સાહિત્ય ક્ષેત્રે જવલંત સિધ્ધિઓ મેળવનાર નીલમબેન દોશી સાથે એક ઝલક. June 18, 2013
Posted by devikadhruva in : સ્વરચના , add a commentનીલમબેનની કલમ ‘સંબંધના સેતુ’ બાંધે છે, ‘અત્તરક્યારી’ ખીલવે છે, ‘અત્તરગલી’ મ્હેંકાવે છે. ‘ગમતાનો એ ગુલાલ’ કરે છે. તેમનો ‘ચપટી ઉજાસ’ અજવાળા અજવાળા પાથરે છે. રોજની ‘ખાટીમીઠી’ હસીને મમળાવવાનું મન થાય એવી રચે છે. અને ભલેને હજારો માઇલ દૂર હોય છતાં ‘પરમસમીપે” છે. તેમનો સંગ પારસમણિ જેવો છે.
નીલમબેનની વારતાની છીપમાંથી રોજ એક મોતી બંધાય છે એ છાપ સાચી સમજાય છે. તેમની વાર્તા અને નાટકોમાંથી અને વ્યક્તિત્વમાંથી પણ ભારોભાર ઇન્સાનિયત છલકાય છે.
એવી જ એક ઉમદા વાત અને ઉંચેરો સંદેશ આપતુ,નીલમબેન દોશી લિખીત એકાંકી નાટક “એક અધૂરો ઇન્ટરવ્યુ” છે. જેમાં એક એવા પાત્ર, વટવૃક્ષની વાત છે જેનું કલેજુ કરવતથી કપાય છે અને હૈયું અધૂરાં રહી ગયેલાં ઇન્ટરવ્યુથી ઘવાય છે.આ નાટકને આધારે લખાયેલ જુદા જુદા ચાર અક્ષરમેળ છંદમાં ગૂંથેલ મારી એક સ્વરચના ફરી એક વાર આપની સમક્ષ સહર્ષ….
એક અધૂરું કથનઃ
( મંદાક્રાંતા )
રે વૃક્ષો ને, કરવત થકી, કાપી છેદી જ દીધાં;
લાગ્યાં ઘાથી, ઢળી પડી પછી, પ્રાણ છોડી જ દીધાં.
( અનુષ્ટુપ ) (વૃક્ષનું વર્ણન )
છોરું એ ધરતીનો ને, ભેરું એ વનનો હતો.
વ્યોમ ને ભોમ શાળામાં, રોજે એ ભણતો હતો.
( હરિગીત )
પંખીઓના ડાળે ડાળે ટચુકડા માળા હતા;
સમૃધ્ધિમાં ખુબ કેવા મીઠડાં ટહૂકા હતા.
તાપ-ટાઢ, વંટોળ ઝિલી, સૌના રક્ષણહાર હતા;
એ ગામના આબાલવૃધ્ધો, સર્વના રખેવાળ હતા.
( શાર્દૂલવિક્રીડિત ) (વૃક્ષની ખાટીમીઠી યાદોની વાત )
યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યાં,
નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યા;
પુત્રોથી વિખુટી પડેલ જનની, હૈયાવરાળો વહી,
કાળીરાત અહીં અજાતશિશુની,તીણી જ ચીસો સહી…
( મંદાક્રાંતા )
કાળી યાદો મનથી નિસરી, મીંચીઆંખો નીતારે,
મીઠી યાદો સઘળી લઇને નેણ બંને ભીંજાવે,
નારી પ્રેમે હસતી અહિંયા ફૂલ કેવાં ચઢાવે,
હિન્દુબંધુ અવર ભગિની હાથ રક્ષા મઢાવે.
(અનુષ્ટુપ )
હૈયે ખુશી ધરી એવી, વટવૃક્ષ હસી રહ્યું.
મળે માનવ આજે તો, લ્હાણી કાજે રટી રહ્યું..
( મંદાક્રાંતા )
ત્યાં તો આવી,પરિજન વળી,પાન ફેંદી જ દીધાં,
એ વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી જ દીધાં,
લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !
સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!