સાંજવેળા September 8, 2010
Posted by devikadhruva in : સ્વરચના , add a commentમાર્ચ ૨૦૧૧માં યોજાયેલ “સબરસગુજરાતી” કાવ્યસ્પર્ધામાં ૧૬૬માંથી પ્રથમ દસમાં સ્થાન પામેલ ગઝલ
( છંદ હજઝ-૨૮ )
વાનપ્રસ્થાશ્રમને આરે ઉભેલા આશાવાદી એક માનવીને જીવનમાં હજી ઘણું ઘણું કરવું છે.ન એને મૃત્યુનો ડર છે કે ન એની રાહ છે. પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કૈંક એવું ઉમદા અને સરસ કામ કરી જવું છે કે જેના થકી એનો અંત પણ સુંદર,શણગારયુક્ત બની જાય ! એટલે જ તો એ સાંજના જતા સુરજને જરા થોભી જવાની વાત કરે છે.અહીં દિવસ અને રાત, જીવન અને મૄત્યુના રૂપક તરીકે લીધા છે.
————————————————————————————————
સલૂણી આજ આવીને,ઉભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સુરજ, ન લાવો રાત ધસમસતી.
હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી એ લૂ,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.
હજી મમળાવવી મારે અહીં કુમાશ કીરણોની,
જરા થોભો અરે સુરજ, હતી સવ્વાર ઝગમગતી.
અહો કેવી મધુરી સહેલ આ સંસારસાગરની,
જરા થોભો અરે નાવિક, ભલે આ નાવ ડગમગતી.
કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે,
જરા થોભો અરે ધાત્રી, સજુ એ રાત તનમનથી !!
સલોની આજ આવીને,ઉભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સુરજ, ન લાવો રાત ધસમસતી
છંદવિધાન -હજઝ ૨૮
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.