રુદિયાનો રંગ August 3, 2010
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farહજી આજે પણ ઘણાંને મનમાં સવાલ ઉઠે છે કે કૃષ્ણ ખરેખર થઇ ગયા હશે ? આ સંદર્ભમાં સુરેશ દલાલની આ વાત મને ખુબ જ ગમે છે. એ કહે છે કે ” અગર જો કૃષ્ણ થયા હોય તો આના જેવી જગતમાં કોઇ અદભૂત ઘટના નથી અને ધારી લો કે નથી થયા તો એના જેવી કોઇ અદભૂત કલ્પના નથી” તો આવી જ એક કલ્પનાને આધારે રચાયેલા બે ગીત આપ સૌની સમક્ષ સહર્ષ પ્રસ્તૂત….
પૂછે કાં રાધા, આમ પાસેથી કાનાને, અણગમતું કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ ?!!
પૂછે કાં રાધા, આમ પાસેથી કાનાને, અમથું સાવ કાનમાં,
અગર જો હોત, ના ગાયો ને ગોપી,
તો સરજીને ખેલત, હું માખણની મટકી !
પૂછે કાં રાધા, નિકટથી કાનાને, ખોટું ખોટું કાનમાં,
અગર જો હોત, ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું પામત તું વાંસળીના ?
પૂછે કાં રાધા, આમ પાસે જઇ કાનાને, છેડી જરા કાનમાં,
અગર જો મોરપીંછ, હોત પિત્તરંગ,
રુદિયાનો રંગ ભરી, રાખત હું શિર પર !!
પૂછ મા અંતરની રાણી, આ અળવીતરું કાનમાં,
અગર જો દિલ તુજ, જાણે ના જવાબ,
જા કહી દઉં છું એવું , ના ચાહે આ શ્યામ !!
પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું ફરીથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
શ્યામ રંગ શ્યામ સંગ, દિસત એકાકાર !!!