. મુક્તકો તરફ વળવાનું-ઢળવાનું મુખ્ય પ્રયોજન એ છે કે એમાં ઓછામાં ઘણું કહેવાની તાકાત હોય છે. ફક્ત ચાર પંક્તિઓમાં સમગ્ર ભાવવિશ્વ ખડું થઈ જાય. કશું લાંબુંલચક નહીં. ક્યાંય પિષ્ટપેષણ કે ખોટો પથારો નહીં. અનુભવમાંથી આવેલી વાત હોય છે. આખો બગીચો નહીં પણ જાણે અત્તરનું પૂમડૂં...! મારા આ આગવા-ધ્યાનાકર્ષક પ્રદાનને અનુલક્ષીને કવિશ્રી રમેશ પારેખે મને ‘મુક્તકો-એ-આઝમ’ નો એવોર્ડ એનાયત થવો જોઈએ એવું વિધાન કર્યું હતું, કવિશ્રી નયન દેસાઈ મને ‘મુક્તકોના સમ્રાટ’ તરીકે સંબોધે છે. વળી કેટલાક સાહિત્યકારો મને ‘મુક્તકોના મહારથી’ ‘મુક્તકોના શહેનશાહ’, ‘મુક્તકોના બાદશાહ’, કે ‘મુક્તકોના મહારાજા’ વગેરે પ્રકારના બિરુદો આપીને નવાજે છે. અલબત્ત, એમાં એમનો સૌનો મારા પ્રત્યેનો સ્નેહ તથા સદભાવ જ ઉજાગર થતો હોવાનું હું નમ્રપણે માનું છું. કારણ કે મારે હજી આગળ વધવું છે અને ખાસ્સી એવી મજલ કાપવાની બાકી છે. હું ખોટો દંભ નથી કરતો પરંતુ મિત્રો અને મુરબ્બીઓ-વડીલોના પ્રેમ અને આશીર્વાદથી, એમની કદર અને કિંમતથી મને ખૂબ જ પ્રોત્સાહન સાંપડે છે એ એક સત્ય હકીકત છે.

આગળ કહ્યું તેમ મુક્તકમાં ભાવોની સંકુલતા પટુતાપૂર્વક ઉતારવી પડે છે. એક ચોક્કસ કુંડાળામાં રહી તલવારબાજી કરવી પડે છે. મુક્તક એ શબ્દચયનની અને ભાવનિરૂપણની એક વિશેષ પ્રતિભા અને પારંગતતા માગી લે છે. તેની પ્રથમ અને દ્વિતીય પંક્તિમાં નિરૂપિત ભાવાભિવ્યક્તિને ઉપાંત્ય પંક્તિમાં આવતાં એક ઠેસ લાગે છે ને એ ઠેસ અંત્ય પંક્તિના ભાવને કંઈક ઉક્તિવૈચિત્ર્યથી, કોઈક અવનવા ઉદગારથી, કોઈ વિશિષ્ટ ચમત્કૃતિથી ઉદઘાટિત કરીને ભાવકને વિસ્મયથી અને ચોટથી અભિભૂત કરી દે છે. શક્તિશાળી કવિ એને પોતાની આગવી શક્તિ અને પ્રતિભાથી સફળ રીતે યોજી બતાવે છે. જે તમને કોઈ પણ કારણથી ભીતરથી હલાવી નાખે, તમારા સ્વ-ભાવનું આનંદમાં રૂપાંતર કરી નાખે તે મુક્તક. પ્રમાણમાં લઘુ એવો આ કાવ્યપ્રકાર ગુણવત્તાની દૃષ્ટિએ અન્ય કાવ્યપ્રકારોથી લેશ પણ ઓછો મહત્વનો નથી. આ પ્રકારવિશેષ દ્વારા કાવ્ય સિધ્ધ કરવું કઠિન છે એટલે જ કદાચ આપણે ત્યાં એનું ખેડાણ ઓછું થયું છે ને ઓછું થાય છે. અને અંતે મારું એક મુક્તક હું અહીં રજૂ કરું છું :

” નામથી હું દિલીપ મોદી છું

કામથી હું દિલીપ મોદી છું …

છે છલોછલ તપશ્ચર્યા મારી –

જામથી હું દિલીપ મોદી છું ! “

અસ્તુ.

(સુરત, તા. 22.3.2015)

સ્નેહી બહેનશ્રી,

સૌપ્રથમ તો મારો મુક્તકો વિશેનો લેખ તમે સ્વીકાર્યો તેથી હું અત્યંત રાજીપો અનુભવું છું.

ખૂબ ખૂબ આભાર…

હવે તમારા સવાલનો સીધો જવાબ :

જે પ્રમાણે છંદ વગરની ગઝલનું કોઈ મૂલ્ય નથી તે જ પ્રમાણે છંદ વગરના મુક્તકની પણ કોઈ વેલ્યૂ નથી. છંદ એ બંને કાવ્ય પ્રકારની મૂળભૂત આવશ્યકતા (Basic Necessity) છે.અલબત્ત બંનેમાં ઉર્દૂ-ફારસી છંદોનો જ વિનિયોગ કરવામાં આવે છે. સર્જનમાં ભાવ કે સંવેદન ગમે તેટલું મજબૂત હોય, કલ્પનો કે પ્રતીકો અદભુત હોય, પરંતુ છંદની ગેરહાજરીમાં એની સાહિત્યિક ગુણવત્તા શૂન્ય થઈ જાય છે. એ સર્જનને-રચનાને ગણતરીમાં લેવામાં નહિ આવે. એની કોઈ ક્યાંય નોંધ લેતું નથી. તેથી છંદ MUST બની જાય છે. આમ, છંદ વગરની કૃતિને સાહિત્યમાં (ખાસ કરીને ગઝલ અને મુક્તક સંદર્ભે) સ્થાન મળતું નથી.

કુશળ હશો.

આદરપૂર્વક,

– દિલીપ મોદીનાં વંદન

ડો.દિલીપ મોદીના મુક્તકોની ઝલક ઃ

યાર, સોનોગ્રાફી ક્યાં સંબંધની થાય?
એક્સ–રેમાં દર્દ ભીતરનું શું દેખાય ?
ટેસ્ટ લોહીનો કરાવી જોઈએ, ચાલ–
પ્રેમનાં જીવાણુ જો માલમ પડી જાય !
****************************************************

ટેરવાં કાપીને હું અક્ષર લખું.
ડાયરીમાં સ્નેહના અવસર લખું.
તારી સાથેના પ્રસંગો, હે સખી !
આજ મારા રક્તની ભીતર લખું.
******************************************************

લાગણીના રંગથી રંગાઈ જઈએ.
ચાલ, મોસમ છે હવે ભીંજાઈ જઈએ.
આંખથી તારી હું, મારી આંખથી તું;
હા, પરસ્પર આપણે વંચાઈ જઈએ
.

***********************************************

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.