jump to navigation

રસદર્શન..ગઝલઃ બાકી છે.. June 30, 2021

Posted by devikadhruva in : ગઝલ,રસદર્શન , add a comment

ગઝલ “બાકી છે”– દેવિકા ધ્રુવ

જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે?
ઘણી વીતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે. 

 

જમાનો કેટલો સારો, બધું સમજાવતો  રે’છે!
દીવા જેવું બતાવે લો, કહો ક્યાં, શર્મ બાકી છે ! 

 

સદા તૂટ્યાં કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો.
સતત મંદિરની ભીંતો કહે છે ‘ધર્મ બાકી છે.’ 

 

ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે,
મથે છે રોજ તો ઈન્સાન પણ, હાય,  દર્દ બાકી છે. 

 

જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ,
ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે.

 

-દેવિકા ધ્રુવ

****************************************

રસાસ્વાદ- ગઝલકાર શ્રી સતીન દેસાઈ ‘પરવેઝ’

અસ્તિત્વના વાસ્તવને ધ્રુવ તારા સમા ઝબકારે પરોવતા દેવિકા ધ્રુવ હ્યસ્ટન અમેરિકાથી ઉપરોક્ત ગઝલ મને હસ્તગત કરાવે છે.

“જીવન કે મોત વિશે ક્યાં કશો યે અર્થ બાકી છે?
ઘણી વીતી, રહી થોડી, છતાં યે મર્મ બાકી છે.” 

અનાદિકાળથી વહી જતો સમય જીવન અને મોતના બે ધ્રુવ ખંડમાં વિભાજિત થઈ એની રહસ્યલીલા કરે છે. જે વિશે આપણી બુધ્ધિ અભણ સાબિત થાય છે. જ્યારે  એને ખોલતું ચૈતન્ય જવલ્લે જ કોઈ દૈવી જીવને હસ્તગત થાય છે.એટલે જીવન અને મોતના તાદ્રશ્ય વાસ્તવમાં રાચતા જીવ પાસે ઉપરોક્ત ઉદગાર સિવાય અન્ય ક્યાં કોઈ વિકલ્પ હોય છે? હા.એના સંતોષ ખાતર હજી એ બેની વચ્ચે એના હોવાનો જે મર્મ અકબંધ છે..એને આ કવયિત્રીએ આમ કહી ખોલી આપ્યો છે. 

“ઘણી વીતી,રહી થોડી, છતાં યે મર્મ બાકી છે.” 

ખરા અર્થમાં અસ્તિત્વનું હોવું જ  અકળ સમજણના પડદાઓને ચીરી ડોકિયાં કરવાની નિરર્થક મથામણ જ છે. એથી જ ઉર્દૂના શાયર ફાની બદાયુની આમ કહે છે. 

“ઈક મુઅમ્મા હૈ, ન સમજને કા,ન સમજાને કા.
જીંદગી કાહે કો હૈ ખ્વાબ હૈ દીવાને કા.” 

અર્થાત..જીંદગી એક એવી પહેલી છે જે સમજી કે સમજાવી શકાતી નથી. 

“જમાનો કેટલો  સારો, બધું સમજાવતો રે’ છે,
દીવા જેવું બતાવે લો, કહો ક્યાં શર્મ બાકી છે.” 

શેરમાં વક્રોક્તિ નિરૂપણ જ્યારે અનુભૂતિ આવરણને ઉતારી સન્મુખ થાય છે.ત્યારે જીવન વિશેનું જે શર્મનાક ચિત્રણ ખડું થાય છે.એ ઉપરોક્ત  શેરમાં અનુભવી શકાશે. આમ તો જમાનો એની કનિષ્ઠતાનો જ દીવો ધરી આપણને અજવાળવાની જગાએ દઝાડે છે. પણ આ દાહને પણ સકારાત્મક ઝીલતા આ કવયિત્રી જમાનાનું ઋણ સ્વીકારતા કહે છે કે એ રીતેય એ આપણી આંતર દૄષ્ટિ ઉઘાડી આપણને એહસાસ કરવા કહે છે કે એમાં પ્રવર્તમાન બેશરમ એની પરાકાષ્ટાએ હોય છે.એની સામે બાઅદબ વર્તનાર વ્યક્તિ તો મારા આ શેર જેમ આમ જ કહેશે.  

“ઓ અદબ આ આગવું પ્રમાણ જોઈ લે. 

ઊંચકે  નકાબ  એ, ને  લાજિયેં  અમે .”        સતીન દેસાઈ “પરવેઝ” દીપ્તિ”ગુરૂ” 

કવયિત્રી હવે પછીના શેરમાં ધર્માધંતાને મુખરિત કરવા નવ્યશૈલીમાં મંદિરની નિશ્ચેત દીવાલોમાં શ્રધ્ધાનું તત્વ પરોવે છે. આમ તો દીવાલ એ શ્રધ્ધા કરતા નડતરનું જ કાવ્યાત્મક પ્રતીક છે. પણ કવયિત્રીએ મંદિરની દીવાલો હોવાથી એને પ્રાણવંત કરવા મથે છે..પણ એ દીવાલોમાં નિત્ય ભાંગતી ભક્તિ શ્રધ્ધાને બચાવવા જાણે એ જ દીવાલો પુનઃ એ શ્રધ્ધા મંત્ર ફૂંકે છે “હજી સુધી તો ધર્મ ક્યાં મરી પરવાર્યો છે?” આમ આ શેરની બે પંક્તિઓમાં દીવાલ અને ભીંત સમાનાર્થી શબ્દનો કવયિત્રીએ શ્લેષ ઉપજાવી શેરને મમળાવતો કરી દીધો છે. 

સદા તૂટ્યા કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો,
સતત મંદિરની ભીંતો કહે છે ” ધર્મ બાકી છે.”

 ‘બાકી’ રદીફ નિરૂપી આ કવયિત્રી આપણને જે કંઈ તત્વ હજી યે સલામત અને હાથવગું છે .એને જ માણી સકારશૈલીમાં નિર્વાહિત થવા માટેની પ્રેરણા આપે છે.જેને સમર્થન આપતો ચોથો શેર ખુશી, શાંતિ અને પ્રીતિના ત્રિગુણિયલ અભાવમાં પણ દર્દની અમીરાઈએ આપણને જાહોજલાલી માણવા માટે આમ હાકલ દે છે.  

“ખુશી શાંતિ અને પ્રીતિ ત્રણેની છે અછત અત્રે,
મથે છે રોજ તો ઈન્સાન પણ હાય દર્દ બાકી છે.”

 ઉપરોક્ત ત્રણ સંતૃપ્તિકારક તત્ત્વ કાજે મથતો માનવ એની દર્દની મૂડી જાળવી શક્યો છે..એ જ એનું અહોભાગ્ય ગણાય.

 કવયિત્રીએ ઉપરોકત ગઝલના કાફિયાઓ જેવા કે અર્થ, મર્મ કે શર્મ વિગેરેમાં અર્ધ  રકારના જ રણકારે અસ્તિત્વના સારત્વને ઝણઝણાવ્યું છે. અંતે માનવની મિથ્યા કર્મફલિતાની અભિલાષા વિશે સર્વ વિદિત એવી ગીતાના કર્મ અધ્યાયની જ આકાશ વાણી આ કવયિત્રી અંતિમ શેરમાં ચૌદમા ભવનની ચિત્રાત્મકતામાં જ હાસ્યાત્મક રીતે રેલાવે છે. ચાલો, શેર જોઈએ. 

“જુએ છે કોક ઊંચેથી હસી ખંધુ, કહી બંધુ, 

ફળોની આશ શું રાખે હજી તો કર્મ બાકી છે.” 

  આસમાની ચરમનો એ દૄષ્ટા અમાનવીય કર્મિતા પર જે પ્રકારના માર્મિક કટાક્ષ કરતા હોય એક  એની જ સાક્ષાત દર્શના કવયિત્રી નામે દેવિકા ધ્રુવે કરાવી છે.

સતીન દેસાઈ “પરવેઝ”દીપ્તિ”ગુરૂ”

************************************************************

 https://youtu.be/d_OYvm6v3I4

શબ્દાંકન:દેવિકા ધ્રુવ.સ્વર- સ્વરાંકન:ભરત ત્રિવેદી.વિડીયો સંકલન:કૌશિક શાહ(USA) – YouTube

 

જુગલબંધી કરી છે મેં… March 10, 2021

Posted by devikadhruva in : ગઝલ , add a comment

જાઉં છું… July 31, 2020

Posted by devikadhruva in : ગઝલ , add a comment

 

ભીતર સરકતી જાઉં છું, ઊંડે ઉતરતી જાઉં છું.
ભીષણ થયાં સંજોગ જગના, આહ ભરતી જાઉં છું.

 

ધગધગ થતા લાવા સમી ફેલાઈને કંપાવતી,
જવાળામુખીની લ્હાય જોઈને કકળતી જાઉં છું.

 

આ વિશ્વને થંભાવતું, ઈન્સાનને હંફાવતું,
જંતુ ફરે,લાશો ભરે? પળપળ નિગળતી જાઉં છું.

 

ધીરે રહી આંખો બિડી, અંદર પડળ ખોલ્યા પછી,
ઉજાસની કિનાર જોતા, કૈંક સમજતી જાઉં છું.

 

ટટ્ટાર સામે વૃક્ષ ઊભું, મૌન વાણી ઉચ્ચરે,
પડઘાય વારંવાર ૐ, હળવેથી ઠરતી જાઉં છું.

 

વામન મટી વિરાટ થઈ, પામર મટી જે થઈ પરમ
એ શક્તિનો અણસાર પામીને ઉઘડતી જાઉં છું.

 

પીવાઈ ગયુ… July 30, 2019

Posted by devikadhruva in : ગઝલ , add a comment

માન્યું અમૃત, તો એ પીવાઈ ગયુ.
એટલે તો પછી જીવાઈ ગયું.

 

પોત  મખમલ શું  મુલાયમ હતું.
કાળની સોયથી સીવાઈ ગયું.

 

દિલડું એવું તો ચીરાઈ ગયું.
લોહી ઊડી,નભે ચીત્રાઈ ગયું.

 

જો વલોવાય તો માખણ  મળે
એ વગર ગીત તો ભૂલાઈ ગયું.

 

શ્વાસ છે, તો જગત આ આપણું;
બાકી તો ફ્રેમમાં ટીંગાઈ ગયું.

કયામત છે…. April 30, 2019

Posted by devikadhruva in : ગઝલ , add a comment

ગણી’તી તાજની ખુબી, મીનાકારી કરામત છે.
હકીકત તો હતી કે બે, કલેજાની શહાદત છે.

 

રહી નિષ્ક્રિય કિનારે, પથ્થરો છે ફેંકવા સ્‍હેલા,
અગર ભિતર પડો જાણો, શૂરાની શી ઇબાદત છે.

 

જવા દો વાત ચેહરા ને, મહોરાની બધી જૂઠી,
અહીં ના કોઇ અસલી છે, બધી મેક્કપ મરામત છે.

 

ખરાને પાડવા ખોટા, જગતની રીત જૂની છે;
નિજાનંદે સદા  રે’નારના ભવભવ સલામત છે.

 

પૂજા-પાઠો કીધા પણ પંડિતો લાગે નહી સુખી,
બધા બખ્તર લીધાં સૌએ, છતાં કોની હિફાજત છે ?

 

પરાજય પામનારાને, પૂછાશે કૈં સવાલો જ્યાં,
ઝુકાવી શિર ખાલી જાણજો આવી કયામત છે.

 

સૂફી સંતો કહી થાક્યા, બધા એ બંધનો કાપી,
અરે આ જીંદગી તો માત્ર મૃત્યુની અમાનત છે.


 

પછી શું છે? April 29, 2019

Posted by devikadhruva in : ગઝલ , add a comment

જતું હોય છે… April 28, 2019

Posted by devikadhruva in : ગઝલ , add a comment

ઘણી વાર ઘણું બધું ગમી જતું હોય છે.

બધી વાર બધું યક્યાં મળી જતું હોય છે ?

 

ચહો કંઈ ને મળે કંઈએવું ઘણું લાગે ને
ન ધારેલું સપન, કદી ફળી જતું હોય છે!

 

નવું જૂનું અને જૂનું નવું થયે જાય છે.
અહીં કોઈ સમયને, ક્યાં કળી જતું હોય છે !

 

જે ચ્હેરો અરીસે હતો સદાતે આજે નથી.
આ દર્પણ બચપણનું મ્હોં, ગળી જતું હોય છે.

 

કદી એવું બને, ભીતર કંઈ ને બ્‍હારે કંઈ,
સત્ય એમ અસત્ય થઈવળી જતું હોય છે.

એ વાત ખોટી છે… April 25, 2019

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4-%e0%aa%96%e0%ab%8b%e0%aa%9f%e0%ab%80-%e0%aa%9b%e0%ab%87-%e0%ab%a8

હવે સૌને આવડે છે! April 24, 2019

Posted by devikadhruva in : ગઝલ , add a comment

કોમ્પ્યુટર યુગમાં નવું નાચતા, હવે સૌને આવડે છે!
આંગ્ળીઓના ટેરવે  રાચતા, હવે સૌને આવડે છે!

 

પાટી-પેનને નેવે મૂક્યાં, ડસ્ટર-બસ્ટર  તો હવામાં,
‘કી’ની ક્લીકથી લખતા ભૂંસતા,હવે સૌને આવડે છે!

 

જુનૂ ને જાણીતું સઘળું  નવા આકાર લઈ  રહ્યું છે.
લો, આડી રીતે ઘી કાઢતા, હવે સૌને આવડે છે!

 

ડુંગર ખોદી ઉંદર કાઢે, પ્રખ્યાતિના પહાડ જીતે.
ધીરા ડગથી દ્વારો વાસતા, હવે સૌને આવડે છે!

 

સમજી જા ‘દેવી’, ચેતી જા વહેલી, નહીં તો, અહીં તો,
“કસીનો’ જેવું  રમતા, લૂંટતા, હવે સહુને આવડે છે.

મળતો નથી…. April 23, 2019

Posted by devikadhruva in : ગઝલ , add a comment

માણસ હવે, માણસને કૈં મળતો નથી.
ને જો મળે, તો એ હવે હસતો નથી. 

 

બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે,
કોઈ તમારા આંગણે જડતો નથી. 

 

દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર,
એકલો પડે,પણ એ સૂનો પડતો નથી. 

 

રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ,
એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી. 

 

મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!.
માણસ હવે, માણસને ઓળખતો નથી!! 

 

મંદિર હવે મનમાં કરે તો સારું છે.
બાકી એ ખુદમાં પણ, ખરું ભળતો નથી. 

 

જુદા હતા વાર્તાના એ ઈશ્વર બધા,
એમ માનવી, ઈશ્વર કંઈ બનતો નથી!

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.