अभ्युत्थानम् अधर्मस्य…… April 23, 2013
Posted by devikadhruva in : કાવ્યો , add a commentવર્તમાન સમયમાં,વિશ્વમાં ચારેબાજુ ઉઠેલા વિવિધ સળગતા પ્રશ્નોથી થતા અજંપાની અભિવ્યક્તિ.
******************************** ******************************
માયાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં કેમ કરી બોળું?
જુગજૂની વાતોથી બાંધેલા જીવને શિવ ભણી કેમે ઝબોળુ?
ગોવર્ધન પર્વતને આંગળીએ ઝીલી,
લીધા ઉગારી તેં ગોકુળના વાસી,
નરસિંહ,પ્રહલાદ ને કેવટની નાવડી
દ્રૌપદી,શબરી અનેક લીધા તારી.
મીરાંને કાજ પેલા મેવાડના પ્યાલામાં ઝેરને અમૃતથી ઘોળ્યું,
કેમ રે સંતાયો આજ, તું યે ના દેખે આ કાળુ ને ધોળુ?
ફૂંફાડે ફેણ ધરી કેટલાંયે કાળીનાગ,
ડોલે મદારીના ડુગડુગિયા ગાન-તાન,
કેટલાંયે આસપાસ મેલાં દુઃશાસન,
ખેંચીને ચીર આજ સર્જે મહાભારત.
ધૃતરાષ્ટ્રના પાટા ને ખોટા અંધાપાને કેમ કરી ઢંઢોળુ?
ના’વે જીસસ,પૈગંબર કે કા’ન હવે,કળિયુગમાં ખાલી શું ખોળુ?
પાક્યો સમય હવે પરિત્રાણ સાચનો,
ને આવ્યો સમય દુષ્કૃત્ય-વિનાશનો.
આ સત-અસતના સમરાંગણોમાં,
બની પાર્થસારથિ હટાવો વિષાદો.
સંસ્થાપવાને ધર્મો કુરુક્ષેત્રે, પધારો તો વાતો ફરીથી વાગોળુ.
માયાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં શાંત થઈ બોળું.
વાગે છે.. April 1, 2013
Posted by devikadhruva in : ગઝલ , add a comment
વાગ્યા ઉપર વાગે છે.
દાઝ્યા ઉપર ડામે છે.
રુઝ માંડ આવે ત્યાં,
જાતે જ ફરી ચાંપે છે.
છાંયાથી દૂર ભાગી જઇ,
તડકે જઇને ચાલે છે.
જાણી બુઝી વ્હોરે તાપ,
સૂરજને શેં ભાંડે છે ?
નિર્મળ ડહોળી નીર,
તીરે ઉભી મ્હાલે છે.
ડૂબ્યા વિના ઝંખે મોતી,
કોને ‘દેવી’ લાધે છે ?