કોને મળી ? October 31, 2010
Posted by devikadhruva in : ગઝલ , trackbackજીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેની કરી તેની કહો કોને ફળી !
વાવણી કોઇ કરે ને કાપણી કોઇ કરે,
ચાંદ ઊગે આભમાં ને ચાંદની સૌને મળી.
ઇશ્વરે હૈયા ઘડ્યાં ઇન્સાનના ફૂલો સમા,
ઘાટ કીધો પથ્થરોથી ઇશનો સૌએ મળી.
મોકળુ મેદાન દીધું વિશ્વનું જેણે સદા;
માનવીએ કેદ કીધો મંદિરે એને વળી !
પારધીના બાણથી વીંધાય પંખી વૃક્ષનું.
તો ય બાંધે નિજનો માળો લઇ ચાંચે સળી.
જીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેણે કરી તેની કહો કોને ફળી !
**********************************
Comments»
જીંદગી જેવી કલ્પી હોય તેવી કદાચ ન મળે પણ બંદગી જો સાચી ભક્તિ થી કરી હોય તો જરૂર ફળે, જેને માટે કરી હોય તેને ફળે.
બાકી માનવીના સ્વાર્થીપણાને કોઈ આંબી શક્યું નથી.
સુંદર છંદોમય કાવ્ય.
પારધીના બાણથી વીંધાય પંખી વૃક્ષનું.
તો ય બાંધે નિજનો માળો લઇ ચાંચે સળી.
પારધીના બાણથી શ્રીકૃષણ પણ વિંધાઈ ગયા છે, સરસ રચના. પંખીની જેમજ નવેસરથી માળો બાંધવો રહ્યો.