jump to navigation

પત્રશ્રેણી-3… જાન્યુ.૧૬, ૨૦૧૬ January 17, 2016

Posted by devikadhruva in : પત્રશ્રેણી , add a comment

દર  શનિવારે…

કલમ-૧   કલમ-૨  

નીના,

ગયા શનિવારનો પત્ર ખુબ ટૂંકો લાગ્યો !!

સૌથી પ્રથમ તો તારા પ્રશ્ન વિશે લખું.  તું ચિંતા સેવે છે કે, “વિષયોની વિવિધતા, અત્યારના હાસ્યકારો અને સામાન્ય રીતે એવા જોક્સ, ફેઈસબુક પર રાખનાર વ્યક્તિઓમાં ક્યારે આવશે? “તેના અનુસંધાનમાં કહું તો,હમણાં  બે ત્રણ વર્ષ પહેલાં  હાસ્યલેખક શ્રી હરનીશ જાનીને ‘જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’મળ્યું તે પછી તેમણે લખેલ એક હાસ્ય-લેખ ખુબ મઝાનો છે. સમય મળે  આ લીંક ખોલી જરૂર વાંચજે. તને  આશાસ્પદ જવાબ મળી જશે,મઝા આવશે અને બે ઘડી મૂડ બદલાઈ જશે.

http://www.readgujarati.com/2012/09/18/jyotindra-paritoshik.                  

 તારા  છેલ્લાં ફકરાના વિષયે મનના ઘણાં વિચારોને વલોવ્યા.  દરમ્યાનમાં એક ગંભીર વાતે મનમાં આકાર લીધો. સાંભળ. નાનપણમાં ભણ્યાં હતાં કે જીવન જીવવા માટે ત્રણ વસ્તુ જરૂરી છે. હવા,પાણી અને ખોરાક. પણ નાનાથી મોટા થતા સુધીમાં તો આ ભણતર  આગળ વધીને કેટલું બધું શીખવાડે છે ? હા, હવા,પાણી, ખોરાક,પ્રકાશ વગેરે ટકી રહેવા માટે અનિવાર્ય છે પણ એ સિવાય પણ, સારું અને સાચું જીવન જીવવા માટે ઘણું, બીજું બધું પણ જરૂરી છે એ અનુભવે સમજાય છે.. એ શું છે?  થોડું વિશ્લેષણ કરીએ.

ગરીબ બાળકને પૂછીશું તો કહેશે કે, પૈસા જરૂરી છે. પૈસા હોય તો ભણાય. મોટાં માણસ થવાય.
અનાથ બાળકને પૂછીશું તો કહેશે કે, માબાપ જરૂરી છે. સલામતી અને રક્ષણ વિના કેમ જીવાય?
યુવાનને પૂછીશું તો કહેશે એક પ્રેમાળ સાથી જોઈએ. એ વગર તો કેમ જીવાય? વૃધ્ધને પૂછીશું તો કહેશે કે એક લાકડીનો ટેકો,આધાર જોઈએ. એ વગર તો કેમ જીવાય?

આમ અવસ્થા અને સમયની સાથે સાથે જરૂરિયાતોની વ્યાખ્યાઓ બદલાતી જાય છે. થોડી આડવાત કરું તો, બળદગાડી અને ઘોડાગાડીમાં મુસાફરી કરતો માણસ,પગરીક્ષા, ઑટો રીક્ષા, રેલગાડી,બસ,કાર અને હવે હવાઈ જહાજમાં ફરતો થયો. આંગડિયા,તાર-ટપાલથી રાજી રહેતો માણસ આજે ફેઇસબૂક,વોટસેપ અને ફેઇસ-ટાઈમ પર મળતો થયો છે.રેડિયો,ટીવી,ઓડિયો,વીડીઓ,સીડી,ડીવીડી પરથી હવે યુટ્યુબ પર દેખાતો થયો છે. જોતજોતામાં આટલુ મોટું પરિવર્તન… ધરખમ પરિવર્તન…

 પરિવર્તન કુદરતનો નિયમ છે એ વાત સાચી પરંતુ સવાલ એ છે કે ખરેખર આટલી બધી વસ્તુઓની સાચે જ જરૂર છે ? એવું કશું નથી જે આ બધું જ મેળવી આપે? ખુબ અઘરો લાગતો આ સવાલ એક સમજણ જન્માવે છે. ‘સમજણ ‘ શબ્દ લખ્યો ત્યાં તો કેટકેટલી બારીઓ ખુલી ગઈ ! આ શબ્દ માત્ર બ્રહ્માંડની જેમ ‘વિરાટની પગલી’ બની ગયો ! સાતે કોઠે દીવા જ દીવા પ્રગટવા માંડ્યા! કોણ જાણે મને તો એમ લાગે છે કે, પરિવર્તનની સાથે સાથે સમજણભર્યો વ્યવહાર એ જ જીવનની જરૂરિયાત છે અને સાચી સમૃધ્ધિ પણ એ જ છે. અમીભરી દ્રષ્ટિ અને વિવેકી બોલ એજ સાચા આભૂષણો છે. બધું જ ચાલ્યું જશે પણ અંતરની આભા અમર રહેશે. મારી નજર સામે એવી થોડી વ્યક્તિઓ છે જેને યાદ કરતાં જ દિવસ સુધરી જાય અને આંખો સજળ બની જાય. તો સાથે સાથે એવી પણ વ્યક્તિઓ છે જે ઘણી ઘણી રીતે સારી હોવા છતાં એક માત્ર અમીભરી દ્રષ્ટિ અને વિવેકપૂર્ણ શબ્દના અભાવે સંબંધોની સમૃધ્ધિ ગુમાવી બેસે છે..

તને નથી લાગતું કે,આ જગત તો ગાડરિયો પ્રવાહ છે? પૈસા અને સ્વાર્થના જોરે, સરળતાથી ગમે ત્યાં, ગમે ત્યારે ખેંચાઈ જશે. હા, તો મારી મૂળ વાત એ હતી કે જીવન જીવવા માટે હવા,પાણી ને ખોરાકની જેમ દરેક કાળમાં જીવમાત્રને,પછી એ માનવી હોય, મૂંગૂ પ્રાણી હોય કે ઝાડપાન હોય પણ તેને ચોક્કસપણે મૃદુ શબ્દો અને અમી નજરની જરૂર હોય છે જ.વાણીનું ભૂષણ એ જ ખરું ભૂષણ છે.

वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषण भूषणम्॥

સાચું જ કહેવાયું છે કે વાણી અને પાણી ગાળીને વાપરો.
અહીં અમેરિકાની સ્કુલોમાં નાનપણથી બાળકોને એક વાત ખુબ સરસ શીખવાડે છે.”if you have nothing nice to say, say nothing at all.” એટલે કે હંમેશા સારું જ બોલો. શરુ શરુમાં એ બધું ઔપચારિક લાગે પણ હકીકતે  રોજબરોજની એ ટેવ એક સારી આદત બને છે અને પછી એ આદરમાં પરિણમે છે. આ દેશની બીજી એક વાત મને ગમે છે, તે એ કે, અહીં પરિશ્રમનો પરિપાક મળે છે. કામ એ જ ધર્મ છે એ સમજાય છે,અનુભવાય છે. ફ્રાન્સીસ્કા  રેગ્લરનું  એક સરસ વાક્ય ટાંકી અટકું છું.
“Happiness is an attitude. We either make ourselves miserable, or happy and strong. The amount of work is the same.”

અલૌકિક આનંદનું  સાચું રૂપ પણ એ જ છે ને ? શું કહે છે ? જરૂર લખજે.

દેવી

 જાન્યુ.૧૬ ૨૦૧૬.

પત્રશ્રેણી-૨…

Posted by devikadhruva in : પત્રશ્રેણી , add a comment

દર  શનિવારે…

પ્રિય દેવી,

થોડી પ્રતિકૂળ પરિસ્થિતિઓની વચ્ચે તારો પત્ર મળતાં  ઘડીભર સારું લાગ્યું.  વર્ષોથી આપણે બંને વિશ્વના બે જુદા જુદા ખંડમાં આવી વસ્યાં છીએ. તું છે અમેરિકામાં અને હું છું યુરોપમાં. તેથી આપણી પાસે ઘણી ઘણી વાતો છે, અનુભવો છે અને આપણા પોતાના વિચારો છે. વળી સાહિત્યના તો આપણે બંને આજીવન વિદ્યાર્થીની. તેથી પત્રશ્રેણીના તારા સુંદર વિચારને આગળ વધારી રહી છું.

ફોન પરના તેં લખેલાં સંવાદો વાંચીને કોઈને પણ હસવું આવે જ. ચાલો, એ નિમિત્તે નવા વર્ષની અને આ પત્રશ્રેણીની શરુઆત હાસ્યથી તો થઈ ! વાત સાચી છે કે એવું જ બનતું હોય છે. માનવ સ્વભાવની આ એક ખાસિયત છે ને ? પૃથ્થકરણ કરવા બેસીએ તો એમ પણ કહી શકાય કે કેટલીક વ્યક્તિઓ સતત પોતાનો બચાવ કરતી રહે છે! કેટલીક વ્યક્તિઓની એ લાગણી પ્રગટ કરવાની રીત જ હોય છે. તો કેટલીક  વળી સાવ સાચી પણ હોય છે. હું પણ તને એમ જ કહેવાની હતી કે ”હું તને ફોન કરવાની જ હતી ! સાચું માનીશ જ એવો વિશ્વાસ છે !!

હાસ્યની આવી વાત આવે ત્યારે મારા સુરતના જ્યોતીન્દ્ર દવે ચોક્કસ યાદ આવે. આજે આટલાં વર્ષો પછી પણ તેમનું એક વાક્ય મને હજી યાદ છે. કોઈએ તેમને પૂછ્યું કે જીંદગી એટલે શું ? તેમનો શીઘ્ર જવાબઃ “ઘોડિયાથી ઠાઠડી સુધીની યાત્રા !” કેટલું  સચોટ,અસરકારક અને યાદગાર સત્ય..?

હાસ્યના સંદર્ભમાં એક વાત કહું. જ્યારે હું અહીંના એમ એ ટી વી પર કામ કરતી હતી ત્યારે મારા ચેટ-શો ‘સ્વયંસિદ્ધ’ મા સદનસીબે મને શાહબુદ્દિનભાઈ રાઠોડ સાહેબનો ઈન્ટરવ્યુ લેવાનો મોકો મળ્યો હતો ત્યારે મારા એક પ્રશ્ન-હાસ્યકારો મોટે ભાગે પત્નીઓ અને સ્ત્રીઓ ઉપર જ શા માટે વધારે જોક્સ કરતા હોય છે?-એના જવાબમાં એઓએ કહ્યું હતું, ‘હાસ્ય નિપજાવવા માટે નિરીક્ષણની કળા આવશ્યક છે. ઈશ્વરે અન્યોને હસાવવાની કળા સૌને નથી આપી. હવે જો નિરીક્ષણની કળા ઈશ્વરદત્ત કળા સાથે વિકસાવી ન હોય ત્યારે તેઓ પાસે ખૂબ મર્યાદિત વિષયો રહે છે. અને એટલે આવી આવીને તેઓ ત્યાં જ અટકી જાય છે.’
પત્ની, પતિ, સાસુ, વહુ પર જોક ન કરવા જોઈએ એમ કહેવાનો મારો જરાય આશય નથી. પરંતુ આ.જયોતીન્દ્રભાઈ દવે અને શાહબુદ્દિનભાઈની જેમ વિષયોની વિવિધતા અત્યારના હાસ્યકારો અને સામાન્ય રીતે એવા જોક્સ ફેઈસબુક પર રાખનાર વ્યક્તિઓમાં ક્યારે આવશે? આ લખવાનું કારણ આ વિષય પર સૌ વિચાર કરે એ જ છે.

છેલ્લે, પત્ર પૂરો કરતાં પહેલાં  એક ગમતો વિચાર ટાંકી વિષયાંતર કરી લઉં?  તને તો ખબર છે કે મેં બંગાળી સર્જકોને ખુબ વાંચ્યા છે. તેમાંના એક અનીતા ચટટોપાધ્યાયે લખ્યું છે કે,“

જીવનમાં કેટલાં અસત્યો,સૌન્દર્યનાં ઝીણા ઝીણા રંગીન આવરણમાં લપેટાયેલા આપણી સામે આવે છે અને આપણે એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વિના પોતાના મનમાં એને સત્ય તરીકે ઠસાવી દઇએ છીએ. જ્યારે એક દિવસ આ સત્ય પ્રગટ થાય છે ત્યારે માથું દબાવીને આપણે  રડી પડીએ છીએ અને માથું ધૂણાવીએ છીએ.ત્યારે….ત્યારે કવિનું હ્રદય વિદારીને કવિતા ફૂટી નીકળે છે,ચિત્રકાર પોતાના રક્તથી એ ‘સત્ય’ની કલ્પનાને ચિત્રીત કરે છે,ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે.”

કેટલી માર્મિક અનુભૂતિ!

ચાલ, આજના પ્રારંભે આટલું જ. લખતી રહેજે.

નીના

જાન્યુ.૯,૨૦૧૬

પત્રશ્રેણી-૧… નવા વર્ષની નવી વાતો…નવી રીતો..દર શનિવારે…

Posted by devikadhruva in : પત્રશ્રેણી , add a comment

દર  શનિવારે…

 

 Image result for writing letters    Image result for writing letters

પ્રિય નીના,

૨૦૧૬નું નવું વર્ષ શરુ થયું છે ત્યારથી એક જ વાત વળી વળીને મગજમાં ઘૂમરાયા કરે છે અને તે હાલની ચાલુ પ્રવૃત્તિ ઉપરાંત કંઈક નવું કામ શરુ કરવું.

બ્લોગ પર ખુબ લખ્યું, ફેઇસબૂક પર ખુબ વાંચ્યું, સાહિત્યિક અને સાહિત્યેતર સંસ્થાઓ સાથે કેટલીક પ્રવૃત્તિઓ કરી, કવિતાઓ પણ બહુ લખી, વોટ્સેપ અને વાઈબરના આ સમયમાં, કોણ જાણે બધું જ, બધે જ ‘મોનોટોનસ’ લાગે છે. ક્યાંય નિર્ભેળ આનંદનો અનુભવ નથી થતો. વાદવિવાદ, ચડસાચડસી, હરીફાઈ અને તેને કારણે ચાલતી વાડાબંધીથી એક અજંપો જાગે છે. આમ જોઈએ તો એનું જ નામ તો જીંદગી છે ને ? એ સમજવા છતાં મન એક નવી જ દિશા તરફ ધક્કો મારી રહ્યું છે. આજે તને આ બધું લખવાનું મુખ્ય કારણ એ છે કે, એક પત્રશ્રેણી શરું કરવાનો વિચાર સતત ઝબકે છે. આજની પરિસ્થિતિ, પ્રસંગો, ઘટનાઓની સાથે સાથે જૂની કોઈ ઊંચી વાતને જોડી વાગોળવી અને ખુબ હળવાશથી જગત સાથે વહેંચવી.

નવા વર્ષના પહેલાં જ દિવસની એક મઝાની વાત લખું. આમ તો મને સામેથી ફોન કરી મિત્રો-સ્વજનો સાથે વાતો કરવી ગમે, ખુબ ગમે. પણ આ વર્ષે જાણી જોઈને મેં જાન્યુ.ની પહેલી તારીખે કોઈને ફોન ન કર્યો. તો શું થયું ખબર છે? નવી નવી ટેક્નોલોજીની બલિહારીને કારણે, ફોન બહુ ઓછા જણના આવ્યા! બીજું, જેમને હું દર વર્ષે કરતી હતી તે કોઈના ન આવ્યાં. તેનો જરા યે વાંધો નહિ. પણ  છેક સાંજે  ખુબ ખુબ હસવું આવે તેવું બન્યું.  છેક રાત્રે મોડેથી મેં લગભગ એકાદ-બે કલાક જેની સાથે સામે ચાલી વાત કરી તેના કેટલાંક સંવાદો લખું. તને ખુબ મઝા આવશે.

“ઓહોહો… સો વરસના થવાના છો. હમણાં જ તમારી વાત થતી હતી. !” (મારા મનમાં-મને ખાત્રી જ હતી.)

“હેલ્લો, અરે વાહ…તમે નહિ માનો પણ આ ફોન પાસે આવીને વિચાર્યું ચાલો, હવે તમને ફોન કરું!”
(મારા મનમાં-સવારથી રાત સુધી તો મેં રાહ જોઈ. )

“શું ટેલીપથી છે યાર…ક્યારનો તમને યાદ કરતો હતો! હમણાં તમારી પેલી કવિતા વાંચી.”
( મનમાં-હડહડતું જૂઠ્!)

“હેલો, લો કહો, આ તમારો જ નંબર ડાયલ કરતી હતી ને ત્યાં તમારો જ ફોન આવી ગયો!”
(મનમાં- શું ગપ્પા મારતાં હશે લોકો.)

“ક્યારની તમને ફોન જોડું છું પણ લાગતો જ નથી ને! પછી થયું કોઈને સાથે વાત ચાલતી હશે!”
(મનમાં- બીજી વાર  પ્રયત્ન ન થાય ? )

નીના, તું નહિ માને, દરેક ફોન વખતે મને એટલું હસવું આવતું હતું કે ન પૂછો વાત.

અમે બંને પતિપત્ની એકબીજાં સામે જોઈને આ વાત પર ખુબ હસ્યાં અને વિચાર્યું ચાલો, આમાંથી  એક નાટક લખીએ અને આપણે જ ભજવીએ.પછી મને તારી સાથે આ વાત વહેંચવાનું મન થયું  એટલાં માટે કે આ પ્રકારની વૃતિઓ કે વ્યવહાર પાછળના હેતુ,આશય કે કારણ શું હશે તેનું થોડું પીંજણ કરીએ. મેં તો એક સારો જ અર્થ લીધો કે ઘેર બેઠાં સરસ હાસ્ય મળ્યું અને કશું સર્જવાની ઈચ્છા સળવળી ! તારો સરસ પ્રતિભાવ આમાં જરૂર ઉમેરો કરશે તેની ખાત્રી છે. રાહ જોઈશ.

એક હિન્દી શેર યાદ આવ્યો.
भगवानसे वरदान मांगा कि दुश्मनोसे पीछा छूडवा दो,
यार,क्या कहुं,अचानक दोस्त कम हो गये !

ચાલ, આજે આટલું જ. અરે હાં, તને અને તારા પરિવારને શુભેચ્છા  પાઠવી દઉં. આજના વિશ્વની વર્તમાન અસલામતીના સંદર્ભમાં બીજી તો શું શુભેચ્છા હોઈ શકે ?

સલામત હો સહુ જગ જન, ફરે નિડર બની ચોપાસ,
રહે તન-મન તણી શાંતિ સદાયે વિશ્વને આવાસ.

વધુ તારા પત્ર પછી.

દેવી

નર્તન અનંતનુ… January 12, 2016

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું .
સાવ કાચી માટીનું સજેલું આ પુતળું, ક્યારે કાયાને બદલતુ.

 

કાલ જે કરતી’તી રેતીની નાની શી ઢગલી
ને ફરતી’તી આંગણ લઈ મખમલી પગલી.
ક્ષણ મહીં સરતા આ ક્ષણતણા વ્હેણમાં
એકાએક જાત તો યુવાન થઈ ઉછળતી.

પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?
કોની કરામત ને કેવા યે તારથી જાદૂઈ ખેલ બધા રચતું…..સાવ કાચી

 

પાનખર-વસંત ને ઋતુઓની રીત સમી
ચડતી જવાનીના પૂર જાય ઓસરી.
એક દિન દર્પણ દેખાડે કરચલીના જાળા
ને અંગો સહુ માંગતા સમારકામ આળા.

ત્યારે દેહમાં પૂરાયેલ નાનકડું હંસલુ ભીતર ને ભીતર ફફડતું.
ઊડી જઈ પંખીની જેમ એમ પાછું, કોઈ નવા પિંજરમાં જઈ વસતું.

 

આ નર્તન અનંતનું પલના પલકારે, ક્યારે ને કોણ હશે કરતું?
સાવ કાચી માટીનું સજેલું આ પુતળું ક્યારે કાયાને પલટતું.

 

 

ગુજરાતી સાહિત્ય સરિતા ની ડીસે.૨૦૧૫ની બેઠક -અહેવાલ શ્રી નવીન બેંકર December 23, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

 

P1060975     

(૧) ડાબી બાજુથી- જુના બોર્ડ મેમ્બર્સ- ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતા, શ્રીમતિ દેવિકા ધ્રુવ (સલાહકાર),
ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદ અને પ્રમુખ શ્રી. ધવલ મહેતા,
નવા બોર્ડ મેમ્બર્સ- ડોક્ટર ઇન્દુબેન શાહ,શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા અને સલાહકાર શ્રી. અશોક પટેલ.

P1060969
ગુ.સા. સ.ની ગૌરવભરી સભાના સભ્યો.

P1060972

 ગુ.સા.સ.ની નવી સમિતિ- ઉપપ્રમુખ પ્રવિણાબેન કડકિયા,સલાહકાર શ્રી અશોક પટેલ
અને પ્રમુખ ડોક્ટર ઇન્દુબેન શાહ. ખજાનચી શ્રી સતીશ પરીખ (હાજર નથી)

ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર

ફોટો સૌજન્યઃ શ્રી જયંત પટેલ.

 

૨૦મી ડીસેમ્બર અને રવિવારની શીતલ  સાંજે ૪ થી ૮ દરમ્યાન, હ્યુસ્ટનના શાકાહારી ભોજનગૃહના હોલમાં ૨૦૧૫ ના સફળ વર્ષની, છેલ્લી બેઠક યોજાઈ ગઈ.

 બરાબર ૪ના ટકોરે શ્રીમતિ ગીતાબેન પંડ્યાના સુમધુર કંઠે ગવાયેલ પ્રાર્થનાથી શુભ શરુઆત થઈ. સંસ્થાના વડીલ હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે શેર, મુક્તક અને ગઝલથી બેઠકની શરૂઆત કરીને મહેફિલમાં રંગ જમાવી દીધો. ડોક્ટર રમેશ શાહે, કવિશ્રી. મકરંદ દવેની એક કૃતિ રજૂ કરી અને સાથે સાથે એનું રસદર્શન પણ ભાવ સહિત વાંચી સંભળાવ્યુ. નિતીન વ્યાસ નામના એક બહુશ્રુત વિદ્વાને, ગુજરાતના જાણીતા લેખક અને કવિ શ્રી. ધ્રુવ ભટ્ટના પુસ્તકનો પરિચય કરાવ્યો અને ભાવનગરના ટર્મિનસ પરની બોગી નંબર ૨૬૯૨ અને ચાહની લારીના દ્રશ્યો શ્રોતાઓની આંખ સમક્ષ તાદ્રુશ કરાવ્યા. 


શૈલાબેન મુન્શાએ કામો અંગે વર્ષાન્તે થતી અનુભૂતિ વિષયક એક હળવું મસ્તીભર્યું અછાંદસ કાવ્ય રજૂ કર્યું.
 દેવિકાબેન ધ્રુવ આમ તો કવયિત્રી છે અને સામાન્યપણે પોતાની સ્વરચિત કવિતા કે ગઝલની જ રજૂઆત કરતા હોય છે પણ આજે તેમણે ‘સાહિત્ય એટલે શું ?’ એ વિષય પર મનનીય વક્તવ્ય રજૂ કર્યું.  ડોક્ટર ઇન્દુબેન શાહે વીતેલા દાયકાઓની વાતો કરી. પ્રશાંત મુન્શાએ પણ કેટલાંક સુંદર મુકતકો સંભળાવ્યા. ૯૫ વર્ષની વયના ધીરુભાઇ શાહે, જીવનના નિચોડ સમ,સારા જીવન માટેની અર્થસભર કણિકાઓ પ્રસ્તૂત કરી. અશોક પટેલે શ્રી. મનુ નાયકનું એક કાવ્ય રજૂ કર્યું. ત્યાર પછી નાસા, જોહન્સન સ્પેઈસ સેન્ટર, હ્યુસ્ટનના  વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લાએ શ્રી. નટવર ગાંધીની છંદોબધ્ધ કૃતિ સંભળાવી.

 પ્રકાશ મજમુદારે, સ્વ.મરીઝની ગઝલ રજૂ કરીને વાતાવરણને સંગીતની હવાથી તરબતર  કરી મૂક્યું.  શ્રી. વિજય શાહે, સાહિત્ય સરિતાના કલ્ચર અંગે અને પોતાની સાહિત્યિક પ્રવૃત્તિઓથી સભ્યોને માહિતગાર કર્યા. શ્રી અક્બર લાખાણી અને અક્બર અલી હબીબે પોતાની કૃતિઓ અને રમૂજની લ્હાણ કરી હતી. શ્રી. નવીન બેન્કરે, ફ્યુનરલ ટાણે, વક્તાઓ  મૃતકને અંજલિ આપતી વખતે કેવા કેવા છબરડાઓ કરતા  હોય છે અને અંત્યેષ્ટી કરાવનાર બ્રાહ્મણ કેવા પ્રવચનો ડાઘુઓને માથે મારતા હોય છે એની રમુજી વાતો કરીને સભ્યોને હસાવ્યા. પ્રવીણાબેન કડકિયાએ પણ તેમાં થોડો સૂર પૂરાવ્યો હતો.

 બેઠકના ઉત્તરાર્ધમાં, ‘જનરલ બોડી મીટીંગ’ ની શરૂઆત થઈ. સંસ્થાના પ્રમુખ શ્રી. ધવલ મહેતા અને ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતાએ એમની આગેવાની હેઠળ છેલ્લા દોઢ વર્ષથી સંસ્થાએ જે જે પ્રવૃત્તિઓ કરી હતી એનો ચિતાર આપ્યો..સંસ્થાના ખજાનચી  શ્રી. નરેન્દ્ર વેદે, સંસ્થાના આર્થિક પાસાં અને ભંડોળને લગતી માહિતીસભર વિગતો આપી. સભ્યોની પ્રશ્નોત્તરી, ચર્ચા, મસલત પછી કેટલાંક જરૂરી મુદ્દાઓનો પણ વ્યવસ્થિત રીતે અને શાંતિપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો. ત્યારબાદ ૨૦૧૬થી શરૂ થતા વર્ષના નવા ‘બોર્ડ મેમ્બર્સ’ તરીકે નીચેના સભ્યોની વરણી થઈ-

પ્રમુખઃ ડોક્ટર શ્રીમતિ  ઇન્દુબેન શાહ
ઉપપ્રમુખઃ શ્રીમતિ
  પ્રવિણાબેન કડકિયા
ખજાનચીઃ શ્રી. સતિશ પરીખ-
              
સલાહકારઃ શ્રી. અશોક પટેલ

  
 નવી નિમાયેલી સમિતિના સભ્યો અને હાજર રહેલા સભ્યોએ, જુના બોર્ડ મેમ્બર્સની  સફળ કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા અને સમુહ ફોટોગ્રાફ્સ લઈને સૌ, ભોજન રેસ્ટોરન્ટના સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણીને છૂટા પડ્યા હતા.

છેલ્લાં પંદર વર્ષથી અવિરતપણે ચાલી રહેલી ગુજરાતી સાહિત્ય સરિતાની આ ગુજરાતી ભાષા અંગેની સજાગતાને અને સૌ સભ્યોને સો સો સલામ.

 અહેવાલ – શ્રી. નવીન બેન્કર   (લખ્યા તારીખ- ૨૦ ડીસેમ્બર ૨૦૧૫)

 

 

हिन्दी कविताकी शाम-डीसेम्बर २०१५ December 8, 2015

Posted by devikadhruva in : કાવ્યપઠન , add a comment

HINDI KAVITA KI SHAAM HOUSTON 2015

recorded by Dr. NIK NIKAM NNN

click the link below:

https://www.youtube.com/watch?v=bsymtjM3cx8

 

Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a comment

શેર-૨

Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a comment

શેર-૩

‘સ્વરસેતુ’ ન્યુઝ ડાયજેસ્ટ-ઓક્ટો.નવે.૨૦૧૫ November 13, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

સ્વરસેતુ’ ન્યુઝ ડાયજેસ્ટ-ઓક્ટો.નવે.૨૦૧૫માં પ્રસિધ્ધ થયેલ પ્રશ્નોત્તરી…..

svarsetu



શેર…૧ November 1, 2015

Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a comment

શેર

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.